પગ થાક્યા છે?”
"રામરોટી પૂરી થતી નથી.”
"કેને કેને માગો છો તમે?”
“તમામ હિંદુ વરણને.”
"મુસલમાનને કાં નહીં? રક્તપીડિયાને જાત નથી, બે'ન ! એ તો જાત બહારનાં, જગતની બહાર કાઢી મૂકેલાં છે. એ ન અભડાય. આપણેય જાત તજી છે.”
થોડી વાર પછી સંતે સંભારી આપ્યું : “ઢેડોના વાસમાં જાઓ છો ?”
"ના રે !”
"કેમ નહીં? શીદ તારવો છો એને? પ્રભુનાં તો એ તારવેલાં નથી ને ?"
"ના.”
"આપણે પ્રભુથીયે ચોખ્ખેરા ?" સંત હસ્યા.
અમરબાઈનું મોં લજ્જાથી નીચે ઢળ્યું.
બરછીને જોરે જમીનો દબાવી દબાવી કાઠીઓ ઠરીઠામ બેસતા હતા. જમીન ખેડનારા ધીંગા ખેડૂતો મળી જવાથી કાઠીઓ નવરા પડ્યા હતા. રજપૂતોની નકલ કરવા લાગેલા કાઠીઓએ પોતાના ઘરમાં ઓઝલપરદા પેસાડ્યા. સૂરજના સ્વતંત્ર પૂજકો મટીને તેઓએ શિવ, વિષ્ણુ આદિ ઉજળિયાત જાતિઓના ઈષ્ટદેવોને સ્વીકારવામાં પોતાની ઈજ્જત માની હતી. ધર્માલયો દાનપુણ્યનાં ને સખાવતોનાં સ્થાન બની જાય છે ત્યારે એમાંથી મળતી પ્રતિષ્ઠાના પરદા પાછળ માનવી પોતાનાં હજારો પાપ છુપાવે છે.
બગેશ્વર ગામના કાઠી જમીનદાર જેનું નામ આપણે જાણતા નથી, તેની દેશભક્તિ ઉપર ઉજળિયાત વસ્તી મુગ્ધ