દ્વિરેફની વાતો/રજનું ગજ

વિકિસ્રોતમાંથી
← એક પ્રશ્ન દ્વિરેફની વાતો
રજનું ગજ
રામનારાયણ પાઠક
જમનાનું પૂર →





રજનું ગજ

શીશી ઉપર નામ વાંચી ખાટલામાં સૂતાં સૂતાં દરદીએ કહ્યું: “ એ જુવારી ? ચે ક્યા કિયા તુંમને? કિસકા નામ લિખાયા ?

જોહારમલ અને બ્રિજકિશોર એ બે સાંધાવાળાનાં પુરબિયાં નામો આ વિરમગામના પાટીદારોને અધરાં પડતાં હતાં તેથી, અને પરદેશમાં મશ્કરી કરવા થાય તેથી, કુટુંબમાં તેમને જુવાર બાજરી કહેતા. જુવારીએ જવાબ આપ્યો: “સાબ, મેં તો આપણા નામ ભૂલ ગયા ઈસસે બાબુજીકા નામ લિખાયા. ઇસ વજેસે કુછ નુકસાન નહિં હોગા. હકીકત બરાબર કી હૈ.

"કેમ ભાઈ, શું થયું? " કહેતો એક જુવાન ઘરમાંથી બહાર નીકળ્યો.

“આ તારા જુવારીએ ડૉક્ટરને ત્યાં મારે બદલે તારું નામ લખાવ્યું. આખો દેશ જ બેવકૂફ છે.

બન્ને ભાઈઓ ખૂબ હસ્યા. નાનાએ કહ્યું: ‘એ જુવાર બાજરીમાં જુવાર બાજરી જેટલી ચે અક્કલ નથી. મોટાભાઈ રમણલાલને નિશાળમાં ઉનાળાની રજા પડી હોવાથી રજા ગાળવા તે પોતાના ભાઈ મણિભાઇને ત્યાં આવ્યા છે. મણિભાઈ મહેરાનપુરનો સ્ટેશન માસ્તર છે. રજાઓ પૂરી થવા આવી ત્યારે જ બરાબર રમણલાલને ટૂંટિયું થયું. તેથી તેણે ગામના ડૉક્ટર પાસે જુવારી સાથે દવા મંગાવેલી હતી.

મણિભાઇએ કહ્યું: “ કાંઈ નહિ ભાઈ. એ તો ટૂંટિયાની એક જ દવા આપે છે. આ દવા પી જાઓ. કાલે ડૉકટર નીકળવાના છે તેની પાસેથી દવા લઈશું. ”

બધે ટૂંટિયાના વાયરા હતા તેથી રેલ્વે ડૉક્ટર ટ્રેઇનમાં એકાંતરે ફરતો.

બીજે દિવસે મણિભાઇએ દવા માગી.

"કિસકે લિયે ? ”

“બડાભાઇ આયા હૈ ના ! ઉસ્કે લિયે."

"અચ્છા !"

"ઔર ઉસ્કા વેકેશન ભી પૂરા હોતા હૈ. ગઈ પરમું તો ઉસકા જાનેકા થા."

"કુછ ફિકર નહિ. મેં કૈસ કરતા હું. નામ ક્યા?"

"રમણલાલ."

ડૉક્ટરે આર. પી. પટેલ મોટેથી બોલતાં ટૂંકમાં લખ્યું અને ધંધો વગેરે પોતાની મેળે પૂરી લીધું. મણિભાઈ ડબાની બારીમાંથી ઊભો ઊભો જોતો હતો તેણે કહ્યું: “ ભાઈકી ઉમ્મર તા પેંત્તીસ વરસકી હૈ. તીસ તો મૈં હું."

“ અચ્છા, લેકિન દોનો ભાઇ બહુત જુવાન દિખા જાતા હૈ. ઉમ્મરસે કુછ ખોરાક (ડોઝ)મેં ફરક નહિ હોતા હૈ." પોતે હોય તે કરતાં ઓછી ઉમ્મરનો દેખાય છે એ સૌભાગ્ય કોને નથી ગમતું ?

રમણલાલ ચંડીસરની મુખ્ય મ્યુનિસિપલ નિશાળનો હેડમાસ્તર હતો. શિક્ષક તરીકે કામ ઘણું સારું કરતો, વિદ્યાર્થીઓનો ખાસ પ્રિય હતો, ગામમાં ઘણાં વરસથી રહી લોકોમાં ઓળખાણ પિછાણવાળો થયો હતો, બોલવામાં જરા બટકબોલો હતો, અને તેથી જ તેની સાથેના માણસોમાં જેમ કેટલાકને પ્રેમપાત્ર તેમ કેટલાકને તિરસ્કારપાત્ર પણ થયો હતો.

