સરસ્વતીચંદ્ર ભાગ ૩/મલ્લરાજની ચિન્તાઓ.

વિકિસ્રોતમાંથી
←  મલ્લરાજ અને તેનાં રત્ન. સરસ્વતીચંદ્ર ભાગ ૩
મલ્લરાજની ચિન્તાઓ.
ગોવર્ધનરામ ત્રિપાઠી
મલ્લરાજનો મણિ અને તેના રાજસંસ્કારનાં બીજ. →


પ્રકરણ ૯.

મલ્લરાજની ચિન્તાઓ.

“Yet once more, in justice to this paragon of Heathen excellence, let us remember that Aurelius represents the decrepitude of this era, He is hopeless because the age is hopeless. He cannot rise beyond the sphere of ideas around him. The Heathen world looked for on renovation of a society which was visibly perishing before its face."

“* *And now when the popular notion of its degeneration was realized, it accepted its apparent destiny without a murmur.”– Merivale.

ઈંગ્રેજની સામે વાપરવાનું બળ દેશી રજવાડાઓમાં ખપાવી ન દેવું અને જે રજવાડાઓમાંથી આશ્રય ન મળે તેની સાથે વિરોધ ન શોધવો એવી ઉપરીઓની સૂચના હોવાથી સુભાજીરાવની સેનાએ સામંતને ઘણો શ્રમ ન આપ્યો. સુભાજીરાવ અને કેશવશાસ્ત્રીને જ દરબારમાં આમંત્રણ થયેલું તે ગયા એટલે તેમના રત્નનગરી આવેલા સાથીયો રાત્રે નગરચર્ચા જોવા નીકળી પડ્યા અને સામંતની સેનાની બાતમી મળતાં સુભાજીને શો ઉત્તર મળશે તેની કલ્પના થઈ. બેમાંથી એક જણ ઉતારે આવ્યો અને એક જણ પોતાની સેનાના સ્થાન ભણી દોડ્યો અને સમાચાર કહ્યા. સામંતની સેના રાત્રિયે ધસારો કરી ચાલી તેનાં ચિન્હથી જ સુભાજીરાવની સેના પરહદમાં નીકળી ગઈ. નીકળતાં નીકળતાં સામંતના દારૂગોળાનો કાંઈક માર પડ્યો તે ખમી ગઈ અને પાછળ પડેલાં થોડાંક માણસ સામંતના હાથમાં આવ્યાં તેને બચાવવાનો પ્રયત્ન ન કર્યો. સુભાજી વગેરે ત્રણે જણને રત્નનગરીનાં માણસોની ચોકીએ બીજે માર્ગે થઈ પરહદમાં મુક્યા, અને ત્યાંથી મલ્લરાજ અને જરાશંકરને અનેક ગાળો દેતા દેતા પ્રાતઃકાળે પોતાની સેનાને મળ્યા અને બીજે માર્ગે ચાલી ગયા. તે સઉ ગયાની અને તે પાછા નહી આવે તેની ખાતરી થતાં સામંત પાછો ફર્યો, અને વગર યુદ્ધે હાથમાં આવેલાં માણસ સ્ત્રીતુલ્ય ગણી મલ્લરાજે કેદ પકડાયલા માણસોને પોતાની હદ બહાર ક્‌હાડી મુક્યા.

દીલ્હી ઈંગ્રેજને હાથ પાછું આવ્યું. ભરતીની દિશા બદલાઈ ઈંગ્રેજ જયવંત થયા, મહારાણી વિકટોરિયાનું રાજ્ય થયું અને ભરતખંડમાં નવા રાજ્યની રાજ્યઘોષણા એ રાણીના સ્વહસ્તે લખેલા કોમળ ઉદાર શબ્દોમાં થઈ. મલ્લરાજનો કરેલો વર્તારો ખરો પડ્યો, સર્વ વાતે ખરો પડ્યો. બ્રેવ સાહેબ ઉપરની ચીઠી અને સુભાજીરાવ સામેનું પ્રયાણ એ બે પ્રસંગોથી રત્નનગરીનો અને ઈંગ્રેજ વચ્ચેનો સંબંધ ઘાડો થયો અને રોપેલા કાર્યવૃક્ષને ઈષ્ટ ફળસિદ્ધિ થઈ.

આ ફળસિદ્ધિની વાત ઘણા ઘણા દિવસ સુધી રાજાએ અને પ્રધાને સંભારી રાખી, અને તેથી એકલો આનંદ ન પામતાં એ વાત જયારે નીકળતી ત્યારે મલ્લરાજનું મુખ ગંભીર થઈ જતું. એક વાર પ્રસંગ નીકળતાં તે બોલ્યો: “જરાશંકર, ઈશ્વરે સારી વાતો પણ ધારેલી સિદ્ધ કરી તેમ ખોટી વાતો પણ જે જે ધારી હતી તે સિદ્ધ થતી હોય એમ લાગે છે. મ્હારા પિતાએ ઈંગ્રેજ સાથે પ્રથમ સંધિ કર્યો ત્યારે જ મ્હેં નિર્ણય કર્યો હતો કે રજપુતાઈ રંડવાનો કાળ આવ્યો. નાનાસાહેબના બંડપ્રસંગે જમે અને ઉધાર વિચારી મ્હેં જાતે જ એ સંધિ દૃઢ કર્યો તેમાંની જમે અને ઉધાર બાજુ ખરી પડતી જાય છે અને પડશે. ઈંગ્રેજોનામાં સુગ્રીવજીની સેનાના સારા અને નઠારા સર્વ ગુણ દૈવી અંશ અને વાનર અંશ – સર્વ પ્રકટ થાય છે અને થશે. અને તેને યોગ્ય આપણે વિચાર અને આચાર રાખવા પડશે. બ્રેવ સાહેબ ગુજરી ગયા અને હું રહ્યો. બ્રેવ સાહેબના જેવા ઈંગ્રેજો હવે આ દેશમાં થોડા આવશે. હવે ઈંગ્રેજોને પણ આ દેશમાં શુદ્ધ રાજાઓની સાથે યુદ્ધ નહીં કરવાં પડે પણ ધાડપાડુઓ, બાયલાઓ, વ્યસનીઓ, અને એવાએવાઓની સામે શિક્ષાની તરવાર ઉગામવાને નિમિત્તે યુદ્ધ કરવું પડશે. તેને યુદ્ધ સમજીશ મા. એ તો છોકરાંની રમત - પોલીસની દોડધામ જેવી વાત સમજજે. ઈંગ્રેજોનું તેમ આપણા લોકનું ક્ષત્રિયત્વ આ દેશમાંથી જતું રહેવાનું – તેમના મહાન્ રાજ્યમાં અન્યત્ર યુદ્ધ થશે તેથી તેમની સેનાને અનુભવના દ્વાર મળવાનાં. પણ આપણને તે દ્વાર નહી મળે – આપણે તરવાર આપી નથી, પણ આપી દીધી જ સમજવી. આપણે હવે વૈશ્ય જેવા થઈશું અને પૃથ્વીનું ઉત્પન્ન વધારવામાં આપણું ભાગ્ય સમાપ્ત થશે. તેની સાથે ઈંગ્રેજો બ્હાર ગમે તે હશે પણ આ દેશમાં આવી વૈશ્યવૃત્તિવાળા થઈ જવાના, અને અત્રેથી કમાઈ કરી પોતાને દેશ જઈ ત્યાંના પોતાના બન્ધુઓને પણ પોતાના જેવા કરવાના એ સિદ્ધ. સર્વથા ભાવી આગળ કોઈ બળવાન નથી, પણ હવે દેશકાળ બદલાયા અને નવા યુગનો પવન ઝપાટાબંધ ચોપાસથી વાવા લાગ્યો છે તેમાં શું કરવું, કેવી રીતે વર્તવું, કેવાં બીજ નાંખવાં, ક્યાં નાંખવાં, શું રાખવું, શું પડતું મુકવું, વગેરે સર્વ વાતોનો ગંભીર વિચાર કરવો એ હવે મ્હારું ને ત્હારું કામ.”

જરાશંકર – “મહારાજ, કેવળ સત્ય વાત બોલો છો. આ નવો યુગ પ્રવર્તે છે તેના ઉન્માદમાં એકદમ દાખલ થઈ જવું જેમ ઠીક નથી તેમ પાછલો યુગ હજી વિદ્યમાન હોય તેમ નવા યુગનો પ્રમાદ કરવો પણ યોગ નથી. નવો યુગ નહી સમજે ને પ્રમાદ ધરશે તે અર્જુન પેઠે કાબાઓથી લુંટાશે, નવા યુગના ઉન્માદમાં લીન થશે તે પરીક્ષિતની પેઠે બ્રાહ્મણને ગળે સર્પ વીંટી પાછળથી પસ્તાશે. ક્ષત્રિયોનાં લોખંડનાં શસ્ત્ર ગયાં સમજવાં એ નક્કી, પણ શસ્ત્ર ના ધરવાની પ્રતિજ્ઞા સ્વીકારી શ્રીકૃષ્ણ પરમાત્માએ વગરશસ્ત્રે પાંડવોના ધર્મયુદ્ધમાં ધર્મવિજય પ્રવર્તાવ્યો એ કથામાં આપણા પુરાણ મુનિએ મહાન ઉપદેશનું રહસ્ય મુક્યું છે તે આપના જેવાઓને જ માટે शोक प्रवीन, कछु न करो એ વાક્ય શૂરવીરોને પણ કામ લાગે છે. મહારાજ, મનને અસ્ત કરી ન નાંખો.”

મલ્લરાજ વિચારમાં લીન હતો. તેના ક્ષાત્ર નેત્રોમાંથી અપ્રતિહત જળ-ધારા ચાલતી હતી. તેના દાંત નીચલા ઓઠને અત્યંત બળથી કરડતા હતા ને એ ઓઠમાંથી રુધિર નીકળે એટલું જ બાકી હતું. વામ હસ્તની તર્જની મુછ ઉપર ભાર દેઈ આળોટતી હતી. કપાળે કરચલીયો વળી હતી ને તેની વચ્ચે થઈને પરસેવો ઉભરાતો હતો. જરાશંકરે આ અવસ્થામાંથી તેને જગાડવા ફરી પ્રયત્ન કર્યો. “ મહારાજ !”

