સોરઠ, તારાં વહેતાં પાણી/૪૪. બધાં એનાં દુશ્મનો

વિકિસ્રોતમાંથી
← ૪૩. વાવાંઝોડાં શરૂ થાય છે સોરઠ, તારાં વહેતાં પાણી
૪૪. બધાં એનાં દુશ્મનો
ઝવેરચંદ મેઘાણી
૪૫. ઉજળિયાતોનાં રુદન →


44. બધાં એનાં દુશ્મનો


બિસ્તરા પર પડ્યાં પડ્યાં પિનાકીની આંખો ધર્મશાળાની દીવાલ પર ચોટેલી આરસની તકતી પર પડી. અંદર લખ્યું હતું કે -

દેવુબાના સ્વ. કુમાર બલવંતસિંહજીની યાદગીરીમાં.

લેખના એકએક અક્ષરે પલ પછી અક્કેક બાળક્નું રૂપ ધર્યું. પંદર દિવસની આવરદા એ પ્રત્યેક બાળકમાં ઊછળી રહી. લાલી અને કુમાશનો નાટારંભ કરતી એ બાલમંડળી તકતીના આરસ પર લોટપોટ થતી લપસી ગઇ. અને પિનાકીની આંખો પણ એ બાળકોની ટોળીની જોડે લસરતી લસરતી નીચે ઊતરી. એ આંખોએ દીવાલ પર બીજાય લેખો ઉકેલ્યા. ઉકેલતી ઉકેલતી એ એ આંખો દીપડાની આંખો જેવી બની. આંખોમાંથી અગ્નિના દોરિયા ફીટ્યા.

ધર્મશાળાની દીવાલો પરના એ લેખ, કોલસા અક્ષરે, ઈંટના ટૂકડાના અક્ષરે, બૂઠી પેનસિલોના અક્ષરે, ચૂનાની પડતરી પર ચીરા પાડતા નર્યાં કોઇ અણીદાર લોઢા-લાક્ડાના અક્ષરે, કાતર, સોયા અને બાવા ફકીરોની છૂરીની અણી વતી લખાયેલા અક્ષરે, અનંત લાગે તેવી ભાત પાડીને ચીતરાયા હતા. ને એ ચિતરામણ ગઇ કાલની રાજરાણીની આજે મચેલી ચકચારનું ચિતરામણ હતું. લોકોએ ઇતિહાસ લખ્યો હતો. દોહરા ને સોરઠા જોડી જોડી કંડાર્યા હતા. કોઇ વિદ્વાન મુસાફરે તો વળી મુસાફરખાનાને એક કાવ્યવ્યપ્રસંગથી પણ શણગાર્યું હતું. એક સુંદર મોં અને એની સામે એક કદરૂપ મોં - એવાં બે સ્ત્રીનાં મોરાં ચીતરીને નીચે એક્કેક લેખ લખ્યો હતોઃ 'લૂક એટ ધિસ ફેસ એન્ડ લૂક એટ ધેટ (આ મોં નિહાળો, ને પછી પેલું મોં નિહાળો)!'

થોડીવારે ત્યાં એક માણસ આવ્યો. એના હાથમાં એક કૂચડો હતો. ડબામાં કૂચડો બોળીબોળીને એ દીવાલ પરના લોક-લેખોને ભૂંસવા લાગ્યો.

એક પોલીસ ત્યાં ચોકી કરતો હતો. તેણે ચૂનાવાળાની પાસે આવીને કહ્યું: "ભગત! ખડી જરા ઘાટી કરવી'તી ને! આ તો એકોએક અક્ષર માલીપાથી ડોકિયું કરે છે!"

જવાબમાં -

ધોયાં ન ધોવાય,
લુયાં લુવાય નહિ;
જાળ્યાંબાળ્યાં જ જાય
પાતક તારાં પાણિયા!

– એવા આપજોડીયા સોરઠાને ચૂનો છાંટનાર પોતાના ઘંટલા જેવા ગળા વચ્ચે ભરડવા લાગ્યો.

"રગ રે કવિ! રંગ દુવાગીર! તું તો ભાવેશરના મેળામાં ભલભલાને ભૂ પાઇ દઇશ." એવું કહીને પોલીસે પોતાની છાતીમાંથી ઈયળ જેવો બળખો કાઢ્યો ત્યારે ધર્મશાળાની કૂંપળદાર નાની લીંબડી ઉપર પીરોજી રંગનું એક જાંબુડાં જેવડું પક્ષી હીંચકતું હીંચકતું ગાતું હતું. એના ગાનમાં ઝરણના નીર હતાં, વાદળની નીલપ હતી.

પિનાકીએ એવું પંખી ઘણાં વર્ષો પછી જોયું. આઠ-દસ વર્ષો પહેલાં જોયું હતું - દીપડિયા વોકળાને કિનારે, બોરડીના ઝાળામાં બોર વીણવા પોતે ને દેવુબા ભમતાં હતાં ત્યારે. ભેખડગઢ થાણાની ઊંચાઇ પરથી ત્યારે સાંજની નમતી વેળાએ દસ-પંદર ગાઉ માથેથી ગિરના ડુંગરાની ધારો પર લાગતી લાંપડા ઘાસની આગ દેખાતી. એ વગડાઉ દાવાનળ રાતી-પીળી રોશની જેવો લાગતો હતો. આ સિપાઇ પી રહ્યો છે એવી કોઇક બીડીનું ઝગતું ખોખું જ એ ડુંગરાઇ દવનું નિમિત્ત બન્યું હશે.

