બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/ફળ

વિકિસ્રોતમાંથી
← ગૂંચઉકેલ ? બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
ફળ
મહાદેવભાઈ દેસાઈ
લડત કેમ મંડાઈ? →




ફળ

આખા ઉત્તરાર્ધને ‘ફળ’ નું નામ આપ્યું છે. પૂર્વાર્ધને ‘કલેશ’ કહ્યો હતો. ‘કલેશ’ એટલે તપશ્ચર્યા. શુદ્ધ સાત્ત્વિક તપશ્ચર્યા જેને કહે છે તેવી તપશ્ચર્યા બારડોલીના લોકોએ કદાચ ન કરી હોય, તોપણ તેમણે કદી ન ભોગવેલાં એવાં કષ્ટ ભોગવ્યાં એ તેમને માટે તપશ્ચર્યા જ હતી, અને એ ‘કલેશ’ નું જ્યારે લોકોને ‘ફળ’ મળ્યું, ત્યારે જેમ શિવજીને માટે તપશ્ચર્યા કરતી ઉમાને પોતાના ‘કલેશ’નું ‘ફળ’ શિવજી મળ્યા અને તેનો થાક ઉતરી ગયો તેમ લોકોનો પણ થાક ઊતરી ગયો. તેમનો સત્યાગ્રહ સ્વીકારાયો અને સરકારે તપાસકમિટી નીમી એ જ એક ફળ તો હતું, પણ તપસિકમિટીએ તેમની ફરિયાદ સાચી નહિ પાડી હોત તો એ ફળ અધૂરું રહી જાત. આ ફળ પણ બેવડું હતું. એક તો સત્યાગ્રહનું સીધું આર્થિક પરિણામ જે આવ્યું તે.

આર્થિક પરિણામ : બારડોલી અને ચોર્યાસી તાલુકામાં સરકારે ૧,૮૭,૪૯૨ રૂપિયાનો મહેસૂલવધારો ઠોકી બેસાડ્યો હતો તે ઓછો કરી તપાસ અમલદારોએ એ ૪૮,૬૪૮ નો વધારો ઠરાવ્યો, એટલે બંને તાલુકા મળીને લોકોને દર વર્ષે લગભગ એક લાખ ચાળીસ હજારનો લાભ થયો, એટલે ૩૦ વર્ષને માટે ૪૫ લાખ અથવા વ્યાજની ગણતરી કરીએ તો કરોડ રૂપિયાનો લાભ થયો.

આ ઉપરાંત તાલુકાનાં ઘણાં ગામોમાં

૧. ન વપરાતા કૂવા માટે સરકાર કર લે છે તે તપાસ દરમ્યાન બહાર આવ્યું અને તે રદ થવાની ભલામણ થઈ;

૨. ક્યારીના ઉપયોગને માટે ન આવતી જમીન જરાયત તરીકે દાખલ કરવામાં આવે એવી ભલામણ થઈ, એટલે એ જમીન જે ઘણાં વર્ષ થયાં બેવડો સરકારધારો ભરતી હતી તે અન્યાય દૂર થાય એવી ભલામણ થઈ;

૩. કેટલાંક ગામોમાં ‘ભાઠાં’ ની જમીન તરીકે ચાલતી અને ‘બાગાયત’ તરીકે ચાલતી જમીન ઉપર બાવળ અને ઘાસ ઉગેલાં હતાં. તેવી જમીન ‘ભાઠાં’ અને ‘બાગાયત’ તરીકે ન ગણવામાં આવે એવી ભલામણ થઈ.

નૈતિક પરિણામ : લોકોએ કરેલી બધી ફરિયાદ સાચી પડી અને લોકોના તેમજ તેમના પ્રતિનિધિઓની પ્રામાણિકતા જગત આગળ સિદ્ધ થઈ. તપાસને પરિણામે કેટલીક વાતો સ્પષ્ટ રીતે બહાર આવી :

૧. સરકારના જવાબદાર અમલદાર જેને સરકારે પોતાના વલ્લભભાઈની સાથેના પત્રવ્યવહારમાં ‘રેવન્યુ ખાતાના અનુભવી અમલદાર’ તરીકે વર્ણવ્યા હતા તે અમલદારે તપાસ નહોતી કરી, એટલું જ નહિ પણ જે ૭૦ ગામ કમિટીએ તપાસ્યાં તેમાંના એક ગામમાં ગણોતો તપાસ્યાં નહોતાં, છતાં એ તપાસ્યાં છે એવું જૂઠાણું એણે રિપોર્ટમાં જાહેર કર્યું, એ જૂઠાણાથી સેટલમેંટ કમિશનરને અવળે રસ્તે દો૨વ્યા, અને સરકારને ઊલટે પાટે ચડાવી મનાવ્યું કે આવા ઠાવકા દેખાતા આંકડા ઉપર સેટલમેંટનો આધાર રાખી શકાય. (રિપોર્ટ પૅરા ૪૩.)

