રસિકવલ્લભ/પદ-૭૦

વિકિસ્રોતમાંથી
← પદ-૬૯ રસિકવલ્લભ
પદ-૭૦
દયારામ
પદ-૭૧ →


પદ ૬૯ મું

શિષ્ય વદ્યો શ્રીગુરુ મને કહીએજી, એવી ભક્તિતે ક્યમ લહીએજી;
તેનો છે કંઈ સરલ ઉપાયજી, દુર્લભ વસ્તુ પ્રાપ્તિ થાયજી.
શ્રી ગુરુ બોલ્યા વચન અભંગજી, ઉપાય એનો એક સત્સંગજી;
કૃષ્ણ કૃપાએ તે પણ લાધેજી, પછી પદ તેહના નિત્ય આરાધેજી.

ઢાળ

આરાધના શ્રદ્ધા સહિત દીનતા મનમાં લાવે;
જોઈ કૃપા ઉપજે ભક્તને તવ પ્રેમ ભક્તિ આવે.
તે વેશધારી ઘણા પણ, અનુભવી વિરલ જ હોય;
તે તાદ્રશી કહેવાય દર્શન, થતાં અધ દુઃખ ખોય

તે તણાં લક્ષણ સુણ કહું, જે કહ્યાં શાસ્ત્રપુરાણ;
પ્રભુ પ્રાણાધિક જેને પ્રિય પ્રભુને અધિક તે પ્રાણ.
શ્રીમદાચાર્યનો દૃઢાશ્રય, ઉર અન્યાશ્રય નહિ નામ;
નિરપેક્ષ વર્નિત કામ લોભે, સેવે સુંદર શ્યામ.
માત્સર્યરહિત, વિરક્ત, તત્પર સદા પર ઉપકાર;
હોય વ્યસન સેવા કથા કીર્તન, સતત નંદકુમાર.
શુભ સત્ય મિષ્ટ સુહિતકરણ, વાક્ય વદે હરિયુક્ત;
જન દયાપ્રીતમ કૃષ્ણ વલ્લ્ભ, સંત જીવનમુક્ત.