બીરબલ અને બાદશાહ/અમારા બેમાંથી કોણ મ્હોટું ?

વિકિસ્રોતમાંથી
← મ્હોટામાં મ્હોટું કોણ ? બીરબલ અને બાદશાહ
અમારા બેમાંથી કોણ મ્હોટું ?
પી. પી. કુન્તનપુરી
વિસામો કોને નથી ? →



વારતા બેતાલીસમી
-૦:૦-
અમારા બેમાંથી કોણ મ્હોટું ?
-૦:૦-


સુમાર્ગમાં પ્રેરે સદા, સજ્જન આપી શીખ.

એક સમે દરબારમાં કોઇ પણ દરબારીઓ આવ્યા પહેલાં શાહ આવી બેઠો હતો. જેમ જેમ અમલદારો આવતા ગયા તેમ તેમ શાહ તેઓને પુછતો ગયો કે, હું મોટો કે ઈંદ્ર ? શાહનો આ જવાબનો કોઇ પણ અમલદર ઉત્તર આપી શક્યો નહીં. કારણ કે જો ઈંદ્રને મોટો કહે તોય શાહ રીસે ભરાય. અને શાહને મોટો કહે તો શી રીતે ઇંદ્રથી મહોટો છું એમ પુછે તો શું કહેવું ! તેના કરતાં કાંઇ પણ ઉત્તર ન આપવામાં સાર છે એવું સમજીને તેઓ બીરબલની રાહ જોતા બેઠા. એટલામાં બીરબલ દાખલ થયો. તે જોઇ શાહે તેજ પ્રમાણે તેને પુછ્યું. બીરબલે કહ્યું કે, ' આપ ઇંદ્ર કરતાં મહોટા છો ?' શાહે પુછ્યું કે, 'શી રીતે ?' બીરબલે કહ્યું કે, અમારા ધર્મશાસ્ત્રના લેખ પ્રમાણે જગત બ્રહ્મદેવે ઉત્પન્ન કરયું છે; તે બ્રહ્માએ આપ અને ઇંદ્રને ત્રાજવામાં બેસાડી તોલી જોય તો, આપ ઇંદ્ર કરતાં વધારે વજનમાં જણાયા તેથી ઇંદ્રનું તાજવું ઉંચું ગયું, અને આપનું નીચું ગયું તેથી તમને મૃત્યુ લોકનું, અને ઇંદ્રને સ્વર્ગનું રાજ આપ્યું માટે આપ ઇંદ્ર કરતાં મોટા છો.' આ સાંભળી શાહ ચુપ થ‌ઇ ગયો, કારણ કે બીરબલનો ઉત્તર દેખીતો તો પ્રશંસા કરવા લાયક હતો પણ ઊંડાણથી વિચાર કરતાં તે હલકાઇ અને નીચાપણું દર્શાવનારો શબ્દ હતો. બીરબલે ખુલ્લે ખુલ્લું કહ્યું છે કે, ' આપ કરતાં ઇંદ્રને સ્વર્ગનું રાજ મળ્યું છે અને આપને તો આ દુઃખમય મૃત્યુલોકનું રાજ મળ્યું છે.' બીરબલના આવા ધાર્મિક શબ્દો સાંભળી શાહે પોતાના ગર્વને તજી દ‌ઇને બીરબલની બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યો. કારણ કે શાહ સદા સત્યને ચાહનારો, સાચી વાતને માનનારો, અને પોતાની ભુલને સુધારનારો હતો.

સાર--કોઇનું પણ અપમાન કરવું નહીં.


-૦-