સોરઠ, તારાં વહેતાં પાણી/૨૨. મરદનું વચન

વિકિસ્રોતમાંથી
← ૨૧. બહેનની શોધમાં સોરઠ, તારાં વહેતાં પાણી
૨૨. મરદનું વચન
ઝવેરચંદ મેઘાણી
૨૩. વેરની સજાવટ →


22. મરદનું વચન


તે પછીના મહિનાની બીજે, ત્રીજે, ચોથે,..પૂનમે - પંદરે પંદર અજવાળિયાંએ રોમાંચક બનાવો દીઠા. ભદ્રાપુરનો કાઠી દરબાર ગોદડવાળો વીફરીને પ્રગટ ધિંગાણે ઊતર્યો. એના જૂથની બંદૂકોએ ગોળીબારોની ધાણી ફોડી. તેની સામે મહીપતરામની પોલીસ ટુકડીએ રૂનાં ધોકડાંના ઓડા લીઢા. શત્રુની ગોળીથી સળગી ઊથતાં ધોકડાં પર પાણી છંટાવતો, ધોકડાં રોડવી-રોડવી, તેની પછવાડેથી તાસીરો ચલાવતો મહીપતરામ ગોદડવાળાના મોરચાની લગોલગ જઇ પહોંચ્યો; ને એણે સાદ પાડ્યો: "ગોદડવાળા! જીવતો સોંપાઇ જા. મારું બ્રાહ્મણનું વચન છે કે, તને સાચવી લઇશ."

ગોદડવાળાએ લાકડી ઉપર ફાળિયું ચડાવીને ધોળી ઝંડી ઊંચી કરી. ગઢની રાંગ આડેથી નીકળીને એ સન્મુખ આવ્યો. બંદૂક એણે ફગાવી નાખી.

મહીપતરામને ધોકડાની આડેથી નીકળતા દેખી સિપાઇઓએ એને પકડી રાખ્યા: "અરે સાહેબ! એ કાઠીનો ભરોસો હોય? મા જાવ; હમણાં એ દગો દેશે."

"દગાથી ડરીને હું જૂઠો ઠરું, તે કરતાં તો દગલબાજીથી મરું તે જ બહેતર છે." એટલું કહીને મહીપતરામ સામે ચાલ્યા. ગોદડવાળાની જોડે હાથ મિલાવ્યા. "દરબાર સાહેબ, શાબાશ છે તમને!" કહી પીઠ થાબડી, પછી પૂછ્યું: "એકલા તો શરમાશો ને, દરબાર?"

"શી બાબત?"

"હાથકડીનો હુકમ છે."

"હવે હાથમાં આવ્યો છું, પછી ચાહે તે કરો ને!"

"ના, હું ને તમે જોડીદાર બનશું: નામોશીની પણ વહેંચણ કરશું."

"કેવી રીતે?"

"બતાવું છું."

હાથકડી પોતે પોતાના જમણા કાંડામાં અને ગોદડવાળાનાં ડાબાં કાંડામાં પહેરાવી. હાથની ભુજાઓ - રસીને બે છેડે બાંધવા પોતે હવાલદારને હુકમ આપ્યો.

"ને હવે હું ને તમે ભાઇબંધો છીએ એવું તમારી વસતીને પણ જોવા દો."