આકાશ ભણી નેત્ર કરી, કેડે તરવારની મુઠ ઉપર હાથ ડાબી, વિકરાળ સ્વરૂપ ધારણ કરી, મલ્લરાજ અચીન્ત્યો ઉભો થયો. “બ્રાહ્મણ ! તું સત્ય ક્‌હે છે, પણ હાલ તો સર્વ ક્ષત્રિયોની સુહાગણ રાણી રણભૂમિ ગુજરી ગઈ છે તેને અસહ્ય શોક થઈ ર્‌હેશે ત્યાંસુધી જીવને શાંતિ વળવાની નથી. જા, મ્હારી રજપુતાણીને જઈને ક્‌હે કે હવે ત્હારો રણશૂરો રજપુત મટી ગયો ! – એ વટલાયો.” રાજાનું નેત્ર હજી શૂન્ય આકાશ ભણી હતું.

જરાશંકરે રાણીને તેડવા મોકલ્યું. મેનારાણી, પ્રધાનની લાજ છોડી, ઉઘાડે મુખે, ગભરાતી, હાંફતી, આવી. રાણીનું આ સ્વરૂપ પ્રધાને પ્રથમ જ જોયું. તેની આંખમાં આંસુ આવ્યાં, અને હાથ જોડી, “માતાજી” સંબોધન ઉચ્ચારી, રાણીને રાજાની સર્વ અવસ્થા વિદિત કરી. રાણી રાજાની સ્થિતિ જોતી થોડીક વાર ઉભી – રાજાએ તેના સામી દૃષ્ટિ સરખી ન કરી – અંતે રાણીએ શાંત મનથી કંઈક વિચાર કર્યો. જરાશંકરને દ્વાર વાસી બ્હાર બેસવા આજ્ઞા કરી, અને પોતે રાજાના સામી જઈ ઉભી. ત્હોયે એને રાજાએ જોઈ નહી. રાણીએ રાજાના ખભાઓ પર પોતાના હાથ મુક્યા. ત્હોયે રાજા ચમક્યો નહીં – તો બોલે તો શાનું ? રાણીએ રાજાને કપાળે અને મુખે પોતાનો હાથ ફેરવ્યો અને ફેરવતાં બોલીઃ “મહારાજ ! સ્વામીનાથ !”

રાજાએ રાણીના ભણી જોયું; તેને ખભે પોતે હાથ મુક્યા; “કેમ, રાણી, શું જોઈએ ?”

“મહારાજ પ્રસન્ન હોય તો રાણીને શું જોઈએ ? આપને ખેદ એ રાણીનું સર્વસ્વ ગયા જેવો પ્રસંગ ”

“જરાશંકર ક્યાં ?”

“આપના મનની અવસ્થાનો ખેદ કરતાં પ્રધાનજી બ્હાર બેઠા છે.”

“તમે ક્યારનાં આવ્યાં ?”

"હું ક્યારની એ આવી હઉં પણ મહારાજે મ્હારા ઉપર દૃષ્ટિ કરી ત્યાર પ્હેલાંનું આવ્યું નકામું. મહારાજ, આપ જેવાને શાનો ખેદ થયો ? ”

“તે પુછવાનો તમારો અધિકાર ?”

“આપના આનંદમાં અધિકાર મને આપો ત્યારે મને મળે, પણ આપના દુઃખમાં તો વગર આપ્યો અધિકાર ભોગવું છું. મહારાજ, આપનાં દુઃખમાં ભાગ લેવાનો અધિકાર એ તો મ્હારો પલ્લાનો લેખ. તે રદ કરવા આપને અધિકાર નથી.”

આ ઉત્તરથી રાજા પ્રસન્ન થયો, અને પ્રસન્ન મુખે આસન ઉપર બેઠો અને રાણીને અંકઉપર આસન આપી તેને ક્‌હેવા લાગ્યો.

“લે હવે મ્હારો ખેદ ગયો એટલે ત્હારો અધિકાર પણ ગયો કે નહી ?"

“આપની પ્રીતિ એવી છે કે આટલાથી છેતરાઈ અધિકાર ખોઉં એમ નથી.”

“સાંભળ ત્યારે, મને કંઈ કારણથી અત્યંત ખેદ થયો હતો તેનો ઉપાય જડ્યો એટલે ખેદ ગયો, જરાશંકર અને સામંતને બોલાવી તેમની સાથે મંત્ર કરીશ ત્યારે હું પુરો સ્વસ્થ થઈશ. સ્વસ્થ થયા પછી રાત્રિયે મેનારાણીના રાજ્યમાં હું બંધનને પ્રાપ્ત થઈશ ત્યારે અથથી ઈતિ સર્વ વાત કહીશ. અત્યારે અધુરી ક્‌હેવી પડશે, મોલ, બેમાંથી તને રુચે તે માર્ગ લેઉં.”

“મહારાજ, અમારો અધિકાર તે તે ધર્મની ગાય લેવાનો, અને એવી ગાયને દાંત હોય નહીં. આપે સ્ત્રીને કાળ રાત્રિ કરી આપ્યો તો તે કાળે હું અધિકાર વાપરીશ - મહારાજ, તે પ્રસંગે વચન પાળવામાં ન્યૂનતા ન રાખશો.”

“બહુ સારું.” રાણી ગઈ, રાજા તેની પાછળ એક દૃષ્ટે જોઈ રહ્યો, તે અદૃષ્ટ થઈ એટલે જરાશંકરને બોલાવ્યો. બારણે સામંત આવ્યો હતો તેને પણ અંતર્‌ બોલાવ્યો.

“સામંત, તું જોઈતો હતો તેવો તું આવ્યો.”

“મહારાજની શુદ્ધ કૃપાનું ફળ, કે મનમાં સેવકને સ્મરો કે સેવક આકર્ષાય.” સામંતે ઉત્તર આપ્યો.

“સામંત, પણ ક્‌હે તું અત્યારે ક્યાંથી ?”

“મહારાજના મનની કાંઈક અવકળા જાણી આવ્યો.”

“ઠીક કર્યું, – જરાશંકર, તું બારણે કેમ જતો રહ્યો ! રાણીએ ક્‌હાડી મુક્યો ?”

“ક્ષમા કરો, મહારાજ, એ બોલ ન ક્‌હેશો ” – જરાશંકર કાને હાથ દઈ બોલ્યો : “મહારાજના મનનું ઔષધ કરવા હું અસમર્થ નીવડ્યો, ત્યારે રાણીજીને મ્હેં જ બોલાવ્યાં.”

“તે ત્હારા કરતાં એની શક્તિ વધારે છે ?” મલ્લરાજે હસીને પુછયું. “મહારાજ, કહ્યું વધારે કે નીવડ્યું વધારે ? હું હાર્યો અને રાણીજીએ પ્રસન્ન કરી પાછા અમારી પાસે આપને મોકલ્યા તે આપની પ્રસન્નતા અમે ભોગવીયે છીયે તે રાણીજીની જ અમારા ઉપર કૃપા."

“ત્યારે રાણીનો પ્રતાપ તારા કરતાં વધારે ?”

“મહારાજ, સ્વસ્થાને સર્વનો પ્રતાપ વધારે - દિવસે સૂર્યનો, શુક્લપક્ષની રાત્રે ચંદ્રનો, ને કૃષ્ણપક્ષની રાત્રે તારાઓનો. દશરથનો અધિકાર એ કે તેના શબ્દ સાચવવા રામ વન ગયા. પણ દશરથ, કૌશલ્યા, લક્ષ્મણ, ને સીતા તે સર્વેએ ઈચ્છ્યું કે અમને તમારી સાથે વનમાં લઈ જાવ. પણ સર્વ ધર્મ જાણનાર શ્રી રામચંદ્રજી - તેમણે કેવો વિવેક કર્યો તે જુવો. કૌશલ્યાજીને સાફ ના કહી કે ત્હારો અધિકાર પિતા પાસે ર્‌હેવાનો છે - આજ્ઞા કરી કૌશલ્યાને દશરથ પાસે રાખ્યાં – ધર્મકાર્યે પુત્ર માતાને આજ્ઞા કરી શકે. માતાની સ્ત્રીબુદ્ધિ થાય ત્યારે પુરુષબુદ્ધિવાળો પુત્ર ધર્મ સાચવવા માને જ આજ્ઞા કરે – તેવા સમયો અર્થે જ શાસ્ત્રવચન છે કે न स्त्री स्वातंत्र्यमहंति॥ દશરથ પિતા તેમણે પોતાની પાછળ આવવા માંડ્યું: પિતાને આજ્ઞા કરી નિષેધ કરવાને પુત્રને અધિકાર નહીં તે ન વાપર્યો; પિતાની યોગ્ય આજ્ઞા જાણતાં પોતે વન જવા નીકળ્યા, પણ પોતાની પાછળ પિતા આવે તે પિતાના રાજધર્મના ભંગનું સાધક થાય, માટે એ વાતમાં પિતાની ઈચ્છાને પોતે અનુસર્યા નહીં; પણ રતોવાઈ ગુપ્તપણે પિતા નિદ્રાવશ હતા તે કાળે પોતે ચાલી ગયા. ગુરૂજનોની આજ્ઞા પાળવા ન પાળવાનો આ વિવેક. લક્ષ્મણજી ભક્ત હતા, તેમને સાથે ન આવવા સમજાવ્યા, પણ આગ્રહ કર્યો ત્યારે કહ્યું કે તમે આવવા સ્વતંત્ર છો. સીતાજીને ઘેર ર્‌હેવાનો લાભ બતાવ્યો ને વનવાસનાં દુ:ખ બતાવ્યાં. પણ સ્ત્રીને પતિના દુ:ખમાં, બળ કરી, ક્રોધ કરી, ગમે તેમ કરી, ભાગ લેવા અધિકાર છે ને! પતિનો ધર્મ છે કે તે અધિકારમાં વચ્ચે ન પડવું. વનમાં જવા સીતાએ રામ ઉપર ક્રોધ કરી રામની રજા મેળવી છે, અને શ્રીરામચંદ્રે નથી પુછ્યું દશરથને કે નથી પુછ્યું કૌશલ્યાને, અને કોઈને પુછ્યા વગર સીતાની આ ઈચ્છાને પોતે વશ થયા. આવી વાતોમાં સ્ત્રીનું સ્વાતન્ત્ર્ય અને સ્ત્રીનો અધિકાર બલિષ્ટ છે અને તે અધિકારમાં ન્યૂનતા કરવા પોતાની ઈચ્છાથી કે પોતાનાં માતાપિતાની ઈચ્છાથી પણ પતિને અધિકાર મળતો નથી તેનું આ દૃષ્ટાંત. પતિનું દુ:ખ તે પત્નીના દુઃખની પરાકાષ્ટા છે ને તેમાંથી પતિને મુક્ત કરનારી ધર્મપત્નીનો અધિકાર અપ્રતિહત છે; તો મહારાજ, મહાપતિત્રતા એવાં જે રાણીજી તે આપને પ્રસન્ન કરે તેમના તે અધિકાર કે પ્રભાવમાં હું ન્યૂનતા ઈચ્છું તો નરકનો અધિકાર થાઉં. મહારાજ, એમનો એ અધિકાર અને પ્રભાવ અખંડ અને અચલ હો ને એમની પાસેથી નિત્ય અમારી પાસે આમના આમ પ્રસન્ન થઈ આવતા આપને જોવાનું અમારું સદ્‍ભાગ્ય એવું જ અચલ ર્‌હો.”

