સરસ્વતીચંદ્ર ભાગ ૨/બ્હારવટિયાઓનો ભેટો

વિકિસ્રોતમાંથી
← પ્રાતઃકાળની તૈયારિયો સરસ્વતીચંદ્ર ભાગ ૨
બ્હારવટિયાઓનો ભેટો
ગોવર્ધનરામ ત્રિપાઠી
હોલાયલી આગનો બાકી રહી ગયેલો તનખો →


પ્રકરણ ૧૦.
બ્હારવટિયાએાનો ભેટો.

નિદ્રાવશ કુમુદસુંદરીને લેઇ રથ ચાલ્યો અને રથને વચ્ચે રાખી રવાલદાર ઘોડાઓ ઉપર બેઠેલા સ્વારો - ન ધીમે - ન ઉતાવળથી - એ રીતે ચારેક ગાઉ ચાલ્યા હશે એટલામાં રાત્રિ પુરી થઇ જવા આવી. જંગલનાં પશુમાત્ર શાંત થઇ ગયાં અને ખડબચડી જમીન આવતાં રથચક્રનીચે ધબાકા થતા, પવનની લ્હેર અને મધુરી ત્હાડથી વેગવાળા થતા ધોરી બળદનાં પગલાં વાગતાં, સ્વારેના ઘોડાઓની ખરીઓ વાગતી, ક્વચિત્ કચરાતા કાંકરા બોલતા અથવા રથમાં ભરાતાં ઝાડનાં ડાળાં ખખડતાં અને રસ્તાની બાજુએ ગામડાં આવતાં આધે કુકડા સંભળાતા, એ શીવાય બીજો સ્વર સરખો સંભળાતો ન હતો. કુમુદ પાછલી રાતની મીઠી નિદ્રા ભોગવતી હતી. ગાડીવાળો હાથમાં રાશ અને પરોણો રાખી અર્ધો જાગતો છતાં ડોલાં ખાતો હતો, અને સ્વારો જાગૃત છતાં – ચારે પાસ નજર રાખતા હોવા છતાં - વાતો કરતા રહી ગયા હતા. ચારપાસ પૃથ્વી ઉપર અંધકારમાં આછું આછું તેજ ભળતું હતું, અને રસ્તાની બે પાસે ઝાડ અને છોડવાના રંગ દીસતા ન્હોતા પણ તેના છાંયડા અને ઉભા આકાર દેખાતા હતા. પૂર્વ દિશાના આકાશમાં ધેાળો તેજનો પડદો ચ્હડતો હતો. એક પછી એક તારાઓ દેખાતા બંધ થતા હતા અને આખા આકાશનો રંગ બદલાતો હતો. આ વખત આ મંડળને માનચતુરનું મંડળ સામેથી મળતાં સઉ સ્વારો ચમકયા, અબ્દુલ્લાએ પોતાનો ઘોડો તેમની પાસે લઇ જઇ સઉ સમાચાર ધીમે સ્વરે કહ્યા, અને સઉ મંડળ ભેળું થઇ જઇ આગળ ચાલવા માંડયું. માનચતુરે રથનો પડદો ધીમેથી ઉચકી જોયો અને કુમુદસુંદરીને ઉંઘતી જોઇ, પાછો નાંખી દેઇ, તે રથની જોડે ઘોડો રાખી ડોસાએ ચાલવા માંડયું. સઉ વધારે સાવધાન - સજજ - થઇ ગયા અને હથિયારો સંભાળતા ચાલ્યા.

અંધકારનો પડદો ઉપડી ગયો તેમાંથી જંગલનાં ચિત્રવિચિત્ર નાટકીય પાત્રો દૃષ્ટિમર્યાદામાં એકદમ ઉભરાવા લાગ્યાં. લાલ, પીળાં અને ધોળાં નાનાં મ્હોટાં ફુલોને ધારણ કરનાર ન્હાના ન્હાના લીલા છોડવા માર્ગની બે પાસ આઘા પાછા રહી પવનની ધીમી લ્હેરમાં નાચવા લાગ્યા. ખેતરોની ઉપરનીચે થયેલી સંભાળ વગર રાખેલી પોતપોતાના શેડા વચ્ચે પડી રહેલી માટી, પ્રસૂતાના ખાલી પડેલા કરચલિયોવાળા પેટની પેઠે, માનવીના હાથમાં પોતાનો ફાલ આપી દેઇ, એકાંતમાં શાંત વિશ્રાંતિની મીઠાશ ભોગવતી જાગતી સુતી સુતી આકાશ સામું જોવા લાગી. ક્ષિતિજના છેડામાં તથા આશપાશ મ્હોટાં ન્હાનાં ઝાડો, એક બીજાના ખભા ઉપર ડોકિયાં કરી, ઉગનાર સૂર્યના સાજનની વાટ જોવા લાગ્યાં. મળસ્કાનો ઉજાસ પ્રથમ આછો આછો દેખાઇ, મદનના ચાળાઓ પેઠે, જંગલનાં સર્વ અવયવોમાં સ્ફુરવા લાગ્યો. જંગલનાં ક્રૂર પ્રાણિયો સંતાઇ ગયાં તેને સ્થાને પક્ષિયોની કોમળ જાતિયો ઝાડો ઉપર ઉડાઉડ કરવા લાગી, કલોલ કરી રહી, અને જુદા જુદા મધુરા સ્વરથી ગાયન કરવા મંડી. પક્ષિવર્ગનાં નરમાદા મદનની આણ દિવસે પાળવા લાગ્યાં, અને મત્ત ખેલ મચાવી મુકયા. માદાઓ બાળક પક્ષિની ચાંચમાં ધાન્યના કણ મુકવા લાગી અને પક્ષીજાતમાં પણ માતાનો સ્નેહ દૃષ્ટાંત પામ્યો.

