સ્રોતસ્વિની/ગૃહિણી

વિકિસ્રોતમાંથી
← પ્રયણાસ્ત્ર સ્રોતસ્વિની
ગૃહિણી
દામોદર બોટાદકર
અપરોદ્વાહ →


<poem>

ગૃહિણી

( શિખરિણી )

કર્યા દોષો કોટિ, અમિત અપરાધો તુજ તણા, અને પીડા આપી હૃદય-તલ માંહે ત્યજી દયા. વિના વાંકે કીધા અપરિમિત આઘાત ઉલટા. રડાવ્યું, સંતાપ્યું સહજ રસભીનું ઉર સદા.

તથાપિ તેં ચાહી સહન સઘળું કેવળ કર્યું, પ્રતીકારે ક્યારે પડી હૃદય ના વ્હાલ વીસર્યું; હતી જેવી વૃત્તિ પ્રથમ દિન ભોળા હૃદયની, હજુ તેવી વૃત્તિ વિમળ સમભાવે વિલસતી.

હજારો મુશ્કેલી પ્રણય ત્યજી નાખી તુજ પરે, તપાવી, ખીજાવી, સતત રખડાવી શઠપણે; તથાપિ છાયા શી સહેચરી બની સંગ વસતી. નહિ કયારે કોપી વદન થકી દુઃશબ્દ વદતી.

વૃથા ગાજ્યો વેગે, અધિક ઉકળાટો ઉર કર્યા, અને શંપાપાતે મૃદુ હૃદય ચીયું મમતમાં; અકાળે ઉશ્કેરી અનિલ બહુ ઝંઝા પ્રકટતો,

કદી એકે બિંદુ શઠ જલદ ના હું વરસતો.
<poem>

તથાપિ પૃથ્વી શી રજની–દિન તું નિશ્ચલ રહી, હસીને હોંશેથી સકળ મુજ ચેષ્ટા સહી શકી, અરે ! એથી ઉંચી ! દિલ નહિ લગારે ડગમગી, સ્થિરા તું સર્વાંશે, નહિ તુજ સમી આ વસુમતી.

સગાંના સંતાપો સહન સધળા સદ્ય કરવા, અને વક્રોક્તિના વિકટતર ગોળા ગળી જવા; તરંગી તોફાનો શિશુજન તણાં સહ્ય ગણવાં, હઠીલાં હૈયાંને હૃદય પર રાખી રીઝવવાં.

સુશીલાં સંતાનો મરણ-મુખ માંહે જઈ વસ્યાં, રહ્યા એના મીઠા સ્વર અનિલ કેરા ઉદરમાં; કદી કર્ણદ્વારે પ્રકટ થઈને આવી પઢતા, શમેલા સંતાપો અહમહમિકાથી ઉલટતા.

અનેરો એ અગ્નિ સલિલ વિણ હા ! શાંત કરવો, છતે આપત્કાળે ઉર નહિ વિપદ્ધર્મ ધરવો; રહ્યું રોવું તોએ જગ-જન કને નિત્ય હસવું, થતું ઉડું ઉડું હૃદય દૃઢતાથી દબવવું.

અરે! એ કર્ત્તવ્યો જરૂર અકળાવે જગતને, પડે તેને વાગે કદર કશી ના અન્ય ઉરને; પરંતુ એ પ્રૌઢો હૃદયભર રાખી હૃદયમાં,

પ્રપચેામાં પેસી સતત વસવું સૃષ્ટિતલમાં
<poem>

અને તેાએ ભાર ઉર તણું સમારાધન ખરૂં, સ્થિતિ સર્વે સાચી, પણ ફરજનું બંધન ખરૂં ! અધીરી આજ્ઞાઓ પળ-વિપળ દોડે પ્રકટતી, શકે માપી જેવા હૃદયરસસિંધુ ઉલટતી.

વ્યથા મારી એ તો રજ સમ છતાં પર્વત સમી, અને તારી પીડા ગિરિ સમ છતાં પર્વત સમી; અરેરે ! અન્યાયે, વિષમ નયને નિત્ય નિરખી ! તથાપિ પ્રીતિના પુનિત પગથી ના લવ ચળી !

અનેરી ઈચ્છાઓ પ્રતિદિન પ્રસંગે પ્રકટતી, પરંતુ એ મારા હૃદય ભણી નિત્યે નિરખતી; વિના યત્ને સાધી કઠિનતર તું સંયમ શકી, વિના યોગાભ્યાસે ઉર વિલસતો યેાગ ઉતરી.

કદી ક્રૂરાઘાતે હૃદય ધૃતિ-સીમા ત્યજી જતું, પડીને એકાંતે અબળ બની નિઃશબ્દ રડતું; પરંતુ એમાં એ નહિ પ્રણયની ઉણપ કશી, અને ઉંડી ચિંતા મુજ કુશળની તો ઘડી ઘડી.

અરે ! એ વૃત્તિનો, પુનિતતર દૈવી પ્રણયનો, અમૂલ આત્માને, રસભરિત ભોળા હૃદયનો; ક્યા યત્ને વાળું ઉપકૃતિ તણે કૈંક બદલો ?

વળે શા વ્યાપારે શિર પર ચડેલું ઋણ અહો?
<poem>

સ્તુતિના શબ્દોથી અભિલષિતના પૂરણ થકી, હજારે હારોથી, પ્રતિપ્રણયના વર્ષણ થકી; સદાની સેવાથી ગુણકથન કેરા કવનથી, કરોડો આભારો, નહિ ઉર થકી જાય ઉતરી.

પુનર્જન્મે પૂજું ગૃહિણી બની તારા હૃદયને, ઉમંગે આરાધું નવલ રસથી નિત્ય તુજને; અને આ આત્માને તુજ ચરણ પાસે ધરી રહું, વ્યથા સર્વે વાળી મુજ હૃદય માંહે ભરી રહું !

પરંતુ એ આશા અવર ભવની કેમ ઉચરૂં ? અરે ! શાને તારા વિમળ ઉરનું વંચન કરૂં? અહીં ને અત્યારે સકળ મુજ સ્વામિત્વ વીસરૂં, અભેદે આત્માના, ઉભય ઉરમાં ઐકય પ્રકટું.

તપોનું, તીર્થોનું, સુર સકળનું ને પ્રભુ તણું, કળાનું. વિદ્યાનું, પરમપદનું, સત્યપ્રણયનું; શ્રુતિનું, ભક્તિનું તુજ હૃદય આવાહન કરૂં, રમી એમાં રંગે ભવ-જલધિતરે જઈ વસું.