ગ્રામોન્નતિ/ગૃહઉદ્યોગનું વર્ગીકરણ

વિકિસ્રોતમાંથી
← ૧૩ ગ્રામઉદ્યોગ ગ્રામોન્નતિ
ગૃહઉદ્યોગનું વર્ગીકરણ
રમણલાલ દેસાઈ
૧૫ સ્વદેશી શા માટે ? →





૧૪
ગૃહઉદ્યોગનું વર્ગીકરણ
ગૃહઉદ્યોગનું મહત્વ

આ સ્થિતિની ભયંકરતા રાજકર્તાને, વિચારકોને તેમ જ સમાજસેવકોને સમજાઈ છે. હિંદની મોટા ભાગની વસતિ સાત લાખ ગામડાંમાં વહેંચાયેલી છે. વસતિના એંશી ટકા જેટલો ભાગ ગ્રામજીવન ગુજારનારો–ખેતી કરનારો. હિંદુસ્તાનનું રાજ્ય, હિંદુસ્તાનના રાજ્યકર્તા – ગોરા અને કાળા–તથા હિંદુસ્તાનના ધનિકોનો એના ઉપર આધાર ખેતીનો ધંધો લાભકારક ન રહે, ખેડૂત દેવામાં દટાઈ જાય, તેને જીવવામાં રસ ન રહે એવી સ્થિતિમાં રાજ્યના અને સમાજના પાયા સહુને ડગમગતા દેખાયા અને એકાએક ગ્રામ અને ગ્રામજનતાનું મહત્ત્વ સમજાયું.

ગ્રામઉન્નતિ તરફ સહુનું લક્ષ દોરાયું અને ગૃહઉદ્યોગ તરફ ગ્રામજનતાને પાછી વાળવાની વિચારણા જાગૃત થઈ. ગૃહઉદ્યોગ માટે જુદા જુદા પ્રયોગો પણ થવા લાગ્યા અને સરકારે અને લોકસેવકોએ ગૃહઉદ્યોગના અખતરાઓ પણ કરાવવા માંડ્યા.

ગૃહઉદ્યોગનું મહત્ત્વ નીચેના કારણોને લીધે છે:–

(૧) ખેતીનું ઉત્પન્ન એક કુટુંબનું પોષણ કરી શકે એવું ન હોય ત્યાં ખેડૂતના ઉત્પન્નમાં ગૃહઉદ્યાગ થોડો પણ ઉમેરો કરી શકે એમ છે.
(૨) વર્ષમાં નિદાન ચારથી છ માસ ખેડૂતને ઓછી વધતી નવરાશ મળે છે, અને એ નવરાશનો ઉપયોગ તે ઉત્પાદન કાર્યોમાં કરી શકે એ માટે ગૃહઉદ્યોગ જરૂરી છે.
(૩) યંત્રથી વિવિધતા જતી રહે છે; Individuality–વ્યક્તિ વલણ—ઘટી જાય છે–સપાટ બની જાય છે; એથી કામનું મમત્વ અને કામની મૉજ ઘટી જાય છે; બીબામય એકતાનપણું કામમાં અને જીવનમાં આવી જાય છે. એટલે સૌંદર્યની–વ્યક્તિગત ભાવનાઓની–અંગત રસિકતાની સાધના થતી નથી અને યંત્રવાદ કલાનો દુશ્મન બની જાય છે. યંત્રવાદથી નિયંત્રિત થતી કલા એક હથ્થુ અને નકલી બની જાય છે. ગ્રામજીવનમાં તેમ જ ગ્રામકાર્યોમાં કલાનાં તત્ત્વો–સૌંદયનાં તત્ત્વો જાળવી રાખવા માટે પણ ગૃહઉદ્યોગની જરૂર છે.
(૪) હવે વર્ધા–યોજના પછી આખી કેળવણીનું મધ્યબિંદુ કોઈ પણ શક્ય ઉદ્યોગ કે ગૃહઉદ્યોગ બનવા માંડ્યું છે, એટલે ઉદ્યોગરહિત પાંગળી કેળવણીમાંથી ગ્રામજનતાને બચાવી લેવા માટે પણ ગૃહઉદ્યોગની જરૂર છે.
ગૃહઉદ્યોગોના વિભાગ
સ્થાનિક સ્થિતિ અનુસાર ગૃહઉદ્યોગોના નીચે પ્રમાણે વિભાગો પડી શકે એમ છે :—
પોષણના અંગના
(अ) પોષણના-ખોરાકના અંગના-ગૃહઉદ્યોગો. જેમાં નીચેના ગૃહઉદ્યોગોનો સમાવેશ થઈ શકે :-
(૧) શાકભાજીના વાડા, બગીચા કે આંગણાં–Kitchen–
{{Left margin|2em|

