અકબર/બેરામના રક્ષણમાં અકબરનું બાલ્ય.

વિકિસ્રોતમાંથી
← સોળમા સૈકાના મધ્ય ભાગમાં હિંદુસ્તાનની સામાન્ય સ્થિતિ. અકબર
બેરામના રક્ષણમાં અકબરનું બાલ્ય.
ઉત્તમલાલ ત્રિવેદી
અકબરના રાજ્યનો ઇતિહાસ. →


પ્રકરણ ૧૦ મું.

બેરામના રક્ષણમાં અકબરનું બાલ્ય.

કબરનું સ્વરૂપ કબરના પુત્ર શાહજાદા હાંગીરે લખ્યું છે. ‘અકબર જરાક ઉંચાઈ તરફના વલણવાળા મધ્યમ કદનો હતો, એનો ચેહરા ઘઉંવર્ણો હતા. આંખો તથા ભમરો કાળી હતી. શરીર મજબૂત, કપાળ વિશાળ, તથા છાતી ખુલ્લી હતી અને હાથ તથા પંઝા લાંબા હતા. એના નાકની ડાબી બાજુએ નાના વટાણાના કદનો એક માંસલ મસો હતો. જે બહુ રમણીય દેખાતો હતો અને સામુદ્રિકો એને બહુ શુભસંશી ગણતા અને કહેતા કે તે પુષ્કળ દૌલત અને વધતી જતી આબાદીની નીશાની છે. એનો ઘાંટો બહુ મોટો હતો અને એનું સંભાષણ ઘણુંજ સુંદર અને રમણીય હતું. એની રીતભાત અને વ્યવહાર બીજા માણસો કરતાં તદ્દન જુદાંજ હતાં. અને એનો ચહેરો ઈશ્વરી અનુભાવથી પૂર્ણ હતો.’ બીજા વર્ણનો પણ જરૂરની બાબતોમાં ઉપરના વર્ણનને પુષ્ટી આપે છે. એલ્ફિન્સ્ટન લખે છે તે મજબૂત બાંધાનો અને દેખાવડો માણસ હતો. પોતાનો ચહેરો તે હમેશાં સામા માણસને ગમે એ રાખતો. તેની રીત ભાત મોહક હતી, અને શરીર ઘણુંજ બળવાન હતું. અથાગ શ્રમ વેઠવાને તે સમર્થ હતો. ઘોડા ઉપર સવારી કરવાનો તેમજ ચાલવાનો, શીકાર કરવાનો, બંધુક તાકવાનો તથા બળ અને ચતુરાઈ વાપરવાની જરૂર પડે તેવી બધી કસરતોનો તે શોખીન હતો. સંકટ અને ભયને વખતે સમતાનો ત્યાગ ન કરતાં અત્યુત્તમ તેજથી પ્રકાશ કરે તેવી શાન્ત અને ઠંડી જાતની હિમ્મત એનામાં હતી. રાજ્યના ભલાને માટે અથવા સર્વસામાન્ય હિતને માટે એને જે જે વસ્તુઓ જરૂરની લાગતી તેને માટે યુદ્ધમાં ઉતરવાને માટે હમેશાં તૈયાર રહેતો તોપણ તેમાં તે આનંદ માનતો નહિ, ખરેખર જે રાજકીય ઉપચારોને એ પોતાની સત્તાના અડગ પાયા તરીકે ગણતો તેને ખીલવવામાં લાગુ રહેવાનું એ હજાર દરજ્જે પસંદ કરતો. એના મનમાં લડાઈ એ એક ન ચાલ્યે કરવાનું અશુભ કર્મ છે એમજ હતું. એનાં આખા ચરિત્રમાં આપણે જોઈશું કે એણે એક એવી લડાઈ વ્હોરી લીધી નથી કે જે એની રાજ્યનીતિને પૂરી રીતે ખીલવવા અથવા એને સહીસલામત રાખવા સારૂ એને જરૂરી લાગી ન હોય. એનો સ્વભાવ પ્રેમાળ હતો. એના મિત્રો તરફ એ વફાદાર હતો. બીજાના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરવામાં બહુ દક્ષ હતો. લોહી વહેવરાવવાનો એને ત્રાસ હતો અને ન્યાયને દયાથી નરમ કરવાની તે હમેશાં ઉત્સુકતા રાખતો. વૈરના કરતાં ક્ષમા કરવાનું એ પસંદ કરતો, તોપણ અમુક પ્રસંગે