દ્વિરેફની વાતો/સાચી વારતા

વિકિસ્રોતમાંથી
← જમનાનું પૂર દ્વિરેફની વાતો
સાચી વારતા
રામનારાયણ પાઠક
સાચો સંવાદ →




સાચી વારતા
અથવા
હિંદુ સમાજના અંધારા ખૂણામાં દષ્ટિપાત

મેં કહ્યું: "હવે તો વખત નથી જતો. રાત પડી છે તે સ્ટેશને પણ કાંઈ માણુસોની ચડ-ઊતર થતી નથી કે બે ઘડી જોઇને મન વાળીએ."

પેસ્તનજીએ કહ્યું: “ એ વાંક બધા તમારો છે, અમે હોત તો સેકન્ડ ક્લાસમાં બેસત અને સૂવાનું મળત." પેસ્તનજી દારૂ ખાતાના ઈન્સ્પેક્ટર હતા.

મેં કહ્યું: “ પણ અમારા કેળવણી ખાતાનો વહીવટ છે કે સેકન્ડનું ભાડું ન ભરવું. મારા પહેલાંના મિસ્તર હતા તે તો બિલકુલ ટિકિટ જ ન લેતા. હું થર્ડની તો લઉં છું."

મી. સેંધા બોલ્યાઃ “ ટિકિટ ન લેતા પણ બેસતા તો સેકન્ડમાં કની? ટિકિટ તો હું પણ નથી લેતો ” મી. સેંધા પોલીસ ઈન્સ્પેક્ટર હતા.

અંગ્રેજી ભાષાનો લાભ લઈ ડૉ. ભિડે બોલ્યાઃ પેલી બૈરીઓ પણ મોઢું ઢાંકીને બેઠી છે. ખુલ્લું રાખે તે જરા મોં સામું જોઈને પણ વખત કાઢીએ. ” સ્ત્રીનું શરીર માંસમજ્જાનું બનેલું છે એવા જ્ઞાનથી વૈરાગ્ય આવે છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે તે ડૉકટરે ખોટું પાડયું.

મી. સેંધા [અંગ્રેજીમાં] “ રહેવા દો ને. મોં ઉધાડશે તો કદાચ કદરૂપું નીકળશે તો બેસવું ભારે થઈ પડશે. એ કરતાં આ જ ઠીક છે."

મી. પેસ્તનજી: “ આ મી. કેશવલાલ આપણને થર્ડ ક્લાસમાં લઈ આવ્યા છે. મૂળ ગુનો એમનો છે. માટે એમણે હવે વારતા કહેવી જોઇએ."

મી. સેંધા અને ભિડે: "હા. હા...”

મેં કહ્યું: “ ભલે. ”

મી. ભિડે : "પણ પંતુજી જેવી નહિ. અંદર બેરીઓ આવવી જોઇએ.”

"કબૂલ." મેં શરૂ કર્યું.

“ મારે મી. વિજયરાયની સાથે તકરાર થઇ એટલે એમણે ખટપટ કરી મારી બદલી ભાંડરવા વિભાગમાં કરાવી. આ વિભાગ એટલો જંગલી છે કે અમે એને કાળું પાણી જ કહીએ છીએ. મારે ત્યાં મી. હેરિસનની સાથે ઓળખાણ થઇ એટલે ઊલટો ફાયદો થયો. એ વખતે મી. હેરિસન આસિસ્ટન્ટની જગા ઉપર હતા. અત્યારે તો એ બહુ હોશિયાર ઑફિસર ગણાય છે. પણ તે વખતે તો નવાસવા હતા. ચોવીસેક વરસના હતા. શિકારના શોખીન, એટલે એ બાજુ કેંપ કરવો એમને બહુ ગમતો. આખો દિવસ શિકારમાં ફર્યાં કરે અને સાંજે આવી કારકૂન કહે ત્યાં બિલાડાં ચીતરી આપે. પણ સેશન્સ કેસ આવે ત્યારે નછૂટકે આખો દિવસ કામ કરવું પડે. એવો એક સેશન્સ કેસ આવ્યો હતેા. એસેસરમાં મને અને તેલગઢના એક વાણિયાને બોલાવ્યો હતો. અમે ગયા અને બરાબર ૧૧ વાગે કૈસ શરૂ થયો.