એમ કહી પોતે દરબારને લઇ ભદ્રાપુરની બજારમાં નીકળ્યા. પાછળ બેઉની ભુજાઓ સાથે બાંધેલી રસી ઝાલીને હવાલદાર ચાલતો હતો. તેની પાછળ પંદર પોલીસો હતા. પંદર બંદૂકો ઉપર સંગીનો ચમકતાં હતાં. ગામલોકોને ગમ ન પડે તેવું ગૂઢાર્થભર્યું આ દૃશ્ય હતું. કાઠિયાવાડમાંથી એક રાજા-દરજ્જાના દરબારને હાથકડી પહેરાવી કેદીનો જાહેર તમાશો કરવાનો એ પહેલો બનાવ હતો. ઘડી પૂર્વેના 'અન્નદાતા'ની આવી અનાથતા દેખનાર વસ્તી આંધળી નહોતી, અબુધ નહોતી. એક વિપ્ર એને પકડી જતો હતો. એક જનોઇધારીએ બડકંદાજી કરી હતી. વસતીની દૃષ્ટિએ મહીપતરામ નવા જુગનો પરશુરામ લાગ્યો. 'કાંટિયું વરણ' એ નામથી મૂછોના આક્ડા ચડાવનાર મરદો, સંધીઓ, મિંયાણા, ખાંટ,ગધઇ, સપાઇ મકરાણીઓ - જેઓ દરબારને આશરે ભદ્રાપુરમાં આવી રહ્યા હતા તે સહુ ડેલીઓમાં ચોરા માથે, નવીસવી થયેલી પાંચેક હૉટેલોમાં ને ગામ-ઝાંપે સ્તબ્ધ બની ગયા હતા. તેઓની કડીયાલી ડાંગો ને ફૂમકિયાળી છૂરીઓ ઝૂલવું પણ વીસરી ગઇ. દરબારને પણ ગમ ન પડી કે વસતીની આજની સલામો પોતાની સામે નીચી ઝૂકવાનું ભૂલીને આવી તોછડી કેમ બની ગઇ! ને ઊભી બજારે થઇ રહેલી સલામોને મહીપતરામ કેમ ઝીલી રહ્યા હતા? શું આ બધી સલામો પોતાને ભરાતી હતી? - કે મહીપતરામને?

રાજકોટ પોલીસ હેડક્વાર્ટર્સમાં (મથકમાં) મોટો મેળાવડો ભરાયો. એજન્સીએ મહીપતરામને સોનાની મૂઠી વાળી કીરીચ બંધાવી. મેળાવડામાં હાજર રહેલા પોલીસ-ઉપરી, આસિસ્ટંટ ઉપરી અને ત્રીજા ઘોડેસવારોના ઉપરી - એ ત્રણે ગોરાઓએ ભાષણો કર્યાં. તેનો જવાબ આપવા ઊભા થનારા મહીપતરામને કશું બોલતાં જ ન આવડ્યું. એણે ફક્ત એટલું જ માગ્યં કે 'ગોદડવાળા દરબારને જીવતા રહેવા દેવાનું મેં વચન આપેલ છે તે સરકાર બહાદુર પાળશે તો મારો બ્રાહ્મણનો બોલ રહ્યો ગણાશે."

પછી સાહેબોએ સિપાઇઓને કહ્યું: "હર એક આદમી કૂછ બોલો." પાલનરૂપે સિપાઇઓમાંથી કોઇકે રગ કાઢીને ગાયું,

છજાં જાળિયાં માળિયાં ખૂબ છાજે

-એ જૂની ગુજરાતી ચોપડીનું દલપત-ગીત. બીજાએ 'ભેખ ઉતારો, રાજા ભરથરી!' વાળું 'ભર્તૃહરિ' નાટકનું ગીત લલકાર્યું. કોઇક બ્રાહ્મણ હતો તે રડ્યોખડ્યો શ્લોક બોલ્યો. દસ રૂપિયાનો દરમાયો પામનાર પોલીસની અને સર્વસત્તાધીશ ગોરા સુપરિન્ટેન્ડેન્ટની વચ્ચે ભેદભાવ ટળી ગયો. ગોરાઓ હસ્યા. સિપાઇઓએ પેટ ભરીને રમૂજ માણી. મહીપતરામને ફોજદારી મળી ને નવા વર્ષના પ્રભાતે 'રાવસાહેબ'નો ખિતાબ મળ્યો.

'રાવસાહેબ'નો ખિતાબ મેળવનાર એક સાધારણ પોલીસ જમાદાર, તે તો સોરઠના જૂના દિવસોમાં અદ્‍ભુતની બીના લેખાતી. આ કિસ્સાની ભભક વિશેષ હતી, કેમકે એ ખિતાબ જીતનાર સીધીદોર મરણિયા સિપાઇગીરી હતી. રાવસાહેબ મહીપતરામને પોતાની સામે ખડા રાખીને ગઇ કાલ સુધી ખુરશીએથી હુકમો કરનાર ફોજદારો એને ઘેર જઇ મુબારકબાદી આપવા લાગ્યા. અને રાવસાહેબે ફોજદારીનો પોષાક ક્યાંથી ખરીદવો, કેટલી બ્રિચીઝ અને કેટલા કોટ કરાવવા, કયા દરજીની કારીગરી રાવસાહેબને શોભશે, તે વિષે વણમાગી સલાહો મળવા માંડી.

