માણસાઈના દીવા/નિવેદન

વિકિસ્રોતમાંથી
← અર્પણ માણસાઈના દીવા
નિવેદન
ઝવેરચંદ મેઘાણી
સંસ્કૃતિ-સુધારાનો કીમતી દસ્તાવેજ →





નિવેદન

[પહેલી આવૃત્તિ]

મહારાજ રવિશંકર ગુજરાતના અનન્ય લોક્સેવક છે. હું લોકજીવન અને લોક હૃદયનો નમ્ર નિરીક્ષક છું અમારો સમાગમ ફક્ત એકાદ વર્ષ પર થઈ શક્યો. ગયે વર્ષે એ સાબરમતી જેલમાં કેદી હતા, ને અમે એમની માંદગીને કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. હું ત્યારે અમદાવાદમાં એકાદ મહિનો રહ્યો હતો. મને એમની પાસે લઈ જવાનો સતત આગ્રહ 'ભારતી સાહિત્ય સંઘ'ના સંચાલક મારા યુવાન સ્નેહી ભાઈ ઈશ્વરલાલ દવે કર્યા કરતા. એ કહે કે, 'તમે મહારાજની વાતો તો સાંભળો; તમને રસ પડશે.'

જાણતો હતો. ભાઈ રતિલાલ અદાણીએ હરિપુરા-મહાસભા વેળા 'ફૂલછાબ'માં મહારાજનાં જે સંસ્મરણો આલેખેલાં, તેણે મને ઉત્કંઠિત કર્યો હતો. એક કરતાં વધુ કારાવાસમાં વારંવાર મહારાજની સાથે મહિનાઓ ગાળી એમની વાતો સાંભળી જે મિત્રો-સ્નેહીઓ બહાર આવતા તેઓ પણ કહ્યા જ કરતા કે, મહારાજની વાતો તારે સાંભળવા જેવી છે.

હું એક તરફથી આકર્ષાતો હતો ને બીજી તરફથી ખચકાતો હતો. મારા સંક્ષોભનું કારણ હતું : હું નર્યા સાહિત્યના ક્ષેત્રનો આદમી. એટલે લોકસેવાના આજીવન દીક્ષિત એક સત્પુરુષની સામે જઈ તેમના અંતરની પવિત્ર ગણેલી વાતો પ્રસિદ્ધિને ખાતર લખવા બેસવા અધિકારી નથી એવું લાગ્યા કરતું, કદાચ કોઈને આ લાઘવ-ગ્રંથિ લાગશે. એ જે હો તે. મારો સંકોચ એ એક હકીકત હતી. આખરે ભાઈ ઈશ્વરલાલની લાગણી ફાવી, ને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મારો ને મહારાજનો મેળાપ થયો. મારા પર એમની આંખ અમીભરી હતી તે તો હું જાણતો હતો. બેએક વાર મળેલા. એક વાર તો, અમદાવાદના છેલ્લા કોમી હુલ્લડ પછી, 'ફુલછાબ કાર્ટુન કેસ' નામે જગબત્રીસીએ ચડેલા અમારા મુકદ્દમા દરમિયાન અદાલતની સામે જ આવેલ કોંગ્રેસ-કચેરીના ફૂટપાથ પર પોતે ઊભા હતા : પાતળી કાઠીની, અડીખમ, પરિભ્રમણે ને ટાઢતડકે ત્રાંબાવરણી બનાવી, ટીપીને કોઈ શિલ્પીએ ઘડી હોય તેવી એ માનવમૂર્તિ સ્વચ્છ પોતિયે, સ્વચ્છ બ્રાહ્મણ-બંડીએ ને પીળી ટોપીએ, ઉઘાડે મોટે પગે એવી શોભતી હતી કે મારા અંતરમાં એ હંમેશાંને માટે વસી ગઈ છે. હુલ્લડમાં હોમાયેલ નિર્દોષ જનોનાં મુડદાંને બાળીબાળીને પછી તાજું જ સ્નાન પરવારીને આવ્યાં હોય તેવા એ દેખાયા હતા.

એ એકાદ મિનિટે જે મોંમલકાટભર્યા પોતે પર મારા પેલા ફૂટપાથ પરથી કરુણાર્દ્ર મીટ વરસાવી રહ્યા, તેમાં તો હું આજેય નાહી રહ્યો છું.