“ તહેામતદારમાં બે બાઇઓ ધુધટા તાણીને બેઠેલી હતી. એકે કાળો સાળુ પહેરેલો હતો અને આધેડ દેખાતી હતી. બીજીએ લાલ સાળુ પહેરેલો હતો અને જુવાન દેખાતી હતી. કેસમાં સાક્ષીઓ ઘણા થોડા હતા. પહેલાં મંજીરગઢના પોલીસ કૉન્સ્ટેબલની જુબાની લેવાઈ. તેણે કહ્યું: ‘મરનાર કેશરીસિંહ વજેસિંહને ઓળખું છું. તેનું ઘર ગામ બહાર થોડે દૂર ગામથી ઇશાન ખૂણામાં આવ્યું. મારા થાણાથી તે ત્રણસેં ડગલાં દૂર થાય.—અહીં તેણે ગામનો, થાણાનો અને મૈયતના ઘરનો નકશો રજૂ કર્યો—ગુનાની તારીખે હું થાણા પર હતો. રાત્રે ૯-૧૦ વાગે મરનારના ઘરમાંથી મેં એકદમ ચીસ સાંભળી. ચીસ તહેામતદાર નં. ૨ બાઇ હરિની હતી. 'દોડો રે દોડો મારી નાખ્યા ’ એવી ચીસ હતી. તે ઉપરથી હું દોડ્યો. ઘરમાં જઇને જોઉં છું તો મરનાર બેભાન અવસ્થામાં તેના ઘરમાં પડેલો હતો. બાઇ હિર ચીસ પાડી રડતી હતી. બાઇ રૂખી હેબકાઇ ગયેલી બેઠી હતી. બાઈ રૂખી મરનારની જૂની ઓરત થાય અને બાઈ હરિ તેની નવી ઓરત થાય. મરનારને તેની જૂની એારત સાથે બનતું નહોતું તેથી તેને બાર મહિને દસ રૂપિયા આપવા કરી જુદી કાઢી હતી. ’

કોર્ટઃ “ કયારથી અણબનાવ હતે અને ક્યારથી જુદી કાઢી હતી?

જવાબઃ “ અઢી વર્ષ ઉપર કેશરીસિંહ આ નવી બૈરી હિરને લઈ આવ્યો ત્યારથી તેને જુદી કાઢી હતી." કોર્ટ: “ બાઇ હરિને તે ક્યાંથી લાવ્યા ?"

જવાબ: “તે હું જાણતો નથી. ”

કોર્ટ: “ બાઇ હરિને તમે ખૂન વિષે તે જ વખતે કાંઈ પૂછેલું ?”

જવાબ: “ હાજી. તેણે કહ્યું કે મને મારી મોટી બહેનની દયા આવી. તેથી મેં એમને સમજાવ્યા કે આજ તેને કાંઈ બહાનું કાઢી નોતરું દો. પછી હું ઘરમાં રાંધતી હતી. મારા ધણી ઘરમાં બેઠા બેઠા હોકો ભરતા હતા. તે લાગ જોઇને મારી શોક્યે મારા ધણીની તલવારથી મારા ધણીને માર્યો. એ પ્રમાણે બાઇ હરિએ મને કહેલું."

કોર્ટ: “ તમે બાઈ રૂખીને કાંઇ પૂછેલું?"

જવાખ: “ હાજી; પણ તેણે કાંઇ જવાબ આપ્યો નહોતો. મેં બાઇ રૂખીને કબજે કરી થાણામાં મોકલી. ગામના પંચોને બોલાવી પંચક્ચાસ કરાવ્યો તે રજૂ કરું છું. મરનારને ડૉક્ટરને ત્યાં મોકલ્યો. આ કપડાં મૈયતનાં છે. તલવાર ત્યાં પડી હતી તે છે. આ માટલામાં ભરેલી ધૂળ ગુનાવાળી જગામાંથી મેં લેવરાવી તે છે."

કોર્ટઃ “ ત્યારે બાઇ હિરાને શા માટે અને ક્યારે કેદ કરી ?"

જવાબઃ ઇન્સ્પેક્ટર પોતે તપાસ કરવા આવ્યા હતા. તેમણે તેને કેદ કરી. ત્રણ દિવસ પછી કેદ કરી. ”

મી. સેંધા: “પણ બાઈ હરિને શા માટે કેદ કરી હશે ?"