મળસ્કું થયું, અંધારું ગયું, પૃથ્વીના – વનસ્પતિના – અને તારાને ઢાંકનાર તેજવાળા આકાશના – રંગ અને આકાર ઉઘાડા થયા, અને રથના પડદાઓ ભેદી, આંખનાં પોપચાંમાં પેસી, પવનની લ્હેરે અને તડકા વગરના તેજે કુમુદની આંખો ઉઘાડી અને એને જગાડી જાગતાની સાથે વનલીલાનો પત્ર કમખામાંથી ક્‌હાડ્યો અને, જરીક બેઠી થઇ, ઉંઘડતી આંખો નાજુક આંગળિયો વડે ચોળી ચોળી ઉઘાડી, કાગળ આતુરતાથી વાંચવા લાગી. સ્વભાવે રસીલી, દુ:ખમાં પણ રમતિયાળ, હેતાળ વનલીલાનો કાગળ લાંબો અને એના સ્વભાવ પ્રમાણે જ હતો. કુમુદ પ્રથમ તો કાગળને ઉપર ઉપરથી અથથી ઈતિ સુધી ઉતાવળી ઉતાવળી વાંચી ગઇ અને મતલબ જાણી લીધી. બીજીવાર કાગળની વીગત ઉપર ધ્યાન આપી પુરેપુરો અક્ષરે અક્ષરે વાંચ્યો. ત્રીજી વખત તેમાંનો કેટલોક ભાગ ફરી ફરી વાંચવા લાગી.

કૃષ્ણકલિકા અને પ્રમાદધનની સંતલસ આ પત્રમાં પુરેપુરી વીગતવાર લખી હતી. પોતાને પતિએ છેતરી એ ભાનથી વિષાદ થયો; પતિના મનમાંથી કિલ્મિષ ગયું નથી એટલુંજ નહી પણ હજી એના ઉપર મલિન કૃષ્ણકલિકાની સત્તા છે અને એના ઉપરના જ કલંકિત પક્ષપાતને વશ થઈ પતિએ દુષ્ટ સંકેત રચ્યો છે એ વિચારથી કુમુદના મનમાં અચિંત્યો કાંટો પેઠા જેવું થયું. આત્મપરીક્ષા ન કરનાર પ્રમાદધનના મનમાંથી કુમુદસુંદરી ઉપરનો અણસમજનો દ્વેષ જતો નથી અને જાતે દશ ગણા દોષનું પાત્ર બને છે એ વિચારે આઘા ક્‌હાડવા છતાં નિર્બળ થાકેલી બાળાના મનમાં પેઠા. “અરેરે ! પોતે તે આટલાં વાનાં કરે છે અને મુજ રાંક અબળા ઉપર વિના કારણ આટલો જુલમ કરવાનો વિચાર રાખે છે એ તે કોનો ન્યાય ? ” – “ શું મ્હારી પુઠ પાછળ મ્હારી ફજેતી કરવા ધારી ?” – “દેવી અને અલકાબ્હેન મને કેવી જાણશે ?” “સસરાજી શું ધારશે?” – “એ સમાચાર ગુણિયલ પાસે પણ આવવાના જ ! ” – “ હું પાછી ફરું અને સુવર્ણપુર જાઉં ?” – “શું સત્ય તરી નહીં આવે ?”

“ઓ રે હરિ ! સત્યતણા તું સંગાતી !
“હરિ, હું તે કંઇયે નથી સમાતી.
“હરિ, મ્હારાં કોણ જન્મનાં કર્તુ ?
“ઓ રે હરિ ! ચોરીથી બીજું શું નરતું ?”[૧]

“દમયંતીના કરતાં પણ મ્હારે માથે ભુંડો આરોપ આવશે ! હું સઉને શું મ્હોં દેખાડીશ ? ઓ પ્રભુ, હવે તો મ્હારે એક તું રહ્યો.” આટલું કહી વિચારમાં પડી, રોઇ પડી, આંખો લોહી, પડદો ઉધાડી રથબ્હાર જોયું તો નવાં માણસો જોયાં અને ઘોડા ઉપર માનચતુર પર પણ નજર ગઇ. માનચતુર રથ ભણી આંખ રાખતો હતો તેણે પડદો ઉઘડતો દીઠો કે તરત ઘોડો છેક રથની પાસે લીધો.

“કેમ બ્હેન, ખુશીમાં છે ?”

“હા, વડીલ, પણ તમે ક્યાંથી ? ” આંખો ચોળતી ચોળતી ડોકું બહાર રાખી, પડદો ઝાલી રાખી, કુમુદ પુછવા લાગી.

“બ્હેન, ગુણસુંદરી ને સુંદર મનહરપુરી આવ્યાં છે ને રસ્તામાં કંઇ ભો સંભળાયો એટલે આ માણસે લેઇ તને જાળવવા આવ્યો છું.”

કુમદ ચમકીઃ “હેં – કોનો ભો છે ?”

“બ્હીનીશ નહીં, આપણી પાસે માણસો એટલાં બધાં છે કે કંઇ હરકત પડવાની નથી.” વાત ઉરાડવાના પ્રયોજનથી ડોસાએ બીજી વાત ક્‌હાડી: “ત્હારે સાસરે બધાં ખુશીમાં છે કની ?”

“ હા, સસરાજીને કારભાર મળ્યો ને કાલ જ શીરપાવ થયો.”

“ચાલો, બહુ આનંદની વાત. ત્યારે તો હવે તને અહંકાર ચ્ડ્યો હશે ? ” ડેાસો હસવા મંડ્યો.

“વડીલનાં બાળક અહંકાર રાખવો કયારે સમજ્યાં છે જે ? મ્હારા સસરાજી અને સાસુજીએ આપને નમસ્કાર ક્‌હાવ્યા છે.”

આટલા શબ્દ નીકળે છે એટલામાં સુભદ્રા નદી ઉપર બુમ પડી,


  1. *નળાખ્યાનમાંથી.
રથની આશપાસ સ્વરો કાન માંડતા સજજ થઇ ગયા – હથિયાર

સંભાળવા મંડી ગયા – રથની આશપાસ કોટ બાંધી ઉભા, રથ ઉભો રહ્યો, સઉના મ્હોં ઉપર લોહી ચ્હડી આવ્યાં, માનચતુર ઘોડા ઉપર ઉછળી ટટાર થઇ ગયો – શૌર્યના ઉકળાટથી કંપવા લાગ્યો – અને એકદમ તરવાર ઉઘાડી કરી – ઉંચી કરી – બોલી ઉઠયો: “સબુર ! જખ મારે છે” – “બ્હેન – ડરીશ નહી–હું , ત્હારી પડખે છું” – “અબ્દુલા, ચોપાસ નજર રાખજે – પળવાર અહિયાંજ ઉભા ર્‌હો !”

સઉ મંડળ ઉભું રહ્યું; સઉ બંધુકો ભરવા લાગ્યા. કુમુદસુંદરી છળી ગયા જેવી થઇ ગઇ, એનું મ્હોં બ્હાવરું થઇ ગયું, શાંતિ ખેંચી આણી પડદા બ્હાર લાંબી નજર નાંખવા લાગી: “શું છે? વડીલ, શું છે ? ”

“ડરીશ નહી – બ્હેન – માથું પડદામાં ખેંચી લે – આઘે બુમ થાય છે – બીજું કાંઇ નથી – હવણાં.”...…..

