રસિકવલ્લભ/પદ-૪૫

વિકિસ્રોતમાંથી
← પદ-૪૪ રસિકવલ્લભ
પદ-૪૫
દયારામ
પદ-૪૬ →


પદ ૪૪ મું

જીવ મનોરથ કરે અનેકજી, પૂરો ન પડે તેમાં એકજી
બ્રહ્મ ચાહે તે તત્ક્ષણ હોયજી, તેને મેટી ન શકે કોયજી.
હું જ બ્રહ્મ છું જગમય કહે છે જી, જનનરકના ભોગને સહે છે જી;
મિથ્યા ગુરુ ને મિથ્યા જ્ઞાનજી, શિષ્ય મૃષા ક્યમ તે ગુરુધ્યાનજી. ૨

ઢાળ

ક્યમ ધ્યાન જૂઠા ગુરુનું આવે? ન સમજે બાળ;
રે શિષ્ય તું મા પડીશ, માયાવાદિ માયા જાળ.

નહીં દ્વૈત જ્ઞાન વિના જ મુક્તિ, કહે વેદપુરાણ;
છે વ્યાસાદિકનો એ જ આશય સુજ્ઞ ન લહે કોણ?
હું વિપ્ર છૂં, હું ક્ષત્રી છું, વૈશ્યાદિ છે સૌ ભાન;
નથી દેહ જીવની ભિન્નતા સમજતાં જન જ્ઞાન.
જે સાધન મુક્તિ કેરું એહ; અભેદ જ્ઞાન જ હોય;
તો સહજ મોક્ષ લહે સહુ, ગુરુ શરણ ચાહે ન કોય.
અશ્વત્થ વૃક્ષ તનુ કહ્યો શ્રુતિ, ત્યહાં ખગ જોડ,
એક બ્રહ્મ બીજો જીવ, મિથ્યા કહે મોટી ખોડ.
છે જીવ બ્રહ્મનો દાસ નિત્ય જ, બ્રહ્મ સહુ જગસ્વામી;
છે જીવ બ્રહ્મની દેહ તેમાં, બ્રહ્મ અંતર્યામી.
જડ અણુ વ્યાપક હેતુ હરિ, કરે વર્ણન વેદ;
જન દયાપ્રીતમ કૃષ્ણને , ત્રય તત્ત્વભેદ અભેદ.