રસિકવલ્લભ/પદ-૮

વિકિસ્રોતમાંથી
← પદ-૭ રસિકવલ્લભ
પદ-૮
દયારામ
પદ-૯ →



પદ ૭ મું

નિર્ખ્યા હરિ તોતાદ્રી ધામ જી, શ્રીઆદિકેશવ અભિરામ જી;
મહેલકોટામાં શ્રીહરિ રૂપ જી, કુમારી કન્યા ક્ષેત્ર અનુપ જી. ૧[૧]
પદ્મતીર્થ પંચાપ્સર ક્ષેત્ર જી, અનંતપુર શ્રીપંકજનેત્ર જી;
પદ્મનાભજી શ્રીસહનામ જી, જનાર્દન શ્રી પૂર્ણકામ જી. ૨ [૨]

ઢાળ

છે પૂર્ણકામ શ્રીરંગનાથજી, ચપલરાયજી નામ;
શ્રીસ્વામીકાર્ત્તિક ગોકર્ણેશ્વર પંપાસર અભિરામ. ૩[૩]

શ્રી શૈલશિખરે મલ્લિકાર્જુન રૂષભશૈવ મહેન્દ્ર;
શ્રીરામહૃદ અર્ધનારીશ્વર, પછી નિર્ખ્યા શ્રી કૃષ્ણચંદ્ર. ૪[૪]
પછી પુંઢરપુર શ્રીવિઠ્ઠલેશ્વર ચંદ્રભાગા તીર;
નદી ભીમરથી શ્રીભીમાશંકર કૃષ્ણ નિર્મળ નીર. ૫[૫]
શ્રી મહાલક્ષ્મી કોલાપુર, પછી સપ્તશૃંગી દેવી;
શ્રીગૌતમીગંગા પુનિત પય, દેવ મુનિજન સેવી. ૬[૬]
શ્રી ત્ર્યંબકેશ્વર નીલગિરિ કનખવતીર્ય શુભનામ;
નાહી નિર્ખિયું સ્થળ પંચવટી લક્ષ્મણસહ સીતારામ. ૭[૭]

દંડકારણ્યની યાત્રા કરી પછી સૂર્યતનયા સ્નાન;
જન દયાપ્રીતમપ્રિયાભગિની તીર્થ પરમ મહાન. ૮ [૮]



