દ્વિરેફની વાતો/એક પ્રશ્ન

વિકિસ્રોતમાંથી
← ઉપોદ્‌ઘાત દ્વિરેફની વાતો
એક પ્રશ્ન
રામનારાયણ પાઠક
રજનું ગજ →




એક પ્રશ્ન

ર્વ શાસ્ત્રીઓ કૃપા કરી અહીં આવો અને મારા પ્રશ્નનું નિરાકરણ કરો. ધર્મના, માનસશાસ્ત્રના, સંસારશાસ્ત્રના, રાજનીતિના‚ પ્રમાણુશાસ્ત્રના, નીતિના, અનીતિના, સર્વ શાસ્ત્રીઓ:

આવો શાસ્ત્રી તમ પગલે પાવન થવુ રૈ લોલ,
પ્રાણ રૂધન્તા પ્રશ્ન પદે ઠાલવું રે લોલ.

હું બીજી એલ. એલ. બી. નો અભ્યાસ કરતો હતો અને વાંચવાથી કંટાળીને મારે વચલે માળે જે હાથમાં આવ્યું તે પેપર વાંચતો હતો. તેમાં મુંબઈની ગાયવાડી લેઈનમાં એક માળામાં જરા આગનું છમકલું થયાનું વાંચ્યું અને કાંઈ વાત કરવા જોઈતી હતી માટે કોણ જાણે શો ભોગ લાગ્યો તે મારી બહેનને કહ્યું: “ જોયું બહેન, આ મુંબાઇમાં આગનું છમકલું. થયું તે."

બહેન: "કેમ, છમકલું થયું તેમાં એવું શું જાણવાનું છે ? કારણ શું હતું?:

હુંઃ "માળામાં ઘાટી સ્ટવ કરતો હતો અને સ્પિરિટ ઓછો પડ્યો છે જાણી બીજીવાર સળગતા સ્પિરિટમાં બાટલી લઈ સ્પિરિટ નાખતાં આખી બાટલી સળગી. એ તો સારું થયું કે આસપાસથી માણસોએ આવીને આગ બુઝાવી.

બહેન : હા. આપણા ઘરમાં આવું બનતાં બનતાં રહી ગયેલું તે તમને ખબર છે?

હું : હા. મને ખબર કેમ ન હોય ? પણ તને એની ક્યાંથી ખબર ?

બહેન : વાહ ! આપણા નોકર ડાહ્યલો નવો નવો રાખેલો, તે પણ એવી રીતે સળગતા સ્પિરિટમાં સ્પિરિટ નાખવા જતો હતો. પણ હું પાસે ખેઠેલી તે મેં હળવે રહીને તેના હાથમાંથી બાટલી જ લઈ લીધી. જો ઉતાવળી બોલું તો કદાચ ચમકીને એકદમ સ્પિરિટ નાખી દે.

હું: અરે ગાંડી, એ તો હું ત્યાં બેઠા હતો અને મેં જ એના હાથમાંથી બાટલી લઇ લીધી'તી, અને પછી મેં તમને બધાંને સમજાવ્યું કે-

બહેન : લો, રાખો રાખો. એટલું અમે નહિ સમજતાં હોઇએ? મેં ચંદ્રકાન્તમાં વાંચેલું કે કર્ણ નિશાન પાડવા પાછે પગલે જતો હતો અને ત્યાં પછવાડે કૂવો આવ્યેા. જો એક પગલું પાછા ખસત તે કૂવામાં પડત. કર્ણના માણસે બોલ્યા ચાલ્યા વિના પેલું નિશાન જ તાડી પાડ્યું, અને એવી રીતે તરત-બુદ્ધિથી કર્ણને બચાવ્યો. ત્યારથી હું સમજતી કે એવે વખતે બૂમ ન પાડવી. પણ જાતે જ તે સ્થિતિમાં ફેરફાર કરી કાર્ય અટકાવવું.

હું: ઓ હો। હો ! શું શાસ્રજ્ઞાન છે! ચંદ્રકાન્તમાંથી દાખલો આપ્યો એટલે જાણે થઈ ગયું ! એ તા ડાહ્યલાના હાથમાંથી મેં બાટલી લઈ લીધી હતી અને પછી તમને બધાંને મેં ઈટલીના ચિત્રકારનો દાખલો આપીને આ વાત સમજાવી હતી. એ વખતે પછી તેં કર્ણનો દાખલો આપ્યો હતો.

બહેનઃ કાંઈ નહિ. આમાં પંચ નીમો. બાને બોલાવો. બા કહે તે ખરું. બા, ઓ બા, આમ આવો.

બા આવ્યાં.

બા: કેમ હીરા, શું છે ?

હું: બા, આપણા ઘરમાં -

બહેન : ના, એમ નહિ ચાલે. તમે તો વકીલાત કરીને આડું અવળું પૂછો અને આ તે બિચારાં ભોળાં છે. હું જ પૂછું છું. બા, આપણા ઘરમાં ડાહ્યલો નોકર હતો અને તેને આપણે કાઢી મૂક્યો એ યાદ છે ?

