પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
પુરાતન જ્યોત
 


"જેસલજી, આ શું થયું ?”

જેસલની જબાન ઉપડી નહીં.

"ફકર નહીં.” સાંસતિયે કહ્યું. “જતિ જેસલ ! ધીરજ ધરો. જનમ-મરણના ઓરતા ન હોય.”

"મા ! મા ઓ મા !" જેસલના મોંમાંથી પોકાર નીકળ્યા.

“સંતજનો !” સાંસતિયાએ કહ્યું: “જેસલજીના હાથમાં કોઈ એકતારો આપો.”

એક મોટો તુંબડાનો તંબૂરો જેસલના ખોળામાં મુકાયો. જાણે બેપાંચ વરસનો એક બાળક આવીને અંકમાં બેઠો હોય ને, એવી લાગણીએ જેસલના અંતરમાં જગ્યા લીધી.

"કાંઈક ગાશો ને સંત ?”

“આવડતું નથી.”

“અજમાવી જુઓને બાપ. જેસલજીને કંઠેથી તો સંજીવનીની સરવાણિયું ફૂટશે.”

સાંસતિયાએ મંજીરાનો ઝીણો ઝીણો રવ કાઢવા માંડ્યો. જેસલનાં આંગળાંએ એકતારાને બોલતો કર્યો. સૂતેલી તોળલ સામે એક ધ્યાન બનીને જેસલે કલેજું ખોંખાર્યું. સાંસતિયાએ સહુને સંજ્ઞા કરી દીધી, કે કોઈ ઢોલક કે ઝાંઝ બજાવશો નહીં. ઓરડામાં શાંતિની સુરાવળ બંધાઈ ગઈ. હવાના તંતુએ તંતુ જીવતાં બન્યાં ને જેસલે આરાધ ઉપાડ્યો :

નહીં રે મેરુ ને નહીં મેદની
નો'તા તે દી ધરણી અંકાશ રે હાં,
ચાંદો ને સૂરજ જે દી દોઈ નો'તા,
ધણી મારો તે દી આપોઆપ રે હાં,
પીર રે પોકારે મુંજાં ભાવરાં રે
સતી તમારો ધરમ સંભારો રે હાં હાં હાં.