મી. ભિડે: “ એ હું કહું, મી. કેશવલાલ ! નવી બૈરી વધારે રૂપાળી હતી ખરી કે નહિ? દેશી રાજ્યનો ઇન્સ્પેકટર રૂપાળી બૈરી આવતી હોય તો જવા દે કે ? ”

મેં કહ્યું: “ મારી વાત ખરી કે ખોટી તમારે માનવી હોય તેવી માનજો, પણ તે વારતા છે જ અને વારતા કહેનારને ઠીક પડે તે રીતે વારતા કહેવાનો હક છે." મી. ભિડે: "તો કાંઇ નહિ. વધારે જુવાન તો હતી જ. એતો એ જ કારણ."

મેં આગળ ચલાવ્યું: ‘કોર્ટે પોલીસ તપાસના કાગળો જોયા તો તેમાં કાંઇ કારણ બતાવેલું નહોતું. કોર્ટે પૂછ્યું કે એ ઇન્સ્પેક્ટર કેમ જુબાની આપવા નથી આવ્યા, તો જવાબ એવો આપ્યો કે તે ક્યાં છે તેની ખબર નથી. પછી કોર્ટે બન્ને તહેામતદારને પૂછ્યું કે તમારે કાંઇ ઉલટ તપાસ કરવી છે ? બેમાંથી કોઇ બોલ્યું નહિ. કોર્ટે બન્નેનાં મોં ખુલ્લાં કરવા કહ્યું તે પણ તેમણે ન કર્યું. શિકારનો શોખીન જડજ ઉતાવળો થતો હતો તેણે મારા તરફ જોયું. તેમને અનુકૂળ થવા મેં કહ્યું: “શી જરૂર છે ? ” કોર્ટે કહ્યું: “પણ નં. ૨ ની તહોમતદારણ સમજુ છે કે કેમ તે માટે જોવું છે. જો તે સમજુ હોય તો કદાચ મારે છેવટે તેને છેડી મૂકી સાક્ષી તરીકે લેવી પડે. મેં કહ્યું: “ તહેામતદારોનો જવાબ લેવાનું થાય ત્યારે જોઈશું. ” પછી મેં જ બાઇઓને પૂછ્યું: “તમારે કાંઈ પૂછવું છે ? ” બન્નેએ માથાં ધુણાવ્યાં. ‘ઉલટ તપાસ નથી ’ લખી કામ આગળ ચાલ્યું.

"બીજો સાક્ષી ડૉક્ટર ગિરજાશંકર પ્રાણશંકર મહેતા હતો. તેણે પ્રથમ મરનારના શરીર ઉપરની ઈજા સંબંધી ગુનાની રાતે કરેલી તપાસનો રિપોર્ટ રજૂ કર્યાં. પછી ત્રણ દિવસ પછી મરણ બાદ કરેલી તપાસનો રિપોર્ટ, પોસ્ટ મેાર્ટમ રિપોર્ટ, રજૂ કર્યો. કોર્ટે તે ઉપરની સહી જોઇને પૂછ્યું: “આના ઉપર સહી જી. પી. જોશીની છે તે કોણ ?"

જવાબઃ “ એ મારા પહેલાંના ડૉક્ટરે કરેલા રિપોર્ટ છે. તે જા લીધા સિવાય ચાલ્યા ગયા છે અને તેમના પત્તો નથી. દવાખાનામાંથી આ એક બીજો કાગળ મળી આવ્યો છે તે રજૂ કરવો હું મારી ફરજ સમજું છું. મરનાર કેશરીસિહના મરણ પહેલાંના છેલ્લા શબ્દોની તે નોંધ છે. તેમાં પણ સહી જોશીની જ છે. 'મને નવીએ માર્યો છે એટલા જ શબ્દો તેમાં છે."

'કોર્ટ : "રિપોર્ટમાં લખ્યું છે કે માથાની ધોરી નસ કપાઇ છે. તે કપાયા પછી માણસ જીવી શકે અને બોલી શકે ?"

જવાબ: "ના, ને ગળાની ધોરી નસ કપાઇ હોય તો તરત મૃત્યુ થાય." ‘ ઉલટ તપાસ નથી ’ લખી જુબાની બંધ કરી.

કોર્ટે મંજીરગઢના પોલીસ અમલદારને ફરી બોલાવી પૂછ્યું: "મરનારને ઈજા થયા પછી તે તરત મરી ગયો ? ”

જવાબ " ગુના પછી તરત હું ગયો ત્યારે બેભાન હતો પણ જીવતો હતો."