અગિયારના ટકોરા વાગ્યા. ભૂખ્યો પિનાકી ગોરા રાજશાસકની ઑફિસે ગયો. શિરસ્તેદારની પાસે જઇ એણે હકીકત મૂકી કે, "મને મળતી સ્કૉલરશિપ આ વખતથી બંધ થઇ છે, તો શું કારણ?"

શિરસ્તેદારે એને પટાવાળાઓને બેસવાના બાંકડા પર રાહ જોવાનું કહ્યું, ને પોતે પિનાકીનું નિવેદન લઇ, કોટનાં બટન બરાબર બીડેલાં હતાં તેમ છતાં પણ ચાર વાર બટનો પર હાથ ફેરવી, ગળું સાફ કરી સાહેબની 'ચેમ્બર'માં ગયો. પિનાકીને કાને શબ્દો તો ન પડ્યા પણ સ્વરો અફળાયા. એ સ્વરોમાં નરમાશ તો નહોતી જ.

બહાર આવીને શિરસ્તેદારે પિનાકીને સંભળાવ્યું: "સાહેબ બહાદુર તમને મુલાકાત આપવાની તો ના પાડે છે. પણ કહે છે કે તમારે લખી આપવું પડશે."

"શું?"

"કે હું આજે અથવા ભવિષ્યમાં રાજે કે શહેનશાહ વિરુદ્ધની કોઈ પણ ચળવળમાં જોડાઈશ નહિ."

"આનું કારણ?"

"તમારા હેડમાસ્તર તરફથી રિપોર્ટ થઈ આવેલ છે કે તમે એક ભયંકર બનો તેવા વિદ્યાર્થી છો."

"શા પરથી?"

"રાજકોટની જ્યુબિલીમાં આંહીંના રાજ તરફથી જે સોનાનાં એરોપ્લેન મૂકવામાં આવેલ છે. તેને લડાઈમાં ગયેલા આપણા સિપાઈઓના લાભાર્થે પ્રદર્શન તરીકે મૂકવામાં આવેલ છે, તેની એકેક આનો ફી લઈને વિદ્યાર્થીઓને બતાવવાની તજવીજ થતી હતી ત્યારે તમે વિદ્યાર્થીઓને હેડમાસ્તરની સામે ઉશ્કેર્યા હતા."

"પણ એમાં ઉશ્કેરવાનું શું હતું? હેડમાસ્તર સાહેબની જ નોટિસમાં લખ્યું હતું કે જોવા જવું કે ન જવું તે મરજિયાત છે."

"તમે વિદ્યાર્થીઓમાં એ જોવા જવા વિરુદ્ધ ચળવળ તો કરી હતી ને?"

"ના; મેં તો કહ્યું કે હું નથી જવાનો."

"પણ તમે છોકરાઓનાં મન ઉપર ખોટી અસર કરી તે તો ખરી વાત ને?"

પિનાકી મૂઢ જેવો ઊભો રહ્યો. શિરસ્તેદારે કહ્યું: "બોલો, સહી કરી આપશો?"

જવાબમાં 'ના-હા-ના' એવા ઉચ્ચરો, કોઈ ભૂતગલીમાં દોડ્યા ગયેલાં નાનાં નાનાં છોકરાંની પેઠે, ગળાની અંદર જ દોડી ગૂંચવાઈ ગયા.

પિનાકીને દયામણું મોં કરતા આવડતું નહિ, એ રોષ પણ સળગાવી શક્યો નહિ. અઢાર વરસની અંદરના છોકરાઓને અકળાવતી જે વિચિત્રતાઓ, તેમાંથી પિનાકીએ પોતાનો રસ્તો ન જોયો. એ ફક્ત આટલું જ વાક્ય લાંબે ગાળે બોલી શક્યો: "ઠીક ત્યારે, હું પછી વિચાર કરીને આવીશ."

એને હેડમાસ્તર પર દાઝ ચડી. ગોરા સાહેબ પર એણે દાંત કચકચાવ્યા. શિરસ્તેદાર પણ કેવા ઠંડાગાર કલેજે વાત કરતો હતો તે યાદ આવતાં તેને ખિજવાટ આવ્યો. દેવુબાએ પોતાને રઝળાવ્યો છે, એવી જાતની ધૃણા ઊપજી. મોટાબાપુજીને આટલો બધો મિજાજ કરીને મરી જવાની શી જરૂર હતી, એ સવાલ પણ એના દિલનો કાંટો બની ગયો. આખી દુનિયા એની દુશ્મન ભાસવા લાગી. સર્વે જાણે કે સંપ કરીને પોતાનો ભુક્કો બોલાવવા માગતા હોય એવો એને ભાસ થયો. એણે પોતાના હાથ હવામાં વીંઝ્યા. પછી તો મોં પર માખી બેસવા આવી તે પણ તેને કાવતરાખોર લાગી. એને રસ્તે ચાલતાં ઠોકર લાગી તેમાં પણ એને પોતાના પ્રત્યેનું કોઈ ઈરાદાપૂર્વકનું શત્રુકાર્ય કલ્પ્યું. માણસની - ખાસ કરીને કાચેરી વયના જુવાનની - કલ્પના જ્યારે આવે ચકડોળે ચડે છે ત્યારે એને આખું બ્રહ્માંડ પોતાની આસપાસ ચક્કર ફરતું લાગે છે.