એવા એમના વાત્સલ્યની પીઠિકા પર અમારું બેઉનું મળવું એમની માંદગીની સરકારી પથારી ઉપર થયું. મળવા તો કેટલાંય માણસો આવતાં; પણ પહેરેગીર પોલીસ ફરજને વશ હોઈને કમને પણ મુલાકાતીઓને ઝટ ઝટ ઉઠાડતો હતો. હુંયે એમાં અપવાદ નહોતો બનવા માગતો. પણ કોને ખબર ક્યાંથી-—એક સાહિત્યકાર આવ્યો છે તે મહારાજની વાતોમાંથી જાહેર કશીક રસભરી પ્રસાદી પીરસવાનો છે તેવી કોઈક આંતરનિગૂઢ માન્યતાથી !-—મારું થોડુંક વિશેષ રોકાણ એ સરકારી ચોકીદારો સહી લેતા.

મહારાજે પોતાના અનુભવો પોતાની જાણે કહેવા નહોતા માંડ્યા. એમને પણ મારા જેવો જ સંકોચ થયો હશે કે, આ 'સાક્ષર' ને ગામઠી વાતોમાં શો સાર જણાવાનો છે! પણ મારી પ્રકૃતિમાં એક લાભદાયી તત્ત્વ છે: હું એક રસધોયું શ્રોતા છું; સામાંની વાતોને સાંભળ્યા જ કરવાનો સ્વાદિયો છું, કાંઈક પ્રશ્ન પૂછીને મેં જ પ્રારંભ કર્યો હશે, ને પછી તો મહારાજની વાગ્ધારા ચાલ્યા જ કરી હતી.

આટલી વાતો જો બીજા કોઇએ કરી હોય તો કદાચ કંટાળો નહિ, અણગમો પણ નહિ; તોય, કંઇ નહિ તો, વક્તામાં ‘હું’—અહમ્—છલકાઈ જતું હોવાની લાગણી થાય. તેને બદલે મહારાજ બોલે ત્યારે બોલતા ન જ અટકે તો કેવું સારું, અટકી જાય તે પૂર્વે કંઈક પ્રશ્ન-ટમકું મૂકીને એમને અવિરત બોલતા જ રખાય તો કેવી મજા, એવું મને થયા કર્યું.

શાથી ?

એ કારણેથી કે-—પોતે આ ઘટનાઓનું મુખ્ય અને કેન્દ્રસ્થ પાત્ર હોવાં છતાં પોતાની જાતને ગૌણપદે રાખીને અન્ય મનુષ્યોની જ ઊર્મિઓ, યાતનાઓ અને પ્રકૃતિ-તત્ત્વોનું આલેખન મહારાજ કર્યે જતા હતા. એમનો દૃષ્ટિદોર એ નીચલા થરનાં માનવોનું જ યથાદર્શન કરાવવાનો હતો. વેવલાઈથી વેગળું, ગુણદોષનાં પલ્લાં સરખાં રાખતું અને માનવ-પાત્રોનાં જ રૂપ-રેખા એકનિષ્ઠતાથી ઉપસાવે જતું એ વર્ણન હતું, એમાં પ્રચારલક્ષી નજર નહોતી, પણ વાસ્તવની જ વફાદારીભરી પિછાન હતી. પોતે કહે છે કે, "હું રાજકારણનો માણસ જ નથી. હું કોઈ ચૂંટણીઓમાં રસ લેતો નથી. કોંગ્રેસમાં તો હું ગાંધીજીને લીધે જ આવી પડ્યો છું. જે પુરુષ આખા દેશનું કલ્યાણ કરી રહેલ છે તેમને એ કલ્યાણકામમાં નમ્ર સહાય કરીએ તો જીવન સાર્થક થાય, એ દૃષ્ટિએ જ હું જાહેર કામમાં છું." ઉપરાંત, મહારાજ પોતે એક સિદ્ધહસ્ત વાર્તાકાર છે. એમનાં વાક્યો સંઘેડાઉતાર હોય છે, એમની કથનશૈલીને કલાના સર્વ ગુણ વરેલા છે. કથળતું કે ગોથાં ખાતું એક પણ વાક્ય મેં એમના કથનમાં જોયું નથી.