Gardens. પોતપોતાનાં આંગણાંમાં પતરવેલીઆં, દુધી, ટીંડોરાં અગર કારેલાંની વેલ, કેળ, કોથમીર, મરચાં, આદુ, ફુદીનો, જુદી જુદી ભાજી, પપૈયા વગેરે ઉપજાવી લેવાની આપણા ગામડામાં જૂની રીત હતી. એ રીત ફરી પાછી જીવંત બનાવવાની જરૂર ઉભી થઈ છે. એથી ગ્રામજનતાના ખોરાકમાં સ્વાદ અને વૈવિધ્યભર્યું પોષણ દાખલ થાય એમ છે.

(૨) ગોરસ ઉદ્યોગ-Dairy. હજી ગામડામાં ગાય, ભેંશ પાળવાની પ્રથા છેક નાબૂદ થઈ નથી. ગાય, ભેંશ દ્વારા દૂધ, દહીં, છાશ, માખણ, ઘી, માવો, મીઠાઈ, માવાનાં રમકડાં એ બધું બનાવવામાં આવે તો આપણાં ગ્રામકુટુંબને પૌષ્ટિક ખોરાક મળે અને તેમની આવકમાં થોડો ઘણો પણ વધારો થઈ શકે.

ગોરસ ઉદ્યોગની પાછળ આપણું સંસ્કાર-જીવન પણ સંકળાયેલું છે. ઘણી ધણી કવિતાઓ ગોરસને અનુલક્ષીને રચાઈ છે, અને કૃષ્ણ સરખા સાહિત્યના સર્વોત્તમ નાયકને પણ ગોરસની સાથે આપણે જોડી દીધા છે. આપણી સંસ્કૃતિમાં ગોરસ અને ગોરસઉદ્યોગનું સ્થાન બહુ જ મહત્ત્વનું અને માનીતું છે એ આપણે ભૂલવા સરખું નથી. ગાયને તો આપણે માતા કહી પૂજીએ છીએ.

(૩) ગુલાબનાં ફૂલ, કેરી, સફરજન, આંબળાં, કરમદાં, ફાલસા, લીંબુ, વગેરે ફળફળાદીમાંથી શરબત, ગુલકંદ, મુરબ્બા, અથાણાં અને ચટણીઓ પણ બનાવી શકાય. વળી ફળને ડબામાં લાંબો સમય

સાચવી રાખવાની આવડત પ્રાપ્ત થાય તો નિરર્થક જતાં અનેક ફળ પૈસો આપતાં બની જાય.

(૪) પક્ષી ઉછેર–Poultry. હસી કઢાતો મરઘાં, બતકના ઉછેરનો ઉદ્યોગ માંસાહારીઓ માટે બહુ જ મહત્ત્વનો છે અને ઇંડાંનું વેચાણ એ પણ એક ઉત્પન્નનો પ્રકાર બની જાય છે.
કૃષિ ઉપયોગી
(आ) કૃષિઉપયોગી ગૃહઉદ્યોગ–એનું વિગતવાર વર્ણન ન આપતાં માત્ર તેના પ્રકાર ગણાવી જવા એટલું જ અત્રે બસ થઈ જશે. કૃષિઉપયોગી ગૃહઉદ્યોગો નીચે પ્રમાણે હોઈ શકે:
(૧) કોસ. (૨ ) વરત. (૩) પાલાં. (૪) ટોપલા. (૫) કોઠીઓ વગેરે.
ઘરકામના ઉદ્યોગો
(इ) વળી કેટલાક ગૃહઉદ્યોગોને ઘરકામના ઉપયોગમાં આવતાં સાધનો બનાવવા માટે ખીલવી શકાય. દૃષ્ટાંત તરીકે :—

(૧) સાદડીઓ (૨) સફરા (૩) પાટીવણાટ (૪) નાડાં (૫) શેતરંજી (૬) પતરાળાં (૭) પંખા ( ૮ ) કાથી, વગેરે.

