રસિકવલ્લભ/પદ-૧૦૦

વિકિસ્રોતમાંથી
← પદ-૯૯ રસિકવલ્લભ
પદ-૧૦૦
દયારામ
પદ-૧૦૧ →



પદ ૯૯ મું

સુણ ગુરુ વાણી વદિયો શિષ્યજી, સહજ બને સહુ લખ્યું ભવિષ્યજી;
માટે કહો છો ફિકર વિસરવીજી, તદા ભજન ચિંતા શીદ ધરવીજી ?
તે પણ થાવાનું તે થાશેજી, લખ્યા પ્રમાણે ક્યમ ટળી જાશેજી;
સુણી એમ બોલ્યા શ્રીગુરુ વાણીજી, સત્ય કહી તેં વાત વખાણીજી.

ઢાળ

સાચી વખાણી વાત સાંભળ, કહું શંકા જાય,
સહુ લખ્યું ત્યમ હરિભજન નથી લખિયું કર્યેથી થાય.

જો કદા કહીએ ભજન પણ પ્રારબ્ધ લખ્યું બની આવે;
તો વૈદકશાસ્ત્ર પ્રબોધ વાચક, સકલ વ્યર્થ કહાવે.
તે માટે અતિ આતુર થઈ, ભજવા સદા ભગવંત;
ક્ષણ ભંગ મનુષ્ય દેહ દુર્લભ, મળે પુણ્ય અનંત.
સૌ યોનિમાં છે વિષય સુખ, ત્યાં હરિજન નવ હોય;
તે માટ અમૂલખ આ સમય ચેતે ન તે સહુ ખોય.
ભરતખંડ મોંઘું મનુષ્ય તનુ, જેની અમરને પણ ભૂખ.
તે મળે કૃષ્ણ ભજ્યા ન તો, ગયું આવ્યું હસ્તપીયૂષ.
કહું લાખ વાતની વાત, સહેલું નામ રટ શ્રીકૃષ્ણ;
પ્રભુ દયા પ્રીતમ પ્રસન્ન થાશે, સકલ પૂરણ તૃષ્ણ.