રસિકવલ્લભ/પદ-૩૭

વિકિસ્રોતમાંથી
← પદ-૩૬ રસિકવલ્લભ
પદ-૩૭
દયારામ
પદ-૩૮ →


પદ ૩૬ મું

નિરાવર્ણ અગ્નિ જ્યમ બાળેજી, સાવર્ણ સ્પર્શે ત્યમ ન પ્રજાળેજી;
એમ હિત હરિનું સંસૃતિ ટાળેજી, પ્રીત પ્રપંચે ભદ્ર ન ભાળેજી.
થડ ડાળાં અળગાં નહિ કોયજી, પણ સિંચન તે થડને હોયજી;
બ્રહ્મ સત્ય ને જગત અસત્યજી, એમ કહે કાંણા વણ મત્યજી.

ઢાળ

મતિ હીન લોચન એક દેખે, બ્રહ્મ અવરનાં કોય;
તે તણે મત દૃષ્ટાંત કેરું, કથન ક્યમ કરી હોય ?
તવ શિષ્ય કહે ગુરુ સાંભળો, પરમાર્થમાં હરિ એક;
વ્યવહારમાં સહુ સત્ય છે વર્ણવી વસ્તુ અનેક.
જ્યાં લગી જેહને નિજ સ્વરૂપનું, નથી ઉપજ્યું જ્ઞાન;
ત્યહાં લગી તેહને ભેદ વસ્તુ તણુ રહે છે ભાન.

પ્રકૃતિવિકાર મટી ગયે, વ્યવહાર ભેદ અસત્ય,
ભ્રાંતિજનિત વ્યવહાર છે, ગુરુ શિષ્ય ત્યહાં લગી સત્ય.
જ્યહાંલગી કાંઇએક રહે છે, અજ્ઞાન કેરો લેશ;
ત્યહાંલગી ગુરુજી કરે છે, ધ્રુવ શિષ્યને ઉપદેશ;
ગુરુ દયા પ્રીતમ બ્રહ્મ અખંડિત, સ્વરૂપ નિજ કરી જાણે;
તદપિ પૂર્વ અધ્યાસ દ્વૈતની, ભ્રાંતિ મનમાં આણે.