કૌટુમ્બીક સંપત્તિ
વધારનારા
( ई) કેટલાક ગૃહઉદ્યોગો કૌટુંબિક ખર્ચ બચાવવા ઉપરાંત ગ્રામજનતાને પૈસો પણ અપાવી શકે એવા છે. દૃષ્ટાંત તરીકે :—

(૧) ધાબળી (૨) શીવણકામ (૩) રમકડાંની બનાવટ (૪) બુક બાઈન્ડીંગ-પોર્ટફોફાલીઓ (૫) થેલી, દફતર,

પાકીટ (૬) હાથવણાટ જેમાં તકલી, રેંટીયો અને શાળનો સમાવેશ થાય છે તે.

તકલી, રેંટીયો અને શાળના સંબંધમાં મહાત્મા ગાંધીએ પૂરતાં વિવેચનનો કરેલાં છે અને એ ધંધાનું મહત્ત્વ સમજાવેલું છે, એટલું તો ચોક્કસ કે હાથકંતામણ અને હાથવણાટ સરખો સર્વોપયોગી ગૃહઉદ્યોગ હજી બીજો હાથ લાગ્યો નથી. હિંદનાં પાંતરીસ કરોડ મનુષ્યો હાથકંતામણ અને હાથવણાટનાં જ કપડાં એક દસકો પહેરવાનું વ્રત લે તો હિંદના અનેક આર્થિક અને રાજકીય પ્રશ્નોનો ઉકેલ આવે એમ છે.

કલાપ્રધાન ગૃહ-
ઉદ્યોગ
(उ) કલાપ્રધાન ગૃહઉદ્યોગો-જેમાં
(૧) પડદા (૨) તોરણ (૩) આસનીઓ (૪) બરૂ અને ઘાસનાં રમકડાં (૫) ભીંત ઉપરનાં ચિત્રો (૬) ઘરલીંપણ અને આંગણાંનાં રંગોળી સાથીયા (૭) ફૂલક્યારા અને નાનામોટા બગીચા (૮) વૃક્ષારોપણ (૯) ભરતગુંથણ વગેરેનો સમાવેશ થઈ શકે છે.
ગૃહઉદ્યોગ અને હિંદનો
શ્રીમંત વર્ગ
ગૃહઉદ્યોગો શ્રીમંત તેમ જ ગરીબ બંને વર્ગને માટે જરૂરી છે. શ્રીમંતને પૈસો વધારવાની જરૂર નહિ હોય પરંતુ અંગમહેનત દ્વારા દેશનું ધન વધારવાની ધનિકની ફરજ તો છે જ. ધનઉપાર્જન આ યુગમાં તો સાહસ કે અકસ્માતના ફળ સરખું બની ગયું છે. ધનિક વર્ગ એ દેશની દૃષ્ટિએ ઉપયોગી વર્ગ મટી ગયો છે, અને ધીમે ધીમે તે પોતાની નિરર્થકતા સાબિત કરતો ચાલ્યો

જાય છે. એ સ્થિતિ અટકાવવી હોય તો ધનિકવર્ગે જાતે મહેનત કરીને એકાદ ગૃહઉદ્યાગનો સ્વીકાર કરી સ્વાવલંબી બનવાના દેશના પ્રયત્નમાં સહાય આપવી જોઇએ. ગાંધીજી ધનિકને ધનનો માલિક નહિ પરંતુ વાલી કહે છે. વાલીપણું બાજુએ મૂકી માલકીમાં ધસી જનાર મનુષ્ય ગુનેગાર બને છે. એટલે અંગત જરૂર ન હોય છતાં ધનિકવર્ગે ગૃહઉદ્યોગનો સ્વીકાર કરવો જરૂરી છે. એથી તે સામાન્ય અને ગરીબ વર્ગ સાથેનો પોતાનો સંબંધ જીવંત રાખે છે. ગરીબોને દાખલો બેસાડવા ખાતર પણ શ્રીમંતોએ ગૃહઉદ્યોગ હાથ કરવો જોઈએ. શ્રીમંતાઇનાં અનુકરણ ઘણાં થાય છે, અને મોટાભાગનાં અનુકરણ નિરર્થક નીવડે છે. અનુકરણને પણ સફળ કરવા માટે ધનિકો ગૃહઉદ્યોગ પોતાના બનાવી લે.

