ગ્રામોન્નતિ/રોગનિવારણ

વિકિસ્રોતમાંથી
← ર૧ આરોગ્યરક્ષણ અને જીવજંતુ ગ્રામોન્નતિ
રોગનિવારણ
રમણલાલ દેસાઈ
૨૩ ખોરાક, બાળઉછેર અને કેળવણી →


.





૨૨
રોગનિવારણ
રોગના ઈલાજ
રોગ થાય જ નહિ અને ફેલાય જ નહિ એવી પરિસ્થિતિ ઊભી કરવી એ જ આરોગ્યરક્ષણનો અને ખાસ કરીને ગ્રામઆરોગ્યરક્ષણનો ઉદ્દેશ હોવો જોઈએ. ઈશ્વરનાં આપ્યાં કહો કે કુદરતનાં આપ્યાં હવા, અજવાળાં અને સૂર્યપ્રકાશ તો છે જ. વિપૂલ પાણી સંગ્રહ — કુવા, નદી, તળાવ – માં કુદરતને સહાયભૂત થવા માનવીએ પ્રયત્ન કરવાનો છે. હિંદમાં મરુભૂમિ છે. પાણી ન મળે એવા પ્રદેશ છે. ઉત્તર ગુજરાતનો રેતાળ પ્રદેશ, કાઠિયાવાડનાં કેટલાંક પથરાળાં સ્થાનો અને પૂર્વ દક્ષિણ ગુજરાતનાં જંગલોમાં પાણીની વિપુલતા ઓછી ખરી અને જંગલનાં પાણી રોગભર્યા પણ ખરાં; છતાં મોટા ભાગે ગુજરાતમાં પાણીનો છેક જ દુષ્કાળ છે એમ કહેવું વાસ્તવિક નથી. જ્યાં પાણી પૂરતાં ન મળતાં હોય ત્યાં જમીનમાં ઘણા ભાગમાંથી પથરા ફોડીને અગર યુગયુગથી સંતાઈ ગયેલાં પાણીનાં ઝરણાં ખોલીને આપણે ધારીએ તો પાણી ખૂબ મેળવી શકીએ એમ છે. નદીઓને કેળવતાં પણ આપણને હજી આવડ્યું નથી. નહિ તો મિથ્યા વહી જતા ગંજાવર વારિસમૂહને આપણે માત્ર ખેતીના જ નહિ પરંતુ પીવા તથા નહાવાનાં કાર્ય માટે પણ ઉપયોગમાં લઈ શકીએ. સ્વચ્છતાના સાથી સરખાં અગ્નિ, રાખડી, માટી અને રેતી એ સર્વ દ્વારા આરોગ્ય

રક્ષણ બહુ સરળતાથી કરી શકાય એમ છે. અલબત્ત એ સહુનો ઉપયોગ કરવા માટે આપણા મનને અને શરીરને – કહો કે આખા ગ્રામસમાજને ટેવાવું પડશે. પરંતુ તેમ થાય ત્યાં સુધી તો રોગ, તાવ અને દર્દ ગ્રામજનતાને પીડ્યા કરવાનાં. એ દર્દોના અસ્તિત્વનો સ્વીકાર કરીને રોગના ઈલાજ લેવાની વ્યવસ્થા ગામડાંમાં રાખવી જ પડશે.

જૂની ગ્રામવૈદ્ય-
સંસ્થા
પચીસ-ત્રીસ વર્ષ પહેલાં ઘણી જગાએ અને હજી પણ કોઈ કોઈ ગામડામાં વૈદ્યો અને હકીમો જોવામાં આવે છે. આ વૈદ્યો અને હકીમો આપણા ગ્રામજીવનમાં આરોગ્યરક્ષણનું અને ખાસ કરીને રોગનિવારણનું અતિ મહત્વનું કાર્ય કરતા હતા. અંગ્રેજી શિક્ષણે આપણી ઘણી ઘણી સારી સંસ્થાઓને સૂકવી દીધી છે. જૂની વૈદકીય સારવારની સંસ્થા પણ આપણી પાસેથી નવા યુગે ખૂંચવી લીધી છે — એટલું જ નહિ, પરંતુ એને બદલે એનું સ્થાન લે એવી બીજી કોઈ સંસ્થા પણ તેની જગાએ ઉત્પન્ન કરી નથી. અને આજ તો ગામડાં આરોગ્યરક્ષણનાં સાધનવગર રોગનો ભોગ થઈ પડે છે અને રોગનું નિવારણ કરવાનો ગામડાંમાં માર્ગ જ રહ્યો ન હોવાથી અપાર દેહકષ્ટ અને લાચારી ભોગવી રહે છે. ગ્રામજીવનનાં કંઇક મૃત્યુ ઔષધના અભાવનું જ પરિણામ છે. વૈદ્યો ઉપરથી આપણી શ્રદ્ધા ઘટી ગઈ છે અને ડૉક્ટરોના મોહમાં આપણે આપણા જૂના વૈદ્યો અને હકીમોને વિસારે પાડ્યા છે. એટલે તે વર્ગ ગામડામાંથી અદૃશ્ય થતો જાય છે, અને ગામડાં રોગ સમયે નિરાધારપણું અનુભવે છે.
ડૉકટરો
જૂની ઢબના કહેવાતા વૈદ્યો અને હકીમો સમયના પ્રવાહ સાથે આગળ વધી શક્યા નથી એ ખરું છે. આરોગ્યરક્ષણની શાસ્ત્રીય વિચારણામાં