મલ્લરાજ પુષ્કળ હસ્યો અને સામંતને ક્‌હેવા લાગ્યોઃ “સામંત, જોઈ આ પ્રધાનની કુશળતા ? મને પ્રસન્ન કરવાનું કામ પ્રધાનનું પોતાનું, તે એણે આમ રાણીને માથે નાંખી દીધું ! ભલે, એ એમ પ્રસન્ન થાઓ; હું હવે મ્હારા મનની વાત ક્‌હેવા ઈચ્છું છું તેમાં પ્રધાનનું કામ છે અને તે કરતાં વિશેષ – સામંત !– ત્હારું કામ છે.”

સામંત – “સેવક સાંભળવા તૈયાર છે.”

“જરાશંકર, બે મોટા કાગળ લાવ, તેમાં એક પર લખશે સામંત, અને એક પર લખ તું:” મલ્લરાજે કહ્યું. બે જણે કાગળ લીધા, ને રાજાએ લખાવવા માંડ્યું.

“લખો મ્હારા રાજ્યનાં બે અંગ – એક કારભારીઓ ને બીજું ભાઈઓનું. ” લખાયું.

“લખો. રાજા અને ભાઈઓ તે એક, અને કારભારીઓએ સરત રાખવું કે ભાઈઓમાંથી કોઈ ગમે ત્યારે રાજા થાય પણ કોણ થશે તેની ખબર પડે નહી, માટે બધા ભાઈઓને રાજા થવા જેવા કરી રાખવા કે અભિષેકકાળે આંધળાને આંખવાળો ન ગણવો પડે. લખો.”

જરાશંકર – “લખ્યું, મહારાજ, અતિ ઉત્તમ લેખ લખાવ્યો.”

મલ્લ૦ –“વચ્ચે બોલશો નહી. છાનામાના લખો. આ ભાઈઓએ એમ ગણવું કે રાજય ગાદીવાળાનું છે તે માંહ્મમાંહ્ય તેની સાથે લ્હડશું તો ત્રીજો ઈંગ્રેજ આંગળી ખુંપાવશે, ને આજ રાજાનો વારો આવશે તો કાલ રાજા બને કે ન બન્યે આપણો વારો આવશે, ને રાજ્યમાં હશે તે કુવેથી હવાડે આવશે – માટે કુવાનું ઓછું ન કરવું, ને રાજ્ય બ્હારના વાઘના પેટમાં જશે તો તે કોઈને ભાગ્યે નહીં આવે.” રાજા સામંત સામું જોઈ રહ્યો. “ મહારાજ યથાર્થ ક્‌હો છો.” સામંત બોલ્યો.

મલ્લરાજ – “હા, કહું છું તો ખરું. પણ એ ખરું કહેલું ભાઈઓના પેટમાં ખરું નહીં વસે અને રાજાઓને અને ભાયાતોને લ્હડવાનો વારો બીજાં રાજ્યમાં આવે છે તેમ આપણામાંયે આવશે, એમ મને શંકા ર્‌હે છે, આજ સુધીના રજવાડાઓ જુદા હતા, હવે જુદા થશે. જો, રાજ્‌ય એકનું એક ર્‌હેવાનું ને તે રાજાએ જાળવવાનું અને ભાયાતો અનેક ને દિવસે દિવસે વધવાના. આજ સુધી વધારે ગ્રાસ આપવો પડે તો રાજાઓ અને ભાયાતોનાં શસ્ત્ર નવી ભૂમિ પેદા કરતાં ને તેમાંથી ભાયાતોને ગ્રાસ જતો. તમે બે જણ આ બધા બોલ લખતા જાવ - હવે તો ભૂમિ હશે તેટલી ને તેટલી ને ભાઈઓ વધશે એટલે રાજ્યને ઘેર ખોટ પડશે ને રાજ્ય ન્હાનાં થઈ જશેઃ આ રાજા અને ભાઈઓના વિરોધનું પ્રથમ મૂળ. ભાઈઓને શસ્ત્ર વડે લ્હડવાનું ગયું એટલે જીભે કે લેખણે લ્હડશે, એ લ્હડતાં જાતે નહી આવડે એટલે કાયસ્થો અને મુત્સદ્દીઓ કમાશે અને આખરે ઈંગ્રેજો ન્યાયાધીશ થશે – તેની ખુશામત, તેને લાંચ, તે ગાળો દે તે વેઠવાની, તે લ્હડાવે તે પ્રમાણે લ્હડવાનું, વગેરે હલકટ વૈશ્યકળાઓમાં અને વૈશ્યયુદ્ધોમાં સર્વ ક્ષત્રિયો - કાં રાજાઓ અને કાં ભાઈઓ – ખુવાર થશે અને ખુવાર કરશે અને પરાયાંનાં પેટ ભરી તેમના ગુલામ થશે. લખો બે જણા કે મ્હારા રાજ્યમાં એ ન જોઈએ.”

“ક્ષત્રિયો વૈશ્ય જેવા કેમ થશે તે કહ્યું. હવે લખો કે રજવાડાઓના રાજાઓ બ્રાહ્મણો જેવા થઈ જશે. તેમને ઘર ઢોર વ્હાલાં થશે, તેમને જીવવું વ્હાલું થશે, તેમને મરવું અળખામણું થશે, તેઓ જરાજરામાં ડરશે, તેમને વ્યવહાર નહીં આવડે, ને બ્રાહ્મણો ભાંગ પીયે તેમ રજપુતો બીજાં વ્યસન કરશે. લખો - એ મ્હારા રાજયમાં ન જોઈએ. શસ્ત્રની પ્રીતિ મટી એટલે આ થવું નક્કી. એ પણ લખો.”

“ક્ષત્રિય પુરુષો સ્ત્રીયો જેવા થશે, તે લખો. 'હાય ! હાય ! પુત્ર કેમ ન થયો ?' તેની તેમને ચિંતા પેસશે. બ્હાર યુદ્ધ કરવાનાં મટ્યાં અને જોવા સાંભળવા મટ્યાં એટલે ઘરમાં પોતાની સ્ત્રીયોનાં યુદ્ધ જોશે, ઝાઝી સ્ત્રીયો પરણી તેમાં એકને વ્હાલી ને બીજીને અળખામણી કરશે, વ્હાલી સ્ત્રીયોનો પક્ષ કરી તેની સખી જેવા થઈ બીજી સ્ત્રીયો સાથે તેની સાસુ જેવા થઈ લ્હડશે. માજી રાજાઓની અને ભાઈઓની સ્ત્રીયોને સ્ત્રીયોપેઠે કનડશે, સ્ત્રીયોમાં મગ્ન થઈ પોતે સ્ત્રીરૂપ થશે, અને ઘરમાં, ઘરબ્હાર, અને અનેકધા રાજાઓ સુદ્ધાંત રજપુતો સ્ત્રીની કળાઓ આચરશે અને પુરૂષો બીજા થશે – બ્હારનાં માણસો અને હલકા નોકરો તેમના પુરૂષો થશે. લખો.”

સામંતની કલમ અટકી, તેની આંખમાંથી આંસુધારા ચાલી. “મહારાજ, હવે મ્હારો જીવ ગભરાયો – મને તમારો વર્તારો ખરો લાગે છે – ચારે પાસના રાજ્યમાં આ થતું જોઈએ છીએ – મહારાજ, હવે તો –”

મલ્લરાજ – “હે મૂર્ખ, એટલામાં સ્ત્રી જેવો થઈ ગયો?”

જરાશંકર–“સામંતસિંહ, જાદવાસ્થળી જાતે જોઈને પછી કૃષ્ણ સ્વધામ ગયા છે – ક્ષત્રિયો લ્હડવાનું તો ગયું – પણ આવો સમય જોઈ ધૈર્ય રાખી, બને તે ઉપાય યોજવા એ ધર્મ સર્વ પુરુષોનો છે તે ક્ષત્રિયોનો હોય એમાં શી નવાઈ? શિવશક્તિનો રચેલો પ્રલયકાલ પુરો થયો તે જોઈ પછી નારાયણ પ્હોડ્યા છે.”

મલ્લરાજે જરાશંકરનો ખભો થાબડ્યો: “શાબાશ, મ્હારા પ્રધાન! સામંત, આ ત્હેં અને જરાશંકરે કહ્યું તે પણ ભેગેભેગું લખ અને રોવું છોડી પુરુષાતન બતાવી હું લખાવું તે પણ લખ.”

સામંત – “ જેવી આજ્ઞા.” લખવા માંડ્યું.

મલ્લરાજ – “ક્ષત્રિયો શૂદ્ર જેવા થશે – તેમને લખતાં વાંચતાં નહી આવડે ને હલકા ધંધા કરશે, હલકાં કર્મ વ્યભિચાર આદિ સર્વ કરશે, પરજાતિની ખુશામત કરશે, હલકા કપટ કરવા શીખશે, ને છાનાં ખુન કરતાં શીખશે.”

“હવે લખ કે ક્ષત્રિયો મલેચ્છ જેવા થશે – મલેચ્છના સર્વ દુષ્ટ વ્યવહાર – દીલ્હી વગેરેમાં જોઈએ છીએ ને સાંભળીયે છીયે તે – પશુદોષ, દુષ્ટતા, ક્રૂરતા આદિ તેમનામાં આવશે - પણ તેમના ગુણ તેમનામાં નહી આવે. લખ, લખ, કે, બ્રાહ્મણ, વૈશ્ય, સ્ત્રી કે શૂદ્ર સર્વેના દોષ તેમનામાં આવશે – ગુણ એકેનો નહી આવે.”