ઉપરીઓ સાથે તેને આ કારણથી બનતું નહિ. અસહકાર શરૂ થયા કે તરત જ તેણે અસહકારનો ઝંડો ઉપાડ્યો અને પોતાની વગથી અને તનતોડ મહેનતથી નવી રાષ્ટ્રીય શાળામાં ઘણા વિદ્યાર્થીઓને આણ્યા અને શાળાનું કામ સરસ રીતે ચાલવા માંડયું. આથી તેને શાળાની વ્યવસ્થાપક સમિતિમાં રાખવો પડ્યો હતો, જો કે તે બીજા વ્યવસ્થાપકોને ગમતી વાત નહોતી.

રજાઓ પૂરી થઈ અને શાળા જુન માસમાં ઊઘડી છતાં રમણલાલ ન આવ્યો. શાળાની વ્યવસ્થાપક સમિતિ ત્રીજે દિવસે મળી અને સમિતિના સભ્યોને, આજે માસ્તર નહિ આવ્યાથી શાળામાં કેમ ચાલે છે, ત્યાં કાંઇ તરત કરવા જેવું છે કે કેમ, એમાંનો એકેય વિચાર આવતો નહતો. તેઓ તો માત્ર રમણલાલ વિશે જ અનેક વિચારો કરવામાં મશગૂલ હતા.

મગનલાલ : લ્યો જોયું! પહેલા જ વેકેશનમાં ન આવ્યા !

છોટાલાલ : હું તો કહેતો હતો કે એ કાઠિયાવાડીઓનો વિશ્વાસ જ ન કરવો.

વિરમગામીને એ ખાસ ગેરફાયદો છે. કાઠિયાવાડીઓ તેને ગુજરાતી તરીકે અને ગુજરાતીઓ તેને કાઠિયાવાડી તરીકે લુચ્ચો ધારે છે. મિ. દુર્ગાશંકરે ઘડપણને લીધે વકીલાત છોડી દીધી હતી તે બોલ્યાઃ મારો પહેલેથી જ માસ્તરને સમિતિમાં લેવા સામે વાંધો હતો. સ્કૂલની ઉપરની દેખરેખનું કામ સમિતિનું છે અને માસ્તર સ્કૂલના કામ માટે જવાબદાર છે તેમને સમિતિમાં ન જ રાખી શકાય.

છોટાલાલ ઃ તે તારમાં શું લખે છે ?

મગનલાલ ઃ તા. ૧૭ મી સાંજે ટૂંટિયું થયું એમ લખે છે.

દુર્ગાશંકર : તે મહેરાનપુર ક્યાં આવ્યું ? ત્યાં શું કરતા હશે ?

છોટાલાલઃ મધ્ય હિંદમાં નાનુંશું સ્ટેશન છે. ત્યાં તેના ભાઇ સ્ટેશન માસ્તર છે. ત્યાં આપણા લોકો ખરા વેપારી છે તેમની સાથે ખટપટ કરી શિક્ષક રહી જશે અને પછી વેપારમાં પડશે. તેમાં ભાઈસાહેબ રાકાચા હશે.

દુર્ગાશંકર : આ લોકો તો અસહકારમાં કમાવા જ આવે છે.

એટલામાં રમણલાલ માસ્તર જરા ઠીગાતા ઠીંગાતા આવ્યા. બધાએ 'આવો' ‘આવો’ કહ્યું અને પછી પોતાના મનના વેગનો પ્રત્યાઘાત લાગ્યો હોય તેમ થોડી વાર ચૂપ રહ્યા. છેવટે મગનલાલે કહ્યું: માસ્તર, કાંઈ ટૂંટિયું બરાબર શાળા ઊઘડવા ઉપર જ થયું ?

રમણલાલ : હા. એ બાજુ સખત વાયરા છે. કોઈ ઘર ખાલી નથી, અને કોઇને છોડતું નથી. હું નીકળ્યો તે રાતે મારાં ભાભીને શરીર દુખતું હતું. ઠીક, પણ નિશાળનું કેમ છે? હું તા પરભાર્યો આવ્યો છું. નવો શિક્ષક રાખવાનો હતો તેની અરજીઓ આવી છે? શિક્ષકો બધા હાજર થયા છે? શાળામાં સંખ્યા કેવી છે? દુર્ગાશંકર : તમે પોતે મોડા આવ્યા પછી બીજાનું તો કહેવું જ શું? અને બીજાને શું કરી શકાય ?

