રસિકવલ્લભ/પદ-૧૦૦
← પદ-૯૯ | રસિકવલ્લભ પદ-૧૦૦ દયારામ |
પદ-૧૦૧ → |
<poem>
સુણ ગુરુ વાણી વદિયો શિષ્યજી, સહજ બને સહુ લખ્યું ભવિષ્યજી; માટે કહો છો ફિકર વિસરવીજી, તદા ભજન ચિંતા શીદ ધરવીજી ? ૧
તે પણ થાવાનું તે થાશેજી, લખ્યા પ્રમાણે ક્યમ ટળી જાશેજી; સુણી એમ બોલ્યા શ્રીગુરુ વાણીજી, સત્ય કહી તેં વાત વખાણીજી. ૨
ઢાળ
સાચી વખાણી વાત સાંભળ, કહું શંકા જાય, સહુ લખ્યું ત્યમ હરિભજન નથી લખિયું કર્યેથી થાય. ૩
જો કદા કહીએ ભજન પણ પ્રારબ્ધ લખ્યું બની આવે; તો વૈદકશાસ્ત્ર પ્રબોધ વાચક, સકલ વ્યર્થ કહાવે. ૪
તે માટે અતિ આતુર થઈ, ભજવા સદા ભગવંત; ક્ષણ ભંગ મનુષ્ય દેહ દુર્લભ, મળે પુણ્ય અનંત. ૫
મનુષ્ય જીવનની દુર્લભતા
સૌ યોનિમાં છે વિષય સુખ, ત્યાં હરિજન નવ હોય; તે માટ અમૂલખ આ સમય ચેતે ન તે સહુ ખોય. ૬
ભક્તિ માટે જ મનુષ્યજીવન
ભરતખંડ મોંઘું મનુષ્ય તનુ, જેની અમરને પણ ભૂખ. તે મળે કૃષ્ણ ભજ્યા ન તો, ગયું આવ્યું હસ્તપીયૂષ. ૭
મનુષ્યજીવનનું સાર્થક્ય
કહું લાખ વાતની વાત, સહેલું નામ રટ શ્રીકૃષ્ણ; પ્રભુ દયા પ્રીતમ પ્રસન્ન થાશે, સકલ પૂરણ તૃષ્ણ. ૮
(પૂર્ણ)