ઉપયોગી થઈ શકે એવી એમની પદ્ધતિ ન રહી એટલે જૂની સંસ્થા આપોઆપ પાછળ પડી ગઈ એ પણ ખરું. પશ્ચિમની વૈદ્યકીય પ્રગતિનું શાસ્ત્રીયપણું નવા યુગને વધારે માફક આવતું ગયું એટલે આપણે વૈદ્ય હકીમને વિસારે પાડ્યા, પરંતુ પાશ્ચિમાત્ય પદ્ધતિએ કેળવાયેલા ડૉક્ટરો પણ ગ્રામજનતાને જરાયે ઉપયોગી નીવડ્યા હોય એમ લાગતું નથી. અંગ્રેજી પદ્ધતિએ વૈદ્યકીય જ્ઞાન મેળવેલા ત્રીસ હજારથી ચાળીસ હજાર ડોક્ટરો હિંદમાં પોતાનો ધંધો ચલાવે છે, પરંતુ તેમની બધી પ્રવૃત્તિ નગર વિભાગમાં જ-Urban areaમાં જ- એકત્રિત થયેલી છે. સાત લાખ ગામડાંને તો ભાગ્યે જ ડૉકટરનાં દર્શન થાય છે.

સેવાભાવનાનો અભાવ
અને એ ડોક્ટરો પણ જ્વલ્લે જ સેવાભાવી હોય છે. અંગ્રેજી અસરે ભણેલા અને અભણ વચ્ચે મોટા ભેદ પાડી દીધેલો છે અને એ ભેદ ડોક્ટરોએ બહુ સારી રીતે પાળ્યાપોષ્યા છે. ડોક્ટરો મોટા ભાગે સરકારી નોકરી શોધે. તે ન મળતાં તેઓ પોતાનો ખાનગી ધંધો શહેરમાં જ શરૂ કરે. રોગીને રોગમુક્ત કરવાનું ધ્યેય નહિ, પણ પૈસા મેળવવાનું તેમનું ધ્યેય હોય. જીંદગીના રક્ષણ અર્થે કરવામાં આવતા ધંધામાં બદલાનાં, ભારે કીંમતનાં અને દર્દી કરતાં ડોક્ટરની વધારે મરજી સાચવવાનાં તત્ત્વો દાખલ થાય એટલે ડોક્ટરી સંસ્થા સ્વાર્થી, ભાડુઆતી અને પરિણામે નિર્દય અને નિષ્ઠુર બની જાય છે. ડૉક્ટર ધંધો શરૂ કરે એટલે તે પોતાનો દેખાવ રૌનકભર્યો રાખવાથી જ શરૂઆત કરે. દર્દી ભય પામે એવો તો ડૉક્ટરનો દિમાગ. ડૉક્ટરની તાત્કાલિક અભિલાષા મોટરમાલિક બનવાની. મોટરકાર વગરનો ડૉક્ટર ભારે અસંતોષી હોય છે. દર્દી કેટલી ફી આપી શકશે તેનો ખ્યાલ ડોક્ટરે કરવાનો હોતો જ નથી. એ તો પોતાની કિંમત નક્કી કરી બેસે છે અને દર્દીને ગરજ હોય તો તેની

કિંમત આપી સારવાર મેળવે એ ડૉક્ટરી જીવનવિધાનમાં તેમની વ્યુહરચના હોય છે.