“હવે શું લખ્યું તે, સામંત વાંચી બતાવ.”

સામંતે વાંચ્યું.

જરાશંકર – “મહારાજ, આવો પ્રલયકાળ તો નહી આવે.”

મલ્લરાજ – “તું શું સમજે? આ પ્રલયકાળનો યુગ બીજાં રાજ્યોમાં બેસી ચુક્યો છે – એક રત્નનગરીમાં સત્યયુગ પ્રવર્તે છે.” જરાશંકર – “ને હજી પ્રવર્તશે.”

મલ્લરાજ – “સામંત, પ્રવર્તશે - જો તમે સઉ આશ્રય આપશો ને સઉ પુરુષપ્રયત્ન કરીશું તો તે છેલે સુધી પ્રવર્તશે. તેના ઉપાય બતાવું?”

સામંતે નિઃશ્વાસ મુક્યો. “મહારાજ, સમુદ્રે મર્યાદા મુકવા માંડી ત્યાં માણસ શું કરશે ?”

મલ્લરાજ – “અરે જા ! મ્હારા ભા ! લખ, લખ, હવે લખાવું તે.”

સામંત – “બોલો, મહારાજ !”

મલરાજ – “હવે સઉના ઉપાય કહું છું.”

પ્રથમ. લખ કે યુદ્ધ કરવાનો પ્રસંગ તો નહી આવે, પણ યુદ્ધકળા પૃથ્વી નીચે ઉંડી ખાણમાં રાખી મુકી હશે તો આજ નહીં ને બસે વર્ષે કામ લાગશે, જરાશંકર રામાયણ ને મહાભારતનાં બુદ્ધિરત્ન આજ કામ લગાડે છે; બ્રાહ્મણોએ હજારો વર્ષ ગોખણીયા ગોખી ગોખી રાખેલાં તે આજ તેમાંથી કામે લગાડે છે. આપણા ક્ષત્રિયોએ પણ હવે એ માર્ગ લેવો. માણસ સાથે લ્હડવાનું બંધ થાય તો આપણા જંગલમાં સિંહ વાઘ લ્હડવાને બહુ પડ્યા છે - તેની સાથે લ્હડવું, જીવવું વ્હાલું થઈ ન જાય માટે તેની સાથે લ્હડીને મરવાની ટેવ રાખવી, ને હથીયાર અવનવાં જે થાય તે સચોટ વાપરવાની આવડ રાખવી. આ કામ સારું મ્હારા જંગલનો ભોગવટો મ્હારા ભાઈઓને સોપું છું. ભીલટોળીને કે પરદેશીઓને તેમની અને રાજાની રજા વગર એ જંગલમાં શીકાર કરવાનો નહીં, ઈંગ્રેજો અતિથિ થઈ આવે ને આંખની શરમ પડે તો શીકાર કરે પણ મ્હારા ભાઈઓ કે છોકરાઓ વગર એકલો ન કરે. મ્હારી ગાદીના વારસો આ કામમાં અગ્રેસર ર્‌હે ને માથું વ્હાલું ન કરે. એક રાજા મરે તો બીજો તૈયાર રાખવા જેવા મ્હારા ભાઈઓને રાખવા. મ્હારા ભાઈઓનાં શસ્ત્ર સારાં રાખવાં અને એમને આ કળામાં ભોમીયા રાખવા એ મ્હારા વારસોનું કામ, ને હવે માણસોની લ્હડાઈમાં ચ્હડી મ્હારી નોકરી કરવાનું મટ્યું તેને સટે મ્હારા ભાયાતો, આ નોકરી કરે. પરદેશમાં યુદ્ધકળા શીખવા યુદ્ધ કરવા અથવા જ્યાં માથું કોરે મુકી રજપુતનું કામ કરવું પડે ત્યાં મ્હારા ના વારસે ભાયાતોને મોકલવા ને તેમણે જવું – આ શીકારનાં ઉપરાંત.”

સામંત પ્રસન્ન થયો, “વાહ, મહારાજ વાહ !” જરાશંકરે મુખ બગાડ્યું, “મહારાજ ! રાજાને વારસો સાથે શીકારમાં મોકલવા, અને નકામું મૃગયાવ્યસન પાડવું એ માર્ગમાં મને બહુ અધર્મ અને વિપરીત પરિણામ ભાસે છે –”

મલ્લરાજે ધૈર્ય ખોઈ અટકાવ્યો: “બસ, બસ, બ્રાહ્મણ, એ તું ન સમજે - લખાવું તે લખ ને મ્હારી આજ્ઞા બરોબર પળાય તે જોવું - તને મ્હારી આણ છે. આપણે તકરારો કરવા નથી બેઠા. માત્ર કહું તે લખે ને તે પ્રમાણે કરો.”

જરાશંકર – “જેવી આજ્ઞા.”

મલ્લરાજ - “બીજું. લખ. ભાયાતો અરસપરસ લ્હડે ત્યારે મ્હારા ધર્માધિકારીયો છે જ. પણ તેમને રાજ્યસાથે વાંધો પડે ત્યારે પંચ નીમવા. પંચમાં એક મ્હારો પ્રધાન, બીજો પંચ રાજાના કુંવરો મુકીને પછીથી જે રાજાના વારસ થતા હોય તેમાંથી ઠાવકી ઉંમરનો ભાયાત, ત્રીજો પંચ વાદી કે પ્રતિવાદી ભાયાત જેને નીમે તે ભાયાત - મુત્સદ્દિ નહી, - એ ત્રણ પંચ એક મત થઈને જે ચુકવે તે છેવટનો ન્યાય; ત્યાં તકરારી ભાયાત જાતે કે પોતાના જુના કારભારી સાથે આવે ને સંસ્થાનમાંથી દફતરી આવે. પંચને એકમત થાય નહી તો ફરી પંચ નીમવા, તેમાં પ્રધાન જાતે બેસે કે બીજાને નીમે, અને બીજા દશ વૃદ્ધ ભાયાતોનાં નામ ભાયાતસમસ્ત વધારે મતથી દે તેમાંથી બે જણને રાજ્ય તરફથી કબુલ કરવા ને એ ત્રણ પંચ એકમત થાય કે ન થાય પણ વધારે મતે જે ચુકવે તે ન્યાય. મ્હારા ભાયાતોમાંથી વૈશ્ય યુદ્ધ દૂર રાખવાનો આ શીવાય બીજો માર્ગ નથી.”

ત્રીજું લખો. ભાયાતો ૨ાજ્ય શીવાય કોઈને ત્યાં ગ્રાસની જમીન વેચે કે ગીરવે નહી, અને ધણીધણીયાણી અને દીકરો એમ ત્રણ જણ જેટલી વસ્તીને ખાવા પુરતો ગ્રાસ ર્‌હે નહી ત્યારે તે જમીન દરબાર વેચાતી લે.”

ચેાથું. હવેથી નવા ગ્રાસ આપવા વખત ગ્રાસ લેનારને રાજાની મરજી પડે તેટલી જમીનને ઠેકાણે જમીનની કીંમતથી બેવડા પઈસા આપવા ને તેટલી જમીન રાજ્યમાં રાખી બાકીની જમીન આપવી.

“ જે ગ્રાસીયો રજપુતની કળાઓ ન શીખે અથવા રજપુતાઈ મુકી બીજી વર્ણનો કે સ્ત્રીને આચાર પકડે અથવા ઉપરની સરતો તોડે તેને ભાયાતસમસ્ત પાસે ન્યાય ચુકવાવી તેઓ ઠરાવે તેટલા તેના ગ્રાસના ભાગ ઉપર દરબારી મ્હેસુલ મુકવો – આ ન્યાય ભાયાતો પાસે ચુકવાવવો – રાજા ન ચુકવે. જે ગ્રાસીયા રાજવિદ્યા નહી શીખે તેને પણ આજ શિક્ષા. બાકી જે અપરાધો સટે ગ્રાસ જપ્ત કરવાનો દરબારને અધિકાર છે તે ર્‌હેશે જ.”

છેલું. લખ. આ મરણ પરણના દાવા ને કર દરબાર ભાયાતોના લે છે તે હવેથી માફ; પણ સટે જ્યારે ગાદી પર નવા રાજાને અભિષેક થાય ત્યારથી દરેક ભાયાતના ગ્રાસનો પચાશમો ભાગ રાજાને વર્ષોવર્ષ રૈયત પેઠે મહેસુલ આપવા માંડે. દરેક અભિષેકનો આ નજરાણો. ભાયાતો રાજાઓનાં આયુષ્ય વધારે રાખશે તો તેમનાં નજરાણાં વધશે નહીં. રાજાઓ વ્હેલા ને વધારે મરશે તો નજરાણાં આવી રીતે વ્હેલાં વધશે; આ શીવાય બીજું દરબારનું લાગું નહી.”