સાંભળી લઈને હું જ્યારે ટાંચણ કરવા લાગ્યો ત્યારે એમનામાં એક ભય સંચરતો નિહાળ્યો. એ ભય આ વાતોની પ્રસિદ્ધિનો હતો એના કરતાં વિશેષ તો આ વાતો દ્વારા એમની પોતાની પ્રશસ્તિ થશે એ વિશે હતો, એક-બે વાર મને ટકોર પણ કરી કે, "મારી વાતો બીજા એક-બે ભાઈઓએ લખી છે, અને તેઓ બહાર પાડવાની ઇચ્છા ધરાવે છે; પણ મારા મૃત્યુ સુધી એ પ્રગટ ન જ થાય એવું મેં એમને કહ્યું છે."

મારા તરફથી મેં ચોખવટ કરી કે, "મારું પ્રધાન લક્ષ્ય હંમેશા એક વ્યક્તિના કીર્તિકથન નહિ કરવાનું છે. હું તો લોકજીવનનો નિરીક્ષક અને ગાયક છું. તમે કહી રહ્યા છો તે કથાઓમાં પણ હું તો તમારા કથનનાં પાત્ર માનવીઓની જ વિલક્ષણતાઓ ને પ્રકૃતિ તત્ત્વો પર નજર રાખી રહ્યો છું. હું જો આ કથાઓ આલેખું તો તેમાં મારું પ્રયોજન, તમે બેશક એક મુખ્ય પાત્ર તરીકે એમાં જેટલા અનિવાર્ય છો તેટલા પૂરતા જ તમને જાળવી લઈને, આ પ્રજાના જીવનને રજૂ કરવાનું છે, ને મેં આજ સુધી એ જ કર્યું છે. મારો રસ વ્યક્તિપૂજામાં નથી."

મારા સંકલ્પની પ્રમાણિકતા મહારાજના દિલમાં વસી ગઈ. મને આશા છે કે આ સમસ્ત આલેખનમાંથી મારો એ આશય સ્વચ્છ થશે. કથનમાં હું મહારાજની જ કહેણીને, શક્ય હતું તેટલા પ્રમાણમાં, વફાદાર રહ્યો છું. તળપદા ભાષા-પ્રયોગોને પણ મેં પકડવા યત્ન કર્યો છે. સંવાદો ને વાર્તાલાપો મહારાજનાં છે. મારી શિલ્પકલાને એમનાં ચિત્રોને માથે લાદી ન દેવાય તેની કાળજી રાખી છે.

‘ઊર્મિ’ માસિકમાં આઠેક મહિનાથી આ પ્રસંગો પ્રગટ થાય છે. કેટલાય સાહિત્યકાર-બંધુઓના પ્રશસ્તિપૂર્ણ કાગળ આવ્યાં છે. અન્ય વાચકોની તારીફ પણ મારા સુધી પહોંચી છે. એમાં એવો પણ એક સૂર ઉઠ્યો છે કે, 'સૌરાષ્ટ્રની રસધાર' અને 'બહારવટિયા'માં જે જમાવટ થઈ છે તે એમાં નથી. નથીસ્તો ! પ્રયોજન જ એ જમાવટથી વેગળા રહેવાનું હતું. મેં ધાર્યું હોત તો આ પ્રસંગોને ભભકાવવાની કંઈ મુશ્કેલી નહોતી. પણ તો એનું દસ્તાવેજી મૂલ્ય ન રહેત ને ! તો એ મારી પોતાની કૃતિઓ ગણાઈને મારે માટે થોડાં વધુ વખાણ મેળવી આપત; પણ મારા મુખ્ય ધ્યેયને મારી જ નાખત.

મારું મુખ્ય ધ્યેય આને દસ્તાવેજની મહત્તા આપવાનું છે. એ દસ્તાવેજ જ છે - બનેલી ઘટનાનો; લોકમાનસનો, જનતાના મનોવિશ્લેષણોનો અને જનતાની ભાષાનો લેખકે કેવળ માધ્યમરૂપે જ પોતાની મર્યાદાનું પાલન કર્યું છે. માનસશાસ્ત્રનાં, માનવવંશશાસ્ત્રનાં, જાતિઓ અને કોમોનાં અભ્યાસ-અવલોકનનું જેઓને કંઈ મૂલ્ય હોય તેવાંઓને આ મહારાજની કહેલી કથાઓ સાદર કરું છું. ગુજરાતનાં જે ખમીરવંતાં સંતાનો ચોર લૂંટારા ને ખૂનીઓમાં ખાનામાં પડીને સરકારી જેલ અગર પોલીસ કચેરીને રજિસ્ટરે પુરાઈ રહેલ છે, તેમનામાં વસેલી માણસાઈનો આ દસ્તાવેજી પરિચય છે. માણસાઈના દીવા જીવતા માનવોમાંથી કેમ અને ક્યારે ને કેવી રીતે અધોગતિને પામે છે, અને અકસ્માત્ એ રામ થઈ જવા આવેલા દીવામાં તેલ પૂરનારો કોઈક પણ સાચો પુરુષ ભેટી જતાં દીવા કેવા સતેજ બને છે, તેની એક સળંગ કથા આ જૂજવા પ્રસંગોમાંથી વણાઈ રહે છે.