‘હું ગરીબ માણસનો ડૉક્ટર નથી’ એમ અભિમાનથી જાહેર કરી ગરીબ દર્દીઓને ઠોકર મારતા અનેક ડોક્ટરો આપણે જોયા અને સાંભળ્યા છે. ગરીબ હિંદુસ્તાનની ગરીબાઈને તિરસ્કારનારા એ ડૉક્ટરો હિંદને માથે લદાયેલા ધેાળા હાથીઓ છે, એમાં જરા યે શક નથી. હિંદની ગરીબીને તિરસ્કારનાર સર્વ માણસો મહાભયાનક પાપ કરે છે એ જેમ બને તેમ વહેલું સમજાય એમાં આપણું શ્રેય છે. ઈંગ્રેજી અધિકારીઓ ભારે પગાર માગે. દેશી અધિકારીઓ તેમને પગલે ચાલી એટલું જ ભારણ હિંદને માથે લાદે અને આપણા ઈજનેરો, ન્યાયાધીશ અને આરોગ્યનું રક્ષણ કરવાનો ડોળ ઘાલનાર ડૉક્ટરો પણ ધનના ઢગલાને પૂજે ! આ ભાર હિંદ ક્યાં લગી સહન કરી શકશે ? હિંદની સરેરાશ આવક કરતાં જેટલી વધારે આવક મળે એટલી લૂંટની મિલકત છે એમ માન્યા વગર રહેવાતું નથી.

આનો અર્થ એમ નથી કે બધા ડૉક્ટર જ ખરાબ છે. હિંદુંસ્તાનની ગરીબી ઘટાડવામાં જે કોઈ સહાયભૂત ન થાય એ સઘળું જ ખરાબ છે. પછી તે ડૉક્ટરની સંસ્થા હો, વાઇસરૉય, ગર્વનર કે બ્રિટિશ સનદી નોકરશાહી હો કે હિંદનાં રજવાડાં હો. જ્યાં સુધી વૈદ્યકીય ધંધો ગ્રામઅભિમુખ ન થાય ત્યાં સુધી તે નિરર્થક તો છે જ અને ધનિકતાની, મોટરકારની, રૂવાબદાર દેખાવની લાલસા આજના ડોક્ટરી વર્ગમાં રહેશે ત્યાં સુધી એ સંસ્થા ગ્રામોન્નતિમાં નિરર્થક જ નીવડશે.

ગ્રામાભિમુખ વૈદ્યકીય
સારવાર
હવે સમય આવ્યો છે કે જ્યારે ડોક્ટરોએ ગામડાં તરફ દૃષ્ટિ કરવી પડશે; એટલું જ નહિ પણ વિભાગમાં કાયમનું રહેઠાણ રાખવું પડશે. જ્યાં સુધી ડૉક્ટરી સારવાર મેળવવાના

સગવડ ગ્રામજનતા મેળવી શકે નહિ ત્યાં સુધી ગ્રામજનતામાં રોગના ઇલાજ કરવાની મુશ્કેલી રહ્યા જ કરવાની. એટલે પહેલી તકે ડૉક્ટરોને ગ્રામવિભાગ સાથે સંસર્ગમાં લાવવાની પ્રથમ જરૂર ઊભી થાય છે. વૈદ્યકીય સારવાર થોડા જ સમયમાં સરળતાથી દર્દી મેળવી શકે એવી રીતે ગામડાંમાં અગર ગામડાંના સમૂહમાં ડૉક્ટરનો નિવાસ હોવો જોઇએ.

હકીમી અને આયુ-
ર્વેદિક પદ્ધતિ
હકીમી અને આયુર્વેદ એ બન્ને આપણી જૂની વૈદ્યકીય વ્યવસ્થાઃ એને પણ વર્તમાન જીવનને અનુકૂળ બનાવવાની જરૂર ઊભી થઈ ચૂકી છે. એથી આપણી લુપ્ત થતી જતી જૂની વૈદ્યકીય સંસ્થાને પુર્નજીવન મળશે અને પશ્ચિમાત્ય વૈદ્યકીય પ્રગતિના સંસર્ગથી આપણી દેશી વ્યવસ્થા ગ્રામજનતાને વધારે ઉપકારક થઈ પડશે.

શહેરના મોહમાં ફસેલા ડૉક્ટરોને ગામડાંમાં આકર્ષવા અને જૂની ઢબના વૈદ્યહકીમોને વર્તમાન યુગ માટે લાયક બનાવી ગ્રામજનતાને પાછા સોંપવા એ બે પ્રશ્નો હાલ હિંદમાં મહત્ત્વના થઈ પડેલા છે.