વૈર લેવાની જરૂર પડે તો એ સખત થઈ શકતો અને પોતાના અંતઃકરણની ઉદાર વૃત્તિની સ્હામે થવાને તે પોતાના હૃદયને વજ્રસમ બનાવતો. બધા ઉદાર મનના પુરૂષોની પેઠે બીજાઓને ગમ્મત થાય એમ કરવાનો તેને શોખ હતો. આ રીતે ઉદારતા એ એના સ્વભાવનું એક અંગજ હતું. કોઈ અનુગ્રાહ્ય નાલાયક નીવડે તો તેને સુધારવાની તે ચિંતા રાખતો પણ પોતે અનુગ્રહ કર્યો તેને માટે દીલગીર થતો નહિ. દીવાની કારભાર તરફ તેનું સ્વાભાવિક વલણ હતું, અને પોતાના હાથથી અને હથીયારથી જે ઈમારત એ ચણતો હતો, તે ઈમારત લોકોની ઇચ્છાને અનુસરતી થાય એવી રાજ્યનીતિ ગોઠવવાનું–લડાઈનો ઘાટ રચવાના કરતાં વધારે પસંદ કરતો. મનુષ્ય જાત સાથે મૂળથી જ સંબંધ ધરાવતા આવેલા તમામ સવાલો જેવા કે ધર્મ સંબંધી, રાજ્યનીતિ સંબંધી, ન્યાય વ્યવસ્થા સંબંધી બધા સવાલોમાં તેનું મન ખુલ્લું, અધીરા નિશ્ચયથી મુક્ત અને નવા સંસ્કારો ગ્રહણ કરવાને આતુર હતું. જન્મથી મુસલમાન અને તેજ ધર્મમાં ઉછરેલો છતાં તે બુદ્ધના, બ્રહ્મના, ઝોરોએસ્ટરના તેમજ જીસસના ધર્મવાળા જોડે છૂટથી અને સરખાઈથી વ્યવહરતો. એના ઉપર એ અપવાદ આવે છે કે પાછલી ઉમરમાં વિદ્વાન માણસોને એ ધિઃકારતો અને કેટલાકને પોતાના દરબારમાંથી તેણે કહાડી પણ મૂક્યા હતા. આના સંબંધમાં–હકીકત એ છે કે એના દરબારમાં આવતા ધર્મવેત્તાઓ પોતાના મતોને જે જક્કથી, વહેમથી અને અપૂર્ણ વિચારકૃત નિશ્ચયથી વળગી રહેતા તે તેને ગમતું નહતું. એટલે એને જે ન ગમતું તે એમની ન્યૂનતા અને તેમનાં છિદ્રો હતાં; અને જેનામાં આ એબો હદ ઉપરાંત હોય તેમને પોતાના દરબારમાં હાજર રહેવા ન દેતો. બીજી બાબતોમાં એ કેવો હતો તે વાંચનાર આ પુસ્તકના છેલ્લા પ્રકરણમાંથી શોધી કહાડશે. મને આશા છે કે ચૌદ વરસની ઉમરે બેરામખાંની વ્યવસ્થા નીચે પાણીપતની લડાઈ જીતી વિશ્રામ લીધા વગર રણક્ષેત્રથી દિલ્હી જઈ ઉભો રહ્યો હતો, તે બાળક બાદશાહનાં લક્ષણો અને ગર્ભિત શક્તિનો કંઈક વિચાર આવે એટલું તો હું ઉપર લખી ગયો છું. એના સ્વભાવનું બળ કે એની બુદ્ધિનો વૈભવ આ વખતે કોઈ જાણનાર હશે તો પણ કોકજ હશે. બેશક એનો અતાલીક બેરામ તે જાણતો નજ હતો કેમકે જો જાણતો હત તો તેણે સરહિંદ આગળ પોતાના તંબુમાં લાવી તાર્દીબેગને મારી નાંખ્યો નજ હત અને કેદ કરેલા હેમુના શરીરમાં પોતાની તલવાર ભોંકવાનું આ બાળક બાદશાહને સૂચવ્યું નજ હત. પણ બેરામ તેમજ એના દરબારના અને સૈન્યના બીજા ઉમરાવો “હુમાયૂંનો શાહજાદો આપણે જેમ ચલાવીએ તેમ ચાલે એવો એક બાળક કુમાર નથી પણ આપણે જેને વશ રહેવું પડશે એવા આપણો ધણી છે” એ વાતથી ઝાઝો વખત અજાણ્યા રહ્યા નહિ.

