પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"સાંઇસાબ!" ભાવરાણીએ ઠેકડી કરી: "તમે ક્યાંથી સમજી શકો એ મરમ? હું તો વાટ જોતી'તી કે ભાવર મને ને દરબારને - બેયને બંદૂકે દેશે; પણ હું તો નાહકની એ નામર્દની વાટ જોતી'તી."

ફકીર ચૂપ થયો.

"એને કેમ છે? - એ દિલાવરીના દાતારને?" ઓરતે મર્માઘાતો ચાલુ જ રાખ્યા. પણ ઝુલેખાનો અવાજ હવે જૂના જામેલા તંબૂરાના તારોની પેઠે જરીક ધ્રુજારી ખાવા લાગ્યો.

"તેની તને હવે શી નિસ્બત છે?"

"અને, મારાં સુખદુઃખ પુછાવીને એ શું કરશે?"

"સુખી સાંભળીને સળગી જશે; ને દુઃખી જાણશે તો દરબારને ગૂડી નાખી તને છૂટી કરશે."

"સાંઇબાપુ, એને ફકીરી જ વધુ શોભશે. એણે કાંટિયા વરણને લજવ્યું છે."

"એને હું સિપાઇ બનાવીશ."

"સિપાઈ! હા! હા!" કહીને ઓરતે નિસાસો નાખ્યો. એ નિઃશ્વાસનો અવાજ કોઇ ઓરિયાની ખાડના ધસી પડતા ગંજાવર થરના પછડાટ જેવો બોદો હતો.

"કહેજો એને - કે સુખદુઃખના હિસાબ હવે નથી રહ્યા; કડવામીઠાનો સ્વાદ જ હારી ગઈ છું."

"શાબાશ!" કહીને ફકીરવેશધારી ઊઠ્યો. "હવે હું રજા લઈશ, દીકરી!"

ફકીર તરીકે બનાવટીય નક્કી થઈ ચૂકેલો છતાં આ આદમી "દીકરી" જેવા નિર્મળ લાડ-શબ્દે બોલાવે છે, તેનું શું કારણ હશે?

"તમે કોણ છો?"

"તારા નવા ચૂડલાનો કાળ છું."

"હેં!!!" ઝુલેખાના મોંમાંથી શ્વાસ નીકળી ગયો.

"ચૂપદીદી રાખજે." ફકીરે નાક પર આંગળી મૂકી. "મારી પછવાડે આખી શહેનશાહત છે. મારું રૂંવાડુંય ખાંડું થયે તારો દરબાર માંડલેના કાળાં પાણી સુધી પણ નહિ પહોંચે. રાઈ-રાઈ જેવડા એના ટુકડા વહેંચાઈ જશે."

૮૧
સોરઠ તારાં વહેતાં પાણી