મારા લેખક-જીવનમાં તો આ એક મોટી વધાઈનો પ્રસંગ છે. આજ સુધી સૌરાષ્ટ્રનાં જ માનવીઓની ધિંગી ધિંગી, અણઘડ આકારની વીરતા, ખાનદાની, નાદાની ને કોમળતાના પ્રદેશો ઢૂંઢતો હતો. ગુજરાત સુધી પહોંચવાની આશા નહોતી. જનતાનાં જીવન-પડોમાંથી જન્મ્યા વગર કે એ પડોનાં જ પાણી પીધાં વગર, એની હવાનો પ્રાણવાયુ લીધા વગર કે એની માટીમાં આળોટ્યા વગર એ જનતાની પિછાન શક્ય નથી હોતી. મારા સૌરાષ્ટ્રના કાર્યક્ષેત્રની બહાર જઈને અન્ય કોઈ જનસમૂહની ધરતીમાં રોપાવાનો મારે બહુ સંભવ નહોતો. પણ મને મહારાજ ભેટ્યા. મહીકાંઠાની જનતાના સકળ પ્રાણતત્ત્વોમાંથી ઘડાયેલા એ પુરુષ ન ભેટ્યા હોત, એને બદલે કોઈક બીજાએ વાતો કરી હોત, તો હું આજે અનુભવી રહ્યો છું તેવી મીઠી આત્મસાતતા આ ગુજરાતી પાટણવાડિયા-બારૈયાનાં જીવન જોડે ન અનુભવી શક્યો હોત; પરિણામે એમને વિષે લખી પણ ન શક્યો હોત. બીજું તો ઠીક, પણ એમની ભાષાની તાકાત પણ મને કોણ પકડાવત ?

લખાઈને 'ઊર્મિ' માં પ્રગટ થતી ગઈ તેમ તેમ આ વાતો મહારાજની નજરે પણ પડતી ગઈ. એમને એક વિસ્મય થયું કે, ખરેખર શું આ પ્રસંગો સાહિત્યની સૃષ્ટિમાં સ્થાન પામી શકે તેવા છે ? અમને બે-ચાર જણને એમણે પૂછ્યું યે ખરું કે, શું સાહિત્યનાં પ્રેમીજનો આ લખાણનો આદર કરે છે ? અમે એમને એક કરતાં વધુ વાર ખાતરી આપી કે આ વાતોમાં સાહિત્યના ઉચ્ચ ગુણો પડેલા જ છે. કદાચ આ સંશય એમનામાંથી પૂરેપૂરો ન પણ ટળ્યો હોય. પણ મારો મુદ્દો જુદો છે. મહારાજ જેવા સંસ્કારસંપન્ન, સંસ્કૃત જ્ઞાન ધરાવતા, ભાષાના સ્વામીનેયે જો આપણી 'દુનિયા'ને વિષે આવા સંશયો સતાવતા હોય તો આપણી દુનિયાની સંકીર્ણતાનો અદ્યાપિ પર્યંત પૂરો લોપ થયો નથી એ સાચું કે નહિ ?

આ પુસ્તક શ્રી વલ્લભભાઈ પટેલને અર્પણ કરવાની સ્ફુરણા મને એકાએક થઈ હતી. પણ એમની નિકટનો આત્મજન હોવાનો દાવો હું કરી શકું તેમ નહિ, એટલે એમની પરવાનગી માગવાની મારી ફરજ લાગી. એ પરવાનગી એમણે પ્રસન્ન હૃદયે આપી છે તે માટે હું એમનો ઋણી છું. '૩૦ ના સંગ્રામમાં હું જાણે કે ભૂલો પડીને કારાગૃહમાં ડોકિયું કરવા ગયેલો, તે વેળા બેએક મહિના પોતે પણ સાબરમતી જેલમાં અમારી વચ્ચે હતા. મારા પ્રત્યેનું એમનું તે કાળનું વાત્સલ્ય મારા હૃદયમાં જે સ્થાન કરી ચૂક્યું છે, તેને મારી એકાદી ચોપડીમાં અંકિત કરવાનો લોભ જતો કરી શક્યો નથી.

