બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ/સમાધાનીનો પત્રવ્યવહાર

વિકિસ્રોતમાંથી
← સરકારની ધમકીઓ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
સમાધાનીનો પત્રવ્યવહાર
મહાદેવભાઈ દેસાઈ
મુનશી સમિતિના નિર્ણયોનો સારાંશ →



પરિશિષ્ટ ૩

સમાધાનીનો પત્રવ્યવહાર

પૂના તા. ૬ ઠ્ઠી ઑગસ્ટ, ૧૯૨૮
 
ના. મહેસૂલખાતાના સભ્ય જોગ,

સાહેબ,

અમને કહેવાને આનંદ થાય છે કે અમે સરકારને ખબર આપવાની સ્થિતિમાં છીએ કે નામદાર ગવર્નરે તેમના ૨૩ મી જુલાઈના ભાષણમાં કહેલી શરતો પૂરી કરવામાં આવશે.

લિ સ્નેહાધીન,
(સહી) એ. એમ. કે. દેહલવી
( „ )ભાસાહેબ (કેરવાડાના ઠાકોર)
( „ )દાઉદખાન સાલેભાઈ તૈયબજી
( „ )જે. બી. દેસાઈ
( „ )બી. આર. નાયક
( „ )એચ. બી. શિવદાસાની
( „ )એમ. કે. દીક્ષિત

સરકારે નીચે પ્રમાણે તપાસકમિટી જાહેર કરી હતી :

એક મહેસૂલી અધિકારી અને બીજા ન્યાયખાતાના અધિકારી એમને તપાસ સોંપવામાં આવશે, બે વચ્ચે મતભેદના પ્રસંગે ન્યાયખાતાના અધિકારીનો મત નિર્ણયાત્મક ગણાશે; તપાસની શરતો નીચે પ્રમાણે રહેશે :

સદરહુ અમલદારાએ બારડોલી તાલુકાના અને વાલોડ મહાલના તથા ચોર્યાસી તાલુકાના લોકોની નીચેની ફરિયાદની તપાસ કરી રિપોર્ટ કરવો;

(ક) એ તાલુકાઓમાં કરવામાં આવેલો મહેસૂલવધારો લૅંડ રેવન્યું કોડ પ્રમાણે વાજબી નથી,

(ખ) સદરહુ તાલુકાઓ વિષે જે રિપોર્ટો બહાર પડેલા છે તેમાં સદરહુ વધારાને વાજબી ઠરાવવા પૂરતી હકીકત નથી, અને કેટલીક હકીકત ખોટી છે;

અને જો એ અમલદારોને સદરહુ ફરિયાદ વાજબી માલૂમ પડે તો જૂના મહેસૂલમાં કેટલો વધારો અથવા ઘટાડો થવો જોઈએ તે જણાવવું.

તપાસ સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર થનાર હોવાથી લોકોને તેમના પ્રતિનિધિઓની, કાયદાના સલાહકારો સુદ્ધાંની મદદથી જુબાનીઓ આપવાની ને તપાસવાની છૂટ રહેશે.

3

ધારાસભાના સભ્યોએ મહેસૂલખાતાના સભ્યને નીચેનો પત્ર લખ્યો હતો :

પૂના, ઑગસ્ટ ૭, ૧૯૨૮
 
ના. મહેસૂલખાતાના સભ્ય જોગ,

સાહેબ,

બારડોલીના સવાલ વિશેના મુખ્ય મુદ્દાનો નિકાલ સંતોષકારક આવ્યો હોવાથી અમને આશા અને વિશ્વાસ છે કે સરકાર

(ક) બધા સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકશે,
(ખ) જપ્ત કરેલી બધી જમીન પાછી સોંપશે,
(ગ) રાજીનામાં આપનાર બધા પટેલતલાટીઓને ફરી તેમની જગ્યાએ લેશે.

લિ સ્નેહાધીન,
 (સહી) એ. એમ. કે. દેહલવી
દાઉદખાન સાલેભાઈ તૈયબજી
ભા સાહેબ (કેરવાડાના ઠાકોર)
ભીમભાઈ આર. નાયક
એચ. બી. શિવદાસાની
જે. બી. દેસાઈ
એમ. કે. દીક્ષિત

મહેસૂલખાતાના સભ્યે ઉપલા સભ્યોને નીચેનો ઉત્તર આપ્યો હતો :

સાહેબો,

તમારા તા. ૭ મીના કાગળના સંબંધમાં જણાવવાનું કે સરકાર તેના ખાસ અધિકારની રૂએ બધા સત્યાગ્રહી કેદીઓને છૂટા કરશે અને ખુશીથી તમારી બીજી વિનંતિ મંજૂર રાખનારા હુકમો કાઢશે. તલાટીઓ અને પટેલો ઘટતી રીતે અરજી કરશે તો તેમને માફી આપવામાં આવશે.

લિ. સ્નેહાધીન,
જે. એલ. રૂ