“બસ સંપૂર્ણ. જરાશંકર, આ લખેલું મ્હારા દફતરમાં રાખ. એક નકલ તારા દફતરમાં રાખ. અને મ્હારા પછીના રાજાની અને ત્હારા પછીના પ્રધાનની બુદ્ધિમાં તે ઠસાવજે. સામંત, હાલ તો મ્હારે પુત્ર નથી એટલે મ્હારો વારસ તું છે અને ત્હારે પણ પુત્ર નથી તે જે થાય તે ખરું. આ મ્હેં કહ્યું તેમાં બધાંને લાભ છે – માટે સર્વ ગ્રાસીયાઓ પાસે તે કબુલ કરાવ, અને તેમને સઉને ક્‌હેજે કે મલ્લરાજને આ વાતમાં બહુ ચિંતા છે ને યુગ બદલાયો તે પ્રમાણે રાજ્ય અને રજપુતાઈ જાળવવાં હોય તો આ ઉપર સઉ સહી કરો. સઉને ક્‌હેજે કે પુત્રવિનાના મલ્લરાજની જાતને રાજ્યના અને ભાઈઓના લાભ વિના બીજો લાભ આમાં નથી. વળી ક્‌હેજે કે મલ્લરાજના નિ:સ્વાર્થપણા ઉપર તમને કંઈક પણ અવિશ્વાસ આવતો હોય તો આ પત્ર ઉપર તમારી સહી લેવાની સરતે મલ્લરાજ, પોતાનું રાજ્ય છોડવા, અને તે છોડી તમે ક્‌હો તેને રાજ્ય આપવા તૈયાર છે. મલ્લરાજ રાજા મટી ભાયાત થઈ આ સરતોએ ભાયાતપણું કબુલ કરશે ને રજા આપશે તો રાજ્યનો ભાયાત મલ્લરાજ જે કોઈ રાજા થાય તેના રાજ્યના હિત સારુ હજી પણ બીજી સરતો સ્વીકારી પોતાને પુણ્યવાન માનશે. પણ તે ભાયાત થયો નથી ત્યાં સુધી એ સરતોની વાત સરખી કરવી એને છાજતી નથી. જા, સામંત, જા. રાજ્યનું હિત જાળવવા મલ્લરાજ રાજ્ય છોડશે અને સામંતને અથવા હલકામાં હલકા ભાયાતને રાજ્ય સોંપી તેનો ભાયાત થઈ મલ્લરાજ સેવા કરશે. જા, સામંત, જા. એવો કાલ આવશે કે જ્યારે આ કે કોઈ રાજ્યનો રાજા ક્‌હેશે કે હું રાજ્ય છોડું ને બીજાને આપું ત્યારે ઈંગ્રેજ બચ્ચાને નિમિત્ત મળશે ને ક્‌હેશે કે તમે રાજ્ય છોડ્યું તો સ્વતંત્ર છો, પણ છોડીને બીજાને આખી બધી પ્રજાની પ્રજા સોંપવા તમને અધિકાર નથી – માટે એ અધિકાર તો અમારો છે તે તમે જાવ ને બીજાને નહી આપવા દેતાં અમે જ તમારે ઠેકાણે બેસશું. રાજ્યનું દાન કરી દેવાનો કાળ છે ત્યાં સુધી તેમ કરી રાજ્યનું ક૯યાણ મને કરી દેવા દે.”

જરાશંકર – “મહારાજ, છે તેમનું તેમ ચાલવા દ્યો-”

મલ્લરાજ – “બસ, જરાશંકર, બસ. જે વચન મ્હારા મુખમાંથી નીકળ્યું છે તે મ્હારા અધિકારીયોએ આજ્ઞા સમજવી. એમાં મને અત્યંત હાનિ હોય તો તે મ્હેં સ્વીકારી છે ને મ્હારા ભાઈઓને વાસ્તે હું તે ખમીશ. ભાયાતો એથી ઉલટું સમજે તો તેમને વિશ્વાસ આણવા સામા ત્રાજવામાં હું મ્હારું રાજ્ય આપવા તત્પર થાઉં છું. રાજ્યના હિત વાસ્તે રાજ્યનો ત્યાગ કરતાં મને અટકાવવા કોઈને અધિકાર નથી. મ્હારી રાણીને અધિકાર હોય તો તેને તો તે જોઈતું જ નથી. સામંત, જા – અને સર્વ ભાઈઓ જેનું નામ દે તેને પ્રાતઃકાળે મ્હારી કહેલી સરતે આપી દેવા તત્પર છું.”

સામંત – “મહારાજ–”

મલ્લરાજ - “બસ, આ આનંદના અવસરમાં એક પળનું વિઘ્ન ન જોઈએ. જા.”

સામંત – “મહારાજ–”

મલ્લરાજ - “બસ. જા. આજ્ઞા છે.”

સામંત – “મ્હારું સાંભળો નહીં ત્યાં સુધી આ આજ્ઞા પાળવી મુલતવી રાખવી એ આપના ભાયાતોને અધિકાર છે.”

મલ્લરાજને હસવું આવ્યું, “ચાલ, બોલી જા – પણ ટુંકું બોલજે – ભાષણ ન કરીશ.”

સામંત – “મહારાજ, આપના ભાઈઓ વગરસરતે આપની આજ્ઞા પાળે છે અને આપના વાક્યમાં અધર્મ હોય નહી એવી શ્રદ્ધા રાખે છે. છતાં આજ્ઞાથી પળાવવું મુકી દેઈ તેમની સંમતિ માગવી, અને રાજ્ય છોડવાની સરત કરી તેમને આપના વચન ઉપર અવિશ્વાસ થશે એમ જણવવું – આ સર્વ આપના ભાઈઓની રાજભક્તિ ઉપર આરોપ મુકવા જેવું છે. આ આરોપને પાત્ર થવા જેવું તેમણે કંઈ કર્યું નથી, રત્નનગરીના ભાયાતો પોતાના રાજાઓ આપે તે લેતા આવ્યા છે, રાજાઓ માગે તે આપતા આવ્યા છે, અને પરાપૂર્વનો આ આપણો કુળાચાર તોડવાનો આરંભ કરવો અને તે મ્હારે હાથે તોડવાનો તે યોગ્ય નથી. ભાઈઓ મને દુષ્ટ ગણશે. મહારાજ, આપની આજ્ઞામાં અમને આનંદ છે, સંમતિ અને સરતો ક્‌હાડી નાખો.”

મલ્લરાજ – “ સામંત, મ્હારા ભાઈઓ ગઈ કાલે મ્હારા શબ્દ ઉપરથી માથું આપવા તૈયાર થયા હતા, છતાં હું તેમના ઉપર આવો આરોપ મુકું તો મ્હારા જેવો કૃતઘ્ન કોઈ નહીં ક્‌હેવાય. પણ ઘણો વિચાર કરી આ કામ કરું છું તે સાંભળ – લખવાની જરુર નથી - મનમાં સમજજે, રાજ્ય બદલાય ત્યારે સર્વે પ્રજાયે સાવધાન ર્‌હેવું પડે છે, તેમ યુગ બદલાય ત્યારે રાજાએ સાવધાન ર્‌હેવાનું છે. કુળે કુળે કુળાચાર અને યુગે યુગે યુગાચાર, સામંત, ચાતુર્માસમાં વાદળાના અંધકારથી સૂર્ય છવાએલો હોય એવા દિવસ તને લક્ષમાં હશે. તે દિવસે ન સમજાય બપોર અને ન સમજાય સાંઝ, અને અરણ્ય કે રણમાં હઈએ ત્યારે ન સમજાય પૂર્વ કે પશ્ચિમ ! આવે પ્રસંગે ડાહ્યા માણસે પળવાર ઉભાં રહી ચારપાસ આંખ ફેરવવી ને જોવું, કે પૃથ્વીના કયા છેડાપર જુદી જાતનો અંધકાર ઉદય પામે છે ને વધે છે, તે ઉપરથી પૂર્વદિશા અને સંધ્યાકાળ ઉભય સમજવો. તે કાળે નિત્યનો સૂર્ય દૃષ્ટિને જ્ઞાન આપતો નથી. તેમ જ આવા રાજપરિવર્ત અને યુગપરિવર્તને પ્રસંગે કુળાચાર અને યુગાચારથી દૃષ્ટિને જ્ઞાન મળતું નથી, આવે કાળે તો નવા યુગનો અંધકાર અથવા તેજ જે હોય તે કેણી પાસથી આવશે તે સત્વર જાણી લેઈ તે પ્રમાણે માર્ગ લેવાનો વિચાર કરવો, કારણ જો શંકાઓ અને સમાધાન કરવા ઉભો રહ્યો તો એ અંધકારની રેલ જોતાજોતામાં જગતને અને તને છાઈ દેશે અને પછી કોઈ માર્ગ દેખાડવા નહી આવે. ઘડીઘડીમાં જોતાજોતામાં જેમાં ભાગ્યચક્રો બદલાઈ જાય છે તેવા યુદ્ધોના પ્રસંગોના અનુભવવાળા આપણા રાજાઓ અને ક્ષત્રિયોની દૃષ્ટિ આવે સમે તીવ્ર થાય છે અને તેવે કાળે જુના આચારો શોધવા જવું એ તો ઘરમાં ને ગામમાં સર્વત્ર લ્હાય લાગી રહી હોય ત્યારે ઘરમાં પડી રહેલા પણ ચારે પાસ સળગવા માંડેલા બાપદાદાના જુના પેટીપટારા શોધવા જવા જેવું છે. હવે બોલ.”

સામંત –“ભલે મહારાજ, કુલાચારને પડતો મુકો પણ આ આરોપ અને અવિશ્વાસનું કારણ શું ?”

મલ્લરાજ–“ સામંત, સાંભળ. જે વૈશ્યયુદ્ધની રેલ ચારેપાસ આવી રહી છે તે આ ભૂમિમાં ન કરે નારાયણ ને આવે તો તે રેલમાં બુડતાં આપણાં માણસો અને તે નહી તો તેમનાં સંતાન – પેલા દુષ્ટ કર્ણ વાઘેલાના દીવાના દીવાન પેઠે - આ નવી બાદશાહીનું વાદળ આ નગરી ઉપર ઉતારવાનો પ્રયત્ન કરશે, અને જો એવો પ્રયત્ન કરે એવા તેઓ અધમ થશે તો મલ્લરાજની આજ્ઞાને એકપક્ષી અને અન્યાયમય શાસનની ઉપમા આપતાં તેમને ડરાવનાર વસ્તુ કેઈ રહી ? આજ નહી તો કાલ ને કાલ નહી તો પરમ આ નિમિત્તે ઈંગ્રેજને હાથે આપણું ઘર ઉઘાડું થવાનો પ્રસંગ આવશે, અને કરેલાં કામ ન સમજાતાં રાજા અને તેના ભાયાતોની પ્રીતિની કલ્પના કેમ થશે ? એ પ્રીતિ ઉઘાડી રહે અને નવા યુગના જુના યુગના સંગ્રહ કામ લાગે એવું આજથી કરી મુક.”