કબર એક મહિનો દિલ્હી રહ્યો. ત્યાંથી હેમુના વિખરાઈ ગયેલા લશ્કરની પાછળ પડવાને તથા તેઓ લઈ જતા હતા તે મોટો ખજાનો મેળવવાને એક સૈન્ય મેવાડમાં મોકલ્યું. આ નાની સવારીમાં શેરનના સરદાર પીરમહમદખાંએ સારો વિજય મેળવ્યો. તે આ વખતે બેરામનો અનુયાયી હતા પણ પાછળથી તેના ઉપર એની ઈતરાજી થઈ હતી. પછીથી કબર આગ્રા ઉપર ચડ્યો અને તે લીધું.

પણ સતલજની દક્ષિણના તેણે જીતેલા મુલકો જ્યાં સૂધી પંજાબ દૃઢ ન હોય ત્યાં સુધી સલામત નહતા. આપણે ઉપર જોઈ ગયા છીએ કે એના વંશના કટ્ટા દુશ્મન સિકંદરશાહને માત્ર પાછો હઠાવીને તેણે માનકોટમાં છોડ્યો પણ તેનો પૂરો પરાભવ કર્યો ન હતો. વળતા વરસના સને ૧૫૫૭ ના–માર્ચમાં તેને એવા સમાચાર મળ્યા કે પંજાબમાં રાખેલા એના લશ્કરની આગલી ટુકડીનો સિકંદરશાહે લાહોરથી ચાલીસ માઈલ ઉપર પરાભવ કર્યો હતો. પંજાબમાંથી આવતા અમીરો કહેવા લાગ્યા કે માનકોટ અગાડી સિકંદરશાહે એક મજબૂત પાયો રાખ્યો છે તેથી ઘણો ગંભીર પ્રસંગ થઈ પડ્યો છે. કારણ કે રણમાં માર ખાય તોપણ અડચણો કરવાને માટે તે ત્યાંથી નીકળી શકે. વળી એના આ વિજયે એના પક્ષવાળાઓને ઉત્તેજન આપ્યું હતું. આ દલીલનું બળ કબરે સ્વીકાર્યું. જો કાંઈ કરવું તો તે પૂરૂં કરવું—એ નિયમમાં એના રાજ્યનું મોટું બળ સમાયેલું હતું: અને તે નિયમનો ઉપયોગ કરવાનો તેણે નિશ્ચય કર્યો. તદનુસાર એ સીધો લાહોર તરફ ચાલ્યો અને લાહોરને સલામત જાણીને ત્યાંથી—એનો શત્રુ જ્યાં સ્થિર થઈ બેઠો હતો ત્યાં–જાલંધર ઉપર ઉપડ્યો. કબર આવી પહોંચ્યો એટલે સિકંદર સિવાલીક તરફ હઠ્યો અને માનકોટ ઉપર આધાર રાખીને બેઠો. ત્યાં કબરે એને ઘેરો ઘાલ્યો.

આ ઘેરો છ મહિના ચાલ્યો. પછીથી દુકાળથી પીડાયેલા તથા પોતાના માણસો નાસી જવાથી નબળા પડેલા સિકંદરે સલાહની સરતો માગવા સારૂ પોતાના કેટલાક ઉમરાવોને મોકલ્યા. કબરે તેની વિનંતી સ્વીકારી અને એવી સરત કરી કે સિકંદર બંગાળામાં જઈને રહે, અને હવેથી બાદશાહ સાથે નહિ લડે એવી ખાત્રી સારૂ એના શાહજાદાને જામીનગીરીમાં બાદશાહને સોંપે. પછી તે કિલ્લો સર થયો અને કબર લાહોર પાછો આવ્યો. ત્યાં ચાર મહીના ને ચાર દિવસ તે ઈલાકાના બંદોબસ્ત સારૂ રહ્યો અને પછી દિલ્હી તરફ પાછો ફર્યો. રસ્તામાં જાલંધર આગળ મુકામ કર્યો. ત્યાં હુમાયૂંના કાકાની એક દીકરી સાથે બેરામખાનનું લગ્ન થયું. આ લગ્ન હુમાયૂંએજ નક્કી કર્યું હતું. અને આવી બાબતમાં આ જુવાન બાદશાહ એના બાપની મરજીને કાયદારૂપે ગણતો. અકબર સને ૧૫૫૮ ના માર્ચની ૧૫ મી તારીખે દિલ્હીમાં દાખલ થયો. હજી વાસ્તવિક કારભાર બાદશાહના અતાલીક અથવા સંભાળ રાખનાર બેરામખાંના જ હાથમાં હતો, અને ૧૫૫૮ અને ૧૫૫૯ એમ બે વર્ષ સુધી તે એ અધિકારમાં રહ્યો. જેની પાસે રાજવ્યવહાર શીખવાને એને મૂકવામાં આવ્યો હતો, તેવા આ મોટા સેનાપતિની પ્રતિષ્ઠા એકદમ હલાવી નાંખવી એ એક નાના બાળકને માટે સહેલું કામ નથી. અને કબર જોકે પોતાને નામે કરેલાં અતાલીકનાં ઘણાં કામો નાપસંદ કરતો તો પણ એની ધુરા કહાડી નાંખવા જેટલું બળ એનામાં નથી એમ વખતે તેને લાગતું હશે. પણ જે માણસોને કબર પસંદ કરતો અને જેમણે કંઈ પણ કારણ વિના બેરામખાંનો ગુસ્સો વ્હોર્યો હતો તેવા માણસોને દમભેર કહાડી મૂકવાથી આ અત્યંત સ્વાવ્યત્ત પ્રધાનના ઉપરથી બાદશાહનું મન ધીમે ધીમે ઊઠી ગયું. બેરામે આટલું લક્ષમાં ન લીધું કે વર્ષે વર્ષે એના બાદશાહના સ્વભાવમાં રહેલાં તેજસ્વી લક્ષણો ખીલતાં જાય છે: અને જે ઉત્તમ ગુણોની એનામાં ઈશ્વરી બક્ષિસ છે એની સાથે અનુભવ અને કામકાજનું જ્ઞાન વધતું જાય છે. એતો હજી એને “હું એનો અવાલીક છું, એનાં લશ્કરોને મારી સરદારીએ વિજય મળ્યો છે, એનો રાજ્યકારભાર હું ચલાવું છું.” એમ સમજી હજી એને એક બાળક રૂપેજ ગણતો. કાંઈ પણ દાબ વગર ચલાવેલા સત્તાના અમલથી તેવોજ અમલ કરવાની એને ટેવ પડી ગઈ હતી. અને અસાધારણ દૃઢતાવાળા સ્વભાવના પુરૂષોમાં દેખાતી આપઅખત્યારીથી એ પોતાની સત્તાનો અમલ હજી ચલાવ્યેજ કરતો હતો.

દરેક જુવાન રાજ્યકર્તાની આસપાસ એવા માણસો હોયછેજ કે જેઓ ખરી રીતે બાદશાહને વાપરવાની સત્તા જો કોઈ બીજો માણસ વાપરે તો એમાં બાદશાહનું તથા પોતાનું બહુજ દુઃખોત્પાદક અપમાન થાય છે એમ ગણે. આ માણસોના હેતુઓની તપાસ કરવાની કંઈ જરૂર નથી. ઘણી વાર તો બેશક સ્વાર્થીપણાથી અને કોઈકજ વાર શુદ્ધ અને નિઃસ્વાર્થ હેતુથી પણ આવા માણસો એમ ઇચ્છે છે કે રાજ્યની લગામ જુવાન અને ખરો ધણીજ પોતાના હાથમાં લે. રાજ્યસત્તા અને નિગ્રહાનુગ્રહ બેરામને હાથે જેમનું કાંઈ ભુડું થયું હોય અને જેઓ બાદશાહ તરફથી કંઈક અનુગ્રહની આશા રાખતા હોય પણ તે બે'રામખાંને હાથે નહિં થાય, એમ ધારતા હોય, એવા બેરામને ધિક્કારનારા કેટલાક મનુષ્યો કબરની હજુરમાં પણ હતા. બાદશાહના મન ઉપર જનાનામાંથી અસર કરવામાં આવી હતી. એ છેક પારણામાં ઝુલતો હતો ત્યારથી તે તખ્તનશીન થયો, ત્યાર સૂધી એની પાસે ને પાસે રહેલી એની ધાત્રી જે પાછળથી એના જનાનાની મુખ્ય અધિકારિણી થઈ હતી. તેણે પણ કબરને સમજાવ્યું કે રાજ્યની લગામ હાથમાં લેવાનો વખત હવે આવ્યો છે. કબરની તો મરજીજ હતી. એને અઢારમું વર્ષ ચાલતું હતું. એના બાપના વારસાનો કેટલોક ભાગ પાણીપતની લડાઈએ મેળવી આપ્યા પછી જે ચાર