પૃષ્ઠ:Ishu Khrist.djvu/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૪

ઈશુ ખ્રિસ્ત

ભગવાન તેમને ખવાડે છે. શું એ કાગડા કરતાં તમે વધારે કીમતી નથી?

વળી આ હરિયાળી જુઓ. તે કેવી ઊગે છે? તે નથી કાંતતી કે નથી વણતી. અને છતાં બાદશાહ સોલોમનનો વૈભવ આ હરિયાળીના વૈભવ આગળ નજીવો હતો. જે તૃણ આજે ખેતરમાં છે અને કાલે ભઠ્ઠીમાં બળશે, તેનેય જો ઈશ્વર આવી શોભા અર્પણ કરે છે તો તેના પર ઈતબાર રાખો. તમને શાની જરૂર પડશે તે એ જાણે છે. તમે તો ઈશ્વરને ત્યાં શું જમા કરાવવું તેનો જ વિચાર રાખો. તમારી પાસે જે હોય, તે દાન કરી દો. અને એવી થેલીઓ વસાવો જે કદી ફાટે નહિ, અને તેમાં એવું નાણું ભરો કે જે કદી ખૂટે નહિ, સડે નહિ, કે ચોરને હાથ આવે નહિ.* વળી યાદ રાખો કે, જ્યાં તમારું ધન મૂક્યું હશે, ત્યાં જ તમારું ચિત્ત પણ ચોંટેલું રહેશે.


*સરખાવો:

ગિરધારી રે સખી ગિરધારી,
મારે નિર્ભય અખૂટ નાણું ગિરધારી.
ખરચ્યું ના ખૂટે, એને ચોર ના લૂંટે;
દામની પેઠે એ ગાંઠે બાંધ્યું ના છૂટે. ૧
અનગણ નાણું સંચી અંતે નિર્ધનિયાં જાયે;
તેની પેઠે નિર્ભય નાણું દૂર ના થાયે. ૨
સંપત વિપત સર્વે સપનું જાણું,
હરિના ચરણની સેવા પૂરણ ભાગ્ય પરમાણું. ૩
મુક્તાનંદ કહે, મોહનવરને ઉરમાં મારી,
હવે દુઃખ ને દારિદ્રય થકી હું ન્યારી ૪