“સામંત, હું અપુત્ર છું ત્યાંસુધી તું મ્હારો વારસ છે - દેહનો વિશ્વાસ નથી – માટે આ મ્હારા મંત્ર હું તને બતાવું છું. આજ તું ભાયાત છે - કાલ રાજા થાય, રાજાનું રાજ્ય અને ભાયાતોના ગ્રાસ - બેની વચ્ચેનો - બેને જોડનારો- તું મ્હારો બળવાન પુલ છે, ત્હારે ઉભયપદનું સગપણ છે, ઉભયપક્ષનાં લાભહાનિમાં ત્હારે લાભહાનિની આશા છે – માટે આ કામે હું તને જ યોજું છું – બુદ્ધિમાં અને ભક્તિમાં પણ ત્હારા જેવું પાત્ર મને ક્યાં મળશે ? – માટે જ અને પ્રાતઃકાળમાં આવીને ક્‌હે કે આજ્ઞા પ્રમાણે સર્વ વાત થઈ ગઈ.”

સામંત વિચારમાં પડી આજ્ઞા માગી ગયો.

“જરાશંકર, તું ભારે ચિંતામાં પડેલો દેખાય છે.”

“હા, મહારાજ ! આપે મોટું સાહસ કર્યું.”

મલ્લરાજે હસવા માંડ્યું: "રાજ્ય છોડવાનું કહ્યું તે કે દરજીની પેઠે આ બધો મ્હારા ભાયાતોને જામ્યો શીવ્યો તે ?”

“બે વાનાં.” “ હું રાજય છોડું તેની તને શાની ચિંતા ! રજપુતો જોતાજોતામાં યુદ્ધકાળે મરવા તૈયાર થાય, તેમ મહાકાર્યને અર્થે રાજ્ય છોડે; માણસને લક્ષ્મી વ્હાલી કે જીવ ? સઉને જીવ લક્ષ્મી કરતાં વધારે વ્હાલો હોય છે – તે જીવને અમે ગણતા નથી તો લક્ષ્મી તો પગનો જોડો છે.”

જરાશંકર – “શાસ્ત્રમાં કહ્યું છે કે મ્હોટી અને ગુણવાળી વસ્તુનો વિચાર માણસ કરે તેમાં તો શી નવાઈ પણ ન્હાની અને ગુણવગરની વસ્તુનો એ વિચાર પૂર્ણ કરવો, યત્ન કરીને પરિણામ વિચારવો, તે વિચાર પંડિત થઈને કરવો, કારણ ઉતાવળથી કરેલાં દેખીતાં નકામાં કામનો વિપાક એવો થાય છે કે મરણસુધી શલ્ય પેઠે સાલે છે અને હૃદયને નિત્ય બાળી નાંખે છે.”

મલ્લરાજ – “ શ્લોક બોલ, શ્લોક એનો.”

જરાશંકર -

“गुणवदगुणवद्धा कुर्वता कार्यजातम् ।
परिणतिर वधार्या यत्नतः पण्डितेन ॥
अतिरभसकृतानां कर्मणामाविपत्तेर् ।
भवति हृदयदाही शल्यतुल्यो विपाकः ॥"

મલરાજ– “ફરી શ્લોક બોલ.”

જરાશંકર નિ:શ્વાસ મુકી ફરી શ્લોક બોલ્યો.

“મહારાજ, આપે મહાન કુટુંબક્લેશ ઉભો કીધો; મ્હારી સાથે પ્રથમથી જરાક તો મંત્રવિચાર કરવો હતો ?”

મલ્લરાજ નરમ પડી બોલ્યોઃ “જરાશંકર, ખરી વાત છે. ત્હારી સાથે મંત્ર કર્યો હત તો સારું હતું – એ કરવું એ મ્હારો ધર્મ હતો, એમાં ના નહીં. આ કોને શ્લોક છે ?”

જરાશંકર– “મહા અનુભવી મહારાજ ભર્તૃહરિનો.”

મલ્લરાજ– “રાજાનું કહ્યું રાજાએ કબુલ રાખ્યું. થયું તે થયું. ગઈ વસ્તુનો મલ્લરાજ શોક કરતો નથી. પણ એ શીવાય બીજું ખોટું મ્હેં શું કર્યું તે ક્‌હે.”

જરાશંકર– “આ કામ સીધેસીધું પાર ઉતરે તો એમાં રાજ્યનું કલ્યાણ છે તેની હું ના નથી ક્‌હેતો. પણ શત્રુના કીલ્લાનો દરવાજો તોડી પાડવો હોય ત્યારે દરવાજાની અને તેને તોડનાર હસ્તીના કુંભસ્થળની વચ્ચે ઉંટ રાખવું જોઈએ કે અતુલ બળ અને અનેક લક્ષ્મીના સ્થળરૂપ કુંભસ્થળમાં દરવાજામાં ધારવાળા ખીલા પેસી ન જાય અને ઉંટના નાશથી જે કામ થાય તેમાં હસ્તીનું બળિદાન આપવું ન પડે."

મલ્લરાજ – “ એ દૃષ્ટાંત કાંઈ લાગતું નથી.”

જરાશંકર – “હસ્તી તે આપ અને ઉંટ તે આપનો પ્રધાન. મહારાજ, પારકા રાજાઓ સાથે તેમાં પોતાનાં રાજ્યમાં અનેક પ્રસંગો એવા આવે છે કે તેમાં કાર્યસિદ્ધિને અર્થે શત્રુના તેમ પ્રજાના શાપ અને પ્રહાર કોઈએ તો ખમવા જ જોઈએ, રાજ-હસ્તીનો દેહ આ શાપ અને પ્રહાર ખમવા જયાં ત્યાં આગળ ધરવો એ અનર્થ નીતિવિદ્ધ છે. *[૧] એ દેહ તો અત્યંત ગૌરવના કોઈ વિરલ પ્રસંગના વાસ્તે રત્ન પેઠે રક્ષણ કરી રાખી મુકવો જોઈએ અને આવા ઘડી ઘડી આવતા પ્રસંગોમાં તો આ પ્રહારો અને શાપોની વૃષ્ટિ વચ્ચે મ્હારા જેવાં ઉંટને જ ધક્કેલી દેવાં જોઈએ કે એક ગયું તો બીજું સંપાડાય. પ્રધાન એ રાજાની ઢાલ છે, કવચ છે, અને રાજાના ઉપર પડવાના પ્રહાર પોતાના અંગ પર જે પ્રધાન ઝીલતો નથી તે પ્રધાન રાજાનો અને રાજ્યનો અધર્મી શત્રુ છે. આપ જ ક્‌હેતા હતા કે વીલાયતમાં પણ 'રાજા પાપ કરતો નથી.'[૨] એવો સંપ્રદાય બ્રેવ સાહેબે આપને સમજાવેલો હતો. રાજાને હાથે તો યશનાં કાર્ય જ સોંપવા – તે સર્વને


  1. *The personalities of the present ministers are so insignificant, the covering shield they present is so transparent, that the monarch himself always shines through them. It appears to me dangerous for the future of the monarchical idea for a ruler, even with the best intentions, to show himself too frequently in public without a decent ministerial covering. Because this danger seems to me imminent and a fight with men of straw has no charms for me, I say, like Chamisse when the French were in Germany,
    “The situation has no sword for me."
    – BISMARCK.
  2. “The King commits no sin.”
માન આપે, કીર્તિ આપે, દ્રવ્ય આપે, અને તેના બદલામાં, સર્વની

પ્રીતિ લે. વીલાયતમાં શિક્ષા કરે ન્યાયાધીશ, પણ રાણીને કોઈનો વાંકો વાળ કરવા અધિકાર નથી, તે તો માત્ર ક્ષમા કરે : અપરાધીને ન્યાયાધીશ શિક્ષા કરે તે શિક્ષા રાણી સ્વીકારે - રદ ન કરે - પણ પોતાની કૃપાના સાગરની લ્હેરવડે શાંત કરે. રાજાને જે કાંઈ વિપરીત કહેવું હોય તે પ્રધાનના કાનમાં ક્‌હે તે જગત જાણે નહીં ને જગત દે તે ગાળો ખાવાને સમર્થ હોય તે પ્રધાન, આમ કાનમાં આવે તે મંત્ર, અને તે મંત્રનો મંત્રી રાજાની જ આપેલી શક્તિ*[૧] રાજાની જ ઈચ્છા પ્રમાણે જગતમાં વાપરતાં સામા પ્રહાર સહે; અને રાજા આવા કામમાં શું કરે છે, શું ધારે છે, અને એનું બીચારાનું કાંઈ ચાલે છે કે નહી એ સર્વ વાતમાં સામાવાળાઓ તેમ પ્રજા કાંઈ કલ્પના જ ન કરી શકે ત્યારે સર્વેની રાજા ઉપરની પ્રીતિની ધારા નિત્ય નિરંતર વહ્યાં કરે તો જ રાજ્યનું રાજ–અંગ અખંડિત રહે. મહારાજ, આપનું જ મને ક્‌હેલું વચન હતું કે રાજ્યના દેશકાળની એકતા વંશપરંપરા દ્વારા એક ભાવે ર્‌હેનાર રાજા રાખે છે. આ સત્યવાક્ય મ્હારા અંતર્માં જડેલું છે. મહારાજ, આ ક્રમે અખંડ રાખવા જેવો રાજવૃક્ષ તેને નિરંતર લોક-પ્રીતિના પાન શીવાય બીજો પદાર્થ કુપથ્ય છે, અને તે વૃક્ષ ઉપર અકાળે ન્હાના મ્હોટા કુહાડાના પ્રહારો થવા દઈ વૃક્ષને કુત્સિત કરવું અયોગ્ય છે, માટે જ રાજાઓની જોડે પ્રધાનનો ખપ; અને તેથી જ જે રાજાઓ જાતે પ્રધાન થાય છે તે રાજ–અંગનું અંગત્વ હીન કરે છે. અનેક પ્રાણીયોના આશ્રયરૂપ રાજવૃક્ષને તો મહાન પવનના ઝપાટા શીવાય બીજાની સાથે યુદ્ધ જોઈએ જ નહીં. મહારાજ, આ ભાયાતોની સાથે આથડી મરવાનાં કામમાં આ મ્હારા ક્ષુદ્ર શરીરનો ઉપયોગ આપને કેમ ન સુઝ્યો ? અને આ કાર્યમાં રત્નનગરીના રાજ-અંગને આગળ કેમ ધકેલ્યું ?”

મલ્લરાજ આ સર્વ ભાષણ ઉત્સાહ, પ્રીતિ અને આનંદથી સાંભળ્યાં કરતો હતો - એની પ્રીતિ આજ જરાશંકર ઉપર સોગણી વધી.

