પૃષ્ઠ:Ishu Khrist.djvu/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૩

પર્વત પરનું પ્રવચન

કર્યો છે એ કોઈ જાણે નહિ. તમારી પૂજા અને પ્રાર્થનાનો આડંબર ન કરશો. રસ્તા ઉપર અને મંદિરમાં જઈ તેનો વેશ સર્વને બતાવશો નહિ, પણ તમારા હૃદયના એકાંત ખૂણામાં, બારણું વાસી, તમારા પ્રભુને યાદ કરજો.

પ્રાર્થના એટલે નકામો લવારો નહિ. ઘણા શબ્દો વાપરવાથી જ પ્રભુને રાજી કરી શકાતો નથી. પણ તમે આ પ્રમાણે પ્રાર્થના કરજો:

ख्रिस्ती प्रार्थना

હે દિવ્યધામવાસી પિતા! તારો જયજયકાર થાઓ! તારું ધર્મરાજ્ય સર્વત્ર પ્રસરો. તારી આજ્ઞાઓનું સ્વર્ગ અને પૃથ્વી પર બરાબર પાલન થાઓ. તું અમને અમારો રોજનો જ રોટલો આપજે.* અમને અમારા વિકારોમાં લલચાવા દઈશ


  • Give us day by day our daily bread, એનો આ પ્રમાણે અનુવાદ કરવાનું મેં યોગ્ય ધાર્યું છે. ખ્રિસ્તી પ્રાર્થનામાં રોટલાની એટલે ઐહિક સુખની માગણી છે એવો આક્ષેપ મૂકવામાં આવે છે, તે આ વાક્યનો અર્થ ન સમજવાને લીધે છે એમ મને લાગે છે. પ્રાર્થાનાનું તાત્પર્ય એ છે કે, અમને રોજની જરૂરિયાતો કરતાં કિંચિત્ પણ વિશેષ આપીશ નહિ; અમને અપરિભદ્રી રાખજે. પાછળના ઉપદેશ પરથી આ સ્પષ્ટ થાય છે. આપણા ભક્તોની માફક જ ઈશુએ કહ્યું છે કે,

भोजनाच्छादने चिन्तां वृथा कुर्वन्ति वैष्णवाः ।
वोSसौ विश्वभरो देवः स भक्तान्किमुपेक्षते ॥

(વૈષ્ણવો ભોજન અને વસ્ત્રની ચિંતા ફોક જ કરે છે; જે વિશ્વનું પોષણ કરવાવાળો છે તે ભક્તોની શું ઉપેક્ષા કરશે?)

વળી પોતાના શિષ્યોને ઉપદેશ માટે ગામડાંઓમાં રવાના કરતાં ઈશુએ બોધ આપ્યો હતો કે, 'પૈસાને અડતા નહિ, ભાતું બાંધતા નહિ, જોડા પહેરતા નહિ ને વાટમાં મળ્યે કોઈને સલામ કરવા થોભતા નહિ (એટલે થોભીને સલામ કરવા જેટલી વૃત્તિ રાખતા નહિ, પણ અત્યન્ત નિરપેક્ષ વૃત્તિથી જ રહેજો)' એ ઈશુ રોટલા માટે પ્રાર્થના કરે એ કેમ બને? રોટલો તો મળવાનો જ છે, એ વિષે તો શંકા જ નથી; પણ જરૂર કરતાં વધારે ન મળો એ માગણી છે.