મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/કમાલુદ્દીન અલ ફારિસી

વિકિસ્રોતમાંથી
← અબૂબક્ર અલ કરજી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
કમાલુદ્દીન અલ ફારિસી
સઈદ શેખ
જાબિર ઈબ્ને હૈયાન  →


કમાલુદ્દીન અલ ફારિસી

કમાલુદ્દીન અબુલ હસન મુહમ્મદ ઈબ્ને અલ હસન અલ ફારિસીનો જન્મ ઈરાનના તબરેઝમાં થયું હતું. જન્મ વર્ષ મળતું નથી પરંતુ તેમનું અવસાન ઈ.સ. ૧૩૨૦માં થયું હતું. પ્રકાશવિજ્ઞાન અને ગણિતશાસ્ત્રમાં પ્રદાન કર્યું.

કમાલુદીન પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને ઈબ્ને સીનાના ગ્રંથોના વિવેચક તથા નસીરૂદ્દીન અલ તુસીના શિષ્ય એવા કુત્બુદ્દીન અલ શિરાઝી (ઈ.સ. ૧૨૩૬-૧૩૧૧)ના શિષ્ય હતા. અલ ફારિસી ગણિતની વિવિધ શાખાઓમાં, વિશેષતઃ અંકગણિત અને ભૂમિતિમાં ઘણા લેખો લખ્યાં. પરંતુ એમનું મહત્વનું પ્રદાન તો પ્રકાશવિજ્ઞાન (Optics) માં છે. અલ ફારિસીએ એકવાર ગુરૂ કુત્બુદીનને પ્રકાશકિરણના પ્રત્યાવર્તન વિશે પૂછ્યું તો ગુરૂએ એમને ઈબ્ને હિશામના પ્રસિદ્ધ ગ્રંથ 'કિતાબ અલ મનાઝિર’ (Book of optics) નો અભ્યાસ કરવા જણાવ્યું. અલ ફારિસી આ ગ્રંથનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે ગુરૂ કુત્બુદીન ઈબ્ને સીનાના પ્રસિદ્ધ ગ્રંથ canon નું વિવેચન લખી રહ્યા હતાં, એમણે શિષ્યને પણ ઈબ્ને હિશામના ગ્રંથનું વિવેચન લખવાની ભલામણ કરી અને અલફારિસીએ એનો શિષ્ટાચાર પૂર્વક સ્વીકારી આનું વિવેચન લખ્યું. આટલું જ નહિ, અલ ફારિસીએ ઇબ્ને હિશામના બીજા ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો અને કેટલાક ગ્રંથો ઉપર નિબંધ પણ લખ્યા. અલ ફારિસીએ પ્રકાશવિજ્ઞાનને લગતું 'અલ બસાઈર ફી ઈલ્મ અલ મનાઝિર' (Insights into the science of optics) ગ્રંથ રચ્યું જે પ્રકાશવિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે પાઠયપુસ્તક સમાન છે જેમાં સાબિતીઓ પ્રયોગો વિના ‘તનકીહ'ના તારણો છે. અલ ફારિસીએ ઈબ્ને હિશામના કેટલાક સિદ્ધાંતોનું ખંડન પણ કર્યું. કેટલાક વિવેચનોમાં કેટલીક જગ્યાએ ઈબ્ને હિશામના સિદ્ધાંતને બદલે પોતાનું સિદ્ધાંત પણ મૂકી દીધું છે. કેટલીક જગ્યાએ ઈબ્ને હિશામના વિચારો અને પ્રયોગોના બદલે પોતાના વિચારો અને પ્રયોગો રજૂ કરવામાં પણ ક્યાંય ઢીલ નથી દર્શાવી. જાણીતા દાખલામાં camera Obscura બે પારદર્શક ગોળાકારમાંથી પ્રત્યાવર્તન તથા હવામાંથી ગ્લાસમાં પ્રત્યાવર્તનના આંકડાકીય કોષ્ટકો વગેરે.

કમાલુદીન અલ ફારિસી જાણીતા થયા મેધધનુષના સિદ્ધાંત માટે. વિશ્વમાં સૌ પ્રથમ મેધધનુષના સિદ્ધાંતને સંતોષકારક રીતે રજુ કરનાર તેઓ હતા. વાઈડમેન નામના વિદ્વાને પોતાનો નિર્ણય આપતા જણાવ્યું છે કે કમાલુદીન અલ ફારિસીએ મેઘધનુષનો સિદ્ધાંત પોતાના (વાઈડમેનના) જીવનકાળ દરમિયાન ઈ.સ. ૧૩૦૨થી ૧૩૧૧ની વચ્ચે રજૂ કર્યું હતું. કમાલુદીને ચંદ્રગ્રહણનો પણ ઉલ્લેખ કર્યો છે જે ઈ.સ. ૧૩૦રમાં થયું હતું.

કમાલુદીન અલ ફારિસીએ 'અંક સિદ્ધાંત' (Number theory) માં પણ મહત્વનું પ્રદાન કર્યું.