રાણપુર: ૧૯૪૫
ઝવેરચંદ મેઘાણી
 


[બીજી આવૃત્તિ]

ચાર જ મહિનામાં આ પુસ્તક નવી આવૃત્તિમાં પ્રવેશ કરે છે. તદુપરાંત, જાણીતાં તેમ જ અજાણ્યા સંખ્યાબંધ વાચકો તરફથી આ કૃતિને માટે વિશિષ્ટ પ્રકારનાં અભિનંદનો મળ્યાં છે. મને પણ થાય છે કે, જીવનમાં અણચિંતવ્યું એક સંગીન કાર્ય થઈ ગયું : જીવનની સમૃદ્ધિ ઠીક ઠીક વધી ગઈ, ગુજરાતને પણ એનામાં પડેલા ખમીરનું નવું દર્શન લાધ્યું.

કશા સુધારા વગર નવી આવૃત્તિ બહાર પડે છે, તે વખતે એક ખુલાસો જરૂરી બને છે. બાબર દેવાનું ચરિત્ર આ પુસ્તકમાં શા માટે સ્થાન પામી શક્યું, તેવી શંકા કેટલાંકને થઈ છે. કારણ તેઓ એવું આપે છે કે, અન્ય તમામ કિસ્સાઓમાં માનવીની માણસાઈના દીપક પ્રકાશિત બની રહે છે. અને ઉચ્ચગામી અંશો રમણ કરે તેવું કશુંય બન્યા વગરનો બાબર દેવાનો ઇતિહાસ નરી ક્રૂરતા અને અધોગામિતાથી ભરપૂર છે.

આવા કારણસર મારે બાબર દેવાને અહીં સ્થાન નહોતું આપવું જોઈતું એવી દલીલ બરાબર નથી; કારણ કે બાબર દેવાની બહારવટાકથા તો મહારાજ કેવી સમાજ-સ્થિતિની વચ્ચે કામ કરી રહ્યા હતા તેના સર્જનને સારુ પૂરી આવશ્યક બને છે. બાબર દેવા અને એની સાથે સંબંધ ધરાવતા સંખ્યાબંધ નાનાં-મોટાં પાત્રોનાં આલેખન દ્વારા તેમ જ એ બધી ઘટનાઓના રજેરજ ચિતાર દ્વારા આપણને મહારાજ જેની સાથે મુકાબલો કરી રહ્યા હતા તે સમગ્ર દુનિયાનો દસ્તાવેજી પરિચય સાંપડે છે. મારી તો વાચકોને એવી ભલામણ છે કે અન્ય તમામ પ્રસંગચિત્રણોને જો એના સાચા 'સેટિંગ' વચ્ચે નિહાળવાં હોય, એનું ખરેખરું મૂલ્યાંકન કરવું હોય, એની સુંદરતા-શોભા સમજવી હોય, તો પહેલાં પ્રથમ 'બાબર દેવા' વાંચીને પછી બાકીના આલેખનમાં પ્રવેશ કરવો. બાબર દેવાની કથા તો 'માણસાઈના દીવા'નું પ્રવેશદ્વાર છે.

ઉપરાંત, આ પણ મહત્ત્વનો એક મુદ્દો છે કે, જેને જેને મહારાજનો ભેટો થયો તે પાત્રોને કેવા પ્રકારનો રંગ લાગ્યો, અને જેઓ એથી વંચિત રહી ગયાં તેમનાં પગલાં કેવે જુદે પંથે ઊતરી ગયા. બાબર દેવા એનું દૃષ્ટાંત પૂરું પાડે છે. બાબરને પોતે કેમ મળી ન શક્યા તે પ્રશ્ન તો મારાથી પણ મહારાજને સ્વાભાવિક રીતે પુછાઈ ગયો હતો.