કોર્ટઃ “ તેની જુબાની લેવા તમે પ્રયત્ન કરેલો ?"

જવાબઃ “ તે ત્રણ દિવસ જીવ્યેા. પહેલા બે દિવસ હું જોવા ગયો ત્યારે તે શુદ્ધિમાં નહોતો. ત્રીજે દિવસે ઇન્સ્પેક્ટર આવ્યા તે જોવા ગયા. તેમણે આવીને બાઇ હરિને કેદ કરી. અને તે પછી સદર કેશરીસિંહ ગુજરી ગયો." કોર્ટે જુબાની બંધ કરી.

“ હવે માત્ર તહોમતદારોની જ જુબાની લેવી રહી. પહેલાં નં. ૧ ની બાઇ રૂખીને ઊભી કરી. તે હાથ જોડી ઊભી રહી. કોર્ટે તેને મોઢું ઉઘાડી નાખવા કહ્યું પણ પહેલાં તો તે ન માની. મેં સમજાવી કે કોર્ટ તો માબાપ કહેવાય ત્યારે મોં ઉઘાડ્યું “હું તમને શું કહું? જગતમાં રૂપનો દેવ ગણાય છે તેવો કોઇ કદરૂપાપણાનો દેવ છે?"

ભિડે સંસ્કૃત અને વેદાન્ત બન્નેની મશ્કરી કરતા બોલ્યાઃ "રૂપનો દેવ કામદેવ અને કદરૂપાપણાનો દેવ નિષ્કામદેવ!"

મેં આગળ ચલાવ્યું: “એના જેવી કૂબડી સ્ત્રી મેં ક્યાંઈ જોઈ નથી. તેના હોઠ અતિશય જાડા હતા અને બહાર નીકળેલા દાંતથી તેની જાડાઈ પણ વિષમ થઇ ગઇ હતી. તેનું કપાળ ટૂંકું હતું અને આંખો ચકળવકળ થયાં કરતી. તે વચ્ચેથી જાડી માથે પગે પાતળી રમવાની મોઇ જેવી દેખાતી હતી. તેના ગાલ પર એક મોટો મસો હતો અને તેના પર તમારા નિષ્કામદેવે પોતાના વિજયધ્વજ જેવો એકમોટો સફેદ વાળ રોપ્યો હતો. ”

મી. ભિડે : “ ત્યારે એ બિચારે બીજી કરી તેમાં નવાઈ શી ?"

મી. સેંધા: “ બાઈ હરિએ દયા લાવી પોતાની શોક્યને નોતરી એ બાખત પહેલાં મને અસંભવિત લાગતી હતી પણ હવે મનાય છે. આટલી કદરૂપી સ્ત્રીની ઈર્ષ્યા કરવાની જરૂર જ ન હોય. ”

મેં કહ્યું: “ હજી વાત સંભવિત અસંભવિત કહેવાનો વખત આવ્યો નથી. હજી વાત તો અધૂરી છે."

મી. સેંધાઃ “ હવે જાણી તમારી વાત. અમે આવા કૈંક કેસો કર્યાં છે. કેસ ઘણોજ સહેલો છે. આટલા પુરાવા ઉપર પણ નં. ૧ ને ગુનેગાર કરાવી શકાય. અને નં ૨ને સાક્ષી કરે તો તો તદ્દન સાબીત."

મેં કહ્યું: "પણ ડૉક્ટરના રિપોર્ટમાં મરનાર પોતે કહે છે કે નવીએ માર્યો તેનું શું ?" મી. સેંધા : “ એ તો દરેક કેસમાં કંઈક તો સમજ્યા વિનાનું રહી જ જાય. પણ મારા અઢાર વરસના અનુભવથી કહું છું કે ખુની તો બાઈ રૂખી જ છે. હું તો એમ બેસતું કરું કે ડૉક્ટર અને ઈન્સ્પેકટર બાઇ હિરાપર નવો કેસ કરવા ગયા તેમાં ફાવ્યા નહિ. તેથી જ નાસી ગયા. ધોરી નસ કપાયા પછી તે કોઈ જીવે ખરું !