બુમ વધારે વધારે પડવા લાગી, પાસે આવવા લાગી, બંધુંકોના ધડાકા સંભળાવા લાગ્યા, આઘેના ઝાડો ઉપર ધુમાડા દેખાયો, એ જગા આગળથી પશુઓ નાસભાગ કરતાં નજરે પડ્યાં, પક્ષિયોનાં ટોળાં, ગાભરાં ગાભરાં કોલાહલ કરતાં ઉડવા મંડ્યાં અને કુમુદના રથ ઉપર થઇ જવા લાગ્યાં, અને ગાભરી ગાભરી કુમુદ ધ્રુજવા લાગી, એને પરસેવો થયો, એની છાતી ધડકવા લાગી, આંખો હરણની પેઠે – પારાનીપેઠે – આમથી તેમ સરવા લાગી, મ્હોં પ્હોળું થઇ ગયું, અને બોલવાની શક્તિ તેમ બીજાં સર્વ અવયવ શિથિલ થઇ લાચાર થઇ બંધાઇ ગયાં.

અબ્દુલ્લો આગળ જઇ ઉભો રહ્યો અને જે દિશામાંથી બુમ આવતી હતી તેણી પાસ આંખ ઝીણી કરી દઇ, તાકીને જોવા લાગ્યો. થોડી વારમાં એક સ્વાર એ દિશામાંથી આવતો દેખાયો – પાસે આવ્યો તેમ તેમ ઓળખાયો. ફતેહસિંહની તુકડીમાંનો એ એક સ્વાર હતો. ઘોડો દોડાવતો દોડાવતો તે અબ્દુલ્લાની પાસે આવી હાંફતો હાંફતો સમાચાર ક્‌હેવા લાગ્યો – અબ્દુલ્લો એને માનચતુરની પાસે લેઇ ગયો.

ચતે હાથે સલામ કરી એ સ્વાર બેલ્યો: “ઘણી ખમા મહારાજ મણિરાજને ! આખા જંગલમાં તેમની આણ વર્તાઇ ચુકી છે. સવાર પડતાં બ્હારવટિયાઓ આઘાપાછાં રહી આપણી તૈયારી જોઇ જવા લાગ્યા. ગામે ગામ – ઇંગ્રેજી હદમાં પણ – સઉ જાગૃત છે અને હરામખોર લોક એકઠા થવા પામ્યા નથી. મુખી વડથી નદી સુધી રસ્તો સાચવે છે ચંદનદાસ તો એ જોઇને જ જતો રહ્યો છે – વાણિયો સઉ સમજી ગયો. વાઘજી વડ પાસે આવતો નથી – આંબાઓમાં ભરાઇ રહ્યો છે ને લાગ જોયાં કરેછે. ફતેસંગને ભીમજીનાં માણસો મળ્યાં – પણ કંઇ હોય નહી તેમ તાડોમાં ચાલ્યાં ગયાં ને ભીમજી પણ તેમના ભેગો ગયો – આપણે તેને છેડ્યો નથી. પુલ આગળ ઢોલ લેઇ બેઠો હતો તેને પકડતાં તેણે ઢોલ વગાડી – એ સાંભળી એક પાસેથી પરતાપ અને બીજી પાસથી ભીમજીનાં માણસો આવ્યાં. ઢોલવાળો સુવર્ણપુરની હદમાં હતો ત્યાં જ પરતાપનાં માણસોનો ભેટો થયો....…..”

“કંઇ ઝપાઝપી થઇ ? ” માનચતુરે અધીરાઈથી પુછયું.

“પ્રતાપે આવી પુછયું કે ઢોલવાળાને કેમ પકડો છો ? ફતેસંગે કહ્યું – ચાલ, ચાલ, તું કોણ પુછવાવાળો છે? વળી કહ્યું કે આ જંગલમાં સુરસંગ અને તેના બે છોકરાઓ બ્હારવટે નીકળેલા છે તેમને પકડવા અંગ્રેજ સરકારનું અને ભૂપસંગનું વારંટ છે તે આ ત્રણે હદમાં બજાવવાનો હુકમ છે – આ ઢોલવાળો તેમનો સંગી છે માટે પકડ્યો છે.”

“ફીર ક્યા હુઆ ?” અબ્દુલ્લો બોલ્યો.

“ફતેસંગે દાંત પીસી કહ્યું કે તમારા બોલ ઉપરથી તમે પણ તેમના સંગી જણાવ છો; માટે બોલી; જાવ કે તમે કોણ છો – તમને પણ પકડવા પડશે !”

“ખુબ કિયા ! ફતેસિંગ !” અબ્દુલ્લો મુછો આમળવા લાગ્યો. “ફીર ક્યા હુઆ ?”

“પરતાપ નરમ જેવો થઇ ગયો અને બોલ્યો કે ભાઇઓ અમે તો ભદ્રેશ્વર જવા નીકળ્યા છિયે – બ્હારવટિયાઓને ઓળખતા નથી; પણ આ માણસને મુકો – એ અમારા સાથમાંનો છે – મહાદેવમાં આ ઢોલ અમારે ભેટ મુકવાની છે.”

માનચતુર હસવા લાગ્યો; “જો મ્હારો વ્હાલો !”

“ફતેસિંગે કહ્યું કે તે ગમે તે હો – આ માણસ કે ઢોલ કંઇ પણ તમને નહી મળે. આટલું બોલી એમણે હુકમ આપયો કે જુવો છો શું – સઉ બ્હારવટિયાઓના સંગી દેખાય છે –પકડો કે મારો હરામખોરોને !" “સાબાસ ! ફતેસંગ ! સાબાસ ! જેસા તેરા નામ તેસા જ તેરા કામ હૈ ”– અબ્દુલ્લો બોલ્યો.

“આ બોલ નીકળતાં આપણાં માણસો ધાયાં – હાકલ કરી - બંધુકના બાર એક બે કર્યા – આપણો ધસારો થતાં જ પરતાપનાં માણસ નાસવા લાગ્યાં.”

“હત ! બાયલાઓ ! ” માનચતુરે ઉદ્ગાર કર્યો.

