બીરબલ અને બાદશાહ/અકબર

વિકિસ્રોતમાંથી
બીરબલ અને બાદશાહ
અકબર
પી. પી. કુન્તનપુરી
બીરબલ →


ભાગ પહેલો
-૦:૦-
અકબર
-૦:૦-

અકબર બાદશાહનો જન્મ વિક્રમ સંવત ૧૫૯૮ હીજરી સને ૧૯૨૯ તારીખ ૫ મી રજબ માસમાં રવિવાર ઇ. સ. ૧૪૫૨ ના અક્ટોબર મહીનાની તા. ૧૫ મીને દિવસે સિંધમાં આવેલા અમર કોટમાં થયો હતો. અકબરના બાપનું નામ હુમાયુ અને માતાનું નામ મરિયન મકાની ન્યાય બુ ને હમીદા હતું. રાજ રહિત બનેલો હુમાયુની બુરી દશાના વાગતા પડઘાની વખતે અકબરનો જન્મ થયો હતો. ઉગ્યાં તે આથમવાના છે. ખીલ્યાં તે કરમાવાનાજ છે. અને ચઢતી તેની પડતી છે. એજ હુમાયુ એક વખતે દીલ્લીના તખ્તપર બિરાજતો હતો પણ તેના કમનસિબના યોગે કરીને તે દુખરૂપી અખાતમાં પડી અતિશય દુખ સહન કરતો હતો. માટે કર્મની ગતી ન્યારી છે. વાસ્તે સંતપુરૂષોએ કહ્યું છે કે, 'ધન અધિકાર કે સંપતીનો મદ ન કરતાં સકળ જગત નાશવંત છે એવું સમજી સત્યસ્વરૂપ સચ્ચિદાનંદના યેશોગાન ગાવા.

હુમાયુએ પાછી કમર બાંધી અને દુશ્મનોની ઉપર ચઢાઇ કરી, દુશ્મનોને હરાવી સંવત ૧૬૬૧ માં દિલ્લીની રાજધાની પાછી મેળવી હતી. પણ નસીબમાં સુખ ભોગવવાનું ન હોવાથી ટુંક વખતમાં મેળવેલા સુખનો ત્યાગ કરી પોતાની કરણીનો જવાબ દેવાને ઇ. સ. ૧૫૫૬ ના જાનેવારી મહીનાની તારીખ ૨૪ મીને દીને ચાલી નીકળ્યો. તેના મરણ બાદ અકબરની ઉમ્મર ૧૩ વરસની હતી, તોપણ પોતે સારા સલાહકાર મંત્રી બહેરામખાંને રાજ્યનો તમામ કારભાર સોંપી રાજના અદલ ન્યાયને દીપાવતો હતો.

બહેરામખાંની ખરાબ ચાલ જોઇ અકબરે તેના હાથમાંથી રાજની તમામ સત્તા છીનવી લઇ પોતાના હાથમાં લીધી, તુરક અને પઠાણો પોતાના રાજમાં ઉંચા હોદ્દા ઉપર હતા. તેમને બહેરામખાંનો ભય દૂર થતાંજ તેઓ મુગલોને વેરી સમજી તેઓની સાથે ખટપટ અને પ્રપંચથી વરતવા લાગ્યા. તોપણ તેની તલભાર પરવા ન રાખતાં અકબરે પોતાની બુદ્ધિ બળના યોગે કરીને ક્ષત્રી અને યવનોને એક સરખા ગણી સરવેના મન જીતી લીધા અને શામ દામ દંડની યુક્તીથી દોસ્ત અને વેરીઓને વશ કરી લીધા. ટોડરમલ જેપુરના રાજા ભગવાનદાસજી અને જોધપુરના રાજા માનસીંહજી જેવા ચાલાક બુદ્ધિશાળી અને રણધીરોને ખુબ શીક્ષા આપી હરાવ્યા. પોતાના દેશની ચઢતી કળા કરવા માટે, પ્રજાને વિવેકી બનાવવા વાસ્તે વિદ્યા હુન્નર વધારવા પુષ્કળ ધનની યાહુતી આપી પ્રજાને સુખરૂપ બનાવી દારૂ વ્યભિચાર, ગોવધ, સતી થવાનો, ગુલામ કરવાનો અને જજીઆ વેરો વગેરેના દુષ્ટ રીવાજો બંધ કરી પ્રાચીન ગ્રંથોના તરજુમાં ન્યાયના પુસ્તકો વગેરે લખાવી તેમજ કૃષિકાર વિદ્યા ગણિત, કાવ્યાદિક અનેક પ્રાચીન વિદ્યાને પુનઃ સજીવન કરી આર્યભૂમિને દીપાવી.

પ્રતાપી અકબરની દરબારમાં બીરબલ, ફઇજી, અબુફજલ, તાનસેન, ગંગકવિ, જગન્નાથ પંડિત વગેરે ઘણાજ હુંશીઆર કવીઓ અને બુદ્ધિમાન પુરૂષો શોભતા હતા. આવા મહાન પુરૂષોનો યોગ્ય સત્કાર કરી તેમની સાથે નિરંતર આનંદમાં કાળ ક્રમણ કરતો હતો. તે યવન છતાં સુર્યનો ઉપાસક હતો, એટલુંજ નહી પણ દરરોજ સુર્યના દર્શન કરી હાથમા માળા લઇ સુર્યનો પાઠ કર્યા પછી જ જમતો હતો. આહા ! સતસંગની કેવી બલિહારી છે !

એ શુરવીર ગુણવંત અને સરસ્વતિ મંદીરના દેવ રૂપ દેવાંસી નરને આજે પણ સર્વ કોઇ યાદ કરી હાલના વખતના કુબુદ્ધિવાળા રાજાઓને ધીકારે છે. એવો આ મુગલ કુલ દીવાકર અકબર બાદશાહ પણ પોતાના પુત્ર જહાંગીરને રાજ સોંપી આખરે ૬૨ વરસની વયે આ ફાની દુનીઆનો ત્યાગ કીધો.