ગુલામે ઉત્તર વાળ્યો: “તમે જે ચાહો તે તેની પાસે કરાવી શકો છો.”
મુરખે પુછ્યુઃ “તેઓ ગાઈ શકે ખરા ?”
ગુલામ કહે: “હા”
મુરખે કહ્યું: “ભલે ત્યારે થોડા બનાવ.”
ગુલામે પછી કેટલાંક બાજરાનાં ડુંડાં લીધાં અને પોતાને હાથે પછાડીને બતાવ્યું: “આમ તેને પછાડો અને હુકમ કરો એટલે ડુંડાંમાંથી સીપાઈ પેદા થશે.”
મુર્ખાએ તેમ કર્યું અને ડુંડાંના સીપાઇ બન્યા તેમાં એક નગારચી અને શંખ ફુંકનારો પણ હતા. આને જોઈ મુર્ખો હસ્યો અને બોલ્યો: “વાહ આતો ઠીક છે, છોડીયો તમાસોજોઈ રાજી થશે.”
અરધ પુંછડીયાએ કહ્યું: “હવે મને જવાની પરવાનગી આપો.”
મુરખે કહ્યું: “એમ નહીં જવાય. બાજરીના ડુડાંના સીપાઇ બનાવું તે મને મોંઘા પડે. મારે તો ઠુંઠાંના બનાવવા છે. સીપાઇમાંથી પાછાં ઠુંઠાં કેમ બનાવવા એ પણ તારે શીખવાડવું જોઇશે.” એટલે અરધ પુંછડીયાએ સીપાઇના ઠુંઠાં બનાવવાની રીત પણ શીખવી, અને જવાની રજા માગી.
મુર્ખાએ તેને રજા આપી, અને અગાઉ જેમ બોલ્યો: ઈશ્વર તારી સાથે સદાય રહેજો.” મુર્ખાએ ઈશ્વરનું નામ લીધું તેવોજ અરધ પુંછડીઓ ગુલામ તેના ભાઈબંધની માફક જમીનમાં પેસી ગયો અને માત્ર ખાડોજ જોવાનો રહ્યો.
હવે મુર્ખો ઘેર આવે છે તો તેના ભાઈ ધનવંતરી અને તેની વહુને જોયાં, બન્ને વાળુ કરતાં હતાં. ધનવંતરી તેનું કરજ ચુકવી શક્યો ન હતો લેણદારોની પાસેથી ભાગીને બાપને ઘેર રહેવા આવ્યો હતો. મુર્ખાને જોઈ તેણે કહ્યું “ભાઈ હું ધંધો પાછો શરૂ કરી શકું ત્યાં લગી મને અને મારી સ્ત્રીને તારે ત્યાં રહેવા દેજે.”
મુર્ખો બોલ્યો: “ભલે સુખેથી રહો.”
પછી મુર્ખો લુગડા ઉતારી જમવા બેઠો. ધન્વંતરીની વહુ બોલી