જવાબમાં મહારાજે મને જણાવ્યું છે કે રાસ ગામ પાસે સૂદરણા નામે ગામ છે ત્યાં પોતાને મળવા બાબર દેવાએ મહારાજને સંદેશો મોકલાવ્યો, મહારાજ તે દિવસ બહારગામ હતા, આવ્યા ત્યારે બાબરનો સંદેશવાહક મળ્યો. પોતે બહારવટિયા પાસે જવા ચાલ્યા જતા હતા; પણ માર્ગે એક-બે માણસો મળ્યા, તેમણે મહારાજને સૂચક હાસ્ય કરીને કહ્યું: કાં, મહારાજ, કંઈ ચાલ્યા?—તંઈ કે !

મહારાજ ચેતી ગયા: ‘નક્કી બાબરના માણસે ગામના અન્ય એક-બે જણાને વાત કરી લાગે છે ! એટલે કે પોલીસને વાત પહોંચી ગઈ હોવા પૂરો સંભવ. હવે જો હું જાઉં, ને પોલીસ મારી પાછળ આવે, તો બાબરનો વિશ્વાસઘાત કર્યો કહેવાય.’

બસ, આટલા નાનકડા અકસ્માતે મહારાજનો ને બાબર દેવાનો ભેટો થતો અટકાવ્યો. અને ચાર મહિના પછી બાબર પકડાઈ ગયો. પોતે બાબરને ન મળી શક્યા તે વાતનો મહારાજના મન પર ભાર રહી ગયો છે.

બાબરને ફાંસી થયા પછી એક વાર એની મા હેતા બેલગામના 'ક્રિમિનલ સેટલમેન્ટ'માંથી રજા પર પોતાની દીકરીને ઘેર પીપળોઈ ગામમાં આવી હતી. એની પાસેથી સંદેશો લઈને એનો જમાઈ મહારાજ પાસે આવ્યો. મહારાજ પીપળોઈ ગયા ત્યારે બપોરવેળા હતી. ભયંકર હેતા દીકરીને ઘેર પરસાળમાં બેઠી હતી. એણે કહ્યું: “તમારો ચેલો તો, મહારાજ, બહુ સારો હતો; ખાદીની ટોપી પહેરતો. એ તો બાપડો ગયો. બાકીના મારા છોકરાઓને પણ ત્યાં સેટલમેન્ટમાં સારું છે. વણાટમાં કામમાં રળે છે. પણ એમને અહીં લઈ આવો.” મહારાજ કહે: “અહીં લઈ આવીને શું કરશો ? ત્યાં તો રળે છે; અહીં તો નથી ઘરબાર નથી ખેતર; વેરીઓ ઘણા છે. માટે ત્યાં જ રહો, ડોશી ! અહીં ખાશો શું ?”

“ખાશો શું !” કહેતી હેતા ગાજી: “મને નહિ જાણતા, મહારાજ ! એંહ, આ જુઓ !” એમ કહીને એણે પોતાનો ખોળો ખંખેર્યો. તેમાંથી પચાસેક રૂપિયા નીચે ઢળી પડેલા. આ કિસ્સો આજે પણ મહારાજને હસાવે છે.

મહારાજની સ્વાનુભવસંપત્તિ તો મેં આલેખ્યા છે તેવા અન્ય સંખ્યાબંધ પ્રસંગોથી ભરપૂર છે. એનું દોહન અન્ય જિજ્ઞાસુઓ કરે એવું હું હૃદયથી ઈચ્છું છું. મારું પુસ્તક તો એક ગુપ્ત ખજાનાની માત્ર ભાળ આપીને વિરમે છે. અન્ય ભાઈઓ તરફથી પ્રયાસો ચાલુ છે તે સુખની વાત છે. ગુજરાતના અન્ય લોકસેવકો, જેઓ દૂર દૂર ઊંડાણે વસતી જનતાના ખોળામાં આળોટતાં પ્રવૃત્તિ કરી રહેલ છે—દાખલા તરીકે જુગતરામભાઈ, અને એથી પણ વધુ લીલાભરપૂર જેમનું સેવાજીવન છે તે શ્રી ઠક્કરબાપા—તેવી પ્રસિદ્ધિના પ્રકાશથી વેગળી રહી કામ કરી રહેલી વ્યક્તિઓનો સંપર્ક કરીને એમના અનુભવ-ખજાના પણ કઢાવી શકાય તો ગુજરાતને ઘેર પ્રાણવંત સાહિત્યનો તોટો ન રહે.

