રાસચંદ્રિકા/રસગાથા

વિકિસ્રોતમાંથી
← પૂજન રાસચંદ્રિકા
રસગાથા
અરદેશર ખબરદાર
દૂરના સૂર →
. ગિરધારી રે વાત કહું તે વિચારો .




રસગાથા

♦ ગિરધારી રે વાત કહું તે વિચારો ♦

આવો સંત સંત હો !
નયને ભરું હું મારા નાથને,
એના સતિયા સૌ સંતના સાથને :
લાવો તંત તંત હો !
તંતે બંધાવું બેઉ હાથને,
જોડું ભજવા સદા જગનાથને.—આવો.

થાય ચમક ચમક વીજ મેઘાડંબરે રે;
ગગડે ઘન, ચઢાવ્યું ચાપ શું વિશ્વંભરે રે;
ઝરે મોતી મોતી રસિક વ્યોમઅંબરે રે :
મારે પંથ પંથ હો,
અમીરસ રસાવે દિનરાતને;
સીંચે તારા ને પુષ્પની બિછાત ને :
આવો સંત સંત હો,
નયને ભરું મારા નાથને,
એના સતિયા સૌ સંતના સાથને .


એની સૂર્ય ચંદ્ર આંખે તેજ ફૂટતાં રે,
એને હૃદય તેજ્પુષ્પ આભ લૂંટતાં રે,
એને પલક પલક અમૃતઝરણ છૂટતાં રે :
મનુજ ચંત ચંત હો,
ભરી છે અમર એ રસગાથને :
એવા દિલદાર વસાવું જગનાથને :
આવો સંત સંત હો,
નયને ભરું હું મારા નાથને,
એના સતિયા સૌ સંતના સાથને.