મેં કહ્યું : “ પણ ત્રણ દિવસ જીવ્યો તેનું શું ? પણ એ જવા દો. મારી વારતા આગળ ચલાવું. બાઈ રૂખીનો જવાબ લીધો. તે અતિશય મૂઢ હતી. તેને પૂછતાં તેણે એટલું જ કહ્યું કે અવાજ થવાથી હું ગઈ ને બારણું ઉઘાડ્યું તો મરનાર ઘાયલ પડેલો હતા. ધરમાં નવી સિવાય કોઇ નહોતું. નવીએ ખોટું આળ ચઢાવ્યું છે. કોણે માર્યો તે મને ખબર નથી. મને પોલીસે પકડી. હું કાંઇ જાણતી નથી. હું મરનારથી ત્રણેક વરસથી જુદી રહું છું. મારે નવી સાથે કાંઇ પણ અણબનાવ નથી. મને નોતરું દીધું નહોતું.

"હવે તો હકીકત ઘણી જ ગૂંચવાઈ. હવે નવી શું કહે છે તે સાંભળવા કોર્ટ અને અમે સધળા ઘણા જ આતુર થઈ રહ્યા.

“નવીને મોઢું ખોલવાનું કહ્યું પણ તેણે ખેાલવાને બદલે ઊલટું રોવા માંડ્યું. કોર્ટ મૂઝાઇ. મેં કહ્યું કે એ તો બધી સ્ત્રીઓ જુબાની આપતાં પહેલાં આમ જ કરે. આપ પોલીસને કહો તેને મનાવે અને એટલામાં કાંઈ કાગળોમાં સહી કરવી હોય તો કરી લો. કાર્ટે શિરસ્તેદારની સામું જોયું. શિરસ્તેદારે કહ્યું કે એક કાચી કેદનો કદી છે તેને ૨૪ કલાક થઈ ગયા છે અને પાછો પોલીસ જાપ્તામાં સોંપવાના છે તેની રજુઆત કરવાની છે. તરત જ તેને બોલાવ્યેા. અમે બધા તો બાઈ હિરા તરફ જ જોયા કરતા હતા. અમારે લીધે નવો તહોમતદાર તેના તરફ જોવા લાગ્યો. શિરસ્તેદારે સાધારણ પૂછ્યું: “ અલ્યા શી નાત છે ? ” તે કહે: "ઓંજણો.” મેં કહ્યું: “ તો તો જરૂર કાંઇ બૈરીની તકરાર હશે.” શિરસ્તેદાર કહેઃ “ ના, ના. બળદની ચોરી છે.” એટલામાં હરિએ મોં ઉઘાડ્યું. તેને રૂપાળી કહી શકાય તેવી તે હતી. બાંધો નાનો અને બેઠા ઘાટનો, જેને ઉંમર જણાતી નથી તેવો હતો. વર્ણ સફેદ હતો પણ એવો સફેદ કે તેના સામું જોયે આપણને જુગુપ્સા થાય. મોના અવયવો પ્રમાણસર હતા પણ એવા હતા કે તેના મનમાં શા વિચારો ચાલે છે તે જરા યે કળાય નહિ. આંખો માંજરી હતી અને સ્ત્રીઓ એમ જ કહે કે તેની આંખમાં સાાપોલિયાં રમે છે. ટૂંકમાં તે પ્રથમ દૃષ્ટિએ રૂપાળી હતી, પણ તેના સામે જેમ જેમ જોઇએ તેમ તેમ કાંઈ અકથ્ય અભાવ જ વધતો જાય. તેની પાસેથી જતાં રહેવાની ઇચ્છા થાય અને છતાં તેનાથી દૂર નજર ન ખસેડી શકાય એવી તે હતી.

“ હું તેને નિહાળતો જોતો હતો એટલામાં પેલો ઓંજણો ધ્રૂજી ઊઠ્યો અને બે હાથ જોડીને સાહેબને કહેઃ “ બાપજી, મારે અરજ કરવાની છે.” પોલીસો ચમક્યા કે કાંઇ પોલીસે માર માર્યાંની કે એવી વાત કરશે. મેં જાણ્યું કદાચ ગુનાની કબૂલત આપવાના હશે. કોર્ટ કહે: ‘બોલ, શું છે ?'

ઓંજણો . “ બાપજી, પેલી બૈરી મારી છે."

કોર્ટે કહ્યું: "કયી ? પહેલા નંબરની કે બીજા નંબરની ?"

