પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કો શ્યામ વસ્ત્ર ઉતરાવી ગુલાબી દેવું -
તેથી વિશેષ સુખ હોય જ શું જહાંમાં ?

ના લગ્નને ગત થયા દશ એ દિનો યે[૧]
ત્યાં કાર્ય આ રુદનનું દુઃખ આપનારૂં;
સૌભાગ્યમાં રુદન તો અપશુકનું છે,
સૌભાગ્ય સ્નેહતણું કિન્તુ દુખો જ લેવા.

ઇચ્છા બધી ગઢવી એ સમજી ગયો'તો
શિષ્યા તણું હૃદય એ ખૂબ જાણતો કે -
દુર્ગા તણો જ અવતાર જહાં પરે તે
ના અન્યનું દુઃખ જરી શકતી સહી એ.

હા - ના કશી ય કરવી ઘટતી હતી ના,
ઇચ્છા અતિથિઉરની યજમાનને કહે;
એ બ્હેન એ જગતથી ય વિરુદ્ધ માને,
ના તાણખેંચ પણ સ્નેહ સહી શકે છે.

જૂનો રિવાજ વળી રક્ત તણો ઉછાળો,
એ બ્હેનનું રુદન કાવ્યમયી કરીને
અશ્રુ તણા પૂર મહીં ઉર ફાટવા દે -
એ બન્ધુની ઉપર એક પુકાર છેલ્લો.

એ લાલ વસ્ત્ર સહ લાલી જ ધારવાની,
ખુલ્લા પછી રુદનને પરવાનગી ના;
સૌ વ્હાલનાં સ્મરણ છોડી દઈ પછી તો
સંસારજાળ તણી ગૂંથણીમાં ગૂંથાવું.

સામે રહી હમીરપત્ની શરૂ કરીને
એ બ્હેનના હૃદયને દ્રવતું જવા દે;
રે ! વિશ્વમાં દરદને રડતાં ય જ્યાં ત્યાં
કો અન્યની હૃદયહૂંફ તણી અપેક્ષા !

એ રક્તસ્ત્રાવત અશ્રુ તણા નિમાણા
ઝીણા સ્વરો હમીરનું ઉર કોતરે છે;
રે ! અશ્રુથી ય નવ તૃપ્ત દુઃખો થતાં શું -
કે આ વિલાપ ઉરફાટ મહીં વહે છે ?!


કલાપીનો કેકારવ/૪૦૬
  1. દશૈયાં