“પરતાપને ક્રોધ ચ્હડયો – તે એકલો રહ્યો તો પણ તરવાર ખેંચી ફતેસિંગના સામો આવ્યો. ધીંગાણું થવાની વાર ન હતી, પણ નાઠેલા માણસોમાંથી બે જણ પાછા આવ્યા અને બાંય તાણી પરતાપને પાછો ખેંચી ગયા, આપણે તેમને જવા દીધા, અને હું અત્રે સમાચાર ક્‌હેવા આવ્યો.”

“સાલી લુગાઇયાં ભાગ ગઇ, અબ તો ચલા દે રથ, ગાડીબાન ! ” અબ્દુલ્લો બોલ્યો.

માનચતુર ક્‌હે: “ રસાલદાર, સબુર કરો. એ લોક પાછા એકઠા થશે. એ લોક બરાબર વેરાઇ જાય ત્યાં સુધી રથ ત્યાં લેઇ જવો વાજબી નથી.” – સ્વારના સામું જોઇ બેલ્યો – “તમે પાછા જાવ; સુરસંગ અને હરભમના સમાચાર જણાય અને વાઘજી જતો ર્‌હે એટલે મને ક્‌હાવજે. પ્રતાપ નક્કી પાછો આવવાનો – એની સરત રાખજે. હવે નદીની આણી પાસ બ્હીક નથી – હમે સઉ ધીમે ધીમે ચાલી આવીશું અને પુલની આણી પાસ રહીશું તે અમારાં માણસ પણ કામ લાગશે. તમારે સઉયે એટલી સરત રાખવી કે જો હરામખોરો પાછા આવે તો સુવર્ણપુરની હદમાં નસાડવા કે લ્હડવું પડે તો પણ હરકત ન પડે, નદીની આણી પાસ તો કોઇને આવવા જ ન દેવા. પેલી પાસ રાસ્તે ખુલો થશે ત્યારે પુલ ઓળંગીશું.”

સ્વાર પાછો દોડતો ગયો. રથ અને તેનો સાથ ધીમે ધીમે સાવચેતીથી પુલભણી ચાલ્યો. ચાલતાં ચાલતાં માનચતુર બડબડ્યો: “જો ઇંગ્રેજી હદમાં મારામાર થઇ તો એ રાજ્યની કોરટોમાં ઉલટો ચોર કોટવાળને દંડે એવું થશે, જે થાય તે તાડોમાં થાય તો જ ઠીક.” રથનો પડદો ઉઘાડી જુવે છે તો કુમુદ સઉ હકીકત સાંભળી ભયના ચિન્હોથી ઉભરાતી હતી.

"બ્હેન; અર્ધી ચિંતા ગઇ – હરામખોર વેરાઇ ગયા. હવે જે સાવધાની રાખિએ છિયે એ તો અમસ્તી." ડોસો વૃદ્ધ છતાં તેની દૃષ્ટિ ઘણે છેટે પ્હોચતી હતી. પશ્ચિમ દિશામાં આઘે ધુળ ઉડતી દેખાઇ. હવે તો પોતે ફતેહસંગ, અને મુખી એકઠા હોય તો જ ઠીક. એની નીશાનીથી સઉએ ઝડપ વધારી, અને થોડીક વારમાં પુલ પાસે આવી પ્હોચ્યા. ફતેહસંગનાં માણસો પુલની સામી પાસે એકઠાં થઇ ઉભાં હતાં. ફતેહસંગે બુમ પાડી: “ચિંતા કરશો નહી – માખો ઉરાડી મુકી છે.”

ડોસાએ પશ્ચિમ દિશામાં નીશાની કરી – એક સ્વાર એણી પાસથી આવ્યો. કુમુદસુંદરીના રથ જોડેનાં બુદ્ધિધનનાં માણસોએ તેને ઓળખ્યો. તેમાંથી એક જણ બોલ્યોઃ “કેમ મહારાજ, તમે ક્યાંથી ?”

શંકર મહારાજ બોલ્યો, “ફકર કરશે નહી. મ્હારી પાછળ મ્હારા ગામનાં માણસ આવે છે – હમે સુરસંગને મળી જવા જઇએ છિયે–સમજ્યા ?”

“જાઓ, ફતેહ કરો –વ્હેલા આવજો.”

ડોસો આ વાતનો ભેદ સમજ્યો નહી – તેણે પુછી લીધો. શંકર પોતાના માણસો સાથે રસ્તો ઓળંગી ભદ્રાનદી ભણી ચાલ્યો ગયો.

સુરસિંહને ચારે પાસથી ખોટા સમાચાર મળ્યા. ચંદનદાસ પ્રથમથી ન્હાસી ગયો, ભીમજી છુટો પડી ગયો, વાઘજી અને પ્રતાપ વગર બીજી તુકડીઓ ભાગી ગઇ. ગામેગામ ખબર પડી ગઇ, બુદ્ધિધન અને વિદ્યાચતુર બેના સ્વાર એકઠા થઇ ગયા ! હવે તો મનોરથ સિદ્ધ કરવા જતાં નાશ વિના બીજું પરિણામ ન હતું. આટલામાં એને શંકર મળ્યો કે હીંમત આવી. સુરસિંહ વાઘજી, પ્રતાપ, અને શંકર ચારેજણ પોતાનાં શૂરાં માણસો લેઇ ઘોડાઓને વેગભર ચલાવતા ચાલ્યા. તેમનો વેગ અને ડરાવી નાંખે એવો પ્રતાપ જોઇ શંકર મનમાં બોલ્યો;

“જેની ફુંકે પર્વત ફાટે, આભ ઉંડળમાં ભરતા !
“જેને ચાલ્યે ધરણી ધ્રુજે તે નર દીઠા મરતા !
“ હરિનું ભજન કરી લ્યો રે.”

“આહા ! આ લોકો આટલું આટલું દુ:ખ ખમતાં આમ ધરતી ધ્રુજાવે એમ ચાલે છે – ચચાર દિવસના અપવાસી છે – બબે રાતના ઉજાગરા છે – શરીરે ચીથરે હાલ છે – તો પણ આમ ચાલે છે. એ મ્હારા મિત્રેા થયા ! રાજસેવા કરવા જતાં મ્હારે મિત્રદ્રોહી થવું – શું એમ કર્યા વિના આ પેટ ન ભરાય ? – પણ ના – રાણાનું લુણ ખાધું છે તે” સુરસિંહ અચિન્ત્યો ઉભો – કાન અને આંખ ચકોર કરી દીધાં – “શંકર – પાછળ આઘે ઘોડાએાની ખરીઓ સંભળાય છે” – સઉએ કાન માંડ્યા અને ઉભાં રહી પાછળ જોવા માંડયું.

