માણસાઈના દીવા/અંદર પડેલું તત્ત્વ

વિકિસ્રોતમાંથી
←  ૬. મોતી ડોસા માણસાઈના દીવા
અંદર પડેલું તત્ત્વ
ઝવેરચંદ મેઘાણી
૧. ’કોણ ચોર ! કોણ શાહુકાર !’ની લીલાભૂમિ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.





અંદર પડેલું તત્ત્વ


સામું ગામ આવતાં આવતાં દમ નીકળી જાય એવા કાઠિયાવાડના ગાઉઓથી ઊલટા આ ચરોતર-મહીકાંઠાના ગુજરાતી ગાઉઓ છે. દોઢ-દોઢ માઈલનો ગાઉ અને નજીક નજીક વનરાઈની ઓથે ઊભેલાં ગામડાં. ઠેકાણે ઠેકાણે 'કૂક ! કૂક ! કૂક !' અવાજ કરતાં એન્જિનો ચાલે, પાણીના પંપો દિવસરાત કૂવાઓને ઉલેચ્યા કરે : અધ-અધ વીઘેય ખેડુ નિહાલ થાય. કોંઠી, રાયણ અને સીતાફળી જેવાં ઝાડે તો જેનાં ખેતરોની વાડ બંધાય, એવી એ ચારુતરા વસુંધરા : અને પછી એને સાંપડે ધોધમાર 'ક્રૂડ ઑઇલ'નું સાધન : શા માટે સોનું ન પાકે ? એમ તો સૌરાષ્ટ્રમાંયે પાકે. પણ ઉદ્યમી ખેડૂતોને 'ક્રૂડ' કોણ આપે ? વધુ અનાજ વાવો, મારા બાપો ! નહીં વાવો તો બરાડા ફાડશું — પણ વાવો ! બળદો નામનાં બે હાડપિંજરોને પાછલા પગે પૈયામાં ઢસરડતા ઢસરડતા વધુ અનાજ વાવો !