રમણલાલ : શું કરી શકાય કેમ ? બધુંય કરી શકાય. અને મને પણ કરી શકાય. હું તો શાળાનું પૂછવા જ આવ્યો હતો. લ્ચે। જાઉં. અને મારી રજા બાબત તમારે જે વિચાર કરવો હોય તે કરો.

દુર્ગાશંકર : ના, એમ તો શાળાના સર્વ કામ માટે તમે જવાબદાર છો. છતાં સમિતિમાં શાળાની ચર્ચામાં તમે રહો જ છો ના?

રમણલાલ : એટલે? મારે સમિતિમાં ન રહેવું એમ તમારું કહેવું હોય તો હું ન રહું !

છોટાલાલ : ના, ના, અમે ક્યાં એવું કહીએ છીએ ? કેમ મગનલાલ ! આપણે ક્યાં એવું કહીએ છીએ ?

મગનલાલ : ના, આપણે ક્યારે એમ કહીએ છીએ ? બીજી કોઈ જગાએ રાષ્ટ્રીય શાળાના મહેતાજી સમિતિમાં નથી અને તમે છો, છતાં અમે ક્યાં વાંધો લઇએ છીએ ?

દુર્ગાશંકર ઃ ના, સરકારી શાળામાં વેકેશન પછી શિક્ષક નિશાળ ઊધડતાં હાજર ન થાય તો તેની આખી રજા કપાતે પગારે ગણાય છે.

રમણલાલ : પણ રજા સબંધી નિયમો થવા જોઈએ એમ તો હું કહેતો જ આવ્યો છું. એમ ન હોવાથી દરેક રજાની અરજી મારે સમિતિ પાસે લાવવી પડે છે. રજાના નિયમેાની ચર્ચા ચાલતી વખતે તમે જ—

દુર્ગાશંકર ઃ ના, પણ હજુ બધું સ્થિર થાય પછી જ રજાના નિયમો ઘડી શકાય. હજુ આપણી સંસ્થા તો ઊછરતી છે. મગનલાલ : મારા સાળાને ન્યુમોનિયા થયેલો અને સિવિલ સર્જનનું સર્ટિફિકેટ રજૂ કર્યું, તો પણ હાજર ન થવાના સબબથી આખી રજા કપાતે પગારે ગણાઈ અને આખી સર્વિસને ધક્કો પહોંચ્યો. તમે જાણો જ છો તો !

રમણલાલ : તે તમે કહો તો હું પણ સર્ટિફિકેટ રજૂ કરું. પણ તેની જરૂર છે ? તમે જુઓને આ મારા સાંધા હજુ સૂઝી ગયેલા છે.

માસ્તરે પગ અને હાથનાં આંગળાં બતાવ્યાં પણ કોઇએ સામું ન જોયું. એક માણસ જુઠ્ઠો છે એમ માનવાનો માંડ મળેલો પ્રસંગ પાછો ખોટો પડી જાય ના !

છોટાલાલ : ના. અમને ક્યાં વહેમ છે ? આપણે ક્યાં એવા સરકારી ધારાના બંધાયેલા છીએ ?

છેવટે માસ્તર ઉપર શક નથી એમ અનેક વાર કહીને નક્કી કર્યું કે માસ્તરે રેલ્વે ડૉક્ટરનું સર્ટિફિકેટ તો રજુ કરવું.

આઠ દિવસ પછી એ જ બાબત ભરાયલી સમિતિમાં નીચે પ્રમાણે ચર્ચા ચાલી.

દુર્ગાશંકર ચશ્માં ચડાવી હાથમાં તાર અને સર્ટિફિકેટ રાખી બોલ્યાઃ રહો. તમે તો. ૧૭ મીએ માંદા પડ્યા. ટૂંટિયું ન થયું હોત તો તમે અહીં વખતસર આવી શકત ખરા ?

રમણલાલ : હા, ૧૭ મીની રાત્રે મહેરાનપુરથી નીકળત તો અહીં ૧૮ મીની સવારે આવત અને સ્કૂલ ૧૯ મીએ ઊઘડી.

દુર્ગાશંકર : ઠીક, પણ ત્યારે તમે દવા ઠેઠ ૧૯ મીએ કેમ લીધી ?