“મ્હારી રત્નનગરીના પ્રધાનરત્ન ! ત્હારું બોલવું ઉત્તમ છે - સત્ય છે - અને તે સર્વનો વિચાર કરી આ કામ મ્હેં આરંભેલું છે. ભાયાતોને ન્યાય ચુકવવામાં નિત્ય આથડી મરવાનું કામ કરવાના પંચમાં


  1. *તરવાર
મ્હેં તને આ જ વિચારથી મુક્યો છે ને ઘણી સંભાળ રાખી એવી

યોજના કરી છે કે રાજાઓને માથે ન્યાય અન્યાય કાંઈએ આવે નહી. રાજાએ ન્યાયનું કામ પ્રધાનો પાસે કરાવવું ને જાતે તેમાં પડવું નહીં. એનું કારણ આવું જ છે. જો ભાયાતોનું કામ રાજાઓના હાથમાં જરી પણ રાખ્યું હત તે મ્હારા વારસો અને મ્હારા ભાઈઓ વચ્ચે ઘડી ઘડી કુટુંબક્લેશ થાત અને વંશપરંપરા સર્વ રાજાઓના અપયશનું મૂળ રોપાત. તે કામ મ્હેં કર્યું નથી. અને હાલ આરંભેલા કામમાં એટલો ભાર છે કે મ્હારા સો પ્રધાનોથી તે થાય એમ નથી અને ત્હારા હાથીની સુંડ જરીક હલાવવાથી એ કામ સિદ્ધ થશે, અને એ હાથીનો મલ્લરાજરૂપ એક દંતુસળ ભાંગશે તો કાલ વ્હાણે બીજો ઉગશે-પણ એથી એ ત્હારા હાથીના દીર્ઘ આયુષ્યમાં બીજાં સો વર્ષ ઉમેરાયાં સમજજે.”

“હવે મ્હારે પ્રશ્ન કરવા જેવો આપે રાખ્યો નથી”– જરાશંકરે કહ્યું.

“તો હવે આજ જા – અને થાય છે તે જોયા કર - આજે ઘણું કામ કર્યું."

જ૨ાશંકર ગયો. સામંતને સોંપેલું કામ સિદ્ધ થતાં હકરતો પડી, શ્રમ પડ્યો; પણ મલ્લરાજના ઉપરનો મૂળ વિશ્વાસ અને પ્રેમ, અર્વાચીન વૈશ્ય બુદ્ધિની નદીનો ઉદય થયા પ્હેલાંનું રાજભક્ત ક્ષત્રિયત્વ, આ યુગના બુદ્ધિવિરોધ અથવા બુદ્ધિવિભ્રમના અનેક રંગો વગરનાં – એક વાત જાણી સંતોષ માનનાર અને એક–રંગી – જુનાં માણસોનાં સરલ હૃદયો ઉપર સામંતનું પ્રેમાળ તંત્રિત્વ, તે સર્વને અંતે તે સર્વના પ્રેમ અને વિશ્વાસના સુપાત્ર મલ્લરાજે રાજત્યાગ કરવા કહેલું વચન, તે વચન એ પાળશે આવી નિશ્ચય-બુદ્ધિ, એ બુદ્ધિને લીધે આ કાર્યમાં રહેલા રાજય-કલ્યાણ અને ગૌરવનું ભાન, અને એ વચનથી અનેકધા વધેલી રાજપ્રીતિ અને એ ભાનથી અને આ વચનના દ્રષ્ટાંતથી વધેલી સ્વાર્થ- ત્યાગની સ્પર્ધા : આ સર્વ કારણોનું પરિણામ એ થયું કે મલ્લરાજનો મનોરથ તેના રાજભક્ત અને સદ્દગુણી ભાઈઓએ એક અક્ષર બોલ્યા વિના અને એક અક્ષર ફેરવ્યા વિના સિદ્ધ કર્યો અને નીમેલા પ્રાતઃકાળના ઉદયની સાથે મહારાજની આંખ ઉઘડતાં મેનોરાણીએ સામંતે બ્હારથી ક્‌હાવેલા આ શુભ સમાચાર રાજાને કહ્યા અને પતિને પ્રસન્ન કરવાનો પોતાનો અધિકાર સંસિદ્ધ કર્યો.

રાજા સામંતને મળ્યો અને ઉપકારમાં તેને ભેટતાં ભેટતાં બોલ્યો: “સામંત, આવી ભેટ છેલી જ સમજજે. આવું મ્હોટું કામ હવે મ્હારે કે ત્હારે કરવાનું રહ્યું નથી, અને જો કરવાનું આવશે તો નવા યુગના રાજાને તેના ભાયાતો આટલો સત્કાર આપવાના નથી. હું હવે ભરદરબાર ભરી મ્હારા ભાઈયોનો ઉપકાર માનીશ – રત્નનગરીનું રાજ્ય અને તેનો રાજા એમના પાડનો બદલો વાળી શકે એમ નથી.” — સામંતને વીદાય કરી રાણી પાસે ગયો, ને યાદ આવતાં બોલ્યો:

“રાણી, મ્હારા પ્રધાનને આખી રાત નિદ્રા નહી આવી હોય. આપણા વિશ્વાસુ ભલ્લજી સાથે તેને સત્વર ક્‌હાવ કે ઉંટ ને હાથી બે કુશળ રહ્યાં ને દરવાજો એની મેળે ઉઘડ્યો.” રાણી તે પ્રમાણે કરવા ગઈ એટલામાં રાજા મનમાં બોલ્યો: “યશનું અંગ રાજા ને અપયશનું અંગ પ્રધાન – એ વાત નવી જાણી. ગાળો અને શિક્ષા પ્રધાન ઉંટની પેઠે ખમે – એનો એને બદલો શો ? રાજાએ પોતાની સ્વતંત્રતા ઓછી કરી, પોતાની ઈચ્છા અને શક્તિ પ્રધાનને વશ રાખી, આ પરગૃહથી આણેલા પ્રધાનરત્નના શિષ્ય બનવું એ સંપ્રદાય હવે સમજાયો. જ્યાં એ સંપ્રદાય પળાય નહી ત્યાં પ્રધાનને ઉંટને સ્થળે વાપરવો અશક્ય છે; એ સંપ્રદાયની ક્રિયાવડે જ રાજા પ્રધાનનું મૂલ્ય જાણે છે, કૃતજ્ઞતા બતાવે છે, અને પ્રધાનની પ્રધાનતાના દુઃખને બદલો જે જાતના સુખથી વળે તે સુખ આપે છે – ખરી વાત છે. પ્રધાન રાજ્યકાર્યનું ઉંટ - આ મ્હારા ગૃહકાર્યની સાંઢણી આવી:- એ ઉભય રત્નને તેમના કાર્યમાં સરખીરીતે વશ્ ર્‌હેવું એ જ મને ઘટે છે.”

મેના રાણી આવી. રાત્રે રાજાએ તેને પોતાની ચિંતાનું કારણ અને તેના ઉપાયની સાધના કહી દીધાં હતાં. અત્યારે હાથી ને ઉંટની વાત સમજાવી, સમજાવતાં સમજાવતાં કહ્યું : "રાણી, આ ઉંટ રાજ્યનું મહામૂલ્યવાન રત્ન છે – તે જો આજ આ કામમાં યોજ્યું હત તો ત્હારે નક્કી જાણવું કે અત્યારે આ દરવાજો ઉઘાડ્યાના સમાચારને ઠેકાણે ઉંટ મરી ગયાના સમાચાર આવ્યા હત. ખરે, પ્રધાનોની રાજાએ બહુ રીતે જાતે ચિંતા કરી કાળજી અને રક્ષા કરવા જેવું છે - જે રાજા પોતાના પ્રધાનની દયા આણતો નથી તે દુષ્ટ છે, જો પ્રધાનમાં ન પરવડે એવો અવગુણ હોય તો તે પ્રધાનને તરત ક્‌હાડવો, પણ રાખવો તો એને સર્વથા રક્ષવો અને એના ચિંતાભારમાં રાજા અને તેના કુટુંબીઓ તરફથી નવો ભાર ન ઉમેરવો. પ્રધાનનું કામ રાજ ઉપર અંકુશ રાખવાનું છે તો તેના કુટુંબીઓને નિયમમાં રાખવાનું હોય તેમાં શી નવાઈ? આથી ઘણે સ્થળે રાજકુટુંબ અને પ્રધાન બે વચ્ચે વિરોધ હોય છે ને પ્રધાન પોતાની ચિંતામાં રાજ્યનું કલ્યાણ યોગ્ય રીતે કરી શકતો નથી. રાણી, માટે સરત રાખવી કે આપણા કુટુંબમાંથી કે સેવકવર્ગમાંથી કોઈપણ પ્રધાનની આજ્ઞા લોપે નહી અને એના વિરુદ્ધ આચરણ કરે નહી.”

“મહારાજ, રાજ્યકાર્યમાં પ્રધાન આપનું અંગ છે - તેને અમારા દોષ જાણવા અને સુધારવા પૂર્ણ અધિકાર છે તે વાપરવામાં તેને ઉદાર આશ્રય આપજો અને આ રંક દાસીની કાંઈ ભુલો થઈ હોય તે આપને મુખે કહી એટલું એના મનને બળ આપજો.” રાણી બોલી.

મલ્લરાજ – “પ્રધાનજીના રાજ્યકાર્યમાં તું તેને પ્રતિકૂળ ન થતાં જાતે હરકત વેઠી આશ્રય આપે છે તે વીશે તે ઘણી ઘણી વાર મ્હારી પાસે ત્હારો ઉપકાર માને છે અને બીજા રાજ્યની પેઠે આ રાજ્યમાં અંતઃપુરનો તેને વિરોધ નથી – તેના સામે ખટપટ નથી, એટલું જ નહી પણ રાજ્યનું હિત ધારી તેણે કરેલી આજ્ઞાઓ પાળતાં રાણીજીને દ્રવ્યસંબંધી હાનિ પ્હોંચે છે તે છતાં તેમની અનુકૂળતા છે. માટે પ્રધાન પોતાને ધન્યભાગ્ય માને છે.”

રાણી – “આપના છત્ર નીચે બેસી એટલો ગુણ ન લઈએ તો અમારા કુળને લાંછન લાગે.”