જાણે જગત આખું કોર્ટના નંબરોમાં જ વિચાર કરતું હોય !

ઓંજણો બોલ્યો: "બાપ, ધોળી છે તે." વાછડી ઓળખાવતો હોય તેમ. કોર્ટ : "એનું નામ શું?"

ઓંજણો જરા અટકીને : “ તેજી."

“કોર્ટે નીચલી કોર્ટનો બાઇ હરિનો જવાબ જોયો. તેણે નીચલી કોર્ટમાં કશું કહ્યું નહોતું. તેનું નામ હરિ જ હતું ને બીજું કાઈ નામ લખેલું નહોતું. તેનું કહેલું અમે કોઇએ માન્યું નહિ. મેં મશ્કરીમાં શિરસ્તેદારને કહ્યું: “ જુઓ બૈરીની વાત નીકળી કે નહિ ?" કોર્ટે ઓંજણાને ખખડાવીને કહ્યું: "સાબીત કરી આપવું પડશે.”

ઓંજણો : “ બૈરી મારી છે ને. એક કે'તાં એકવી પુરાવા આપું."

કોર્ટે ઓંજણા સામું જોયું, પછી હરિ સામે જોઈને પૂછ્યું: “આ કહે છે તે ખરું છે ?"

હરિ : “ હા સાહેબ."

અમારા આશ્ચર્યનો પાર રહ્યો નહિ કોર્ટે હરિને કહ્યું: “ તારી બધી હકીકત કહે." હરિએ શરૂ કર્યું: “હું મેંગણાના ઠાકોરની ખવાસણ છું. મારું સાચું નામ વાલી છે ”

શિરસ્તેદાર “ મેંગણાના ઠાકોરની ગોલી ભાઇ વાલીને મંજીરગઢના ઠાકોરે નસાડી મૂકી એ બાબતમાં ત્રણ વરસ ઉપર તુમાર ચાલેલો તે આ જ બાઇને માટે ?"

હરિ: “ હા સાહેબ."

કોર્ટ: “ તને શી ખબર? "

હરિ: “ મેંગણાના ઠાકોરને ત્યાં રહેતી હતી. ત્યાં મારે બહુ દુઃખ હતું. ત્યાં આ કેશરીસિંહ આવ્યેા અને મને લઇ ગયો. જૂનીને જુદી કાઢી. બે ત્રણ મહિના રહ્યા ત્યાં મંજીરગઢના ઠાકોરનો માણસ આવ્યો અને તેણે કહ્યું કહ્યું કે સરકારમાં તમારી તપાસ ચાલે છે તે રાજમાંથી જતાં રહે પછી આવજો. હું ને કેશરીસિંહ બન્ને નાઠાં. રસ્તામાં કેશરીસિંહે મને સમજાવી કે આમ રખડતાં પકડાઇ જશું; માટે થોડા મહિના તું કોઇ બીજાના ધરમાં રહે. બીકનાં માર્યા મેં હા પાડી. પછી કેશરીસિંહે મને એક કુંભારને ત્યાં રૂ. ૭૦૦) લઇ પરણાવી અને મને કહ્યું કે છ મહિને તેડવા આવીશ. છ મહિને મને તે ચોરીથી નસાડી લઇ ગયો."

કોર્ટ: “તું કેમ ગઈ ?"

હિર: "મને કુંભારને ત્યાં ગમતું નહોતું.”

કોર્ટ “ પછી શું થયું ? ”

હિરઃ "હું પાછી આવી. થોડા દહાડા તો લહેર ઉડાવી, પણ પછી રૂપિયા થઈ રહ્યા એટલે કરી મને ફોસલાવીને તેણે આ ઓંજણાને ત્યાં પરણાવી. રૂ. ૯૦૦ લઇ પરણાવી આઠ નવ મહિને એ મને ત્યાંથી પણ પાછી લઈ ગયો."

ઓંજણો : “ સાહેબ, મારાં ઘરેણાં પણ લઇ ગઇ છે. આ ડોકમાં છે તે મારાં છે."

કોર્ટ: “ ઠીક, આગળ કહે."

