બીરબલ અને બાદશાહ/અકલની કસોટી ?

વિકિસ્રોતમાંથી
← બોલનો તોલ બીરબલ અને બાદશાહ
અકલની કસોટી ?
પી. પી. કુન્તનપુરી
સત્યનો જય →



વારતા અઢારમી
-૦:૦-
અકલની કસોટી ?
-૦:૦-
સમય વરતે તેજ સુજાણ, નહિ તો નર નહિ, પણ ખર જાણ.

એક વખતે બાદશાહ સહવારમાં ઉઠતાને વાર તરત મો ધોઇ ખીદમત ગારોમાં બુધ્ધિ કેટલી છે તેની પરીક્ષા કરવા માટે ખીદમતગારોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, 'જલ્દી જા કે બુલા લાઓ.' પણ કોને બોલાવી લાવવો તેના વીચારમાં પડી આમથી તેમ ખીદમતગારોને જોઇને બીરબલે પુછ્યું કે ' કેમ દોડા દોડી કરી મુકી છે ?' તે સાંભળી એકે કહ્યું કે, બાદશાહને હુકમ ફરમાયા હૈ કે, જલ્દી બુલાકે લાઓ, માટે કોને બોલાવી લાવવો તેના વિચારમાં દોડી રહ્યા છે, આનો આપ કાંઇ ઈલાજ બતાવો તો ઠીક. નહીં તો નોકરીથી જઈશું !' આની દીનવાણી સાંભળી દયાળુ બીરબલે પુછ્યું કે, 'જ્યારે તમને આ હુકમ આપ્યો ત્યારે બાદશાહ શું કરતા હતા ?' આના ઉત્તરમાં ખીદમતગારોએ કહ્યું કે, 'મો ધોઈ ઉભા હતા. બીરબલે કહ્યું કે, 'જાઓ ત્યારે હજામને બોલાવી લાવો.' એટલું કહી બીરબલ ચાલી ગયો, બીરબલના કહેવા મુજબ ખીદમતગારો હજામને બોલાવી બાદશાહની સન્મુખ ઉભો કીધો. હજામને જોતાજ બાદશાહ વિસ્મય પામી ખીદમતગારોને કહ્યું કે, ' એ કામ તુમારા નહીં હૈ. ઓર કોઇ બુધ્ધિવાનકા કામ હૈ. સચ્ચા બોલો એ ઉપાય કીસને બતાયા.' બાદશાહનો આવો આગ્રહ જોઇ ખીદમતગારે કહ્યું કે, 'નામદાર ! બીરબલજીને બતાયા.' તે જાણી શાહ ઘણો આનંદ પામી બીરબલની તારીફ કરતો પોતાની દરબારમાં બુધ્ધિમાન નર રત્નો સુર્યના તેજ સમાન પ્રકાશી રહ્યા છે એવાં તરંગમાં ગર્વાનંદ થયો.

સાર--રાજ દરબારમાં કિંવા સભા સ્થાનમાં અથવા મીત્ર મંડળમાં પણ અકલની પરીક્ષા લેવાને સેજ ઇસારો કરયો હોય તો તે વખતે ન ગભરાતા ગંભીરાઇથી પોતાની બુધ્ધિની કસોટી કરાવવી. જેથી ઉત્તમ ગણના થ‌ઇ શકે છે ?

-૦-