બાપુનાં પારણાં/મૃત્યુનો મુજરો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મૃત્યુ પ્રહરી બન્યું બાપુનાં પારણાં
મૃત્યુનો મુજરો
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૩
ખુદા આબાદ રાખે →



મૃત્યુનો મુજરો

'જાણ્યું જાણ્યું મેં તો હેત તમારું જાદવા રે — ઢાળ


એના કારાગારે આવી મૃત્યુ નાચિયું રે
નિધન નાચિયું રે.
એની સેજલડીને ફરતું મૃત્યુ નાચિયું રે.
નિધન નાચિયું રે

ભીષણતા પોતાની ભૂલી
નિશ્ચેતનતા થનગન દૂલી;
ઝૂલી ગૂલી રમઝુમ પગલે રાચિયું રે
 નિધન નાચિયું રે — એના૦ ૫

ભૂતાવળ મંગળ રવ ગાયે.
કાળ તણે ઘર પૂજન થાયે,
જીવનના હર્તાએ જીવન જાચિયું રે
 નિધન નાચિયું રે — એના૦

કરી સિંગાર ચતર અલબેલી
ન્હા લૈ, ધો લૈ, સીસ ગૂંથેલી, ૧૦
વરધેલીએ સાજન-ઘર શોધી લિયું રે
નિધન નાચિયું રે-એના૦

ઓ જો બેઠો સાજન તોરો,
જગ-કાળપનો હાથ કટોરો,
પીને બનતો ગોરો જો તારે પિયુ રે
નિધન નાચિયું રે-એના૦

ઘન અંધારે અવધૂં જાગે ૧૫
જીવનના મીઠા અનુરાગે,
મૃત્યુ મુજરો માગી ચરણે ઝૂકિયું રે
નિધન નાચિયું રે-એના૦

પાયે ઘૂઘરડાં પે'રીને મૃત્યુ નાચિયું રે
નિધન નાચિયું રે-એના૦