શંકર: “શું કાયર થઇ ગયા છો ? અમસ્તા ભણકારા વાગે છે – ચાલો આગળ !”

"ના, ના,... ...

“ના, ના, ને હા હા – ચાલો – કોઇ નથી. રથ પુલની પેલી પાસ છે તેમાંથી કુમુદસુંદરીને ઉપાડી લ્યો એટલી વાર ! હું નજરે જોઇને આવ્યો છું.”

પ્રતાપ ખુશ થઇ ગયો: “ખરી વાત ! ચાલો.”

સઉ આગળ ચાલ્યા – પણ સુરસિંહની આંખ પાછળની પાછળ રહી.

પોતાનો ઘોડો સુરસિંહની આગળ લાવી તેને ચલાવતો ચલાવતો શંકર બેાલ્યો: “ભા, તમારી બ્હીક ખોટી નથી – છોકરાં ન સમજે – પણ ફતેહસંગ અને મુખી તયાર છે, આપણે જરા દક્ષિણાતા જઇ રસ્તો ઓળંગી રથને પાછળથી પકડવો.”

“હા ! હા ! ભીમજી પણ મળશે.” – સુરસિંહે લોહચુંબક પેઠે આ વિચાર પકડી લીધો: “ચાલો, દિવસ ચ્હડે છે – દોડો.”-

સુરસિંહે ઘોડો મારી મુક્યો, તેની સાથે તેનો સઉ પરિવાર દોડ્યો, સઉ દક્ષિણ દિશામાં વળ્યા ! રસ્તો ઓળંગ્યો, સુવર્ણપુરની સીમમાં બુદ્ધિધનની આણમાં આવ્યા અને તે બાબત કોઇને ભાન ન રહ્યું. ઇંગ્રેજી હદમાં ર્‌હેવાનો વિચાર શંકરે ભુલાવ્યો – શંકર એ વિચારથી મનમાં ફુલવા લાગ્યો.

માનચતુરે તે મંડળ પોતાની પાછળ બે ત્રણ ખેતરવા રહી રસ્તાની પેલી બાજુ જઇ પોતાના ભણી આવતું દીઠું – સઉ સજજ થઇ ગયા. ફતેહસંગ આ બાજુ અવાય એમ રથની પૂર્વ અને ઉત્તર દિશા જાળવી ઉભો, સુરસિંહની પાછળ છેટે છેટે ધુળ ઉડતી હતી - ઘેાડાઓ દોડતા હતા – હરભમની તુકડી વેગભર દોડી આવતી હતી. સુરસિંહ સુવર્ણપુરની હદમાં પેઠો તેની સાથે હરભમની તુકડીને વેગ વધ્યો. જોતા જોતામાં કુમુદસુંદરીના રથની એને સુરસિંહની વચ્ચે હરભમની તુકડી આવી ઉભી. સુરસિંહ સમજ્યો કે મારો ભેદ કળાયો છે. કુમુદસુંદરીને પકડવા જવું તે હવે વિનાશના મુખમાં પેસવા જેવું લાગ્યું અને બોલ્યો; “શંકર, હવે પાછા હઠો. બાજી ગઇ. કુમુદસુંદરીને પકડ્યા પછી ધીંગાણું થાત તો હરકત ન હતી – ધીંગાણું કરતાં કરતાં એવું જીતિયે કે કુમુદસુંદરી આપણા હાથમાં આવી જાય એ ધારણા મિથ્યા છે” સુરસિંહે પોતાનો ઘોડો આગળ હાંકી શંકરના કાનમાં કહ્યું.

અનુભવી બ્હારવટિયાનો તર્ક ખરો હતો. એ તર્ક ભુલાવવો એ શંકરનો હેતુ હતો, રથના ઉપર સુરસિંહ હલ્લાં કરે તો જ સુરસિંહ ઉપર સામેથી હલ્લાં થાય, અને તેમ થાય તો જ ખરું સ્વરૂપ પ્રકાશી ભૂપસિંહના શત્રુને પકડી બુદ્ધિધનની નીતિ પાર પાડવાનો પ્રસંગ મળે. રથ ઉપર હુમલો થાય નહી ત્યાં સુધી વિદ્યાચતુરનાં માણસ હથિયાર ઉઘાડે એમ ન હતું, તેમ ન થાય તો બ્હારવટિયાઓને પકડવા એટલી એકલા શંકરની તાકાત ન હતી. સુરસિંહનું બોલ્યું ન સાંભળ્યું કરી શંકર હથિયાર ઉચું કરી બોલ્યો, “જુવો છો શું? આવો પ્રસંગ ફરી નહીં આવે – રથ પાસે માણસ થોડાં છે – ક્‌હાડો રથમાં બેસનારીને ખેંચી બ્હાર – ચાલો, આવો, દોડો”......શંકરે રથભણી ઘોડો દોડાવ્યો – સુરસિંહનો સાથ પણ રસે ચ્હડી પાછળ દોડ્યો – સુરસિંહના હાથમાં લગામ ન રહી – સઉની પાછળ તે પણ ઘસડાયો. રથ પાસે પ્હોંચતાં પ્હેલાં શંકરે બંધુકના ખાલી બાર કર્યા, તેથી બ્હારવટિયાઓ ભરેલા બાર કરવા લાગ્યા, તેમને શૌર્ય ચ્હડ્યુ, ઝાલ્યા રહ્યા નહી. ઘોડાઓ ઉડી પડતા હોય એમ ધપવા લાગ્યા, ઘોડાઓ અને સ્વારોનાં લોહી ઉકળ્યાં, સુરસિંહ ચારપાસ જોવા લાગ્યો કે ભીમજી કે કોઈ આ બારથી આકર્ષાઇ આવે છે? પોતાનું કોઇ આવ્યું નહી, ચારે દિશાઓમાં તેણે નાંખેલી – ફરી ફરી નાંખેલી દૃષ્ટિ વ્યર્થ ગઇ. અભિમન્યુએ ચક્રવ્યુહમાં ઉભાં ઉભાં ચાર પાસ જોઇ જોઇ બુમ પાડી હતી– “કાકા – ભીમસેનકાકા – આવો આ વખત ક્યાં ગયા?” એજ રીતે સુરસિંહના હૃદયે, ભીમજી અને ચંદનદાસને આતુરતાથી, વિકલતાથી, સંભાર્યા પણ કોઇ આવ્યું નહીં. માત્ર થોડી વારમાં તેને શત્રુઓએ ઘેરી લીધો. આગળ જુવે તો ફતેહસિંહ અને તેનાં માણસ, પાછળ જુવે તો હરભમ અને તેનાં માણસ. રથ તો ગોળી પ્હોચે નહી એટલે છેટે રહ્યો – રથ આગળથી સુવર્ણપુરનાં થોડાંક માણસ સુરસિંહની જમણી બાજુએ આવ્યાં.