વર્ષો ગયાં તે વર્ષોને એણે પોતાના સ્વાભાવિક ગુણોને દૃઢ કરે અને ખીલવે એવી રીતે ગાળ્યાં હતાં. પણ એના મુખ્ય પ્રધાને વારંવાર બતાવેલી ક્રૂર અને તરંગી રીતભાતની વૃત્તિને એ જોતો અને ધિઃકારતો, તોપણ નાનપણથી પોતાના સંભાળનાર ઉપર ઉદાર દીલના માણસો જે સ્વાભાવિક પ્રીતિ રાખે છે તે પ્રીતિ બેરામને માટે તે રાખતો હતો. અનુભવથી બેરામના સ્વભાવમાં એને સમજણ પડી ગઈ હતી કે–એની સાથે જરા પણ તોડવું તે પૂરી રીતેજ તોડવું. એને એવી રીતે દૂર કરવો જોઈએ કે પછી કંઈ પણ સત્તાની આશા એરાખી શકે જ નહિ. કાં બધી સત્તા કે કાં જરા પણ નહિ એજ એને માટે ખરો માર્ગ હતો. સને ૧પ૬૦ ની શરૂઆતમાં એવા ઘણા પ્રસંગો આવ્યા કે જેણે રાજ્યની લગામ પોતાના હાથમાં લેવાનો કબરને નિશ્ચય કરાવ્યો. પછી પોતાના પ્રધાનને આ ઠરાવ જણાવવાનો નિશ્ચય કરી તે આગ્રાથી દિલ્હી ગયો. બેરામે પંડેજ ઘણી વાર જે હરીફ અથવા ઉમરાવને એ ધિઃકારતો તેને દૂર કરવાની રીતનો દાખલો આપ્યો હતો. એની રીત તલવાર અને ખંજરની હતી. પણ આ જુવાન બાદશાહના સત્ત્વગુણી મનને આ રીત ધિઃકારવા યોગ્ય લાગી. અને–તે વખતના લેખો ઉપરથી આપણે જેટલી માહીતી એકઠી કરી શકીએ–તે પ્રમાણે આ જાતનો રસ્તો સૂચવવાની કોઈને હીમત પણ નહતી. એની માએ અને ધાત્રીએ જે રસ્તો એને સૂચવ્યો હતો તે એ હતો કે પ્રધાનને મક્કાની માન ભરી યાત્રાએ જવાનું કહેવું. અને તે એવી રીતે કહેવું કે એની અસર હુકમના જેવીજ થાય. બેરામે ઘણી વાર જાહેરમાં કહ્યું હતું કે બીજાના હાથમાં રાજ્યભાર નિર્ભયરીતે ર્પીને મોક્ષદાયિની મક્કાની યાત્રા કરવાનો મને વખત મળે એને માટે હું ઘણો આતુર છું. હથીયારથી કાંઈ પણ તોફાન ન થાય એને માટે કંઈક ચિંતા હોવાથી દિલ્હી આવીને તેણે એક જાહેરનામું કહાડ્યું. એમાં એણે જણાવ્યું કે મેં રાજ્યકારભાર મારા હાથમાં લીધો છે માટે મારા સિવાય કોઈની પણ આજ્ઞા માન્ય ગણવી નહિ. આ મતલબનો સંદેશો એણે બેરામને પણ મોકલ્યો અને એને મક્કે જવું એ હવે ઈચ્છવા લાયક છે એમ સૂચવ્યું. આ સંદેશો પહોંચ્યા પહેલાં કબરનો આવો ઠરાવ છે એમ બેરામે સાંભળ્યું હતું અને તે આગ્રા છાડીને પશ્ચિમ કિનારા તરફ ઉપડી પણ ગયો હતો, તે અલબત બહુ ગુસ્સે થયો હતો અને કાંઈ તોફાનનો પણ વિચાર કરતો હતો. કારણકે બીયાન આગળ આવતાં આવતાં ત્યાં અગાડી કેદ કરેલા કેટલાક તોફાની ઉમરાવોને એણે છોડી મૂક્યા. કબરનો સંદેશો તેને ત્યાં જ મળ્યો અને ત્યાંથી તેણે રજપૂતાનામાં નગર તરફ પોતાની મુસાફરી શરૂ કરી. આ વખતે એની સાથે એના સગાંસંબંધી ઉમરાવો અને સૌ સૌના રક્ષકો એટલા જ જણ હતા. નગરથી આમાંના