રમણલાલ : ૧૮મીએ રેલ્વે ડૉક્ટરને નીકળવાનો વારો નહોતો એટલે ૧૮ મીએ ગામના ખાનગી ડૉકટર પાસેથી લીધી. અને ૧૯મીએ રેલ્વે ડૉકટરની લીધી.

દુર્ગાશંકર : તમારા ભાઇનું નામ શું?

રમણલાલ : મણિભાઈ. કેમ તેનું શું છે?

છેોટાલાલ [ ખડખડાટ હસતો ]: હું સાન્ટાક્રુઝ રહેતો, ત્યારે મારી પાડોશમાં એ ભાઈએ રહેતા. બન્નેના ઇનિશિયલ એક એટલે એક જ રેલ્વે પાસથી મુસાફરી કરતા.

રમણલાલ : તે તમે મારા ઉપર આવો હલકો વહેમ લાવતાં શરમાતા નથી !

મગનલાલ : તે હું ક્યાં કહું છું કે તમે એમ કર્યું છે?

દુર્ગાશંકર : માસ્તર, તમારો કેસ કોણે કઢાવેલો?

રમણલાલ : મારા ભાઈએ જ.

દુર્ગાશંકર : ત્યારે આમાં ૩૦ વરસ કેમ લખ્યાં છે? તમને તો ચોખ્ખાં ૩૫-૩૭ છે. ફરીવાર પરણવું છે કે શું ?

રમણલાલથી પણ હસ્યા વિના રહેવાયું નહિ. તેણે કહ્યું: તે તા હું શું જાણું ? કંઈ સરતચૂક થઇ હશે. આટલી ઉલટ તપાસ કરો છો તે કેમ કાંઈ હું ગુનેગાર છું શું?

દુર્ગાશંકર : ગુનેગાર તો નહિ પણ આમાં તો તા. ૨૩મી સુધી દવા લીધી છે. તમે ૨૧મીથી તો અહીં છો!

રમણલાલ : તે તો ગમે તેમ થયું હોય. પણ તે ઉપરથી તમારે કહેવું છે શું? શું મેં સર્તિફિકેટ ખોટું બનાવ્યું ?

મગનલાલ : રેલ્વેમાં કંઇક ગોટાળા થાય છે. તેનું કાંઈ કહેવાય નહિ.

રમણલાલ ઃ ત્યારે તમે મગાવ્યું શા માટે? તમે પોતે જોઈ શકતા હતા કે મારા સાંધા સૂઝેલા હતા. અને તે વખતે કહ્યું હોત તો ગમે તે સ્થાનિક ડૉકટર પણ સર્ટિફિકેટ આપી શકત. અહીં આવ્યો ત્યારે પણ મને અસર પૂરેપૂરી હતી.

છોટાલાલ : તેમાં પાછા ચીડાઓ છે શાના ? પૃછીએ એટલામાં ? આ તો બસ કાંઇ પૂછાય જ નહિ !

રમણલાલ : તો ત્યારે તમારે માનવું હોય તે માનો. લખો કે રજા કપાતે પગારે ગણવી.

દુર્ગાશંકર : અમારે કાંઈ પગાર કાપવો નથી. પણ જાહેર સંસ્થા રહી માટે વહેમ ન પડે તેવું કરવું જોઇએ. તમે ત્યાંના ખાનગી ડૉક્ટરનું સર્ટિફિકેટ મંગાવોને.

રમણલાલ : એ તો નથી મંગાવાય એમ. સાંધાવાળાને મારું નામ યાદ નહિ રહ્યાથી તેણે મારા ભાઈનું નામ કેસમાં લખાવેલું.

મગનલાલ અને છોટાલાલ ખડખડાટ હસી પડ્યાઃ જોયું અંદરથી શું નીકળ્યું !

રમણલાલ ઃ ત્યારે તમને મારા કહેવા ઉપર વિશ્વાસ જ નથી એમ કહોને. એમ હોય તો મારે રાજીનામું આપવું જોઇએ.

મગનલાલ : હા, એટલે આખા ગામમાં ખટપટ કરો ને હિલચાલને ધક્કો લગાડો.

દુર્ગાશંકર ઃ તમને ખબર છે ? લોકો પાસે નિશાળ ચલાવવાની જવાબદારી અમે લીધી છે. અમારે અમારા નાક સામું ચ જોવું ના !

રમણલાલ : પણ જો હું જુઠ્ઠો જ હોઉં તો મને રાખ્યાથી એ જવાબદારીમાંથી શી રીતે મુક્ત થશો?