પણ મહીપતરામને હૈયે હોશ નહોતા. એના શ્વાસ ઊચા થઇ ગયેલા. સરકારી ખિતાબ તેમ જ કિરીચના કરતાં પોતાના નેકીના બોલની કિંમત એને વધારે હતી. એ વળતા જ દિવસે ગોરા ઉપરી પાસે જઇ સલામ કરી ઊભા રહ્યા.

"ક્યોં નિસ્તેજ હંઇ? રાવસાહેબ!"

"અરજ છે."

"અચ્છા!"

"ગોદડવાળાને મેં બોલ આપીને જીવતો પકડાવેલ છે. એ બોલ મેં સાહેબ બહાદુરના વિશ્વાસે આપ્યો હતો."

"હમારા વિશ્વાસ! કાયકો હમારા વિશ્વાસ? હંઈ?"

"એ પ્રશ્ન પૂછતી વખતે ગોરા પોલીસ-ઉપરીના હૃદયપટ પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કારભારની બેઇમાનીની કાળી કથા ચિત્રપટની માફક સરતી હતી. ક્લાઇવથી માંડીને સત્તાવનની એ કાળ-સંધ્યા સુધીનાં જૂઠાણાં, દગલબાજ આચરણો ને નાપાકીની પરંપરા એની કલ્પના પર ચમકી ઊઠી.

"હા જી. મને સાહેબ બહાદુરની નેકીમાં વિશ્વાસ હતો."

"નહિ-નહિ. ટૂમ ઉસકો ઉધર ઠાર ક્યું નહિ કિયા?"

"ઠાર કરત તો એ પાપનું પૂતળું મૂઆ પછી સોરઠનો શૂરોપૂરો દેવ બનત. આપણે તો એને જીવતો પકડીને ભરબજારે એની ઇજ્જત લીધી. એની એકની જ નહિ, તમામ રજવાડાંની પ્રતિષ્ઠાની દાઢો ખેંચી કાઢી. ગોદડવાળો એક તરણું બની ગયો."

"તો અબ?"

"હવે એને જિવાડો. એ સરકારનો ભિખારી બની રહેશે, ને તે દેખી સોરઠના સર્વ રાજાલોક આપોઆપ હીનતા અનુભશે."

"મઇ વો પોલિટિકલ વિઝડમ (રાજદ્રારી ડહાપણ) ટુમારે પાસ નહિ સીખને મંગટા." સાહેબે ભવાંને ભેગાં કરતાં કરતાં કહ્યું: "એક જ બાટ હમેરા દિલમેં ઊટર ગઇ હય: ટુમને હમારી નેકી પર વિશ્વાસ રખ્ખા. બસ, અબ હમ દેખેંગે."

મહીપતરામના મોં પર આ જવાબે એક ગર્વમિશ્રિત આનંદની લાગણી છાવરી દીધી. એની છાતી ટટાર થઇ.

"ઔર કુછ?" સાહેબે પૂછ્યું. "ટુમારી બદલી કે લિયે તૈયાર રહેના."

મહીપતરામ અબોલ રહ્યા.

"ક્યોં! નારાજ?"

"સાહેબ બહાદુરને વાંધો ન હોય તો પૂછું."

"હાં."

"ક્યાં બદલી કરશો?"

"પાંચાલમેં. ઠાનદારકા ખૂની લોક ઠાંગા હિલ્સ (ડુંગરા) મેં છીપે હય. પકડ કર લાઓ."

મહીપતરામ કશું બોલ્યા વિના સાહેબની સામે તાકી રહ્યા.

"ક્યોં ચૂપ! ડર ગયા?"

"નહિ." મહીપતરામના મોં પર સાહેબના આક્ષેપે વેદનાનો લેખ લખ્યો. "મારો ભાણેજ હાઇસ્કૂલમાં ભણે છે. તેનું ભણતર રઝળી પડશે. એ એક જ વાતથી હું અચકાયો, સાહેબ."

"ટબ ક્યોં બોલટા નહિ? હંઇ! દેખો: હિઝ હાઇનેસ વિક્રમપુર ઠાકોર સા'બ ઇઢર આટા હૈ. ટુમારા ભાનેજ કે લિયે હમ સ્કોલરશિપ મંગેગા ઉસકે પાસ. ડોન્ટ વરી (ફિકર ન કરો), રાવ સા'બ!"