પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'એ લાગણી નરકસ્વર્ગ તણી જનેતા;
'ને એ વતી જ અમ ઉર ઢળ્યાં પ્રભુમાં.

'પછી તો ભાઈની સાથે કાપવા કાષ્ટ હું જતો,
'ઉપયોગી થયો માની ઉપાધિ કરતો હતો.

'વસન્તના એક દિને રૂપાળે
'પ્રભાતકાળે વનમાં હતો હું;
'ભલો અમારો નૃપ અશ્વ સાથે
'કને જ દીઠો ફરતો તહીં મેં.

'મને જોઇ ઉભો રાજા, દયાથી મુજને કહ્યું :-
'સુખી છે કે ? ગુજારો તું કરે છે તુજ શી રીતે ?'

'કહી સહુ મેં મુજ વાત તેને,
'જરા વિચારી નૃપ આમ બોલ્યો :-
'મહેલમાં આજ જ આવજે તું,
'દઈશ હું નોકરી બાગમાં ત્યાં.'

'ગયો બ્હેન કને દોડી, કહી વાત કુદી કુદી;
'ભાઈની લઈને આજ્ઞા, જોડાયો મુજ બાગથી.

'તહીં બગીચે નૃપ આવતો સદા,
'મને હસીને કંઈ પૂછતો સદા;
'ભણાવતો ગમ્મતમાં મને કંઈ,
'અને પછી પુસ્તક કાંઈ આપતો.

'સોંપેલ તે મુજ તરુ જલ પાઈ પોષી
'ચિત્રો નિહાળી મમ પુસ્તક વાંચતો હું;
'ને ખેલતો ભ્રમરથી ફુલડાં ઉછાળી,
'રે! એમ કૈંક દિવસો સુખના ગયા ત્યાં.

'અરે! જે છાયામાં કમનસીબ પક્ષી જઈ વસે,
'તરુ એ તે સૂકે, ગહન ગતિ એવી હરિ તણી!

'ઉડી જાતાં છાયા ગરીબ કંઇ પંખી રડવડે,
'અહીં સંસારે એ બહુ વખત કૈં માલૂમ પડે !

'ગઈ સ્વર્ગે ભલી રાણી, અમ્બાનો અવતાર એ,
'પ્રિયાની પાછળે ઓહો ! ઝૂરી ઝૂરી ગયો નૃપે.

કલાપીનો કેકારવ/૧૯૨