આખરની વખતે કાયર શૂરો બને તો શૂરોને શૌર્ય ચ્હડે એમાં શી નવાઇ ! વીજળીનો ચમકારો થાય એટલી વારમાં શૂર રજપૂત સમજી ગયો કે હવે તે જીતવાનું નથી – બચવાનું છે – અને પોતાના શૌર્ય વિના કોઇ બચાવે એમ નથી. આ વિચારે તેના હૃદયને ધમધમાવ્યું, તેની આંખો વિકરાળ બની ફાટી ગઇ, આંખો તો શું પણ આખે શરીરે લોહી તરી આવ્યું, નસેનસ અને રગેરગ ધડકવા અને ચળકવા લાગી, ઓઠને દાંત પીસ્યા, કપાળે ભૃકુટિ ચ્હડી ગઇ – કરચળિયો પડી ગઇ, ઘોડા ઉપર બેઠેલું શરીર ઉંચુ નીચું થવા લાગ્યું – કુદી પડવા તત્પર થયું, પગ ઘોડાની બે બાજુયે શૌર્યને થનથનાટ કરવા લાગ્યા, અને તરવાર મજબુત પકડી ઉંચી કરી ફાટે સ્વરે સુરસિંહ બોલી ઉઠયો: “જુવો છો શું ? ધસો, મ્હારા બાપુ, આ પાર કે પેલે પાર.” એક ઠેકાણે આગ લાગતાં ચારે પાસ સળગવા લાગે અને આકાશ પણ સળગે તેમ સુરસિંહનાં માણસમાં સુરસિંહનું શૌર્ય આવ્યું. એની હાકલ સાંભળી એનાં માણસો ઉછળ્યાં. અને “ હો–હો ” – “ જો જે ” – “ લેતો જા ” – “મારો મારો ” કરતાં આંધળાં બની ચારે પાસ શત્રુનો ધસારો ઝીલવા સજજ થયાં. વાઘજી અને પ્રતાપ પિતાની બે પાસે ખડા થઇ ગયા. શત્રુએ ધસારો કરતાં વાર લગાડી – સુરસિંહે જ ફતેહસિંહ ભણી ધસારો કરવા માંડ્યો અને તરવાર એવા તો જોરથી મારી કે ફતેહસિંહે વચ્ચે ઢાલ ન ધરી હત તો જાતે કપાઇ જાત. ઢાલમાં જબરી ફાટ પડી. આટલો ધા કર્યો તેની સાથે શંકર અને તેનાં માણસો બ્હારવટિયાઓમાંથી જુદાં પડ્યાં, અને “ખમા મહારાણા ભૂપસિંહની” – કરી મ્હોટી બુમ પાડી શંકર ગાજી ઉઠયો અને કાળા વાદળોમાં ઢંકાઇ ર્‌હેલી વીજળી ગાજી ઉઠે અને ચમકી નીકળે તેમ સ્વરૂપ પ્રકાશી આગળ આવ્યો.