બા: હા; મૂઓ તદ્દન એવો. એક વાર સળગતા સ્પિરિટમાં પાછો સ્પિરિટ નાખતો હતો. હું પાસે બેઠી હતી તે તેની પાસેથી મેં તે બાટલી જ લઈ લીધી. ઠીક થયું, ગયો, નહિ તો કાંઈનું કાંઈ નુકસાન કરત.

હું: વળી આ જુઓ. આ તો બેની લડવાડમાં ત્રીજો ખાઈ જાય. હું અને હીરાને એ જ તકરાર ચાલે છે. હું કહું છું મેં ડાહ્યલાના હાથમાંથી બાટલી લીધી અને હીરા કહે છે મેં લીધી. અને તમને પૂછવા બોલાવ્યાં તો તમે વળી જુદું જ કહો છો.

હીરા : કાંઈ નહિ, બા ! એ ભાઈ આપણને નહિ પહોંચવા દે. નાનાંભાભીને બોલાવો. એ કહેશે એટલે સાચું માનશે. ભાભી, ઓ ભાભી ! મારી પત્ની ગૌરી આવી એટલે હીરાએ કહ્યું: કેમ ગૌરીભાભી, આમ આવો. ડાહ્યલાના હાથમાંથી સ્પિરિટની બાટલી કોણે લઇ લીધી, એ વાતનો ન્યાય કરો.

ગૌરીઃ તે કૅસની હકીકત જાણ્યા સિવાય શો ન્યાય કરું ? પક્ષકારો કોણ છે?

હીરા: ભાઈ કહે છે મેં બાટલી લઈ લીધી હતી અને -

ગૌરી : ત્યારે તો તમે હમણાં બોલો માં. હું જ એમની ઉલટપાલટ તપાસ કરું છું. સાંભળેા. તમે કહો છો કે તમે બાટલી લઈ લીધી હતી?

હું: પણ હું તને ક્યાં ન્યાયાધીશ તરીકે સ્વીકારું છું ? અને ન્યાયાધીશથી તે વળી ઉલટપાલટ તપાસ થાય ?

ગૌરીઃ ના, તે ન્યાયાધીશ નહિ, જાઓ. પણ હું વકીલ તરીકે અને છેવટ પક્ષકાર તરીકે તો પૂછી શકું ના ? બોલો, તમને ખબર છે? રસોડામાં ચૂલો કઈ જગાએ છે? અને સ્ટવ કઇ દિશામાં રહે છે?

હું: એટલે તને બીક લાગતી હશે કે રખેને હું તારા રસોડાના સ્વરાજમાં પગપેસારો કરું ! તેથી આટલી જીવ ઉપર આવીને લડે છે. પણ મને ખબર છે હોં !

ગૌરીઃ તમે મારા સ્વરાજમાં પગપેસારો કરશો એવી મને લગારે ય બીક નથી. તે દિવસે બહેને મશ્કરી કરી ત્યારે રોટલી સવળી કે અવળી તે પણ ઓળખતા ન હતા. પણ ખબર હોય તો જવાબ દો.

હું: પૂર્વમાં.

હીરા [તાળીઓ પાડતાં ]: ખોટું, ખોટું, હાર્યાં. ભાભી, તમે ભારે કર્યું. હવે કહો કે બાટલી કોણે લીધી'તી ? ગૌરીઃ કોણે કેમ? મેં લીધી'તી. તે દિવસે બા અને તમે બહાર ગયાં હતાં. હું ધરમાં એકલી હતી. અને મોટાભાઈને માટે ચ્હા મૂકવાનું કહેલું અને હું ઓચિંંતી જઇ ચઢી. ત્યાં તો એવકૂફ બાટલી હાથમાં લઇને સળગતામાં રેડવા જતો હતો.

હું : જો ન્યાયાધીશ થયાં છે પોતે. આમ તેમ કરીને પોતાને માન ખાટવું છે. અને બીજાની વાતો ખેાટી કરવા બધાની ગેરહાજરી બતાવવી છે.

ગૌરીઃ મેં ક્યારે કહ્યું હતું કે હું ન્યાયાધીશ છું? હું તો પહેલેથી જ પક્ષકાર હતી.

હીરા : કાંઈ નહિ. ત્યારે મોટાભાઇને બોલાવો. હવે આનો ફડચો તો કરવા જોઈએ.

હું : હા; મોટાભાઇને બોલાવો.

હીરા : મોટાભાઇ, જરા આમ આવશો ?

મોટાભાઇ: કૅમ, છે શું ? સુખે પેપર પણ નહિ વાંચવા દો ?

હીરા : તે અમારે પણ પેપર વાંચતાં જ મુશ્કેલી આવેલી છે માટે બોલાવીએ છીએ.