છોટાલાલ: ભાઈ જવા દો ને આ વાત જ. હું તો સર્ટિફિકેટ મંગાવવાની ચે વિરુદ્ધ હતો. કોઠી ધોયે કાદવ નીકળે, આ બધા કાગળો ફાઇલ કરી દો ને રજા મંજૂર કરો.

રમણલાલ : તમારે મારી વાત માનવી નથી, મને ખોટો ઠરાવવો છે અને છતાં મને જગા ઉપર રાખવો છે. એ રીતે મારે નથી રહેવું. મારે વેકેશનનો પગાર પણ નથી જોઈતો.

રમણલાલ રાજીનામું આપી ચાલ્યા ગયો.

સાંજે તેની જૂની નોકરીનો મિત્રો મળવા આવ્યા અને તેમણે રાજીનામાની અફવાની વાત કરી. રમણલાલે બધી હકીકત કહી સંભળાવી. મિત્રએ કહ્યું કે તે તો પહેલેથી જ જાણતા હતા કે અસહકારનું ધતિંગ ચાલવાનું નથી, તેમાં બધા લુચ્ચૂ જ ભેગા થયા છે. વળી તેમણે ઘણી જ ખાનગી રીતે કહ્યું કે દુર્ગાશંકરે કેસમાં કાંઇ ગોટાળો કરેલો તે બાબત તેના પર કામ ચાલવાનું હતું માટે તે પ્રેક્ટિસ છોડીને અસહકારી થયો. મગનલાલ અસહકારના પૈસા ઉપર વેપાર ચલાવતો હતો, અને છોટાલાલ બદમાશ હતો. રમણલાલે દલીલથી અને દઢતાથી બતાવ્યું કે આ દરેક જૂઠું છે. એટલું જ નહિ પણ અશકય અને અસંભવિત છે. પણ તે આ અને આથી બીજી ગમે તેવી અને ગમે તેટલી વાતો અસહકારીઓની વિરુદ્ધ માનવા તૈયાર હતા પણ રમણલાલને ટૂંટિયું થયું હતું એ વાત લેશ પણ માનવાને તૈયાર નહોતા તે તેમનાં મોં પર સ્પષ્ટ જણાતું હતું. આથી ગામમાં અનેક ગપ્પાં ચાલ્યાં અને બે દિવસમાં ગામનાં છોકરાં પણ વાત કરવા લાગ્યાં કે માસ્તરે પગારની ચેારી કરી !

છેવટે કાયર થઈ ને માસ્તર પોતાના ભાઈની મદદથી મહેરાનપુરના વેપારીઓ સાથે રહ્યા. તેના ભાઈએ ઘરને માટે રમણલાલના જ કેસ નીચે એ વખત ટૂંટિયા માટે દવા લીધેલી એ જાણવામાં આવ્યું. પણ તે કોણ માને ? અને હવે મનાવીને ચે શું ?

ચંડીસર ગામ તેા માસ્તરના જવાથી અપૂર્વ હર્ષ અને ઉત્સાહમાં આવી ગયું. માસ્તર લુચ્ચા હતા, વિરમગામ કાઢિયાવાડમાં નથી છતાં તે કાઠિયાવાડી હતા, કાઠિયાવાડીઓ લુચ્ચા હાય છે, માસ્તર પહેલેથી જ મહેરાનપુરના વેપારીઓ સાથે રહેવાની પેરવી કરતા હતા, તેમણે નિશાળને પાયમાલ કરવાને માટે સહકારીઓ જોડે ખટપટ કરેલીઃ એમ સમિતિના સભ્યોને મન સિદ્ધ થઈ ગયું; અસહકારીઓ લુચ્ચા છે, સ્વાર્થી છે, તેમનામાં કોઈ સારો માણસ ટકી શકવાનો નથી, એક અસહકારી માસ્તરે ખાટું સર્ટિફિકેટ મેળવ્યું, એમ અસહકારીઓને મન સિદ્ધ થઈ ગયું. ઉત્સાહ એટલો વધી પડ્યો કે બન્ને પક્ષે બે સ્થાનિક અઠવાડિકો કાઢવાનો તે જ દિવસે નિશ્ચય કર્યો.

કોઈ માનવ હીણો છે, નીચ છે, એવા ભાનથી નિષ્પન્ન થતેા પરમ રસ, જે કવિઓએ અનુભવ્યો નથી કે ઓળખ્યો નથી, તે રસમાં આજે આખું ગામ નાહી રહ્યું છે. માનવજીવનને સુલભ એ જ મહાન રસ છે!!!