“સુરસિંહ ! મ્હારે ને ત્હારે મિત્રતા છે પણ મ્હેં સુવર્ણપુરના મહારાણાનું લુણ ખાધું છે અને તેની સેવા કરવા ત્હારી મિત્રતા કરી છે. તું હવે જુવે છે કે મહાન ગજરાજ ખાડામાં પડે અને સાંકળો બાંધવાની જ વાર ર્‌હે તેમ ત્હારે આ પળે થયું છે. મરણ કે શરણ બે વિના ત્હારે ત્રીજો રસ્તો અત્યારે નથી. ત્હારું શૂરવીરપણું ત્હેં સિદ્ધ કરી આપેલું છે – તેની કીર્તિમાં કાંઇ ખામી આવે એમ નથી. ભૂપસિંહે કંઇ ત્હારો ગરાસ લીધો નથી – તેની સાથે ત્હારે વેર નથી – એ ત્હારી કીંમત - સમજે છે એનું મ્હોટાપણું અને એની કૃપા ચ્હડેલા અને પડેલા શઠરાયને ખબર છે ભૂપસિંહની તું રૈયત છે, એની હદમાં ત્હારે હાથે કોઇને લોહીનું ટીપું નીકળશે તે તું ત્હારા રાજાનો જાણી જોઇને અપરાધી થશે, અને ગઇ ગુજરી વીસારી ત્હારા ઉપર મહારાણા કંઇ પણ દયા કરે એમ હશે તો તેનો હક્ક તું ખોઇશ. હું તને દગો નથી દેતો – મ્હારા રાજાની સેવા બજાવી છે – જો તું ત્હારા રાજાને શરણ થઇશ તો એ રાજાને પગે પડી – ત્હારા ગુણની કીર્તિ કરી – હું મ્હારી ત્હારા પ્રત્યેની મિત્રતા બતાવીશ. જો તું શરણ નહી થાય તો હું છુટો છું. આ ત્હારાં માણસોનો ભૂપસિંહની કૃપા પરથી હાથ ઉઠાડવાનો અપરાધી તું થશે. તેમના નિરર્થક મરણની હત્યા ત્હારે શિર બેસશે, તેમનાં બઇરાંછોકરાંના નીસાસા જન્મજન્માંતરમાં પણ ત્હારી પુઠે બ્રહ્મહત્યાની પેઠે ભમશે. ત્હારા આ પુત્રો છે – તે હજી જુવાન છે – તેમનો વિનાશ નિરર્થક થશે – ત્હારો વંશ નિર્મુલ થશે – ત્હારો પરિવાર અસ્ત થશે. જે તને કહું છું તે આ ત્હારા માણસોને પણ કહું છું. શરણ કે મરણ બેમાંથી જે જેને સારું લાગે તે સઉ કોઇ દેખાડી દ્યો. ખમા મહારાણાને !” આ અદ્ભૂત પ્રકાશથી સઉ સ્તબ્ધ થઇ ગયા. શંકર બોલી રહ્યો એટલી વારમાં એની સાથેનું મંડળ તેમ મણિરાજનાં માણસ જામગરિયો સળગાવી બંધુંકો સજજ કરી બ્હારવટિયાઓની ચારે પાસ ફરી વળ્યાં. શંકર પોતાના પક્ષમાં છે જાણી રત્નનગરીના માણસોમાં વધારે શૌર્ય આવ્યું. જેટલું શૌર્ય તેમનામાં વધ્યું તેટલું બ્હારવટિયાઓમાં ઘટ્યું. અપવાસ અને થાકથી મરી ગયેલા જેવા ચીથરેહાલ રજપુતોનું હોલાઈ જતું શૌર્ય સુરસિંહ અને ભીમજીના ઉત્સાહક ભાષણે કુમુદને પકડાવાની આશારૂપ જયોતવડે સળગાવ્યું હતું. પ્રાત:કાળે કરેલા શોધથી, સામાવાળાઓની તૈયારિયોથી, ચંદનદાસ અને ભીમજીની ભાળ ન લાગવાથી, વાઘજી અને પ્રતાપે આણેલા પગ ભાગે એવા સમાચારોથી, અને ચારે પાસ ગાંમડાંઓમાં પોતાની વાત જણાઇ ગઇ એ જાણવાથી, સુરસિંહનાં માણસો નિરાશ થવા આવ્યાં હતાં એટલામાં વળી શંકર નવાં માણસો લેઇ આવ્યો તેની ઉંફથી અને સુરસિંહની છેલી હાકલથી સઉમાં મરણશૌર્ય ચ્હડયું હતું તે શંકર ફરી ગયો માલમ પડ્યાથી બમણું ઉતરી ગયું, શંકરના ભાષણથી સઉ નિરાશ થયા. હવે સુરસિંહનો પક્ષ કરવાથી તેનો કે પોતાનો સ્વાર્થ સધાશે નહી એ નિશ્ચય થયો અને ભાગલાં હથિયારો લેઇ આટલાં માણસો સાથે લ્હડવું એ તે માત્ર બળતા અગ્નિમાં કુદી પડવા જેવું લાગ્યું. એક જણ આગળ આવી સુરસિંહને હાથ જોડી ક્‌હેવા લાગ્યો: “બાપુ, આમાં કાંઇ માલ નથી, કારભારીની દીકરી, કંસના હાથમાંથી વીજળી ગઇ તેમ, તમારા હાથમાંથી જતી રહી; જીવતો નર લાખેણી પામશે, શંકર ખરું કહે છે, સુકા કુવામાં પડ્યે તરસ છીપવાની નથી ને તેમાં પડવાથી મરવા વગર ફળ નથી; સઉને બઇરાં છોકરાં છે. અત્યાર સુધી તમને લાભ થાય એમ હતું તે અમારાં ગળાં તમને આપ્યાં; હવે તો શરણમાં જ લાભ છે – મરણમાં નથી; આજ સુધી તમારું કહ્યું કર્યું – અાજ તમે મ્હારું કહ્યું કરો ! શંકર મહારાજ! માર કે ઉગાર – આ તરવાર તને સોંપું છું.” કેટલાકે એનું કહ્યું કર્યું; કેટલાક વિચારમાં પડ્યા. આમાંથી કુમુદ મળે એમ નથી એવો વિચાર આવતાં પ્રતાપ સઉની નજર ચુકાવી છાનોમાનો અદૃશ્ય થઇ ગયો; સઉની દૃષ્ટિ શંકરના ઘેાડા આગળ થયેલા હથિયારોના ન્હાના સરખા ઢગલા ઉપર હતી – ધીમે ધીમે, ડરતા, વિચારતા વિચારતા કોક કોક બ્હારવટિયાઓ ઢગલા પાસે આવી તેમાં ઉમેરો કરતા હતા અને હથિયાર છોડનાર માણસો એક પાસ શરમાઇ જઇ – નીચું જોઇ – સુરસિંહની પુઠ કરી અથવા આડી આંખ કરી એકઠા ઉભા. શંકરનાં બે માણસોએ ઢગલો પુરો થતાં ઉપાડી લીધો.

