રાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૫ મો

વિકિસ્રોતમાંથી
←  અંક છઠ્ઠો: પ્રવેશ ૪ રાઈનો પર્વત
અંક છઠ્ઠો: પ્રવેશ ૫
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક સાતમો: પ્રવેશ ૧ →


પ્રવેશ ૫ મો

સ્થળ : વીણાવતીના મહેલની અંદરનો ખંડ.

[વીણાવતી અને જગદીપ સંભાષાણ કરતા પ્રવેશ કરે છે.]

વીણાવતી : લેખાની એ બધી દલીલ નિષ્ફળ ગઇ, ત્યારે એણે મને કહ્યું કે તમે દુઃખી થવાને સરજાયેલાં છો એમ માની લો.
જગદીપ : વિધાતા પર કેવો દુષ્ટ આરોપ ! પછી તેં શું કહ્યું?
વીણાવતી : મેં લેખાને પૂછ્યું કે આ વાડી બહારનું જગત્ આ વાડી જેવું જ છે કે કાંઇ જુદી જાતનું છે? એ બોલી કે જગત તો બધે એકસરખું જ છે. ત્યારે મેં કહ્યું કે આ વાડીમાં તો હું એકેએક ખૂણે ફરી છું અને કોઈ પુષ્પ, પલ્લવ, પશુ કે પક્ષીને દુઃખી થવા સરાજાયેલાં દીઠાં નથી.

કળિઓ ફૂટીને ખીલતી, જન્મી પતંગો ઊડતાં,
ગતિ આવતાં મૃગશાવકો ક્રીડા કરન્તા કૂદતાં;
આ વાડીમાં ઉલ્લાસ અર્થે સૃષ્ટિ સઘળી ઉદ્ભવે.
હું એકલી સરજાઈ શું દુર્ગતિવિધાને કો નવે? ૮૬

જગદીપ : કુદરત તારી આગળ ખરે સ્વરૂપે પ્રગટ થઈ છે અને
આવી સુન્દર વાડીમાં વર્ષો કાઢ્યાં છતાં લેખા કુદરતનો મર્મ સમજી નથી તો પ્રેમ કેવો આદરનીય છે તે એ ક્યાંથી જાણે?
વીણાવતી : પ્રેમને લેખા તાપ લાગતાં વરાળ પેઠે ઊડી જનારી વસ્તુ સમજે છે. કશાથી હું ડગી નહિ, ત્યારે એણે મને કહ્યું કે તમારા વૈધવ્યની વાત સાંભળતાં એમના પ્રેમનું એક બિન્દુ પણ રહે છે કે કેમ તે જોજો.
જગદીપ : એ વચન સાંભળી તને કાંઈ બીક લાગેલી ?
વીણાવતી : શાની બીક ?
જગદીપ : મારો પ્રેમ ઊડી જતાં ત્યાગ થવાની.
વીણાવતી : (આંગળીથી નિર્દેશ કરીને)

પેલું સારસ જોડું જે વિચરતું દીસે નદીને તટે,
એમાંની કંઈ વેળ સૂધિ સ્થળ આ માદા હતી એકલી;
કાંઈ કાળ વિતે પછીથિ નર ત્યાં આવી મળ્યો એહને,
એને ત્યાગની બીક લાગિ નથિ તો લાગે મને શી રિતે? ૮૭.

જગદીપ : હું એવા વિશ્વાસને પાત્ર છું તેથી પોતાને ધન્ય માનુ છું, પરંતુ સંસારનો માર્ગ સરળ નથી. આપણામાં હાલ વિધવાવિવાહનો પ્રતિબંધ છે. તેથી આપણે લજ્ઞ કરીશું તો કદાચ રાજગાદીનો માર્ગ બંધ થઈ જશે, અને જનસમૂહ આપણી સાથે સંબંધ નહિ રાખે.
વીણાવતી : એથી મારા જગદીપના જગદીપપણામાં ફેર પડશે?
જગદીપ :

વીણાતણા પ્રેમથી જે વિંટાયો,
વીણાતણા સંગથિ જે ઘડાયો;
જેને ન વીણા વિણ યોગ ક્ષેમ.
જુદો બને તે જગદીપ કેમ? ૮૮

વીણાવતી : તે વીણાને રાજગાદીની કે જનસમૂહના સંબંધની શી દરકાર હોય ?
જગદીપ : આપણા સુખની અપરિપૂર્ણતા કરવા લગ્નનો દિવસ ઠરાવવાનો તે મારા કનક્પુર ગયા પછી ઠરી શકશે. એટલો વિલંબ થશે.
વીણાવતી : વિલંબ એટલે વિયોગ !
જગદીપ : પ્રેમપન્થના પ્રવાસીઓના ભાથામાં થોડો ઘણો વિયોગ આવ્યા વિના રહેતો નથી, અને તેનો આરંભમાં જ આસ્વાદ કરી લેવો સારું છે, કે પછી મિષ્ટ આસ્વાદ જ બાકી રહે.
વીણાવતી : આ વાડી બહારનું જગત્ બહુ વિશાળ છે એમ મેં સાંભળ્યું છે, તો એ જગત્ આવડું મોટું છતાં તે પ્રેમમાંથી વિયોગ નાબૂદ કરવાનો કોઈ ઉપાય દર્શાવી શકતું નથી ?
જગદીપ : જગત્ તો કોઈ ઉપાય દર્શાવી શકે તેમ નથી, પરંતુ જગત્ ના જે નિયન્તાએ પ્રેમનું વરદાન આપ્યું છે તેણે આશાનું પણ વરદાન આપ્યું છે, અને તે વડે વિયોગકાળમાં પ્રેમીઓનાં હ્રદય ટકી રહે છે. આપણે ફરી મળીએ ત્યાં સુધી આશાને જ આશ્રયે જીવીશું.
[બન્ને જાય છે.]