૨. મિ. ઍંડર્સને પણ જૂઠાણું નહિ ચલાવ્યું તો ભયંકર બેદરકારી બતાવી. જે ગામોએ જઈને અમુક ગણોતો તપાસ્યાં એમ એ કહે છે તે ગણોત પણ એણે તપાસ્યાં નહોતાં. અડાજણનું જે ગણોત ગયા પ્રકરણમાં નોંધવામાં આવ્યું છે, અને જેમાં ૨૭ ગુંઠાની જમીનના ટુકડાના પ૦ રૂપિયા ગણોત આવતું હતું તે ગણોત મિ. ઍંડર્સને પોતાના રિપોર્ટમાં નોંધ્યું છે, પણ તેને માટે જે ખુલાસો હતો તેની નોંધ નથી લીધી, એટલે કશી તપાસ નહોતી જ કરી. ખરડ, છિત્રા અને કુવાડિયા ગામે સાહેબ ગયા હતા છતાં

ત્યાં પણ તેમણે નોંધેલાં ગણોતો કમિટીને જોવામાં ન મળ્યા ! એટલે મિ. ઍંડર્સને પણ શ્રી. જયકરના કરતાં ઓછી બેદરકારી નથી બતાવી.
(રિપોર્ટ પૅરા ૩૬.)
 

૩. મહાલકરી અને અવલકારકુને અમલદારો આગળ પુરાવો આપ્યો તેથી પણ સિદ્ધ થયું કે સેટલમેંટ અમલદારે કશી દેખરેખ રાખી નહોતી કે તપાસ કરી નહોતી; ગણોતનાં પત્રકો બધાં જ તલાટીઓએ તાલુકાકચેરીમાં બેઠાં બેઠાં કીધાં હતાં, અને તેના ઉપર અવલકારકુને પોતે પણ જૂજ જ દેખરેખ રાખી હતી (રિપોર્ટ પૅરા ૪૨). સામાન્ય રીતે સરકારમાં કેવું અંધેર ચાલે છે એ આમ સ્વતંત્ર તપાસથી જ જણાયું, એટલું નહિ પણ સરકારી અમલદારોની જુબાની ઉપરથી પણ જણાયું. (રિપોર્ટ પૅરા ૪૧.)

૪. ગણોત નોંધવાની હાલ જે પ્રથા છે તે તદ્દન નકામી છે, તેમાંથી ગણોતની કશી વીગત નથી મળતી. પહાણીપત્રકોમાં ભારોભાર ભૂલો હોય છે અને એ જરાય વિશ્વાસપાત્ર પત્રક નથી. (રિપોર્ટ પૅરા ૩૮.)

પ. ગણોતના આંકડાનો ઉપયોગ કરવાની ચાલુ રીત પણ ખોટી છે, અને એની ઉપરથી અનુમાન બાંધવાની રીત ખોટી છે. (રિપોર્ટ, પાનાં ૩૫-૪૨.)

સરકારનું આટલું બધું પોકળ બહાર પડશે એવી આશા તો અમને પણ નહોતી, કારણ અમારી આગળ લોકોની થોડી ફરિયાદ ઉપરાંત કશું નહોતું, અને સરકારનાં દફતર તો સામાન્ય રીતે કોઈને જોવાનાં મળતાં જ નથી. આ તપાસને પરિણામે એ દફતર પણ કેવાં ખોટાં હોય છે તે બહાર આવ્યું, અને એવી જ રીતે આખા પ્રાંતમાં થતું હોય તો નવાઈ નહિ એવી પ્રબળ શંકા ઉત્પન્ન થવાને માટે વાજબી કારણ મળ્યું. એટલે બારડોલીને પરિણામે આખા પ્રાંતનો સવાલ ઊભો થયો, અને આખા પ્રાંતમાં ચાલતી કુપ્રથા સુધારવા વિષે સરકારની આંખ ઊઘડી. સરકારમાં જો શરમની જરાય લાગણી હોત તો રિપોર્ટમાં જૂઠાણાં ચલાવવા માટે, અને બારડોલી તાલુકાની સાથે ન્યાયી નહિ પણ ઉદાર વર્તન કરવામાં આવ્યું છે એમ ગવર્નર જેવા અમલદાર પાસે એક નહિ પણ અનેક વખત કહેવડાવવા માટે, એ અમલદારની અને સેટલમેંટ કમિશનરની બંનેની જાહેર રીતે નિંદા કરત અને શ્રી. જયકરને બરતરફ કરત. પણ સાચી વાત એ છે કે આ પાપના આખી સરકારને છાંટા લાગ્યા હતા, એટલે કોણ કોને દોષ દે ? પણ

બારડોલી તાલુકાને પરિણામે આખા પ્રાંતનો સવાલ ઊભો થયો એ બારડોલીના સત્યાગ્રહનું મોટામાં મોટું ફળ છે.

પરોક્ષ પરિણામ તો દેશના પ્રાંતપ્રાંતમાં બારડોલીની અસર થઈ, સરકારને અન્યાય કરતાં કંઈક સંકોચ થવા લાગ્યો, પંજાબ જેવા પ્રાંતમાં લાખોનું મહેસૂલ માફ થયું, અને બીજા પ્રાંતમાં મોકૂફ રહ્યું.

નૈતિક પરિણામની ઉપર તો અહીં ઉપર બતાવ્યું છે તેના કરતાં વધારે વિવેચન કરવું અસ્થાને છે. અને એ પરિણામ કેટલું આવ્યું તે કહેવાનો આજે પ્રસંગ પણ નથી. એ પરિણામે આખો પ્રાંત જાગૃત થાય, બીજા કોઈ તાલુકામાં નહિ તો બારડોલી તાલુકામાં આત્મશ્રદ્ધા આવે, અને એ સ્વરાજની મોટી લડત માટે લાયક થાય, તો સત્યાગ્રહનું ઉત્તમોત્તમ ફળ એ આવ્યું કહેવાશે. પણ એની આજથી શી વાત કરવી ? એ તો ભવિષ્યને ખોળે છે, ઈશ્વરને હાથ છે.