મલ્લરાજ – “ઈશ્વરની કૃપા હોય છે ત્યારે સર્વ વાનાં યથેષ્ટ હોય છે અને સર્વની બુદ્ધિઓ ઉત્તમ થાય છે. એ કૃપાના પ્રવાહને સાધારણ રીતે માણસો ભાગ્યનો પ્રવાહ કહે છે, રાણી, ત્હારી અને મ્હારા ભાઈઓની બુદ્ધિ મ્હારા ઉપર ઈશ્વરની કૃપા સૂચવે છે.”

રાણી - “મહારાજ, એ ભાઈઓની સદ્‍બુદ્ધિનો આપે બદલો વાળવો જોઈએ. રાજાઓનો કોપ અને રાજાઓના પ્રસાદ નિષ્ફળ જવા ન જોઈએ?"

મલ્લરાજ - “ભાઈઓનો બદલો વળાય એમ જ નથી. એમણે મ્હારું એવું મહાભારત કામ કર્યું છે.” રાણી – “તેમના મનમાં કંઈ વાસના છે તે પૂર્ણ કરો તો તેઓ પ્રસન્ન થશે – મ્હારો આત્મા પણ પ્રસન્ન થશે.”

મલ્લરાજ – "એવું શું છે ?"

રાણી –“આપ વચન ઉચ્ચારો કે માગ્યું મળશે તો કહું.”

મલ્લરાજ – “રાણી, માગનારની ઈચ્છા જાણ્યા વિના જ – માગીશ તે આપીશ – એવા બુદ્ધમુષ્ટ ભાવી વરનું પ્રથમથી દાન કરવું એ વ્યવહાર સત્યયુગના દેવતા પાળતા, બ્રહ્મા એવાં વરદાન કવચિત્ કરતા અને શિવજી ઘણીવાર કરતા; પણ તે જગતના કર્તા અને સંહર્તા હતા. એટલે તેમને તેવો અધિકાર નીભતો, પણ જગતનું રક્ષણ કરનાર વિષ્ણુ એવું વરદાન કદી કરતા ન હતા, અને અમે રાજાઓના ધર્મમાં રક્ષણ કરવું એ વિષ્ણુનો અંશ છે. વળી જો, દૈત્યોને વામન સ્વરૂપ ધરી વિષ્ણુએ શીખવ્યું કે આવાં વરદાન તમારે ન કરવાં. માનવીઓને શ્રી રામચંદ્રજીએ વગર બોલ્યે શીખવ્યું કે દશરથજીએ કૈકેયીને વરદાન કર્યું એવું તમે કરશો તો દશરથજીનાં જેવાં દુઃખ પામશો. રાણી, સૂર્યવંશના શિરોમણિ રામચંદ્રજીનો ઉપદેશ તેમનાં સૂર્યવંશી છોરુ ન પાળે એમ થાય ?”

રાણી હસી પડી. “ મહારાજ, પ્રીતિના બંધનમાં આ પુરાણોના આધાર ન ચાલે.”

મલ્લરાજ – “ત્હારે પ્રીતિનો આધાર જોઈતો હોય તો ક્‌હે કે મ્હારી પટરાણીને અધિકાર વધારે કે ત્હારો ? – પટરાણીને પુછ્યા વિના તને વરદાન અપાય ખરૂં ?”

રાણી – “હું તો એમ જાણતી હતી કે આપને હું એક જ રાણી છું.”

મલ્લરાજ – “તમે પરસ્પર લ્હડો નહીં, માટે મ્હેં આજસુધી મ્હારી પટરાણીનું નામ ત્હારી પાસે દિધું નથી.”

રાણી – “ત્યારે હવે તો અમારાં એ બ્હેનનું નામ જણાવવા જેટલાં અમને ભાગ્યશાળી કરો, ને અમે તે ભેગાં રહ્યું જાણીયે છીયે કે નહી તેની કસોટી કરી જુવો તો ખરા.”

મલ્લરાજ – “એ તો બે ત્રણ નામ દેવાં પડે એમ છે –”

રાણી – “ત્યારે તો જાણ્યા વગર રહું તો અન્ન ગળે ન ઉતરે.” મલ્લ્લરાજ – “તમે તે સર્વેને ઓળખો છો.”

રાણી – “મહારાજ, બોલી દ્યો હવે.”

મલ્લરાજ – “પહેલી મ્હારી બુદ્ધિ - એ મ્હારાં ન્હાનપણનાં પટરાણી. એને પુછ્યા વિના તો કાંઈ થાય જ નહીં. બીજાં રાણી આ રત્નનગરી – એમના મંત્રની બાંધછોડ કરવાનો ધર્મ ચુકું ને તમને વધારે વ્હાલાં ગણું એમ ન થાય એવો તેને વશ છું, ત્રીજી રાણી મ્હારી રણભૂમિ - તે બોલાવે ત્યારે તમને, ઉઘતાં હો તો ઉંઘતા ને રોતાં હો તો રોતાં મુકી જવું પડે. પછી તમે – તે ત્રણે તમારી વડીલ બહેનોને પુછ્યા વગર તમને કંઈ પારિજાતક આપું તો આ ત્રણે રાણીઓ સત્યભામાના કરતાં મ્હોટું રુસણું માંડે ને અમે સૂર્યવંશીઓમાં શ્રીકૃષ્ણ જેવી કળા મળે નહી કે બધાનાં મન મનાવી શકીએ.”

રાણી – “મહારાજ, હું યે ત્યારે આ વાત ઉઘાડી કરી માગું છું - શું કરવા મોઘમ વરદાન માગું ? – કે –”

મલ્લરાજ – “કે - શું ? બોલી દ્યો.”

રાણી – “તમારાં આ ત્રણ માનીતાં પછી એક ચોથાં વસાવો ને મને પાંચમી રાખો.”

મલ્લરાજ – “ તે કોણ ?”

રાણીને વિનોદરૂપ બદલી ગંભીર વાર્તા કરી.

“મહારાજ, સામંતસિંહે એમનાં ઠકરાળાં જોડે મ્હારી મારફત આપને વીનંતી કરાવી છે કે, રાજ્યને રાજગુણોવાળા પુત્રો આપવામાટે અને એવા પુત્રો વિનાની ગાદી ર્‌હે નહી માટે અનેક અને ઉચ્ચ કુળની રાણીઓ સાથે ધર્મયુક્ત રાજાઓએ વિવાહ કરવો એવો શાસ્ત્ર પ્રમાણે અને વ્યવહાર પ્રમાણે સંપ્રદાય છે માટે મહારાજે પણ એ સંપ્રદાયનો લાભ રત્નગરીને આપવો ઘટે છે.”

મલ્લરાજ – “તમારા ભણીથી આ સંદેશામાં કાંઈ ઉમેરવું છે ?”

રાણી – “મહારાજ, જે સ્ત્રી જાતે સફળ ક્ષેત્ર નીવડી નથી તેવી સ્ત્રી સ્વભાવિક રીતે સ્વામીની વંશવૃદ્ધિ અને રાજ્યની સંપત્તિ ઈચ્છી આપ જેવાના સંસારનું જગતને ફળ મળેલું જોવાનો પ્રયત્ન કરે – ”

મલ્લરાજ - “અને જે સ્ત્રી ...પોતાનું...ગળું...કાપવાનો...માર્ગ... મોકળો...કરે - " રાણી – “હું હાસ્ય નથી કરતી. જે વાત સામંતસિંહે ક્‌હાવી છે તે મ્હારા મનમાં પણ ઘણા દિવસની ભરી રાખેલી હતી.”

મલ્લરાજ - “હું...હાસ્ય...નથી...કરતો. પણ...તમારા...મનમાં ...ભરી...રાખેલી...એ...વાત...હજીએ...તેમાં...જ...રાખી...મુકો ...અને સળી જઈ ત્યાં નાશ પામે એમ થવા દો.”

રાણી – “મહારાજ, હું રંકના ચાળા શા માટે પાડો છો ?”

મલ્લરાજ – “ચાલ, ચાળા નહી પાડું. મ્હારી ત્રણે પટરાણીઓ આ વાતમાં તમારું કહ્યું માનવાની ચોખી ના ક્‌હે છે. માટે તેમનું વચન હું લોપવાનો નથી. એ ઉત્તર તમે જ સામંતને ક્‌હાવજો કે અમે તો અમારા વંશના વડીલ શ્રીરામજીનું એકપત્નીવ્રત પાળીયે છીયે તે મુકી, તમારા શાસ્ત્ર અને સંપ્રદાયને મ્હોટા ભા કરી મલ્લરાજ ઘરમાં અનેક સ્ત્રીયો ભેગી કરવાનું સ્ત્રીપણું નહી સ્વીકારે. મલ્લરાજ પછી તમારે જાતે ગાદીએ બેસવાનો પ્રસંગ ઈશ્વર આપે તો તમે રાજા થાવ ત્યારે તમે જાતે ઘરમાં અનેક રાણીઓ સંપાડવાને સ્વતંત્ર છો પણ કાલનો જ લેખ સંભારજો – અનેક સ્ત્રીયોનો ધણી તેમના જેવી સ્ત્રી - સાસુ કે નણંદ જેવો – થાય છે તે રત્નનગરીના પુરુષોને કરવાની મનાઈનો મુચરકો સામંતની પાસે છે તે સામંતે જોવો. સામંતનાં ઠકરાળાંને ક્‌હેજો કે ઘેલા રજપુતની ડાહી રજપુતાણી બની એ ઘેલાને ડાહ્યો કરજો ને તમે એના જેવાં ઉલટાં ઘેલાં ન થશો. ક્‌હો, મેનારાણી, હવે કાંઈ તમારે ક્‌હેવાનું છે?”

રાણી – “કહ્યું માનો તો ઘણું યે છે.”

મલ્લરાજ – “એ...તો ...તમારો... પાસો...અવળો... પડી... ચુક્યો. એ શીવાય કાંઈ બીજું છે ?”

રાણી – “એ ને એ.”

મલ્લરાજ – “અમારે એ એની એ ના – એની એ ના !”

રાણી – “મહારાજના ઉપર કોઈનું બળ નથી.”

મલ્લરાજ - “બરોબર ત્યારે હું જાઉ છું – મ્હારી પટરાણીઓને મ્હોલ.”

રાણી - “મહારાજ, કૃપાકાળે પાછા પધારજો.”

રાણીને કપોલદેશે કૃપાદાન કરી રાજા ગયો. મલ્લરાજની ચિન્તાઓના નાટકનો આ અંક પુરો થયો.