એક જણની સાથે એણે પોતાનો વાવટો પોતાનો નીશાન ડંકો અને અમીરાઈની બીજી બધી નીશાનીઓ ‘બાદશાહના હુકમને હું વશ છું’ એના ચિન્હ તરીકે મોકલાવી આપી. કબરને એમ ખાત્રી કરી આપવામાં આવી હતી કે બેરામ નક્કી જ પંજાબને એના વિરુદ્ધ ઉશ્કેરશે. તેથી તે એક સૈન્યની સાથે તે તરફ ઉપડી ગયો હતો. અને જ્યારે આ રાજ્યચિન્હો–(અમીરાઈનાં ચિન્હો) આવ્યાં ત્યારે તે રોહતક જીલ્લામાં ઝાજર અગાડી હતો. આ બધાં એણે મૂળ તો બેરામના એક અનુયાયી પણ હમણાં હમણાંમાં એ ઉમરાવની કૃપાથી ભ્રષ્ટ થયેલા એક માણસને બક્ષ્યાં અને તેને એના જૂના સરદારની પાછળ જવાનો અને તેને મક્કે જવાના વહાણમાં બેસાડી આવવાનો હુકમ કર્યો. આ યોજનાથી બેરામ બહુજ ગુસ્સે થયો અને બીકાનેર તરફ પાછી ફરી પોતાનું કુટુંબ પોતાના દત્તક દીકરાને સોંપી–બાદશાહની સ્હામો થયો. પણ મોગલ બાદશાહની સામે ફિતુર કરનાર એક સખસની સ્થિતિ તો બાદશાહના વિશ્વાસુ પ્રધાનની સ્થિતિથી કેટલી જૂદી છે તે તેને તરતજ જોવું પડ્યું. દીપાલપુર પહોંચતાં એને એવા સમાચાર મળ્યા કે એનો દત્તક દીકરો બેવફા થઈ એની જ સામે થયા છે. તોપણ જાલંધર દુઆબ ઉશ્કેરવાનો નિશ્ચય કરી તે એ સુપ્રસિદ્ધ સ્થળ તરફ દમભેર ચાલ્યો. ત્યાં પંજાબના સૂબા ન્જ્જાખાનના લશ્કર સાથે સરહદ ઉપર ભેટો થયા. લડાઈ થઈ તેમાં બેરામ હાર્યો અને લુધીઆનાની પશ્ચિમે ત્રીસ માઈલ ઉપર આવેલા સતલજના કીનારા ઉપર તીલવાર સુધી નાઠો. કબરના મદદગારે બેરામને ભેટીને હરાવ્યો, ત્યારે કબર પણ બેરામની શોધમાં જ હતો. તે આ વખત બેરામની પાછળ પડ્યો અને એને એવી દશામાં આણ્યો કે બેરામ એને શરણ થયો અને માફ માગી. પછી એણે કરેલી મોટી સેવાઓ સંભારીને કબરે એને માફી બક્ષી અને ખરચીમાં એક મોટી રકમ આપી મક્કાને રસ્તે મોકલ્યો. બેરામ ગુજરાત સુધી સહીસલામત પહોંચ્યો. ત્યાંના સૂબાએ એને સારો આવકાર આપ્યો અને ત્યાં હિંદુસ્તાન છોડવાની તૈયારી કરતા હતો તેવામાં—એક લોહાની અફઘાન–જેનો બાપ મચ્છીવાડાની લડાઈમાં મરણ પામ્યો હતો તેણે એને મારી નાંખ્યો.

દરમિયાન કબર દિલ્હી આવ્યો હતો. (તા. ૯ મી નવેમ્બર સને ૧૫૬૦) ત્યાં તેણે થોડા દિવસ આરામ લીધો અને પછી જે જે મુલકોને એકત્ર કરી એક મોટું રાજ્ય બનાવવાનો એણે નિશ્ચય કર્યો હતો તે તે મુલકો જીતવાની અને એકતન્ત્ર કરવાની પોતે ઘડેલી યોજનાઓ અમલમાં મૂકવા આગ્રે ગયો. ખરૂં જોતાં કબરનું રાજ્ય એ અર્થમાં એનું રાજ્ય આ વખતથી શરૂ થયું. તેનો તાલીક જેણે રાજ્યની તમામ સત્તા પોતાના એકલાના હાથમાં રાખી હતી તે ગયો અને દેશનું ભવિષ્ય હવે આ બાદશાહની બુદ્ધિ ઉપર જ આધાર રાખી રહ્યું.