હિર : “ પાછાં આવીને એ રૂપિયા પણ ઉડાવી ખાધા એટલે એણે આ ઘરેણાં માગ્યાં. મેં કહ્યું એ તો મારાં છે. એણે મને ફરી બાયડમાં પરણવાની લાલચ આપી. મને કહે કે ત્યાં તો ઘરેણાં બહુ જ મળશે ને કામ પણ નહિ કરવું પડે. પણ મને ત્યાં ઓળખાઇ જવાની બીક લાગતી હતી, એટલે મેં ના પાડી. ત્યારે તેણે કહ્યું કે તારું નામ સરકારમાં જાહેર કરી દઈશ, છેવટે તેનાથી કાયર થઈ મેં આ કામ કર્યું. ” કોર્ટ: “તેં એને માર્યો ત્યારે જૂની પર આળ શા સારુ નાખ્યું ? એણે તારું શું બગાડ્યું હતું?"

હરિ “ મેં અને માર્યો ત્યારે અવાજ થયો. તે સાંભળીને જૂની આવી ને ઘર ઉઘડાવવા લાગી. થોડી વાર તો હું કાંઇ ન બોલી અને ન ઉઘાડ્યું. છતાં તે માની નહિ ત્યારે મારે એના ઉપર નાખવું પડ્યું."

કોર્ટ : "ત્યારે તારા ધણીને તે માર્યો કેવી રીતે ?"

હરિ “ કાંઇ વાત ઓઠે વાત નીકળતાં મેં કહ્યું: ‘ આ આંધળા માણસો પોતાનાં ઘર શી રીતે શોધી કાઢતા હશે? જુઓ જોઈએ મને આવડે છે?' એમ કરી મેં મારીઆંખે પાટા બંધાવ્યા અને પછી કહ્યું કે મને તો કાંઇ જડતું નથી. તમે કરો જોઇએ. પછી તેમની આંખે પાટા બાંધી મેં કહ્યું: ‘પાણી લાવો જોઇએ.' તે પાણી લેવા જતો હતો ત્યાં મેં તલવાર મારી.

આ હકીકતથી અમે બધા એટલા બધા થાકી ગયા કે કોર્ટે મુદત પાડી.

ડૉ. ભિડે : “ પછી કેસનું શું થયું ?"

મેં કહ્યું : “ મારી વારતા અહીંજ પૂરી થાય છે. "

મી. સેંધા: "આગળ શી રીતે ચાલે? ખોટી હોય તો ! ડૉક્ટરના સર્ટિફિકેટનો તો ખુલાસો થતો નથી."

મેં કહ્યું : “ પણ તમેજ કહેતા હતા તે દરેક કેસમાં કૈંક્ તો સમજ્યા વિનાનું રહી જ જાય."

મી. સેંધા : "પણ હરિને ખૂન કરવું હોય તેા એના ધણીને મધરાતે જ મારે નહિ? પાટા બાંધવાનું નાટક શા સારુ ભજવે? હું તો આ ન માનું. કેમ મી. પેસ્તનજી, તમને શું લાગે છે ? કેમ ડૉકટર ? ” બન્ને: "અલબત્ત ખોટી છે."

“ ના ખરી છે." અમારા ખાનામાં છેવાડે બેઠેલી બાઇએ ધીમે રહી કહ્યું.

મી. સેંધા : “ તેની ખાતરી શી?"

બાઇએ મોં ઉધાડયું. ધીમેથી ખીસામાંથી એક રેલવે પાસ કાઢ્યો. આન્દામાનમાંથી છૂટેલા કેદીને પાછા દેશમાં જવા જે રેલવે પાસ આપે છે તે તે હતો. તેમાં છોડેલા કેદી તરીકેનું નામ બાઇ હરિ ઉર્ફે વાલી હતું.

તે તેની તે જ હરિ કે વાલી કે તેજી હતી. તેના સામું જોતાં ડૉ. ભિડેને પણ જુગુપ્સા થઈ. એના મનમાં શા વિચાર ચાલતા હતા તે અમે કોઈ કળી શક્યા નહિ. તેની માંજરી આંખામાં સાપોલિયાં રમતાં હતાં. તેની સામે જોતાં અમારા મનમાં કોઇ અકથ્ય અભાવ વધતો જ ગયો. ત્યાંથી જતા રહેવાની અમને ઈચ્છા થતી હતી અને છતાં તેના તરફથી અમે નજર ખસેડી શકતા નહોતા.

આખે રસ્તે અમે કોઈ એક શબ્દ પણ બોલી શક્યા નહિ.