ગરીબવર્ગ અને ગૃહ-
ઉદ્યોગ
ગરીબોએ તો ગૃહઉદ્યોગનો આશ્રય લેવો જ રહ્યો. ગરીબને પૈસાની જરૂર છે જ. એની ક્ષણેક્ષણ ઉત્પાદક કાર્યમાં ગાળવાનો માર્ગ ગૃહઉદ્યોગ જ આપી શકે છે. એટલે,
(૧) પોતાનો સમય ઉત્પાદનના કાર્યમાં ગાળવા માટે,
(ર) ધન વધારવા માટે,
(૩) જતો પૈસા અટકાવવા માટે,
(૪) ભારરૂપ બની ગયેલી પોતાની જાતને સમાજ ઉપયોગી બનાવવા માટે

ગરીબોએ એક કરતાં પણ વધારે ગૃહઉદ્યોગ તરફ પોતાનું જીવન વાળવું જોઈએ. એ ઉદ્યોગો સહેલા છે, સોંધા છે, જીવનને ઉપયોગી થઈ પડે એવા છે, ગરીબીનો ઘટાડો કરનારા છે, અને સમયને રસમય બનાવે એવા કલામય છે.

હિંદુસ્તાનની પાંત્રીસ કરોડની વસતિ માત્ર એક જ દસકો—

દસકાનો પ્રયોગ

(૧) એકાદ ગૃહઉદ્યોગ પસંદ કરી તેને જીવન વ્યવસ્થામાં વણી લે,
(૨) પરદેશી માલ ન વાપરે,
(૩) અને ખરીદીમાં પણ ગૃહઉદ્યોગના માલને પસંદગી આપે,

તો ગ્રામપુનર્ઘટનાનું કાર્ય કેટલું વેગવાળું, જીવંત અને સરળ બને ?

ગ્રામજીવનની આર્થિક ઉન્નતિ માટે સહાયભૂત બનનારા તત્ત્વોનો વિચાર પૂરો કરતા પહેલાં ફરીથી અત્રે ભાર મૂકવો જોઇએ કે આર્થિક અને સામાજીક ઉન્નતિ એ બન્ને જુદી જુદી ઉન્નતિ નથી; ઢાલની માત્ર બે બાજુઓ જ તે છે. એક બાજુ બીજી ઉપર જીવી શકે છે. ભેદ માત્ર પ્રત્યેકને છૂટક છૂટક વિગતવાર સમજવા માટે જ પાડ્યો છે.

ગ્રામજીવન સમસ્તનો વિચાર કરીએ તો તેમાં આર્થિક ઉન્નતિ અર્થે ગ્રામ અને ગૃહ-ઉદ્યોગનું સ્થાન નીચે પ્રમાણે દર્શાવી શકાય.

ગ્રામજીવન
આર્થિક ઉન્નતિસામાજીક ઉન્નતિ
આરોગ્ય શિક્ષણકેળવણીકલા–સૌંદર્ય
અંગ
નાગરીકત્વ
ઉત્પન્નમાં વધારો
ઉત્પન્નમાં વધારો
(ગ્રામજીવન ચાલુ)
કૃષિ સુધારણાવ્યાપાર સુધારણાધીરધારની સગવડ
અને દેવાનો ઘટાડો
ગ્રામ તથા
ગૃહ-ઉદ્યોગ
ખોરાક તથા
પોષણને લાગતા
કૃષિ ઉપયોગીગૃહ ઉપયોગીઉત્પાદક ધંધાકલા પ્રધાન ધંધા
કોસવરતપાલાંટોપલાકોઠી
વગેરે
સાદડીસફરાનાડાંપતરાળાંપંખા
વગેરે
વણાટ કામશીવણ કામકંતામણપુસ્તક બંધન વગેરે
વાડી–બગીચા–
kitchen gar
den. શાક, ભા-
જી, ફૂલ ફળના
ઉત્પન્ન અર્થે
ગોરસ ઉદ્યોગોબારમાસી સંગ્રહપાત્ર
વસ્તુઓની બનાવટ
પક્ષી ઉછેર
મુરબ્બાઅથાણાંફળ સંરક્ષણ
દૂધઘી-માખણછાશમાવો
વૃક્ષારોપણપડદાતોરણીઆસનીબરૂ તથી ઘાસનાં રમકડાંદીવાલ ચીત્રોરંગોળી સાથીયાફૂલ ક્યારી