સઉની દૃષ્ટિ સુરસિંહ ભણી વળી પોતાનું ભાગ્ય ફરી વળ્યું જોઇ, માણસો દગો દેતાં જોઇ, સુરસિંહ નિરાશ થયો, ક્રોધને વશ થયો, ચારે પાસ નજર ફેરવવા લાગ્યો, હથિયાર છોડનારાં માણસો ઉપર તિરસ્કાર ભરી અાંખો કરી ઓઠ કરડવા લાગ્યો, ઘોડા ઉપર પગ અને ઝંઘા અફાળવા લાગ્યો, પ્રતાપને અાંખ વડે શોધવા લાગ્યો, શોધતાં શોધતાં “જીવતો ર્‌હે તો આનું વેર લેજે” એમ તેને મનમાં ક્‌હેવા લાગ્યો, પોતાના પક્ષમાં ર્‌હેલા એક જ માણસ પુત્ર વાઘજીને જોઇ સંતોષ અને શૌર્ય ધરવા લાગ્યો, હથિયારપર હાથ મુકવા લાગ્યો, પોતાનો નાશ નિશ્ચિત જોવા લાગ્યો, છતાં એ નાશપ્રસંગે શૌર્યની કીર્તિનો પ્રસંગ ખડો થતો જોઈ ઉત્સાહી થવા લાગ્યો, અને અંતે ઘોડા પર ઉંચો થઇ, ઘોડાને ઉંચો કરી, ભ્રમર ચ્હડાવી, આંખો રાતી અંગારા જેવી કરી, સાથે સ્વાર થયેલા સ્વાર વાઘજીનો ખભો થાબડી શંકરના સામે તીવ્ર કટાક્ષ ફેંકી, પોતાનો ઘોડો ફેરવે છે, પાછળ હર ભમને જુવે છે, હરભમે ગઇ કાલ આપેલો પ્રહાર સાંભરતાં તેના ભણીથી બીજી પાસ ફરે છે, ઘોડાનો વેગ વધારી મુકી તેને ચોપાસે ચક્રાકારે દોડાવે છે, હાથમાંની તરવાર ચારે પાસં વીંઝી મુકી સ્વારની – શસ્ત્રધારીની – પટો ખેલનારની –ક ળાઓની સીમ આણી મુકે છે, તે જોઇ તેના પક્ષનાં હથિયાર છોડનાર માણસો શરમાય છે, પસ્તાય છે, હથિયાર નિરર્થક શોધે છે અને પાછાં ખસે છે. પ્રતિપક્ષિયો સજડ થઇ જાય છે, જોઇ ર્‌હેછે, અને એના ઘેડાને અવકાશ આપવા મ્હોટું કુંડાળું ખાલી ર્‌હેવા દેછે. સુરસિંહે શૌર્યની – વીરકળાની – સીમા દેખાડી એના દેખાવે સઉને મ્હાત કર્યા. એની છાતીમાં, એના માથામાં લોહી ઉકળી આવ્યું, દોડવા લાગ્યું, ચ્હડી આવ્યું, પાસે ઉભેલા વાઘજીએ શૂર પિતાનું શૌર્ય વધારવા ચારણકૃત્ય કર્યું. “સાબાશ, સાબાશ, બાપા, સાબાશ ! સાબાશ ! ધ્રુજે ધરતી ! ધ્રુજે વેરી ! ફતેહ ! ફતેહ ! રાખો રજપુતરો રંગ !” “રંગ ” શબ્દ પુરો થતાં જ, ફરતાં ફરતાં શંકર સામો દીઠો ત્યાં “દગલબાજ !” એ શબ્દ ગર્જી, ઘોડો કુદાવી, શંકરની નજર ચુકાવી, તેના ઘોડા ઉપર આકાશમાં ઘોડો કુદાવી, શંકરની છાતી ભણી તરવાર ધસાવી, સુરસિંહે એવો ધસારો કર્યો કે આંખના પલકારામાં એનો ઘોડો શંકરના ઘોડાના માથા ઉપર ઉંચેથી પડ્યો, શંકરનો ઘોડો દબાઈ ગયો – બેસી ગયો, ઘોડાના માથા ઉપર ઘોડો અને તેના ઉપર ઉંચે કુદેલો સુરસિંહ મહાન ગજરાજના કુંભસ્થળ ઉપર ચ્હડી હોદ્દામાં બેઠેલા શીકારી સામે પંઝો ઉપાડતાં વિકરાળ સિંહ જેવો દેખાયો. પગના ઢીંચણ સુધી પ્હોંચતા લાંબા કરેલા હાથની હાથેલીમાંથી ફુંફવાડા મારતા નાગની પેઠે ધસતી સિદ્ધી બેધારી તરવાર જોતા જોતામાં શંકરના શરીરને વીંધી આરપાર ગઈ હોય એમ દેખાઇ, સઉયે જાણ્યું કે શંકરનું થઇ ચુક્યું ! ખરું જોતાં તો જેવી સામા સુરસિંહના જમણા હાથમાંથી તરવાર ધસી કે સુરસિંહની કળાના ભેમિયા કળાવાન્ શૂર બ્રાહ્મણે ડાબો હાથ પ્હોળો કરી શરીર ખસેડી દીધું અને તરવારને પોતાના હાથ અને શરીર વચ્ચેની ખાલી જગામાં ખુંપી જવા દીધી, ખુંપી ગઇ કે હાથ ડાબી દીધો અને પોતાના જમણા હાથમાંની તરવારથી બળવાન ઘા કરી સુરસિંહનો જમણો હાથ કાપી નાંખ્યો. ઝાડપર કુહાડો પડતાં ડાળું ત્રુટી પડે તેમ બ્હારવટિયાના પ્રચંડ શરીરમાંથી કપાયેલો હાથ છુટો પડ્યો, તેના મૂળ આગળ કુત્સિત માંસનો લોચો ધસી આગળ આવ્યો અને રુધિરની ધારાઓ કપાયેલી નસોમાંથી ફુવારા પેઠે ફુટવા લાગી. પળવારમાં સુરસિંહનું શરીર, એનાં વસ્ત્ર, અને એનો ઘેાડો લોહીલુહાણ થઇ ગયાં. શંકરની તરવાર સુરસિંહ પર પડતા પ્હેલાં શકરાબાજ પેઠે તાકી રહેલા વાઘજીએ ત્રાપ મારી શંકર ઉપર તરવારનો ઘા કર્યો, બાજુએ ઉભેલા હરભમે એ તરવાર શંકર ઉપર પડતાં પ્હેલાં નીચેથી પોતાની તરવાર ઉંચી કરી તે ઉપર વાઘજીની તરવાર ઝીલી. બે તરવારો અત્યંત બળથી એકબીજા સાથે અફળાતાં મ્હોટો કડાકો થયો અને વાઘજીની તરવાર એના હાથમાંથી છુટી પડી આકાશમાં સઉનાં માથાં ઉપર ઉડી. ઉંચુ જોઇ, આઘાં ખસી જઇ, સઉએ એને જમીન ઉપર પડવા દીધી, અને એક જણે ઉચકી લીધી. ઘવાયલો સુરસિંહ ઘોડા ઉપરથી ગરબડી પડ્યો. તરવાર વિનાના પણ વાઘ જેવા વાઘજીએ પોતાનો ઘોડો સઉના માથા ઉપર કુદાવ્યો અને સઉને આશ્ચર્યમાં નાંખી એનો ઘોડો, હનુમાને સમુદ્ર ઓળંગ્યો હતો તેમ, સઉને ઓળંગી આકાશમાર્ગે પેલી પાર ઉઘાડી જગામાં પડ્યો, અને પડતામાં સજજ થઇ એટલો તો વેગથી દોડ્યો કે સર્વની દૃષ્ટિનો તિરસ્કાર કરી કેઇ દિશામાં ગયો એટલું પણ માલુમ ન પડે એવી રીતે પોતાના સ્વાર સાથે અદૃશ્ય થઇ ગયો.

આશ્ચર્ય પામતું સર્વ મંડળ જોઇ રહ્યું. ઘવાયલા મૂર્છા પામેલા સુરસિંહને શંકરનાં માણસો ફાળિયાંમાં બાંધી જીવતો કેદ કરી એને અને એનાં શરણ થયેલાં માણસોને સુવર્ણપુરની દિશામાં લઇ ગયાં, અને “ખમા મહારાણા ભૂપસિંહને” એ ગર્જના ચારે પાસનાં ગામડાંમાં સંભળાવતાં ઉત્સાહમાં ચાલ્યાં ગયાં. વિદ્યાચતુરનાં માણસો અને શંકર સુરસિંહ અને વાઘજીના પરાક્રમની સ્તુતિ કરતાં કરતાં કુમુદના રથ ભણી હર્ષભેર ઉતાવળે પગલે ચાલ્યા અને બુમો મારવા લાગ્યા: “ફતેહ ! ફતેહ !”