પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'જેસલ જગનો ચોરટો'
૧૭૯
 

ગયો. “અરે સતી ! રોઈ રોઈ હું કોને સંભળાવું? મારા અંતરનાં ઊંડાં દુઃખ હું કોને સંભળાવું? મારો રુદિયો રુવે છે. કલેજાના ભીતરમાં ઊંડાણે જાણે કોઈ આગ જલી ઊઠી છે. હું કડવી વેલે તુંબડા જેવો, તે તમારા મેળાપથી મીઠો બન્યો. હું મધસાગરે કોઈ ખડક સાથે અથડાઈ ભાંગી જતા, સુકાની વિહોણા નાવ સરીખો, તેને તમે તારીને કિનારે લઈ આવ્યાં. જગતની નિંદાનાં જળથી મારો આત્મા ઓર વધુ ઊજળો બન્યો. ઘણા ઘણા લોકાપવાદ મારે માથે ચડ્યા તેની મને બીક નહોતી, ખેવના નહોતી પણ તમે મને તજી જશો તો એકલા મારા દિવસે કેમ નીકળશે?”

"જેસલજી ! હું વહેલી પાછી વળીશ.” એમ કહીને તોળલે મેવાડનો માર્ગ લીધો.


૮. સમાધ

બીજ દિન થાવરવાર,
વાયક આવ્યાં ગરવા દેવનાં એ જી.

દીપૈયા વેલડિયું શણગાર,
દિન ઊગ્યે મંડપ મા'લીએં જી.

દરવાણી ભાઈ, દરવાજા ઉઘાડ !
અમારે જાવા મંડપ મા'લવા એ જી.

કૂંચિયું કાંઈ રાજદરબાર,
દન રે ઊગ્યે તાળાં ઊઘડે એ જી.

તોરલે કીધો અલખનો આરાધ,
વણ રે કૂચીએ તાળાં ઊઘડ્યાં એ જી.

ગત્ય-ગંગા કરું રે પરણામ :
તમે રે આવ્યાં ને જેસલ ક્યાં રિયાં એ જી.