'ગામમાં કુધારો કૈક નામમાં સુધારો કૈક
કામમાં કુધારો કોટિ કષ્ટ કરનારો છે;
ન્હાવામાં કુધારો ખાવું ખાવામાં કુધારો, ગીત
ગાવામાં કુધારો છે તે કહો કશો સારો છે:
વીવામાં કુધારો પાણી પીવામાં કુધારો દીસે
દીવામાં કુધારો નકી જાણો જે નઠારો છે;
કહે દલપતરામ ઠરી રહ્યો ઠામ ઠામ
ક્યાંથી ક્યાંથી કાઢીએ જ્યાં ધારું ત્યાં કુધારો છે. ૪૯
ભણી ભણી ભેદ પામી નાસ્તિક ધરાવે નામ
કહો પછી ત્યાં કશો કુધારાને ઉધારો છે;
મળે જો બીજાને માન ઉપજે અરીશ્યા એવો
લાયકીવાળા છે લોક ત્યાંય લાગુ ધારો છે;
કેળવણી નહીં હોય હોય ત્યાં કુધારો પણ
કેળવણીવાળા વીશે શુદ્ધ ક્યાં સુધારો છે;
કહે દલપતરામ કરી રહ્યો ઠામ ઠામ
ક્યાંથી ક્યાંથી કાઢીએ જ્યાં ધારું ત્યાં કુધારો છે. ૫૦
ક. દ. ડા.
આવા કુધારાને નાબુદ કરવાનું મહાન કાર્ય એમણે અને તે વખતના લખનારાઓએ આરંભ્યું હતું. દલપતરામને ઇંગ્રેજી ભાષાનો બિલકુલ સંસ્કાર નહોતો. છતાં ચાલતા રિવાજોમાં જે જે એમને હાનિકારક લાગ્યા તેને ઉખેડી નાંખવાને એમની કલમે ઘણું કર્યું છે. 'બાળવિવાહ નિબંધ,' 'દૈવજ્ઞ દર્પણ,' 'તાર્કિક બોધ,' 'ભૂતનિબંધ,' 'બાળોઢ્યાભ્યાસ,' અને 'જ્ઞાતિ નિબંધ' વગેરે પુસ્તક લખીને જૂના ચાલની ઝાટકણી કાઢી છે. બેશક એમની કહેવાની બાની જૂદી તરેહની હતી. અર્થાનર્થ સમજાવવા, લાભાલાભ બતાવવા, અને વખતે બેઠી ઠાવકી મશ્કરી કરવી એ એમની ટેવ હતી. 'વિદ્યાબોધ,' 'રાજવિદ્યાભ્યાસ,' ' હુન્નરખાનની ચડાઈ.' 'સંપ લક્ષ્મી સંવાદ' અને 'જાદવાસ્થળી' વગેરે નાનાં નાનાં કાવ્યો