પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહાત્મા મૂલદાસ

કીર્તિ વિશે (એક ઐતિહાસિક કથા)

શાર્દૂલવિક્રીડિત
તારાનાં ઝુમખાં વતી રજનીનો અન્ધાર દેખાય છે,
શાન્તિ છે સહુ સ્થાનમાં પણ અહીં કૂવા કને કોણ છે?
ઓહો! કોણ હશે અહીં વન મહીં નિઃશ્વાસ આ મૂકતું,
જેના શબ્દથી વૃક્ષથી ઘૂવડ આ ઘૂઘૂ કરી ઊડતું?

અનુષ્ટુપ
સ્ત્રી છે તે દુઃખિયારી કો, જીવવું ગમતું નથી!
આવી છે આ કુવા માંહી પડીને દેહ પાડવા!

વસંતતિલકા
બોલી ન કાંઈ પણ ઊભી નવાણ પાસે,
કૂવા મહીં નઝર એ સુખથી કરે છે;
સૌંદર્ય કૈં મરણના મુખમાં હશે શું?
હા! કામી એ તરફડશે મરતાં નહીં શું?

અનુષ્ટુપ
દૃઢ સંકલ્પથી ના હૈયું હામ ધરી શકે?
અન્ધારામાં બ્હીનારૂં તે કૂવામાં સુખથી પડે?

વસંતતિલકા
'હાં હાં' થયો પણ ધ્વનિ કંઈ પાસ તેની,
ને હસ્ત કો પુરુષના કરથી ઝલાયો;
એ બાઈ બોલી, નવ કૈં તુજને નડું હું,
માલેક છું મુજ શરીરની! ભાઈ જા તું!'

અનુષ્ટુપ
કૂવાથી દૂર ખેંચીને બાઈને પુરુષે કહ્યું,
'સાંભળી લે જરા! બાઈ! ફાવે તે કર તું પછી!

શાર્દૂલવિક્રીડિત
'માલેક તુજ ઝિન્દગી તણી અરે! તું એકની હોય ના,
'ભાગી કૈંક હશે, અને નહિ હશે ત્હોયે થયું શું ભલા?
'જેનું કોઈ નહીં અરે! જગત આ આખુંય તેનું નકી,
'ન જેનું જગત તે જરૂર જગનું, પોતાનું કોઈ નહીં.'

અનુષ્ટુપ
નમી તે બાઈ પિછાની બાવા એ મૂળદાસને,
આંખમાં અશ્રુ આવ્યાં,ને બોલી ધીમે ઉભી થઈ.

ઇન્દ્રવજ્રા
'જીવિત આ થયું છે મને કટુ!
'મરણની ન કાં ઔષધિ લ‌ઉં?
'ન મુજ વિશ્વ ને વિશ્વની ન હું,
'દિલ ન મૃત્યુથી આ નિવારવું!'

કલાપીનો કેકારવ/૨૨૧