ગામડે સારવાર પહોં-
ચાડવાની રીત
ગામડાંમાં દવાખાનાં સ્થાપવાના પ્રયત્નો થયા કરે છે. પરંતુ થોડાં દવાખાનાં વિશાળ ગ્રામજનતાની જરૂરિયાતોને પહોંચી વળે એમ નથી. ગ્રામજનતાના કોઈ પણ વિભાગમાં પાંચ માઈલની અંદર વૈદ્યકીય સારવાર મળી જ રહે એવી વડોદરા રાજ્યની યોજના આ સંબંધમાં વિચારવા સરખી છે. ઉપરાંત ગ્રામવિભાગમાં ફરનારા ડૉક્ટરો રાખી ગ્રામજનતાના રોગ ટાળવાના અખતરા પણ કરવામાં આવે છે. સરકાર તરફથી દવાની અને ડૉક્ટરના પોષણની રકમનો કેટલોક ભાગ આપી ડૉક્ટરોને ગામડાંમાં વસાવવાની યોજનાઓ પણ વિચારાય છે, અને નિશ્ચિત થયેલા રોગોમાં નિશ્ચિત થયેલી દવાઓ ગામના આગેવાનો મારફત વહેંચવાની પણ પ્રથા

અમલમાં મુકાય છે. આમ દવાખાનાં સ્થાપીને, વૈદ્ય ડૉક્ટરને ગામડાંમાં સ્થાયી વસવાટ માટે ઉત્તેજન આપીને, ગ્રામજનતામાં ડોક્ટરવૈદ્યની ફેરણીઓ કરાવીને તથા વગર ડૉક્ટરે જાણીતી દવાઓ જાણીતા રોગ માટે ગામડાંના આગેવાનો અગર સેવાભાવી સ્ત્રીપુરુષો દ્વારા વહેંચાવીને ગ્રામજનતાના રોગનું નિવારણ કરવાના પ્રયત્નો થઈ શકે એમ છે.

દવાનો પ્રશ્ન એ પણ કૂટ પ્રશ્ન બની ગયો છે. ડૉક્ટરોની દવા ખૂબ મોંઘી. પરદેશથી આવતી દવાઓની બનાવટ હિંદને ચૂસવાના ઉદ્દેશથી અગર ધનિક પરદેશીઓની કક્ષાનો વિચાર કરી કરવામાં આવી હોય : એટલે ગરીબ ગામડું એ દવાઓ વાપરી શકે નહિ. વાપરે તો મોંઘા ડૉક્ટર અને એથી યે મોંઘી દવાઓના ભારણમાં વધારે દેવાદાર થાય. સુંદર શીશીઓમાં ભરાઈને આવતી ‘પેટન્ટ' દવાઓએ હિંદની ગરીબી વધારવામાં ખરેખર કેટલો ભાગ લીધો છે એ શોધી કાઢવા સરખું છે.

હિંદ વનસ્પતિનો ભંડાર છે. પરદેશી દવાઓ પણ વનસ્પતિની જ બનાવટ હોય છે. હીંગને મોટું વૈદ્યકીય નામ આપી આઇસાફટીડા કહ્યાથી એ હીંગ મટતી નથી. છતાં નામફેર કે દેખાવફેરથી કીંમત વધી જાય છે. વનસ્પતિ ઉપરાંતની દવાઓ – ધાતુ, ભસ્મ, અર્ક, અહીં પણ બનતાં હતાં, અને હજી પણ બનાવી શકાય એમ છે. ગ્રામજનતાને અને મોંઘા ડોક્ટરને ન બને; ગ્રામજનતાને અને મોંઘી દવાઓને પણ ન બને. મોંઘા ડૉક્ટરો વગર ચલાવી શકાશે; મોંઘી દવાઓ વગર ચલાવી શકાશે. ગ્રામજનતા સિવાય હિંદને ચાલે એમ નથી. અને એ ગ્રામજનતાનું આરોગ્ય મોંઘા ડૉક્ટરો અને ખર્ચાળ દવાઓ ન સાચવી શકે તો આપણે તેમને સોંઘા ડૉક્ટરો, વૈદ્યો અને સાહજિક દવાઓ આપવી જ પડશે.

વૈદ્યો અને ડૉક્ટરો ધારે તો ગ્રામજીવનમાં મહત્ત્વના સુધારા કરી શકે. તેમના સારા વર્તનથી અને મીઠાશભરી માવજતથી તેઓ ગ્રામજનતામાં દેવ સરખા પૂજાય. તે મોટા બંગલાઓ અને હવેલીઓ કદાચ ગામડાંને પૈસે બંધાવી ન શકે; એકે એક હવેલી ગ્રામજનતાની ઝૂંપડીને ભોગે રચાય છે; પરંતુ સાદું સુખમય, આરામભર્યું અને ઉપયોગી જીવન ગામડાંમાં રહીને પણ વૈદ્ય ડૉક્ટરો ગાળી શકે એમ છે. એટલે સેવાભાવી યુવકોમાંથી ઘણો મોટો ભાગ વૈદ્ય ડોક્ટર તરીકે ગામડે ઊતરી ગ્રામપુનર્ઘટનામાં મહત્ત્વનો ફાળો આપી શકે એમ છે.

