પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખરૂં કે એ વિના જગત સઘળું શુષ્ક મુજને,
બધું સાચું સાચું પણ ન ઘટે તે ક્યમ બને ?

અહો ! તેની પ્રાપ્તિ મુજ હૃદય પુણ્યોદય ગણે,
અહો ! એથી બીજું જગ પર સુભાગ્યે કયું હશે ?
ગયાં સ્વર્ગોના એ સ્વપ્ન સહુ એને નિરખતાં !
બધું સાચું કિન્તુ પ્રણય ક્યમ દેશે દુઃખ ભલા ?

હવે છે ના ઝાઝો જગત સહ સંબંધ મુજને,
રસીલું વા સૂકું પણ સહુ હવે સ્વપ્ન સરખું,
અરે ! સ્વપ્ના માટે મૃદુ જીવન ડો'ળી ક્યમ દઊં ?
કળી ચૂંટી લેઈ મરણવશ તેને ક્યમ કરૂં ?

જવું મ્હારે યુદ્ધે - મુજ કર હવે તો શબ સમો,
અરે ! તેનો તેણે ઘટિત નવ આલંબ ગ્રહવો;
કહેતાં આ બોલો મુજ જિગર લાચાર દુખિયું,
છતાં હું તો એવી મૃદુ કળી સ્વીકારી નહીં શકું.'

બારોટ આ વાત સહુ સુણે ને
નીચે ઢળ્યાં છે નયનો વિચારે;
ઘડીક એ યોધમુખે ફરે ને
નેત્રો ફરી ભૂમિ પર ઢળે છે.

એ ભીલના નાયકની કુમારી
હમીરજીથી પતિ અન્ય સારો
ક્યાં વિશ્વની ઉપર પામવાની ?
બારોટજીને દૃઢ એ થયું છે.

ચંદા ભણી એ નયનો ફરે ને
એ મ્હોં તણા ભાવ નિહાળી ર્‌હે છે;
જાણે કંઈ આમ પુકારી ઊઠે -
'બાપુ ! રુચે તે સુખથી કરી લે !'

બાલાઉરે છે ધડકી ઉઠ્યું કૈં,
પ્રીતિ વધારે ધડકી હશે ક્યાં ?
સંકોચ, લજ્જા, દુનિયા, વિચારો
તોડી દઈ પ્રેમ કુદી ઉઠે છે.


કલાપીનો કેકારવ/૩૮૮