સિંધુડો/કવિ તને કેમ ગમે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કાલ જાગે સિંધુડો
કવિ તને કેમ ગમે
ઝવેરચંદ મેઘાણી
સ્વતંત્રતાની મીઠાશ →


કવિ તને કેમ ગમે


ધરતીને પટે પગલે પગલે
મૂઠી ધાન વિના નાનાં બાળ મરે,
પ્રભુહીન આકાશેથી આગ ઝરે:

અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે -
ત્યારે હાય રે હાય, કવિ ! તને પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે !

લથડી લથડી ડગલાં ભરતી,
લાખો નાર ગલીગલીએ ફરતી,
સારી રાત ભૂખે મજૂરી કરતી :

'મારાં બાળ પરોઢિયે જાગીને માગશે ભાત' વિચારી એ દેહ દમે -
ત્યારે હાય રે હાય, કવિ ! તને સંધ્યાને તારકનાં શેણે ગીત ગમે !

મન ! છોડ નિહાળવા તારલિયા,
કાળાં કેદખાનાં કેરા જો સળિયા-
એનાં ક્રંદન શું નથી સાંભળિયાં ?

એની ભીતર મૌન એકાકી રિબાઈ રિબાઈ હજારોના પ્રાણ શમે -
ત્યારે હાય રે હાય, કવિ ! તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે !

મહારોગ ને મૃત્યુના સાગરમાં
લાખો ચીસ નિઃશ્વાસભર્યા જગમાં,
સિતમે સળગંત ધરા-તલમાં :

રસ-સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સુનેરી ભૂખ્યાં જનને -
ત્યારે હાય રે હાય, કવિ ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે !

દિનરાત જેઓની નસેનસમાં
પડે ઘોષ ભયંકર યંત્ર તણા,
પાએ ઝેરી હવા જે દમેદમમાં,

એને શાયર શું ! કવિતા શું ! ફૂલો અને તારલિયામાં એ કેમ રમે ?
ત્યારે હાય રે હાય, કવિ ! તું ને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે !

સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે,
ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે,
પૂરી રોટી પ્રતિજનને જડશે :

કવિ ! તે દિન નીલ આખાશ તારા કેરી સુંદરતા સહુ સાર્થ બને,
તારાં કૂજન આજ જલાવી દે, પ્રાણ ! રે દંભગાવા તને કેમ ગમે !

[૧૯૨૯]