આજે જ્યારે ‘ડૉ. કોટનીસ’ જેવું ચિત્રપટ ઉતારીને એક સાહસિક પુરુષે દાખલો બેસાડ્યો છે, ત્યારે ગુજરાતના ચિત્રપટ-નિર્માતાઓએ ભવિષ્યમાં પોતાને કોઈક દિવસ પસ્તાવો કરવાનું ન રહે તે માટે ઠક્કરબાપા, રવિશંકર મહારાજ, શ્રી જુગતરામ, છોટુભાઈ પુરાણી, ડૉ. ચંદુલાલ અને મહારાજ શ્રી. સંતબાલ સમા મિશનરી ગુર્જરોનાં 'મોડેલ'ને પકડી સંઘરી લેવાની જરૂર છે. તેઓ આજે જીવતા છે; આવતી કાલે પછી આપણે તેમનું સંશોધન કરવું રહેશે. તેમના કાર્યપ્રદેશો તે તે પ્રદેશોની માનવજાતિઓ, તેમની જીવનલીલાનાં પ્રકૃતિસ્થાનો વગેરે ઝડપભેર આવી રહેલા જીવનપરિવર્તનના જુવાળમાં લુપ્ત બની ગુમ થઈ જાય તે પહેલાં જ એમનું નિરીક્ષણ થઈ જવું જોઈએ; નહિતર આપણે ખૂબ પસ્તાશું. પછી ખોટાં ને વિષમગામી અનુમાનો કરીને વેરણછેરણ સાંભળેલી વાતોના તકલાદી પાયા પર જૂઠી ઈમારતો ચણીશું, એ કેવું હાસ્યાસ્પદ બનશે !

ઝ○ મે○
 

[ત્રીજી આવૃત્તિ ]


મહારાજશ્રીએ સૂચવ્યા પ્રમાણે બે-ત્રણ ઝીણા વિગતદોષ આ આવૃત્તિમાં સુધાર્યા છે.

‘માણસાઈના દીવા’ને ૧૯૪૬નું ‘મહીડા પારિતોષિક’ આપવાના સમારંભમાં મારા પિતાશ્રીએ આપેલા ઉત્તરનો પાછલો ભાગ અહીં આપ્યો છે. એ પ્રવચનની નોંધ મારા પિતાશ્રીએ પોતે જ સ્મૃતિમાંથી ઉતારીને તૈયાર કરેલી હોવાથી એમાં આ પુસ્તક સંબંધે લેખકનું જે થોડું આત્મકથન છે તે, તેમની ગેરહાજરીમાં, નવી આવૃત્તિના નિવેદનની ગરજ સારશે તેવી આશા છે.

૨૬-૬-’૪૭
મહેન્દ્ર મેઘાણી
 
[પુનર્મુદ્રણ ૨૦૦૫]

'માણસાઈના દીવા' ના અંગ્રેજી અનુવાદ 'અર્ધન લૅમ્પ્સ' માટે શ્રી કનુ પટેલે તૈયાર કરેલાં રેખાંકનો પૈકી પાંચ આ પુસ્તકને પણ શોભાવશે. ચિત્રકારના સૌજન્ય બદલ આભારી છીએ.

'માણસાઈના દીવા'ના આટલા અનુવાદ પ્રગટ થયા છે:

અંગ્રેજી: 'અર્ધન્ લેમ્પ્સ', અનવાદક :વિનોદ મેઘાણી (મુંબઈ : ભારતીય્ વિદ્યાભવન્, નવસંસ્કરણ 2004)
કોંકણી: '...અની તાંકા મનશાં હાંડલે', અનુવાદક: રવીન્દ્ર્ કેળેકાર્ (દિલ્લી: સાહિત્ય અકાદમી, 1984)
મરાઠી: 'માણસુકીચ્યા જ્યોતિ', અનુવાદક: અચ્યુતભાઈ દેશપાંડે (દિલ્લી: સાહિત્ય અકાદમી, 1949, પુનર્મુદ્રણ 1990)
સિંધી: 'ઈન્સાનયતજા દીપ', અનુવાદક: હરીશ વાસ્વાણી (દિલ્લી: સાહિત્ય અકાદમી, 1987)
હિન્દી: 'માવતા કે દિયે', અનુવાદક : મોહનલાલ્ ભટ્ટ્ (દિલ્લી: સસ્તા સાહિત્ય્ મડલ, 1996)
2005
જયંત મેઘાણી