પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ
અકબરશાહ અને બીરબલ

અકબર બાદશાહ જેવો લડાઈમાં શૂરો અને રાજનીતિમાં નિપુણ હતો તેવો જ તે વિદ્યાવિલાસમાં રસિઓ હતો. મોટા મોટા મુલ્લાં અને શાસ્ત્રીઓને બોલાવી તેમનાં વાદવિવાદમાં આનંદ માણતો હતો. મુલ્લાં ફૈજી અને અબુલફઝલ તો અકબરના આશ્રયવડે અકબરના જેટલાજ પ્રસિદ્ધ થઈ ગયા છે. એના વખતના મિયાં તાનસેને સંગીતકળામાં જે કીર્તિ મેળાવીછે તેવી હજી કોઇએ મેળવીજ નથી. જગન્નાથ પંડિત દક્ષિણમાંથી આવી એના આશ્રય વડે રાજઋદ્ધિ પામ્યા હતા, અને તેમણે પોતાનું ફક્કડ કવિત્વ તથા કઠિણ પાંડિત્ય દર્શાવી સંસ્કૃત વિદ્યાના ગુલ થતા દીવાને ઘડીભર ખૂબ તેજસ્વી કર્યો હતો. ગંગ કવિ સાહિત્યના અનેક કવિત વખતો વખત અકબરશાની મોહોર દ્વારા દેશમાં ફેંક્યાજ કરતો હતો. બીરબલે આવી પોતાનું ચાતુર્ય તથા કવિત્વ એવું બતાવ્યું કે એના જેવી બાદશાહની કોઈ ઉપર પ્રીતિ નહોતી. બીરબલ જાતે (કોઈકના કહેવા પ્રમાણે) નાગર બ્રાહ્મણ હતો. એ એવો હાજર જવાબી તથા ખબરદાર હતો કે સર્વેનાં મન હરણ કરવાની એનામાં અપૂર્વ શક્તિ હતી. તે કવિતા પણ સારી કરતો હતો. એને અર્વાચીન કાળનો કાળિદાસ કહીએ તો ખોટું નથી. એને અકબરબાદશાહ હમેંશા કબિરાયજ કહેતો હતો. હાલ લોકમાં એના ચાતુર્યની કહાણીઓ ઘણી ફેલાઇ ગઇ છે અને તેથી એની કવિરીતની કીર્તિ કાંઇક અંધારામાં પડી છે ખરી, તોપણ ફારસી ગ્રંથોમાં એના ટુચકાઓ માલમ પડે છે. સંસ્કૃત અને વ્રજ ભાષામાં પણ એજ રીતે પ્રસંગોપાત કવિતા બોલતો તેથી અમે અત્રે બીરબલને નામે કેટલાક તરંગ દાખલ કરીએ છઇએ.

બીરબલનું મૂળ નામ શિવદાસ હતું. તે કુળવાન પણ ગરીબ ઘરનો હતો. તે સમયમાં મુત્સદ્દીને લાયક જે કેળવણી ગણાતી હતી તે બધી તેણે લીધી હતી. ભૂલશો નહિ કે તે વેળા પણ મુત્સદ્દીની કેળવણી હાલના જેવી તુચ્છ અને ધિક્કરવા જોગજ હશે. તે વેળા જેવો આપણો દેશ હતો, જેવા કારભારીઓ હતા, તેવી કેળવણી હતી. હાલ પણ જૂના કારભારીઓમાં કોઇ કોઇ ઠેકાણે આવી ઉંચી કેળવણીની છાયા દીઠામાં આવે છે. પણ ત્રણસે ચારસે વરસ ઉપર તો કોઇપણ માણસ રાજદરબારમાં પેસવાની હિંમત રાખે તે પહેલાં હિંદી, ફારસી, સંસ્કૃત ભાષાઓ સારી પેઠે ભણવાની જરૂર સમજતો હતો. થોડું ઘણું કવન પણ સઘળા કરી જાણતા. જુનાગઢના રણછોડજી દિવાનનો દાખલો તો હજી આપણા ગૂજરાતમાં તાજો છે.

એ પ્રમાણે અભ્યાસ કરી નોકરીની આશાએ બીરબીલ દીલ્લીમાં આવ્યો.