મોટાભાઇએ આવીને કહ્યુંઃ ઓહો! આ કોલાહલ શો ? યુરોપનું યુદ્ધ ભજવો છો કાંઇ ?

હીરા : હા ! લગભગ યુદ્ધ જેટલા પક્ષકારો થઇ ગયા છે. એક બે ખૂટતા હશે.

મોટાભાઈ : લ્યો ત્યારે હું પણ પક્ષકાર ચાઉં. એટલે શું છે ?

હીરા : ના; આમાં તો ન્યાય કરવો પડશે. પક્ષકાર થયે કામ નહિ આવે. તકરાર મોટી થઇ પડી છે. હું અને ભાઈ વચ્ચે તકરાર પડી છે.

ગૌરી વડીલને જોઇ ચાલવા જતી હતી તેને પકડી રાખી તે કરી બોલીઃ લો; ભાભી સાહેબનું દફ્તરમાં નામ ન નોંધાવ્યું એટલે એ તો રીસાઇને ચાલ્યાં. એમનો પણ દાવો છે અને બાનો પણ દાવો છે. આપણા ઘરમાં ડાહ્યલો હતો. તેના હાથમાંથી બાટલી કોણે લઇ લીધી તે સવાલ છે. હું કહું છું મેં લીધી અને ભાઈ કહે છે—

મોટાભાઈ : : હા, તે તમે બધાંએ ઘણી વાર એના હાથમાંથી બાટલી લીધી હશે તેમાં તકરાર શી કરો છો? મેં તો માત્ર એક વાર ડાહ્યલાના હાથમાંથી બાટલી લીધેલી. મેં તેને સ્ટવ સળગાવવાનું કહ્યું. તેણે થોડો સ્પિરિટ નાખીને સળગાવ્યો, મેં કહ્યું: ‘ અલ્યા ઓછો પડશે' એટલે મૂરખો સળગતા સ્પિરિટમાં સ્પિરિટ નાખવાનું કરતો હતો. મેં તેના હાથમાંથી બાટલી લઈ લીધી.

હીરા : આ તો તમે પણ ખરેખર પક્ષકાર થઇ ગયા. હવે કરવું શું?

બા: હવે મોટાંભાભી બાકી રહ્યાં. એ પણ કહે કે મેં સળગતું બચાવ્યું હતું એટલે થયું. નાટક પૂરું થાય.

બરાબર આ જ વખતે મોટાંભાભી આવી પહોંચ્યાં.

હીરા : ભાભી, આયુષ્ય તો લાંબું છે. મેલો આપણા ઘરમાં સ્પિરિટ સળગાવતાં ડાહ્યલાના હાથમાંથી બાટલી કોણે લઇ લીધી હતી ? જો જો, મેં જ લીધી'તી એમ ન કહેતાં.

મોટાંભાભી: તમે પણ એ જ વાત કરો છો ! હું તો માનું જ છું કે મનોમન સાક્ષી છે. [મારા સામું જોઇને ] વિચારસંદેશા ચાલે તેને અંગ્રેજીમાં શું કહે છે? તમે કાંઇ કહ્યું હતું ને?

હું : ટેલીપથી [ Telepathy ].

મોટાંભાભી: હું તો ટેલીપથીને માનું છું. દીનુભાઈ ને ઘેર બેસવા ગઇ'તી ત્યાં ડાહ્યલાની વાત નીકળતાં મેં હમણાં જ કક્યું કે એ મૂરખો! સળગતા સ્ટવમાં સ્પિરિટ નાખવા જતો હતો તે મેં બાટલી પડાવી લીધી હતી. અને અહીં આવું છું તો તમે પણ એ જ વાત કરોછો !! પૂછી આવો વળી ખોટું કહેતી હોઉં તો.

હીરા: પણ ભાભી, આ તા વિચિત્ર ટેલીપથી થઈ. આવી તો દુનિયામાં નહિ હોય. અમે વાત તો એજ કરીએ છીએ પણ અમે દરેક એમ કહીએ છીએ કે એ બાટલી અમે લીધેલી.

મોટાભાઇ : બોલો યુરોપીય યુદ્ધ જેટલા પક્ષકાર થઈ ગયા.

હું : પણ ત્યારે આનો નિવેડો શો આવ્યો ?

મોટાંભાભી : નિવેડો એ કે બધાંએ હવે ચ્હા પીવી.

હું : પણ બાટલી કોણે લીધી ?

મોટાંભાભી : જે ચ્હા પીએ એણે.

એ વખતે તો મેં એ નિવેડો સ્વીકારી લીધો. પણ તમને બધા શાસ્ત્રીઓને પૂછું છું: આમાં ખરું કોણ ? અને આ ગોટાળાનું કારણ શું?

મને એટલું કહો! એટલું કહો કથી રે લોલ,
માન્યું અમાન્યું હો સત કાં થતું નથી રે લોલ ?
ધાર્યું ધાર્યું હો સત કાં થતું નથી રે લોલ?