  1. ૧ તોતાદ્રી–તિનવલીથી ૧૦ ગાઉ પર વિષ્ણુનું ધામ છે. એ ભગવાન નિત્ય તેલથી સ્નાન કરે છે. આદિકેશવ–દક્ષિણમાં એક ધામ છે. ત્યાં શેષ ઉપર શયન કરેલી આદિ કેશવની મૂર્ત્તિ છે. પદ્મનાભથી તે ૪ ગાઉ છે અભિરામ– સુંદર—મનોહર. મેહેલકોટા—રામેશ્વરની પાસે એક તીર્થ છે. કન્યાકુમારી— એ નામના ભૂશિરમાં એ ક્ષેત્ર છે. શા માટે કન્યાકુમારી કહેવાય છે તેની કથા આ રીતે છે. પાર્વતીના પુત્ર સ્વામિકાર્ત્તિકનો સમુદ્રની કન્યા સાથે વિવાહ કર્યો હતો. પછી સ્વામિકાર્તિકે પોતાની માતાને પૂછ્યું કે, માતા ! કન્યા રૂપ ગુણમાં કેવી છે? માતાએ કહ્યું કે તે મારા જેવી રૂપ ગુણવાળી છે. તે ઉપરથી કાર્ત્તિકેય બોલ્યા કે તારા જેવા રૂપ ગુણ જગતમાં બીજા કાઈમાં નથી, તું તો આદ્વિતીય છે, અને તું કહે છે કે એ કન્યામા મારા જેવા રૂપ ગુણ છે તો તો તારૂં જ સ્વરૂપ હોવું જોઈએ. માટે હવે એ મારી માતા છે. એને હું નહિ પરણું, એ કન્યાને આ વાતની ખબર પડી તેથી તેણે પણ કહ્યું કે મારૂં ચિત્ત મેં એકવાર કાર્તિકેયને આપ્યું માટે મારાથી બીજાને પરણાય નહિ. એવી રીતે એ કન્યા કુમારી રહી તેનું ત્યાં દેવળ હે તે મૂર્ત્તિ છે.
  2. ૨ પદ્મતીર્થ–રામેશ્વરની નજીક એક તીર્થ છે. પંચાપ્સરાક્ષેત્ર–રામેશ્વર નજીક એક તીર્થની જગો છે. અનંતપુર-એજ અનંતશયન પદ્મનાભનું નગર, પંકજનેત્ર–કમળ સમાન નેત્રવળા ભગવાનનાં દર્શન કર્યા. પદ્મનાભ ઈ૦— પંકજનેત્ર, પદ્મનાભ, સહનામ, જનાર્દન, એ દેવનાં ધામ અનંતપુરમાં છે. અહીં આગળ સમુદ્ર કિનારે બ્રહ્મકુંડ નામે યજ્ઞકુંડ છે તેમાંથી ગુંદર જેવા ધૂપ કરવાના ગઠ્ઠા નીકળે છે, તેને જનાર્દનધૂપ કહે છે.
  3. ૩ છે ઈ૦— શ્રીરંગનાથજી પૂર્ણકામ છે અને તેનું નામ ચલપલરાયજી છે એ અન્વય સ્વામીસતિ–કિષ્કિંધા તરફ પહાડ ઉપર ધામ છે તથા ત્યાં અગસ્તિ કુંડ છે કાર્ત્તિકસ્વામીના દર્શન સ્ત્રીઓથી થતા નથી. જે સ્ત્રી તેના દર્શન કરે તે સાત જન્મ સુધી વિધવા થાય એમ કહેવાય છે. ગાકર્ણેશ્વર— દક્ષિણમા ગોકર્ણતીર્થ છે ત્યાં એક મહાદેવ છે. પંપાસર–કિષ્કિંધાથી ૦ાા ગાઉપર સરોવર છે.
  4. ૪. શૈલશિખરે–પર્વતના શિખર ઉપર મલ્લિકાર્જુન, ઋષભગૈલ, મહિન્દ્ર
    ગૈલ, એ તીર્થરૂપ પર્વતના શિખરો છે. અર્ધનારીશ્વર-દક્ષિણમા મહાદેવ છે
  5. ૫. પંઢરપુર–દક્ષિણમા એ ગામ છે. કુરૂવાડી સ્ટેશનથી ૧૨ ગાઉ વિઠ્ઠ-
    લેશ્વર–પંઢરપુરના દેવ ચંદ્રભાગા–દક્ષિણમાં એક નદી છે. એને કાંઠે પંઢરપુર છે. ભીમરથી–ભીમાનદી ભીમાશંકર – ભીમા ઉપરના એક મહાદેવ કૃષ્ણા–દક્ષિણમાની એક પ્રસિદ્ધ નદી.
  6. ૬. શ્રીમહાલક્ષ્મી–કોલાપુરમાં એક દેવી છે. સપ્તશૃંગીદેવી–સપ્તશૃંગ
    (સહ્યાદ્રિનું એક શિખર) પર્વત પર દેવી છે. પ્રસિદ્ધ વૈદ્ય જીવનનો લોભિ _____ એદેવિનો ઉપાસક હતો. ગૌતમગંગા–નાશક આગળ એક નદી છે પુનિત–પવિત્ર. પય—જળ.
  7. ૭. ત્રંબકેશ્વર–નાશકથી બાર ગાઉ ત્ર્યંબક નામે ગામમાં મહાદેવ છે.
    નીલગિરિ–લીલપર્વત ત્ર્યંબક નગર આગળ નીલ પર્વત છે. ત્ર્યંબકમાં પાંચ તીર્થ છે. ગોદાવરીનું મુખ (ગંગાદ્વાર), કુશાવર્ત કુંડ, બીલ્વક સરોવર, નીલ પર્વત, કનખલ કુંડ गंगाद्वारे कुशावर्ते बिल्वके नीलपर्वते। स्नात्वा कनखले तीर्थे पुनर्जन्म न विद्यते।।
    એમ લોકો બાર વાર બોલે છે. કનખલ તીર્થ – ત્ર્યંબક-નગરમાં આ નામનો કુંડ છે પંચવટી - ગોદાવરી નદીને ઉત્તર કાંઠે આ સ્થળ છે.
  8. ૮. દંડકારણ્ય–વિંધ્યાચળ અને શૈવલકપર્વતની મધ્યનો પ્રદેશ દંડક નામે રાજાનો એ પ્રદેશ હતો માટે દંડકારણ્ય. સૂર્યંતનયા–તાપી. દયાપ્રિતમ પ્રિયા ભગિની—યમુના એ કૃષ્ણની પ્રિયા છે અને સૂર્યની પુત્રી છે; તાપી પણ સૂર્યપુત્રી કહેવાયછે માટે યમુનાની બેન છે.