સોંઘી દવા
ગામડાંને મોંઘી દવા ન જ પોષાય. ડૉક્ટર વૈદ્ય ધારે તો ગામડાંને માફક આવે એવી અનેક સોંધી દવાઓ તેઓ ઉપજાવી શકે. સેવાભાવ અંતે તો સહુને સફળતા આપે છે. સુંઠ, અજમો, મીઠું, કરિયાતું, ગળો, કાચકાં, હરડાં, બેડાં, આમળાં, જેઠીમધ, તુલસી, લીમડો, ખાખરો, અળશી, મેંદી, થોર, વડ, આકડો, બાવળ વગેરે અનેક વસ્તુઓ એવી છે કે જે ગામડાંને સહજ મળે અને એમાંથી સોંઘી દવા ઉપજાવી શકાય. દસ દસ વીસ વીસ રૂપિયાનાં પરદેશી ઇન્જેક્શનો આપવાની શરમભરેલી સરળતાનો લાભ લેવા કરતાં દેશને અનુકૂળ સોંઘી દવાઓ ઉપજાવવામાં ડૉક્ટર રોકાય તો ય તેમની ભારે કીંમત વળી ગણાય. હિંદને માથે પડેલા આ ડૉક્ટરો આ દૃષ્ટિએ વિચારતા નહિ થાય ત્યાં સુધી તે હિન્દની આઈ. સી. એસ. માફક બોજારૂપ જ ગણાશે.

આમ ગ્રામજીવનમાં સહજલબ્ધ દવાઓ ઉપજાવવી એ ગ્રામોન્નતિનું એક અંગ બની જાય છે.

વળી બીજી સોંઘી દવાઓ, લેપ, સાધનો પણ ગ્રામજનતાને ઝડપથી મળવાં જોઈએ.

ગ્રામ આગેવાનો
જ્યાં નિષ્ણાત વૈદ્ય કે ડૉક્ટર ન મળી શકે ત્યાં સામાન્ય વૈદ્યકીય જ્ઞાન અને સામાન્ય સારવાર કરી શકે એવા ગ્રામ આગેવાનોએ આ કામ ઉઠાવી લેવું જોઇએ, અને દવાઓની વહેંચણી કરવા તત્પરતા બતાવવી જોઈએ.

મેલેરિયા માટે ક્વીનીનની વિસ્તૃત વહેંચણી ગ્રામજનતામાં કરી શકાય છે એ તો સહુના અનુભવની વાત છે. જે થાય છે એ ઘણું થોડું અને અવ્યવસ્થિત છે. છતાં એ માર્ગે આપણે ઔષધની વહેંચણી કરી શકીએ એટલું તો સાબિત થાય છે જ.

ગ્રામજીવનમાં અકસ્માતના પણ સંભવ ખરા. અકસ્માતને માટે તૈયાર રહેવાની, અને ઘટતા પ્રસંગે ઘટતી દવા આપવાનો પણ આવડત ગ્રામજીવનમાં જરૂરી છે.

ઘરવૈદું
ઘરવૈદું આપણે ભૂલી ગયા છીએ. આપણી માતાઓ અને દાદી નાની નાની ફરિયાદો માટે ડૉક્ટરો પાસે દોડી જતી ન હતી. સ્ત્રી સમાજ અને ગ્રામસ્ત્રીસમાજ પાછો વૈદકની વસ્તુઓ ઓળખી વાપરતા થાય એ બહુ જ ઇચ્છવા યોગ્ય છે. રોગનિવારણ માટે આપણો સમગ્ર વિચાર નીચે પ્રમાણે ગોઠવી શકાય :
રોગનિવારણ
વૈદ્ય ડૉક્ટરનું
ગ્રામ–અભિ-
મુખપણું
દવાખાનાંસોંઘી દવાઓ-
ની બનાવટ
ગ્રામનિવાસધનિકતાની ઇંતેજારીનો ત્યાગસ્થાયીફરતાં
સરકારીઅર્ધસરકારીખાનગી
દવાઓની
વહેંચણી
અકસ્માતના
ઈલાજ
સ્ત્રીઓમાં ઘર-
વૈદકનો પ્રચાર